ભારતમાં મૃત વ્યક્તિનાં ગુણગાન જ ગાવાની પરંપરા છે. તે પણ જાતિ આધારે નક્કી થાય છે. જો મૃત રાજકીય નેતા બિનદલિત અને તેમાં ય બ્રાહ્મણ હોય તો તેના વખાણ અને તેમની સ્મૃતિમાં વ્યક્ત થતી ભાવનાઓમાં ઘણી અતિશયોક્તિ કરાય છે. અગર જો નેતા સામાજિક રીતે નીચલા વર્ણનો હોય તો તેની મજાક ઉડાવાય છે. તાજેતરમાં અવસાન પામેલા રામવિલાસ પાસવાન રાજકીય હવામાનવિજ્ઞાની હોવાની વાત આ દિવસોમાં તેમની સ્મૃતિમાં સતત કહેવાતી રહી છે.
જાહેરજીવનમાં પાંચ દાયકા વિતાવનાર એક રાષ્ટ્રીય સ્તરના નેતાની ઉપલબ્ધિઓ શું આવા નાના માપદંડથી નક્કી કરી શકાય? હું તે સ્વીકારતો નથી. રામવિલાસ પાસવાનના સુદીર્ઘ રાજકીય જીવનને આવા એક જ માપદંડથી મૂલવવું ન જોઈએ. હું કદી રામવિલાસ પાસવાનને મળ્યો નથી કે અમારી વચ્ચે કોઈ સામાન્ય પરિચય પણ કદી થયો નથી. તેમ છતાં હું તેમની રાજકીય નીતિરીતિ અને વાણીવર્તનને કેન્દ્રમાં રાખીને આ લખું છું. આ ના તો કોઈ કથિત સ્મરણ લેખ છે કે ના તો અંજલિ.
આ લેખ કોઈ મૃત વ્યક્તિના ગુણગાનની પ્રચલિત પરંપરાથી મુક્ત છે. કેમ કે જાહેરજીવનમાં આટલો લાંબો સમય ગાળનાર નેતાનું જીવન પૂર્ણપણે સારું કે પૂર્ણેપણે ખરાબ ન જ હોઈ શકે. તેમનાં કામો, નેતાનાં કાર્યો અને તેમની રાજનીતિએ ક્યા પ્રકારના સમાજને અને કયા પ્રકારની રાજનીતિને આકાર આપ્યો છે. શું તેમની રાજનીતિ સમરસ સમાજની નીતિ હતી કે વિભાજનકારી – આ પ્રકારની તમામ બાબતોથી કોઈ નેતાનું વ્યક્તિત્વ અને વારસો રચાય છે.
રામવિલાસ પાસવાન (૧૯૪૬-૨૦૨૦)
એક નેતા પોતાની પાછળ જે રાજકીય કે વૈચારિક વારસો મૂકી જાય છે, તે તેના મૂલ્યાંકન માટેની સૌથી વધુ મહત્ત્વની બાબત છે. ઉદારીકરણ પછીના ભારતના લગભગ બધા જ દિલ્હી દરબારમાં રામવિલાસ પાસવાન મોજુદ હતા. કૉંગ્રેસની મધ્યમમાર્ગી સરકાર હોય, ડાબેરી સંયુક્ત મોરચા સરકાર હોય કે જમણેરી ભા.જ.પ. સરકાર હોય — લગભગ બધી જ સરકારોનો તેઓ હિસ્સો રહ્યા છે. નરસિંહરાવ અને યુ.પી.એ.-૨ સિવાયની ૧૯૮૯ની વી.પી. સિંઘ સરકાર પછીની દેશની લગભગ તમામ સરકારોમાં તેઓ મંત્રી હતા. આ હકીકત રામવિલાસ પાસવાન રાજનીતિમાં કઈ વિચારધારાને વરેલા હતા તે સવાલનો જવાબ આપી દે છે.
મૂળત: સમાજવાદી વિચારધારાથી રાજનીતિનો આરંભ કરનાર પાસવાને જીવનના અંતિમ અડધા હિસ્સામાં વૈચારિક રાજનીતિને તિલાંજલિ આપી દીધી હતી. જો તેમની રાજનીતિને વૈચારિક રાજનીતિના કાટલે તોલવામાં આવે તો તેમા માત્ર પ્રબળ તકવાદ અને પરિવારવાદ જોવા મળે છે. પાસવાન સૌની સાથે રહીને પોતાના પરિવારનો વિકાસ કરતા રહ્યા હતા.
પાસવાન દલિત નેતા તરીકે ઉભર્યા હતા. આ તેમની એક માત્ર મોટી રાજકીય ઓળખ હતી. બિહારના હાજીપુર મતવિસ્તારમાંથી દેશમાં સૌથી વધુ મતે લોકસભા ચૂંટણી જીતવાનો વિક્રમ તેમના નામે બોલે છે. પોતાના મતવિસ્તારમાંથી તે સતત જીતતા રહ્યા હતા, પરંતુ જે દલિત ઓળખ સાથે તેમની રાજકીય ઓળખ જોડાયેલી હતી, તેને પણ તેઓ કોઈ ખાસ લક્ષ્ય સુધી લઈ જઈ શક્યા, તેમ કહી શકાતું નથી.
દલિત કે પછાતોની રાજનીતિમાં તેમનું કદી કર્પુરી ઠાકુર કે કાંશીરામ જેવું સ્થાન રહ્યું નથી. ઉત્તર પ્રદેશમાં દલિત-પછાત રાજનીતિના બે મોટા નેતાઓ તરીકે મુલાયમસિંઘ અને માયાવતી ઉભર્યાં. એ રીતે બિહારની રાજનીતિમાં લાલુ-નીતિશ જેવા સમકક્ષોની તુલનામાં પાસવાન ક્યારે ય ઉત્તર પ્રદેશની રાજનીતિમાં માયાવતીના દલિતનેતા તરીકેના ઉભાર જેવો બિહારની રાજનીતિનો દલિત ચહેરો બની શક્યા નહીં. આ પાસવાનની રાજનીતિની મોટી મર્યાદા હતી.
પાસવાન કદી બિહારના મુખ્યમંત્રી ના બન્યા. પોતાની આ મર્યાદા સમય રહેતાં પાસવાન સારી રીતે સમજી ગયા હતા. નીતિશકુમાર અને લાલુપ્રસાદ યાદવની વચ્ચે તેમની રાજનીતિ અટકી ગઈ હતી. એટલે તેમણે પોતાનો રાજકીય તંબુ પટણામાં નહીં, પણ દિલ્હીમાં તાણ્યો હતો. દિલ્હીની રાજનીતિમાં સોદા માટે જરૂરી રાજનીતિક મૂડી તેમની પાસે પર્યાપ્ત માત્રામાં હતી. તેમની પાસે પોતાનો રાજકીય પક્ષ લોક જનશક્તિ પાર્ટી હતો. અને તેમણે વિક્રમી તફાવતથી જીતેલી હાજીપુર લોકસભા સીટ હતી.
પરંતુ પાસવાનમાં આ રાજકીય મૂડીને વ્યાપક ફલક પર લઈ જાય તેવાં વિઝન અને રાજકીય ઇચ્છાશક્તિ નહોતાં. તેમનામાં કાંશીરામમાં જેવી સંગઠન ક્ષમતા અને માયાવતી જેવી કડક વહીવટી યોગ્યતાનો પણ અભાવ હતો. ઉત્તર પ્રદેશની સરખામણીએ બિહારમાં વૈકલ્પિક દલિત રાજનીતિની સંભાવનાઓ ઘણી વધારે હતી. પરંતુ પાસવાનની આ મર્યાદાઓને કારણે અનુકૂળ સ્થિતિ – સંજોગો, છતાં લોક જનશક્તિ પાર્ટી બીજા તમામ પ્રાદેશિક પક્ષોની જેમ પાસવાન કુટુંબની પ્રાઇવેટ લિમિટેડ કંપની જ બની શકી. તેમના પુત્ર ચિરાગ પાસવાન હાલ તો પાર્ટીના પ્રમુખ છે અને બિહાર વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં તેમની રાજનીતિક કુશળતાની કસોટી થવી હજુ બાકી છે.
એક સમયે પોતાના બે ભાઈઓને સાંસદ કે ધારાસભ્ય બનાવવાની ચિંતા પાસવાનની રાજનીતિનું કેન્દ્ર હતી. તે પછી દીકરા ચિરાગ પાસવાનની ફિલ્મી કારકિર્દી સ્થગિત થઈ ગઈ, તો તેને રાજનીતિમાં સ્થાપિત કરવાની ચિંતા પ્રબળ બની ગઈ. જમાઈ અને વેવાઈને રાજકારણમાં ઊતારવાની પણ તેમની ચિંતા કંઈ ઓછી નહોતી. પરિવારની બહારના સમાજના કોઈ નેતાને તેમણે આગળ ન કર્યા. પાર્ટીની કોઈ બીજી હરોળ ઊભી ન થઈ શકી અને પાર્ટીનો પ્રભાવ પણ મર્યાદિત જ રહ્યો.
આ દૃષ્ટિએ પાસવાનની દલિત રાજનીતિનું ફલક બહુ સીમિત હતું. તે એક સીમાની આગળ ન વધી શક્યું. તેનું કારણ બિહારની રાજકીય સ્થિતિ પણ છે. ઉત્તર પ્રદેશની તુલનાએ આપણે જો બિહારની લાલુ યાદવ – નીતિશ કુમારની રાજનીતિને જોઈએ તો તેમાં ઘણી હદે પછાતો – દલિતોની સાથે મહાદલિતોને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. મહાદલિતો લાલુપ્રસાદ-નીતિશની રાજનીતિનું મહત્ત્વનું અંગ છે. તેને કારણે પણ પાસવાનની રાજનીતિ વધુ દલિતકેન્દ્રી ન રહી.
એક કૅબિનેટ મંત્રી અને વહીવટકાર તરીકે પાસવાન કેવા હતા? દીર્ઘકાળ સુધી મંત્રી રહેલા પાસવાને સામાન્ય માણસની જિંદગી પર વ્યાપક અસર પડે તેવાં કોઈ નીતિવિષયક કામો કર્યાં છે? બે બાબતોનો ઉલ્લેખ કરવા જેવો છે. ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન તેઓ કેન્દ્રમાં રસાયણ અને ખાતર મંત્રી હતા ત્યારે ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં અનામત નીતિ હોવી જોઈએ, તેવી ચર્ચા ઊભી કરી હતી. જો કે તેઓ તેને ચર્ચાથી આગળ લઈ જઈ શક્યા નહીં. અને થોડા સમય પછી તે ચર્ચા સમાપ્ત થઈ ગઈ. જો આ દિશામાં પાસવાન કંઈ કરી શક્યા હોત તો તેમનું નામ ઇતિહાસમાં નોંધાયું હોત. આ જ સમયે તેમણે જીવનરક્ષક દવાઓની કિંમતોની સીમા નક્કી કરવાની દરખાસ્ત કરી હતી, પરંતુ તેમાં પણ કંઈ ખાસ કરી શક્યા નહીં.
આ તમામ પરિસ્થિતિ અને ઘટનાઓથી પાસવાનનું રાજકીય વ્યક્તિત્વ ઘડાયું છે. પાંચ દસકના લાંબા રાજકીય જીવનમાં તેમની ઉપલબ્ધિઓ હાંસિયામાં પણ સ્થાન પામે એટલી નથી એનું દુ:ખ છે. સામાજિક ન્યાયના મોટા ભાગના રાજકારણીઓ આ જ અભિશાપને વરેલા હોય છે.
(સૌજન્યઃ ન્યૂઝલૉન્ડ્રી-હિંદી, અનુવાદઃ ચંદુ મહેરિયા)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 05-06