વિશ્વના સૌથી સલામત દેશોમાં જાપાનનો નંબર એકથી દસમાં આવે છે. ગ્લોબલ પીસ ઇન્ડેકસમાં જાપાન છેલ્લા 13 વર્ષથી ટોપ ટેનમાં રહ્યું છે. દેશમાં અપરાધનો દર, આંતરિક સામાજિક ઘર્ષણ અને રાજકીય આતંક લગાતાર નિમ્ન સ્તરે રહ્યો છે. અમુક ઇલાકાઓ છે, જ્યાં માથાકૂટ ચાલતી રહે છે, પણ તે પાડોશી રાષ્ટ્રોને લઈને છે. જાપાનમાં ઈમિગ્રેશન સૌથી ઓછું છે અને હથિયારો આસાનીથી મળતાં નથી. સ્વ-સુરક્ષા માટે હથિયાર રાખવાનો જાપાનમાં અધિકાર નથી. 1958નો જાપાનનો કાયદો કહે છે કે, “કોઈ વ્યક્તિ હથિયાર કે તલવાર રાખી નહીં શકે.”
2019માં, અમેરિકામાં પ્રતિ 1,00,000 લોકો વચ્ચે, કોકને ગોળીએ દેવાની ચાર ઘટનાઓ બની હતી, ત્યારે એ જ વર્ષે જાપાનમાં એક પણ ઘટના બની નહોતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને શિકાગો યુનિવર્સિટીના અહેવાલ અનુસાર, જાપાનમાં 175 પરિવારો વચ્ચે એક પરિવાર પાસે બંધૂક હોય છે. તેની સરખામણીમાં, અમેરિકામાં દર ત્રણ પરિવારમાંથી એક પાસે બંધૂક હોય છે.
2020માં, હથિયાર ચલાવવા બદલ 21 લોકોની ધરપકડ થઇ હતી, જેમાંથી 12 ઘટનાઓ ગુંડા-ટોળી સંબંધી હતી. 13 કરોડ લોકોના આ દેશમાં, દર વર્ષે બંધૂકથી મરી જનારા લોકોની સંખ્યા ભાગ્યે જ દસથી ઉપર જાય છે. 2014માં, કુલ 6 માણસો હિંસક મોતે મર્યા હતા. 2006માં, માત્ર 2 જ લોકોને ગોળીએ વીંધવામાં આવ્યાં હતા.
2016માં, 19 લોકોનો જેમાં જીવ ગયો હતો તે જાપાનના ઇતિહાસની સૌથી મોટી સામૂહિક હત્યા હતી, અને તેમાં બંધૂક નહીં, પણ ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 30 વર્ષ પહેલાં, ઓમ શિન્રિકો નામના કટ્ટર સંપ્રદાયના અનુયાયીઓ ટોકિયો મેટ્રોમાં સરિન નામનો ઝેરી ગેસ છોડીને 13 લોકોને મારી નાખ્યા હતા, તે ઘટનાને હજુ પણ જાપાનીઓ ભૂલ્યા નથી. ત્યારથી, જાપાનમાં અપરાધનો દર સતત ઘટતો રહ્યો છે.
જાપાનમાં રાજકીય હત્યાઓ તો એથી ય દુર્લભ છે. છેલ્લા 100 વર્ષમાં, કુલ 11 જાપાની નેતાઓની હત્યા થઇ છે. તેની સરખામણીમાં, ભારતમાં ખાલી છેલ્લા 50 વર્ષમાં 37 રાજકીય હત્યાઓ થઇ છે. જાપાનમાં છેલ્લી હાઈ-પ્રોફાઈલ રાજકીય હત્યા 90 વર્ષ પહેલાં થઇ હતી. 15 મે 1932ના રોજ, નૌ સેનાના સશસ્ત્ર ઓફિસરોનું એક જૂથ પ્રધાન મંત્રી સુયોશિ ઈનુકાઈના ઘરમાં ઘુસી ગયું હતું અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે ઈનુકાઈના અંતિમ શબ્દો હતા, “મને બોલવા દેશો તો તમે સમજી શકશો.” હત્યારાઓએ કહ્યું હતું, “સંવાદ બેમતલબ છે.” સેનાની વધતી સત્તા અને અમુક રાજકીય નિર્ણયોને લઈને મતભેદ થતાં તેમની હત્યા થઇ હતી.
એકંદરે, જાપાન બહુ શાંતિપૂર્ણ દેશ છે. તેનાં અમુક કારણો છે. એક સમાજ તરીકે જાપાન સહનશીલ અને અહિંસક છે. ત્યાંના લોકો ક્રોધ અને આક્રમકતાને શરમજનક ભાવ ગણે છે અને વ્યક્તિના અંગત સન્માનને સૌથી ઉચ્ચ ગુણ ગણે છે. ખાસ કરીને, બીજા વિશ્વયુદ્ધ અને હિરોશીમા-નાગાસાકી પર પરમાણું બોમ્બના વિસ્ફોટ પછી જાપાને દેશમાં જ નહીં, પરંતુ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનો માર્ગ અખત્યાર કર્યો છે.
જાપાનના બંધારણમાં શાંતિવાદના વિચારને સામેલ કરવામાં આવ્યો છે. યુદ્ધ પછી અમેરિકન નિયંત્રણના અનુભવ પછી જાપાને બંધારણમાં સુધારો કરીને લખ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકલેવા માટે યુદ્ધ કરવામાં નહીં આવે. શિન્ઝો આબે એમાં સુધારો કરવા માંગતા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન તેમને એમાં સફળતા મળી નહોતી.
તેના ઇતિહાસમાં, જાપાન અનેક સંકટોમાંથી પસાર થયું છે. ગૃહ યુદ્ધો, દુષ્કાળ, ધરતીકંપો, વાવાઝોડાં, મહામારીઓ જેવી દુર્ઘટનાઓ જાપાનીઝ લોકો માટે આશ્ચર્યજનક નથી. તેમાંથી જ તેઓ મુશ્કેલીના સમયમાં શાંત રહેવાનું શીખ્યા છે. લોકો પરંપરાગત અર્થમાં ધાર્મિક નથી, છતાં બૌદ્ધ અને શિન્તો ધર્મના સિદ્ધાંતોનો તેમના આચાર-વિચાર પર ગહેરો પ્રભાવ છે.
જાપાનના આ ઇતિહાસને જોતાં, કોઇ પણ માણસને એમાં આશ્ચર્ય ન થાય કે, તેના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શિન્ઝો આબે, નારા નામના શહેરના ચાર રસ્તા પર ઊભા રહીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ભૂતપૂર્વ પ્રધાન મંત્રી છોડો, તમે ભારતના કોઈ ભૂતપૂર્વ મંત્રીને સડકના કિનારે ઊભા રહીને ભાષણ કરતા જોયા છે? ભારતમાં આવા નેતાઓ હંમેશાં મંચ પર હોય છે અને શ્રોતાઓથી ઘણા દૂર હોય છે. જાપાનમાં એકંદરે શાંતિ અને સલામતીનો માહોલ છે એટલે એક ભૂતપૂર્વ પ્રધાન મંત્રી, રોડ પર ચાર બેરીકેટ વચ્ચે ઊભા રહીને, કુતૂહલવશ ત્યાં ઊભા રહેલા રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને સંબોધતા હોય તેવું દૃશ્ય સામાન્ય ગણાય છે, અને એટલે જ એક બંધૂકધારીએ તેમની પર બે ગોળીઓ છોડી, એ ઘટના એક શાંતિપ્રિય દેશ (અને બાકી વિશ્વ) માટે આઘાતજનક હતી.
જાપાનની સંસદના ઉપલા ગૃહની ચૂંટણી માટે આબે નારા શહેરના પ્રવાસે હતા, અને 8મી જુલાઈના રોજ સવારે 11 વાગે, શહેરના રેલવે સ્ટેશન બહાર એક ચોક જેવા વિસ્તારમાં તેઓ હાથમાં માઈક પકડીને ભાષણ આપતાં હતા, ત્યારે તેમની પાછળ થોડે દૂર ઊભેલા 41 વર્ષના તેત્સુયા યમાગમી નામના એક માણસે તેમની પર વારાફરતી બે ગોળીઓ છોડી હતી. પહેલી ગોળી નિશાન ચૂકી ગઈ હતી, પણ બીજી ગોળી આબેની ડાબી છાતી પર વાગી હતી.
હત્યારાએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તેણે આબેને ધાર્મિક નેતા સમજીને ગોળી મારી હતી. તેની માતા એ ધાર્મિક પંથમાં દાન આપી-આપીને કંગાળ થઇ ગઈ હતી. તેણે એવું પણ કહ્યું હતું કે આ પંથને જાપાનમાં પ્રોત્સાહન આપવાનું કામ શિન્ઝો આબેએ કર્યું હતું, તેનો તેને ગુસ્સો હતો. આ તેત્સુયા યમાગમી બેરોજગાર હતો. 2020માં તે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરતો હતો. તે પહેલાં તે ત્રણ વર્ષ માટે જાપાનની કોસ્ટ ગાર્ડમાં કામ કરી ચૂક્યો હતો. તેણે આ હત્યા માટે જાતે બનાવેલી ગનનો ઉપયોગ કર્યો હતો.
બંધૂકથી કોઈની હત્યા કરવાની ઘટનાઓ જાપાનમાં બનતી નથી. બહુ બહુ તો ચાકુ વપરાય છે. મોટા ભાગના જાપાનીઓએ તેમના જીવનમાં બંધૂક જોઈ પણ નથી હોતી. પોલીસ પણ જવલ્લે જ રિવોલ્વર ચલાવે છે. સૌથી વધુ વસ્તીવાળા ટોકિયો શહેરમાં ગોળી છૂટવાની ઘટના ભાગ્યે જ બની છે.
ટોકિયોની નિહોન યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટ કોલેજના પ્રોફેસર શિરો ક્વામોટોએ આબેની હત્યા પછી ‘ધ જાપાન ટાઈમ્સ’ સમાચારપત્રને કહ્યું હતું કે, “જાપાની લોકો આઘાતમાં છે. લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે કે જાપાનમાં પણ બંધૂકથી હિંસા થઇ શકે છે. જાપાની રાજકારણીઓની સુરક્ષાની પણ સમીક્ષા કરવાની જરૂર છે. આવો હુમલો ફરી નહીં થાય તેવું માનવું ભૂલ ભરેલું છે.”
ટોકિયોની જ રિસ્શો યુનિવર્સિટીમાં ક્રિમીનોલોજીના પ્રોફેસર નોબુઓ કોમિયાએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ સમાચારપત્રને કહ્યું હતું કે, “જાપાની લોકો લડવા-ઝઘડવામાં માનતા નથી. યુદ્ધની અને બોમ્બની તબાહી જોઈને લોકો હિંસાને સમસ્યાનું સમાધાન માનતા નથી.”
હત્યાનું અસલી કારણ શું હતું તે તો આવનારા સમયમાં બહાર આવશે, પરંતુ બાકી દુનિયાને એ જાણીને આઘાત લાગ્યો છે કે સૌથી ઓછા ક્રાઈમ દર અને બંધૂકોને લઈને કડક નિયમોવાળા જાપાનમાં, એક પૂર્વ પ્રધાન મંત્રીને આવી રીતે ધોળે દિવસે, સૌના દેખતાં મારી નાખવામાં આવે તે બતાવે છે કે આપણે કેવાં નાજુક સમયમાં જીવી રહ્યા છીએ.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 જુલાઈ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર