ગયા વખતના લેખમાં આપણે જોયું કે ભારતની રાજકીય વ્યવસ્થા (ઇન્ડિયન પોલિટીકલ સિસ્ટમ) સત્તાકેન્દ્રી થવા લાગી. એ સત્તાકેન્દ્રી થવા લાગી એટલે ચૂંટણીલક્ષી થવા લાગી. પ્રજાના હિતોની ચિંતા કરનારા સ્વચ્છ અને ભલા માણસો લોકપ્રતિનિધિગૃહોમાં પ્રવેશી ન શકે એ માટે ચૂંટણી મોંઘી કરવામાં આવી. મોંઘી એટલે એટલી મોંઘી કરવામાં આવી કે માત્ર દમડી અને દાદાગીરીવાળા લોકો જ ચૂંટણી લડી શકે અને એ રીતે એવા લોકો આપોઆપ લાયક ઉમેદવાર બની ગયા. એનાથી આગળ વધીને ઉદ્યોગપતિઓ સીધા પોતાના દલાલોને સંસદમાં મોકલવા લાગ્યા.
બીજી બાજુ ખેતીવાડી અને ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ રહ્યા હતા અને પેલો વિકાસનો ચતુષ્કોણ ત્રિકોણમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોને પ્રેમ કરવાનું અને પ્રોત્સાહન આપવાનું તો ક્યારનું ય બંધ થઈ ગયું હતું. શાસકોએ હવે ગામડે જવાનું છોડી દીધું હતું. જરૂર નહોતી. એક તો ખેડૂતો સત્તાકેન્દ્રી અને ચૂંટણીલક્ષી ભારતીય રાજકીય વ્યવસ્થાને પોષી શકે એમ હતા નહીં, તે એટલે સુધી કે લાભ લઈને પણ પોષી શકે એમ નહોતા, જે રીતે ઉદ્યોગપતિઓ પોષતા હતા. બીજું, ખેડૂતોની કોઈ વોટબેંક નથી. એ હિંદુ છે, મુસ્લિમ છે, પટેલ છે, કણબી છે, બીજું બધું જ છે; પણ ખેડૂત હોવા છતાં ય ખેડૂત નથી. ત્રીજું ખેડૂતનો પણ જમીન અને ખેતી માટેનો પ્રેમ ઓછો થવા લાગ્યો. છેલ્લાં સિત્તેર વરસમાં ભાયે ભાગ પડતા ગયા, નવા સેઢા પડતા ગયા જેને પરિણામે ખેતરો ખોબા જેવડા બનતા ગયાં. જેણે ભારતની ભૂખ ભાંગી, જેણે ભારતને અન્ન સ્વાવલંબી કર્યું અને જેણે ભારતના ઔદ્યોગિકરણને પોષ્યું એ દેવાદાર થવા લાગ્યો.
આગલા લેખોનો આટલો લાંબો ઉપસંહાર એટલા માટે કરવો પડ્યો કે કેટલાક લોકોને પાથીએ પાથીએ તેલ નાખવું પડે એમ છે. ખોળે બેઠા પછી વિચારવાનું નહીં અને બીજી દિશામાં જોવાનું નહીં.
***
અર્થશાસ્ત્રમાં એક જમાનામાં પરકોલેશન થિયરી ફેશનમાં હતી. જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે સંપત્તિની વહેંચણીની ચિંતા કરવાની જરૂર નથી. સંપત્તિનું સ્વરૂપ જ એવું હોય છે કે તેને મૂઠીમાં પકડી રાખી શકાતી નથી. તે રેતીની જેમ નીચે ખરશે અથવા પાણીની જેમ નીચેની તરફ ગળશે. જો કાયદાઓ કરીને ફરજિયાત સંપત્તિની વહેંચણી કરશો અને જે લોકો કમાયા છે એની પાસેથી આંચકી લેશો તો તેને વધુ કમાવામાં રસ નહીં રહે. ઉદાસીન ઉત્પાદકતા રાષ્ટ્રીય ઉત્પાદકતાને પ્રભાવિત કરશે અને સરવાળે દેશ પાછળ રહી જશે. એ સમયે અનેક લોકોને જમણેરી અર્થશાસ્ત્રીઓની આ વાત ગળે ઉતરતી હતી. લક્ષ્મી ચંચળ હોય છે એવો આજ સુધીનો માનવજાતનો અનુભવ પણ છે.
બીજી થિયરી શાસકોની હતી જેને કલ્યાણ રાજ્યની અથવા વેલ્ફેર સ્ટેટ થિયરી કહેવામાં આવે છે. એમાં એમ કહેવામાં આવતું હતું કે લોકતાંત્રિક દેશોમાં શાસકોએ સમયાંતરે લોકો પાસે મત માગવા જવું પડતું હોય છે, એટલે તેમને અંતિમ છેડાની આક્રમક નીતિ અપનાવવી પોસાય જ નહીં. શાસકો ઝડપી વિકાસ માટે ઉદ્યોગપતિઓને મદદ કરતા હોય તો પણ તેમણે જનસાધારણના કલ્યાણની ચિંતા કરવી જ પડવાની. ટૂંકમાં દુભાયેલા વંચિતોના રોષને પરિણામે શાસકીય વ્યવસ્થા પડી ન ભાંગે એ સારુ શાસકોએ સંપત્તિની વહેંચણી ધરાર કરવી જ પડે. બીજો કોઈ મહાન ઉદ્દેશ ન હોય તો પણ સત્તા ટકાવી રાખવા માટે, વ્યવસ્થા ટકાવી રાખવા માટે અને શાંતિ જાળવી રાખવા માટે મજબૂરીના ભાગરૂપે પણ સંપત્તિની વહેંચણી કરવી પડે.
જો સંપત્તિની વહેંચણી કરવી જ પડે એમ હોય તો ધનપતિઓ પાસેથી સંપત્તિ ઝૂંટવીને રાષ્ટ્રીય ઉત્પાદકતાને નુકસાન પહોંચાડનારો સામ્યવાદી માર્ગ અપનાવવા કરતાં કોઈ બીજો માર્ગ અપનાવવામાં આવે તો કેવું? આ બીજો માર્ગ એટલે કલ્યાણ રાજ્યનો માર્ગ. એમાં સરકાર કસ્ટમ ડ્યુટી, આબકારી જકાત, કરવેરા અને બીજા સેસ લાગુ કરીને કમાનારાઓ પાસેથી ધન મેળવે અને પ્રજાકલ્યાણ માટે ખર્ચે. આમાં ઉત્પાદકતા જળવાઈ રહે, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે.
જમણેરી અર્થશાસ્ત્રીઓએ જે ત્રીજી થિયરી આપી હતી એ અંગ્રેજીમાં લિસ્સે ફૅઅર [Laissez-faire] થિયરી તરીકે ઓળખાય છે. એમાં એમ કહેવાય છે કે મૂડીવાદ વડલાના ઝાડ જેવો હોય છે. એને ફેલાતા આવડે છે તો સાથે ટકી રહેતા પણ આવડે છે. વડલો જો એક જ થડ ઉપર બસો મીટરના ઘેરાવામાં ફેલાય તો એ ટકી ન શકે અને વાવાઝોડામાં પોતાના ભારથી ધરાશયી થઈ જાય. વડલો વડવાઈઓ જમીનમાં ઊતારીને નવાં નવાં થડ પેદા કરે છે અને એના ઉપર ટકી રહે છે. ઈમારતના પાયા અને પીલરો અને વડલાની વડવાઈઓ એક જ કામ કરે છે, ટકાવી રાખવાનું. વડલો દેખાવમાં એક જ ઝાડ લાગે છે પણ એ ઝાડોનું ઝાડ હોય છે અથવા વડલાઓનો વડલો હોય છે.
મૂડીવાદમાં આ જે ફેલાઈને ટકી રહેવાનું કૌશલ છે એ વડલાની વડવાઈઓની જેમ મૂડીનું રાષ્ટ્રકૂળ રચે છે. મૂડીવાદને મૂડીની જરૂર છે. મૂડીવાદી અર્થતંત્રને વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય સ્કીલની જરૂર છે. મૂડીવાદને શ્રમિક, સેલ્સમેન એમ અનેક પ્રકારની માનવશક્તિની જરૂર છે. મૂડીવાદને માર્કેટની જરૂર છે. મૂડીવાદને સમાજમાં શાંતિ અને વ્યવસ્થાની જરૂર છે. મૂડીવાદને કામ કરનારા લોકોની શ્રદ્ધા જળવાઈ રહે એની જરૂર છે. મૂડીવાદને સંશોધન કરનારી સંસ્થાઓની જરૂર છે. મૂડીવાદને માણસ હજુ વધારે સારો માણસ બને એની પણ જરૂર છે. સમાજમાં જે કોઈ પરિબળો સર્જકતા અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપે એ બધાં પરિબળોની મૂડીવાદને જરૂર છે. માટે મૂડીવાદરૂપી વડલો જરૂરિયાત મુજબ વડવાઈઓ જમીનમાં રોપતો રહેશે.
તમે કદાચ કહેશો કે મૂડીવાદનું સ્વરૂપ સ્વાર્થી છે તો જમણેરી અર્થશાસ્ત્રીઓ જવાબમાં કહેતા કે જો સ્વાર્થ વડલાની જેમ કોમનવેલ્થ રચી આપતો હોય અને ઉપરથી છાંયો પણ આપતો હોય તો એ સ્વાર્થ પરમાર્થ જેવો છે.
આને માટે જરૂરિયાત એટલી કે સરકારે ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવો જોઈએ અને વડલાને એની રીતે ઊગવા અને વિકસવા દેવો જોઈએ. આ જે ચોથી થિયરી ફેશનમાં હતી અને આજે પણ છે એ છે, ‘અ-સરકારી એ અસરકારી’ અંગ્રેજીમાં minimal governance અથવા a government that govern least. સરકાર સંપત્તિ અને તેના સર્જનની પ્રક્રિયાથી દૂર રહે. સરકારે વ્યવસાયિક પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. સરકારે માર્કેટનું નિયમન નહીં કરવું જોઈએ. સરકારે સંપત્તિના ન્યાયી વિતરણ માટેની તજવીજ નહીં કરવી જોઈએ. બધું જ એની મેળે થતું રહેશે અને ઘીના ઠામમાં ઘી પડશે.
પહેલી ત્રણ થિયરીઓ ૧૯મી સદીના ઉત્તરાર્ધથી લઈને વીસમી સદીના અંત સુધી ફેશનમાં હતી. ચોથી થિયરી મૂડીવાદનું કદ વિકસ્યું એ પછી ફેશનમાં આવી. પહેલી ત્રણ થિયરી સામ્યવાદને ખાળવા માટે અને લાભ મેળવવા લાઈનમાં ઊભેલો માણસ અધીરો ન થઈ જાય એના માટેની હતી.
પણ આજે હવે અનુભવ શું કહે છે?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ફેબ્રુઆરી 2021