વર્તમાન સમયમાં, વિશ્વમાં ચારેબાજુ ઊઠેલા વિવિધ સળગતા પ્રશ્નોથી થતા અજંપાની અભિવ્યક્તિ
******************** *********************** ***************
માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં કેમ કરી બોળું?
જુગજૂની વાતોથી બાંધેલા જીવને શિવ ભણી કેમે ઝબોળું?
ગોવર્ધન પર્વતને આંગળીએ ઝીલી,
લીધા ઉગારી તેં ગોકુળના વાસી.
નરસિંહ, પ્રહલાદ ને કેવટની નાવડી,
શબરી, અહલ્યા અનેક લીધા તારી.
મીરાંને કાજ એ મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું;
કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે આ કાળુ ને ધોળુ?!
ફૂંફાડે ફેણ ધરી અવનવા કાળીનાગ,
ડોલે મદારીનાં ડુગડુગિયાં ગાન-તાન,
કેટલાંયે આસપાસ મેલાં દુઃશાસન,
ખેંચીને ચીર આજ સર્જે મહાભારત.
ધૃતરાષ્ટ્રના પાટા ને ખોટા અંધાપાને કેમ કરી અહીંયા ઢંઢોળું?
નહિ આવે જીસસ, કબીર કે કહાન કૈં, કળિયુગમાં ખાલી શું ખોળું?
પાક્યો સમય હવે પરિત્રાણ સાચો,
ને આવ્યો વખત દુષ્કૃત્ય-વિનાશો,
સમરાંગણો, મહામારી આ હટાવો
બની પાર્થસારથિ, વિષાદો મિટાવો.
સંસ્થાપવાને કુરુક્ષેત્રે ધર્મો, પધારો તો વાતો ફરીથી વાગોળું;
વેદનાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં શાંત થઈ બોળું.
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com