માતૃભાષા દિન
૧. હું માનું છું કે બાળક માત્ર એના brain/mindમાં Universal Grammer (UG) લઈને જન્મતું હોય છે.
૨. આ UG જીવવૈજ્ઞાનિક હોય છે. એના અસ્તિત્વ માટે એક કરતાં વધારે genes અને એમની વચ્ચેનું આદાનપ્રદાન જવાબદાર હોય છે.
૩. આ UGમાંથી જે-તે બાળકની માતૃભાષા આકાર પામતી હોય છે. એટલે કે આ Universal Grammer માંથી particular ભાષાનો વિકાસ થતો હોય છે. આ વિષય પર ખૂબ જ સંશોધન થયું છે. UGથી એક સૌથી મોટો ફાયદો એ થતો હોય છે કે બાળકે ભાષાના વ્યાકરણને લગતા કેટલાક નિયમો શીખવાના રહેતા નથી. એના principles (જે UGનો ભાગ હોય છે) એ મદદ કરતા હોય છે.
૪. કહેવાય ’માતૃભાષા’ પણ father tongue hypothesis પ્રમાણે બાળકની માતૃભાષામાં પિતાના geneનો ફાળો મહત્ત્વનો હોય છે. જો કે, આ એક hypothesis છે. કેટલાક વૈજ્ઞાનિકોએ mother hypothesis પણ આપી છે અને કેટલાકે બન્ને વચ્ચેના interactionની વાત પણ કરી છે.
૫. મોટા ભાગના વૈજ્ઞાનિકો એમ માને છે કે બાળક ગર્ભમાં હોય, ત્યારથી જ એ માતૃભાષા શીખવાની શરૂઆત કરતું હોય છે.
૬. સંશોધન એમ કહે છે કે જ્યારે બાળક બીજી ભાષા શીખે, ત્યારે એ માતૃભાષાનો resource તરીકે ઉપયોગ કરતું હોય છે. એનો અર્થ એ થયો કે જે બાળકો પહેલેથી જ માતૃભાષાને બદલે બીજી ભાષાના માધ્યમમાં ભણવાનું શરૂ કરે, ત્યારે એમની પાસે બીજી ભાષા શીખવા માટેના resources ખૂબ જ મર્યાદિત હોય છે. એને કારણે એનું બીજી ભાષાનું જ્ઞાન ઘણી વાર કાચું રહી જતું હોય છે. જો કે, કેટલાંક બાળકો સખત પરિશ્રમ કરીને બીજી ભાષા શીખતાં હોય છે ખરાં પણ એ ભાષા મોટા ભાગના કિસ્સાઓમાં માતૃભાષાનું સ્થાન લઈ શકતી નથી.
૭. મુક્ત અર્થતંત્રના વિકાસની સાથે જે ભાષાઓ economically કે culturally strong ન હોય એ ભાષાઓનું ઘણું બધું ધોવાણ થયું છે. કોઈકમાં વધારે પડતું; કોઈકમાં ઓછું. જાપાની ભાષા પણ બચી નથી, જર્મન પણ, ગુજરાતી પણ. પણ સૌથી વધારે ધોવાણમાં કદાચ ગુજરાતી જેવી અસંખ્ય ભાષાઓ આવી જાય.
૮. ભાષાશાસ્ત્રીઓ કહે છે કે મુક્ત અર્થતંત્રના કારણે ઘણી બધી ભાષાઓનું ધોવાણ થશે, કેટલીક કદાચ સંપૂર્ણપણે ધોવાઈ જશે. જો કે, ઘણા ભાષાશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે યોગ્ય ભાષા આયોજન દ્વારા ભાષાના ધોવાણની ઝડપને ઘણી ધીમી પાડી શકાય.
૯. કેટલાક ભાષાશાસ્ત્રીઓ lingustic catastropheની વાત કરે છે. એ લોકો કહે છે કે એક દિવસે કદાચ આર્થિક રીતે અને ટેક્નોલૉજીની રીતે સધ્ધર એવી જ ભાષાઓ ટકી રહેશે. આપણે એમાં ભાષાઓનો એક બીજો વર્ગ ઉમેરી શકીએઃ ધર્મ સાથે જોડાયેલી ભાષાઓ કદાચ ટકી રહે પણ fossilized સ્વરૂપે.
૧૦. છેલ્લે, ગુજરાતી ભાષાના ધોવાણનો નકશો બનાવવામાં આવે તો કદાચ નગરજીવનમાં એનું સૌથી વધારે ધોવાણ થયું છે. હવે ધીમે-ધીમે ગામડાં શહેર બનતાં જાય છે, એની સમાન્તરે એ ધોવાણ પણ વધતું જશે. બીજું, ગુજરાતી ભાષાના લેખન અને વાંચન (literacy) એમ બન્ને પાસાંમાં પણ અઢળક ધોવાણ થયું છે. એની અસર સાહિત્ય પર પણ પડી છે. આ ધોવાણ માટે અક્ષરજ્ઞાન સાથે સંકળાયેલું ભાષાશિક્ષણ જવાબદાર છે.
————————————————————————————————
બાબુ સુથારની મુખપોથીમાંથી સાભાર ઉતારેલી આ નોંધ છપાવા જઈ રહી છે ત્યારે જ છાપાં કહે છે કે રાજ્ય સરકાર સમક્ષ અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળે ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓને અંગ્રેજી માધ્યમમાં ફેરબદલ કરવાની છૂટ આપવી વિનંતી કરી છે. શિક્ષણશાસ્ત્રની પાયાની સમજ વગર વિવિધ કારણોસર માતૃભાષાને બદલે પ્રાથમિકનાં વર્ષોથી જ અંગ્રેજી માધ્યમ માટે જે ખેંચાણ અને પડાપડી દેખાઈ રહ્યાં છે એની વચ્ચે ટકવું કેટલું અઘરું બની રહ્યું છે તે મહામંડળે નાખેલી આ ‘ધા’થી સમજાય છે. નવી શિક્ષણ નીતિ મુજબ પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાના માધ્યમ પર મુકાયેલ ભાર સામે આ એક દુર્દૈવ વાસ્તવ છે. અંગ્રેજી માધ્યમના ખેંચાણ સામે એકથી આઠ ધોરણ સુધી ક્રમશઃ એક વિષય તરીકે ગુજરાતી ફરજિયાત કરતા જવાની રાજ્ય સરકારની નીતિ કોઈક વચલા રસ્તા માટેની સમાધાનશોધમાંથી આવેલી જણાય છે. મુદ્દે, શાસકીય સંકલ્પનું અને જાહેર સમજનું જે ટાંચુ પડેલું છે તે સર્વત્ર સાફ દેખાઈ રહ્યું છે. માતૃભાષા દિવસનો રસમી રાબેતો ઓળાંડી જઈ સક્રિય સહવિચારનો આ તકાજો ક્યારે સમજાશે ?
— ‘નિરીક્ષક’ તંત્રી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2021; પૃ. 16