અત્યારે દેશમાં જે માહોલ છે તેમાં લાગણીઓ વધુ સક્રિય છે. અંગત સંબંધોમાં લાગણી બળ પૂરું પાડે, પરંતુ રાષ્ટૃ કે તમામ નાગરિકો વિશે વિચારીએ ત્યારે નિરપેક્ષ વિચારને કેન્દ્રમાં મૂકવો જોઈએ. અત્યારનો મુખ્ય પ્રશ્ન ‘ધર્મ’ના સ્વરૂપ વિશેનો છે. તમામ ધર્મોના પ્રવર્તકો કોઈ વ્યક્તિ હોય છે. તેઓનાં મહાન કાર્યો અને વિચારોને કારણે લોકોએ તેમને ભગવાન, ખુદા, ઈશ, ગોડ તરીકે સ્વીકાર્યા હોય છે.
ધર્મ માટે એક સાદી વાત એ છે કે તેમાં અન્ય ધર્મ માટે આદર હોય, સન્માન હોય. કોઈ પણ ધર્મને ઊંચો કે નીચો ગણવાની જરૂર નથી. વળી ધર્મક્ષેત્રમાં બળજબરી, લાલચ કે ભયને સ્થાન નથી. એવું કરનારા ધાર્મિક તો નથી જ.
હવે એ વિશે સ્પષ્ટ થવું જરૂરી છે કે તમામ ધર્મોનાં મૂળ તત્ત્વો લગભગ સમાન હોય છે. માણસાઈને પોષણ આપનારા હોય છે. કોઈ પણ ધર્મ મનુષ્યનાં શુભ તત્ત્વોનો જ પુરસ્કાર કરે છે. સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સાદગી, નિરહંકાર, વિશ્વાસ વગેરેને જે ધર્મો પુરસ્કારતા હોય છે, કારણ કે એ મૂળ તત્ત્વો છે.
સાથે જ ધર્મ સાથે વ્યવહાર, રીતરિવાજ, ઉપાસના પદ્ધતિ પણ જોડાયેલાં હોય છે. એમાં તફાવત હોય તે સહજ છે. એ તફાવત માટે ન પક્ષપાત હોય, ન નફરત હોય. કારણ કે ધર્મ આખરે તો વ્યક્તિની અંગત બાબત છે, પસંદગી છે. જેને જે રુચે તે ધર્મ પાળે. એ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. હિન્દુધર્મ તો નાસ્તિકનો પણ સ્વીકાર કરે છે. માણસ સ્વભાવ અને વલણ મુજબ જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ પસંદ કરતો હોય છે. એ વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. એમાં બીજા કોઈએ વચ્ચે નહીં આવવું જોઈએ. સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની બળજબરી એ ધર્મથી વિરોધી બાબત છે. બળજબરી હોય ત્યાં ધર્મ હોઈ શકતો નથી.
છેલ્લી ત્રણ સદીમાં એક નવો વ્યાપક સંદર્ભ, પણ ઊભો થયો છે − તે લોકશાહી રાજ્યરચનાનો. રાજાશાહી, બાદશાહી કે કોઈ પણ પ્રકારના એકહથ્થુ શાસનની જગ્યાએ લોકશાહી રાજ્યરચના વધુ માનવતાવાદી હોઈ શકે છે. કારણ કે તેમાં બંધારણ અને કાયદાનું શાસન નિર્ણાયક હોય છે.
ધર્મક્ષેત્રમાં પણ મૂળતત્ત્વો સિવાયની બાબતોમાં બંધારણ અને કાયદાનું શાસન જ મહત્ત્વનું રહેવું જોઈએ. બંધારણ માનવ અધિકારોના રક્ષણ માટે હોય છે. લગ્નપ્રથા અને લગ્નસંસ્થા, કાયદાભંગની સ્થિતિ, સ્ત્રીઓ સાથે કે નીચલી ગણાતી જાતિ-જ્ઞાતિ સાથેના વ્યવહારોમાં ધર્મના રીતરિવાજોને બદલે બંધારણના નિયમો જ લાગુ પડી શકે, એ ધર્મની બાબતો નથી, માનવઅધિકારની બાબતો છે, દા.ત. અસ્પૃશ્યતા. આ બાબતોમાં ધર્મને વચ્ચે નહીં લાવવો જોઈએ.
ઈસ્લામમાં વ્યાજ ન લેવું એવી ભલામણ છે. દોઢ હજાર વર્ષ પહેલાં સમાજને જાળવી રાખવા એ જરૂરી હતું. વ્યાજ ન લેવા પાછળ ખ્યાલ એ હતો કે બીજાને મુશ્કેલીમાં મદદરૂપ થવું જોઈએ, એનું વળતર ન લેવાય. આજે બેકીંગ પદ્ધતિ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રવેશી છે. બધા ધર્મના લોકો વ્યાજ લે છે કે આપે છે. પરિસ્થિતિ બદલાતા આ બદલાયું છે. એમાં ધર્મતત્ત્વનો ભંગ નથી. આજે શિક્ષણ, માંદગી, રોજ-બ-રોજની સુવિધાઓ અને સેવાઓ સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ નિ:શૂલ્ક આપે છે. એમાં નબળાને મદદરૂપ થવાની ભાવના જળવાય છે.
ધર્મના ક્ષેત્રમાં શબ્દોને નહીં વળગવું જોઈએ, એની પાછળનાં ભાવના, આદર્શ કે ધ્યેયને સ્વીકારવાં, સમજવાં જોઈએ. છૂટાછેડાનો કાયદો પિતૃપ્રધાન સમાજમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને ઘડાવો જોઈએ. એમાં ધર્મ વચ્ચે આવતો નથી. દરેક ધર્મ સૌ પ્રત્યે કરુણા અને માનવીય ગૌરવની વાત કરે છે તો તેમાં મહિલાઓના ગૌરવની બાદબાકી કેવી રીતે હોઈ શકે ? સતીપ્રથા, બહુપત્નીત્વ, સ્ત્રીઓના હકો એ ધાર્મિક મુદ્દો નથી સમાજવ્યવસ્થાનો, માનવીય ગૌરવનો મુદ્દો, તમામ નાગરિકને સ્પર્શતો મુદ્દો છે.
કોઈ પણ વિષય, તત્ત્વ કે રચનામાં અમુક પરિસ્થિતિમાં ખાસ હેતુથી અમુક બાબતો ગોઠવાયેલી હોય છે. તેમાં ચિરકાલીન તત્ત્વો હોય છે એમ જ તત્કાલીન જરૂરિયાત હોય છે. પરંતુ સમય જતાં મૂળ (ચિરકાલીન) તત્ત્વોને બદલે વ્યવહારો, પરંપરાઓ, રીતરિવાજો મુખ્ય બની જાય છે. એને જ ધર્મ ગણવાનું પણ શરૂ થઈ જાય છે. એમાંથી એને જાળવવાનું ઝનૂન ઊભું થાય છે.
ધર્મ અને ઝનૂન તદ્દન વિરોધી શબ્દો છે. તમામ ધર્મો તો ઉદાર, સહિષ્ણુ અને કરુણાળુ થવાનું શીખવે છે. પણ થાય છે એથી ઊલટું. તમામ ધર્મોમાં આ માટે સંઘર્ષો થયા છે. એ ધર્મવાળાએ જ એ ધર્મના લોકોને પજવ્યા કે પીડ્યા હોય છે. કોઈ વાર તત્કાલીન જરૂરિયાત માટે સદીઓ પહેલાં કહેવાયું હોય એને નવા સંદર્ભમાં બદલવાની મોકળાશ પણ હોવી જોઈએ. માનવતા મુખ્ય છે, રીતરિવાજ કે ઉપાસના પદ્ધતિ નહીં.
કોઈ પણ ધર્મમાં પૂજારી, પાદરી, મૌલવી કે ધર્મગુરુઓ રચાય છે. કારણ કે તેઓ અમુક ધારા-ધોરણો, વ્યવહારો, રીતરિવાજોને જાળવવાનું કામ કરે છે. પરંતુ તેમના શબ્દોને આખરી નહીં ગણવા જોઈએ. તેઓ પણ માનવીય મર્યાદાઓથી, અહંકાર, સ્વાર્થ કે ઈર્ષાથી ભરેલા હોઈ શકે છે. તેઓ પોતાનું સ્થાન મજબૂત રાખવા ધર્મતત્ત્વોને ગૌણ પણ ગણતા હોઈ શકે છે. એટલે વીસમી સદીના મહાન સાધક રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, ‘દાણો બંધાય માટે ફોતરાં જરૂરી હોય છે, પણ આપણે ફોતરાં નહીં, દાણા ખાઈએ છીએ.’ આ વિવેક ધર્મક્ષેત્રમાં જાળવવા જેવો છે.
લોકશાહીના નાગરિક તરીકે આપણે ધર્મનાં મૂળ તત્ત્વો(સત્ય-પ્રેમ-કરુણા)ને પારખવા અને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂજારી, પાદરી કે મૌલવીઓએ જો ધર્મનાં મૂળતત્ત્વો આડે પડદો ઊભો કર્યો હોય તો એને પારખીને હટાવવો જોઈએ. જે કોઈ આપણે સત્ય-પ્રેમ-કરુણા સુધી લઈ જાય તેનો આદર કરીએ, પરંતુ જેઓ આપણને સંકુચિત, અભિમાની કે વિદ્વેષી બનાવે તેનાથી વેગળા થવું જોઈએ.
ધર્મતત્ત્વો અને એની ઉપાસના-પદ્ધતિ અને રીતરિવાજો એક નથી. રીતરિવાજો અને ઉપાસના પદ્ધતિઓનું મહત્ત્વ ત્યાં સુધી જ છે કે એ આપણને ધર્મતત્ત્વ સુધી લઈ જાય.
આજે માસમીડિયાનું ગાંડું પૂર આવ્યું છે. તેથી અસ્પષ્ટતા, ગેરસમજ, સંદર્ભરહિત હકીકતો, આખી વાતમાંથી ઉતરડીને અમુક જ બાબતને ઉપસાવવી આ બધું શક્ય બન્યું છે. કરુણતા એ છે કે લોકો વગર વિચાર્યે એને સ્વીકારે છે.
ધર્મક્ષેત્ર એવું શ્રદ્ધાક્ષેત્ર છે કે લોકો તપાસવા કે વિચારવાને બદલે માનીને બધું સ્વીકારી લે છે. રામકૃષ્ણ પરમહંસે બહુ વાજબી કહ્યું છે કે, ‘જેમ રૂપિયો સાચો છે કે બોદો એ ખખડાવીને લો છો એમ ગુરુને ખખડાવીને પસંદ કરવો જોઈએ.’ નહીં તો પૂજારી, પાદરી, મૌલવી આપણી આંખે પાટા બંધાવી દે એવું પણ બની શકે છે.
રાજકીય પક્ષો પણ જીતવાના સ્વાર્થમાં ગમે તેવાં વિધાનો, અવલોકનો કે અભિપ્રાયો રજૂ કરતા હોય છે. એના કેન્દ્રમાં સત્તા અને સ્વાર્થ હોય છે. પણ આપણે કાળજુ ઠેકાણે રાખીને એમને સાંભળવા જોઈએ. જે વિચાર કે અભિપ્રાય રાષ્ટૃને અને સમાન્ય જનને સમૃદ્ધિ, સ્વસ્થતા અને શાંતિ આપી શકે તેવો હોય તેનો જ સ્વીકાર કરવો જોઈએ. ધર્મનાં વાઘાં પહેરાવીને વહેંચાતા વિચારોને પારખતાં અને છોડતાં શીખવું એ આજની ગંભીર આવશ્યક્તા છે.
બહુ સાદી રીતે કહીએ તો જે જોડે, વિરોધને શમાવે અને સંવાદિતા વધારે એ જ ખરો ધર્મ છે. એ સિવાયનું ધર્મતત્ત્વ સિવાયનું છે. આપણે આવા કાળમાં દાખલ થઈ ચૂક્યા છીએ એ ધર્મના ભેદ વિના તમામ નાગરિકોએ સમજવું પડે તેમ છે.
06 જુલાઈ 2022
e.mail : mansukhsalla@gmail.com
C/403, Surel Apartment, Judges’ Bunglows area, AHMEDABAD – 380 015, India