અરુણ ગોયલની ભારત સરકારે નિર્વાચન આયુક્ત (ઈલેકશન કમિશ્નર – ઇ.સી.) તરીકે જે દિવસે નિયુક્તિ કરી, એ દિવસ લોકતંત્ર અને બંધારણીય ભારત માટે ઐતિહાસિક હતો. ભારતનું બધારણ ઘડાઈ ગયું હતું અને તેને ૨૬મી નવમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભા મંજૂરી આપવાની હતી, તેના અઠવાડિયા પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે બંધારણ સભામાં આખરી પ્રવચન આપ્યું હતું. એ પ્રવચનમાં તેમણે બે વાત કહી હતી. એક તો એ કે જો આવનારા શાસકો ખૂટેલ હશે તો દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ પણ લોકતંત્રને ન બચાવી શકે અને જો શાસકો પ્રામાણિક હોય તો નબળું બંધારણ પણ દેશને ઊગારી શકે. એટલે બંધારણની શ્રેષ્ઠતા લોકતંત્રની અને કાયદાના રાજની ગેરંટી નથી. તેમણે બીજી વાત એ કહી હતી કે લોકોને રસ્તા ઉપર ઊતરીને આંદોલન ન કરવું પડે એ જગતના કોઈ પણ પ્રજાલક્ષી લોકશાહી દેશની કસોટી છે. આ વાત સમજવા જેવી છે. રસ્તા પર ઊતરીને આંદોલન કરવું એ પ્રજાનો મૂળભૂત અધિકાર છે પણ એ અધિકાર વાપરવાની પ્રજાને જરૂર ન પડે એમાં લોકતાંત્રિક રાજ્યની કસોટી છે. જેમ કે બે વરસ પહેલાં સરકાર કૃષિકાનૂન લાવી હતી જે ખેડૂતોને સ્વીકાર્ય નહોતા. હવે જો દેશમાં સંવેદનશીલ લોકતંત્ર હોત અને સંસદ અને ન્યાયતંત્ર જેવી લોકશાહી સંસ્થાઓ જાનદાર ધબકતી હોત તો ખેડૂતોની ફરિયાદોને સાંભળવામાં આવી હોત. તેના વિષે સાંગોપાંગ ચર્ચા થઈ હોત, જરૂરી સુધારા થયા હોત અથવા અદાલતમાં ન્યાય મળ્યો હોત. લોકોને પોતાની વાત કહેવા માટે અને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઊતરવું પડે એનો અર્થ જ એ કે લોકતંત્ર જેવું હોવું જોઈએ એવું તંદુરસ્ત નથી.
આ વાત અને લોકતંત્રની કસોટીનો માપદંડ બંધારણ ઘડવામાં જેણે સિંહફાળો આપ્યો હતો એ ડૉ. આંબેડકરે બંધારણસભામાં વિદાય લેતા પ્રવચનમાં કહી હતી અને એ જ દિવસે, ૭૩ વરસ પછી, ભારત સરકારે ગેર બંધારણીય અને અનૈતિક રીતે અરુણ ગોયલની ચૂંટણી પંચમાં આયુક્ત તરીકે નિયક્તિ કરીને સાબિત કરી આપ્યું હતું કે અપ્રામાણિક શાસકો જગતના શ્રેષ્ઠ બંધારણને પણ નિષ્ફળ બનાવી શકે છે અને લોકતંત્રનો પ્રાણ હરી શકે છે. એ ભાઈ આગલા દિવસે સરકારી નોકરીમાંથી મુદ્દત પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે અને બીજા દિવસે તેમની દેશની લોકશાહી સંસ્થામાં નિયુક્તિ થાય છે. ગુજરાતની વિધનસભાની ચૂંટણી નજીક છે, એ પછી ઉત્તર ભારતનાં બીજાં મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને દોઢ ત્યારે એ ભાઈ પાસેથી કોઈ કામ લેવાનું હશે અને એ ભાઈએ કામ કરી આપવાનું વચન આપ્યું હશે. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો. સર્વોચ્ચ અદાલતે પાંચ જજોની બંધારણીય બેન્ચ રચીને સુનાવણી હાથ ધરી. અદાલતે કેન્દ્ર સરકારના એટર્ની જનરલને કહ્યું છે કે જો નિયુકિતમાં કોઈ રમત રમાઈ નથી એમ જ્યારે તમે કહો છો તો નિયુક્તિ કઈ રીતે કરવામાં આવી એની ફાઈલ અદાલતમાં રજૂ કરો.
વાત એમ છે કે આપણું બંધારણ કેટલીક બાબતે ચૂપ છે અને તેનો શાસકો દ્વારા લાભ લેવામાં આવે છે. અદાલતોમાં જજોની નિયુકિત, ચૂંટણી પંચમાં તેના આયુકતની નિયુકિત અને કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલની નિયુકિત કઈ રીતે કરવી એ બાબતે બંધારણમાં કોઈ નિર્દેશ નથી. નિયુક્તિનો સ્પષ્ટ નિર્દેશ નથી એટલે નિયુકિત કરવાનો અધિકાર શાસકોને મળે છે. બંધારણ ઘડનારાઓએ કદાચ એમ ધાર્યું હશે કે દેશને વિવેકી શાસકો મળતા રહેશે.
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો માટે જજોની પસંદગી સર્વોચ્ચ અદાલતના જજોનું બનેલું કોલેજિયમ કરે છે અને નિયુકિત સરકાર કરે છે. બંધારણ તો જજોની નિયુકિતની બાબતે પણ ચૂપ છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે આપસમાં વિચાર વિનિમય કરીને જજોની પસંદગી કરવાનો અને ભલામણ કરવાનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો હતો. આ પછી પણ નિયુક્તિનો અધિકાર તો સરકાર જ ધરાવે છે અને સરકાર જજોની નિયુકિત નહીં કરીને અથવા ભલામણની અવગણના કરીને પોતાનું ધાર્યું કરે છે. જો કોલેજિયમની ભલામણ મુજબ વીતેલાં વરસોમાં જજોની નિયુકિત કરવામાં આવી હોત તો અદાલતોમાં કેસના ભારણમાં ખાસ્સો ઘટાડો થયો હોત. શાસકો જાણે છે કે જો ન્યાયતંત્ર ચૂસ્તદુરસ્ત હોય તો જેલમાં જવું પડે.
સર્વોચ્ચ અદાલતે સૂચવ્યું છે કે ચૂંટણી પંચના આયુક્તની નિમણૂક વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ મળીને કરવી જોઈએ. આવી ભલામણ કાયદા પંચે પણ કરી હતી. સવાલ એ છે કે આ પણ કોઈ અકસીર ઈલાજ નથી. સી.બી.આઇ.ના વડાની નિમણૂક આ રીતે જ થાય છે અને પરિણામ આપણી સામે છે. દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ આર.એન. લોઢાએ સી.બી.આઇ.ને સરકારી પોપટ તરીકે ઓળખાવી હતી.
તો પછી ઉપાય શું? ઉપાય છે ભારતના લોકતંત્રને નિર્બળ બનાવતી નબળાઈઓને ઓળખવામાં આવે, તેના ઉપાય વિષે રાષ્ટ્રીય ચર્ચા થવી જોઇએ, બને ત્યાં સુધી સર્વસંમતિ સાધવામાં આવે અને બંધારણમાં જરૂરી સુધારા કરવામાં આવે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 નવેમ્બર 2022