અમેરિકાનો પત્ર —
છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં અમેરિકામાં છાપું ઉઘાડો કે ટી.વી. ઉપર ન્યૂઝ જુઓ તો ખરાબ, ખરાબ અને ખરાબ જ સમાચાર દેખાય છે! થાય કે આ અમેરિકાનું શું થવા બેઠું છે! આ શું દેશના વળતાં પાણી છે? કરોના વાયરસની કસોટીમાં અમેરિકા સાવ નિષ્ફ્ળ નીવડ્યું, એ વાત તો હવે જગજાહેર છે. જે કરોના વાયરસને દુનિયાના કેટલાક ગરીબ દેશો કાબૂમાં લાવી શક્યા છે, તે અતિ સમૃદ્ધ અમેરિકા નથી કરી શક્યું, એ કેમ બન્યું? દુનિયાની માત્ર ચારેક ટકા વસ્તી અમેરિકામાં હોવા છતાં વાયરસને લીધે થયેલા મોતમાં એનો હિસ્સો જબરો વીસ ટકા જેટલો છે. અત્યાર સુધીમાં લગભગ 2,00,000થી પણ વધુ અમરિકનો વાયરસમાં મર્યા છે, અને હજી પણ દરરોજ લગભગ હજારને હિસાબે વધુ મરતા જાય છે! આ મોતનો આંકડો ક્યાં જઈને અટકશે?
કરોના વાયરસને કારણે દેશનું અર્થકારણ પણ ખળભળી ગયું છે. એકાએક જ મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ. જ્યાં જ્યાં લોકડાઉન થયું ત્યાં ત્યાં મોટા ભાગના લોકોને ઘરમાં ગોંધાઇને બેસી રહેવું પડ્યું, લોકો જો ઘરની બહાર જ નીકળતા હોય તો એરલાઇન્સ, ટ્રેન, બસ, વગેરે ક્યાંથી ચાલે? હોટેલો, રેસ્ટોરાં, સ્ટોર્સ વગેરે બંધ થવા મંડ્યાં, વેપાર ધંધા પડી ભાંગ્યા, પચીસ મિલિયન લોકો રાતોરાત બેકાર થઈ ગયા. જે દશા 1930ના ગ્રેટ ડિપ્રેશનમાં થઈ હતી તેનું જાણે પુનરાવર્તન થતું હોય એમ લાગ્યું.
વધુમાં આ કરોનાની મહામારી ઓછી હોય એમ પશ્ચિમ અમેરિકાના જંગલોમાં ભયન્કર દાવાનળ થવા લાગ્યા છે. એમાં અત્યાર સુધી લગભગ ત્રણેક મિલિયન એકર બળી ગયાં છે. ચારેક હજાર ઘરો ખાખ થયાં છે અને અસંખ્ય લોકો ઘરબાર વગરના થઈ ગયા છે. આ જંગલોમાં આગ લાગવી એ કંઈ નવી નવાઈની વાત નથી, પણ આવા મોટા અને આટલા બધા દાવાનળ એક સાથે છેલ્લાં સો વરસમાં થયા નથી. કુદરત જાણે કે અમેરિકા ઉપર વિફરી હોય એમ લાગે લાગે છે. દક્ષિણમાં ભયાનક વાવાઝોડાં એક પછી એક આવવા મંડ્યા. જો કે આ વાવાઝોડાં દર વર્ષે આવે જ છે, પણ આ સમયે એની સંખ્યા વધી છે, અને સાથે સાથે એનાથી થતી હાનિ અને હોનારત પણ વધી છે. આ બધું ઓછું હોય એમ અહીંનો કાળા ધોળાનો વિખવાદ જેના ઊંડા મૂળ આજથી દોઢસોએક વરસ પહેલાં થયેલી સિવિલ વોરમાં નખાયેલાં છે તે વળી પાછો વિફર્યો છે. મોટાંમોટાં શહેરોમાં એ બાબતમાં હુલ્લડો પણ થયાં. વોશીંન્ગટન જેવા કેટલાંક મોટાં શહેરોમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પએ શાંતિ અને વ્યવસ્થા જાળવવા લશ્કર પણ બોલાવ્યું. આ મુસીબતો ઉપરાંત રંક તવન્ગર વચ્ચે વધતી જતી આર્થિક અસમાનતા, ગરીબોની અવદશા, મધ્યમવર્ગની વધતી જતી કઠણાઈ, કથળતી કુટુંબવ્યવસ્થા, હિંસક ગુનેગારી, અઢળક પૈસાથી કલુષિત રાજકારણ વગેરે અહીં લોકોને પજવે છે.
દયાપાત્ર અમેરિકા?
અમેરિકાની આવી કફોડી દશા જોઈ દુનિયાના લોકોને અમેરિકા માટે જે માન અને અહોભાવ હતા તે ઓછા થવા લાગ્યા છે. પાંચેક વરસ પહેલાં દુનિયાભરમાં અમેરિકા માટે સારી છાપ હતી તે હવે નથી રહી. જાણે કે લોકોને અમેરિકામાંથી શ્રદ્ધા ઊઠી ગઈ છે. ખુદ અમેરિકનોને જ થઈ ગયું છે, કે આ શું આપણો દેશ છે? સામાન્ય રીતે એક પ્રજા તરીકે અમેરિકનોને ઘમંડ ઘણું. પોતે વિશિષ્ટ છે, અજોડ છે, એવું અમેરિકનો માને, પણ હવે તેમને પોતાની વિશિષ્ટતા માટે શંકા ઉપજી છે. જે દેશ એક વખત દુનિયાની મહાન સત્તા ગણાતો, જેણે બબ્બે વિશ્વયુદ્ધો લડીને યુરોપને ફાસિઝમ, નાઝીઝમ અને કોમ્યુનિઝમમાંથી બચાવ્યું, જે દેશની નેતાગીરી નીચે વર્લ્ડ બેન્ક, આઈ.એમ.એફ., યુનાઇટેડ નેશન્સ જેવી લાભદાયી સંસ્થાઓ ઊભી થઈ અને યુદ્ધો ન થાય તેવી વ્યવસ્થા થઇ, અને જેની મહાન કંપનીઓ દુનિયા આખીમાં વેપાર ધંધા કરે છે, તે આજે દયા પાત્ર બની ગયો છે એ માનવું મુશ્કેલ છે.
અમેરિકાએ એના ત્રણસોએક વર્ષના ઇતિહાસમાં જે મહાન ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી પ્રજાને ઊંચું જીવન ધોરણ આપ્યું તેને કારણે એ ઈર્ષાપાત્ર જરૂર થયો છે. જે દેશે એની પંચરંગી પ્રજાને હાડકાં ભાંગતી ગરીબીમાંથી બચાવીને વ્યક્તિગત સ્વમાન જળવાય એવું મોકળાશનું જીવન જીવવાની તક આપી અને જ્યાં આવવા માટે હજી પણ દુનિયાના લોકો તલપાપડ થાય છે અને જ્યાં પહોંચવા જાતનું જોખમ વહેરે છે, તે દયાપાત્ર? દુનિયામાં જ્યાં ત્યાં જઈને બિનજરૂરી યુદ્ધો લડીને અમેરિકા મોટી હોનારત કરે છે અને હજારો અને લાખો લોકોની ખૂનામરકી કરે છે તે માટે એ જરૂર ધિક્કારપાત્ર થયો છે. પણ જે દેશ પોતાની અપ્રતિમ લશ્કરી સત્તા અને અસાધારણ આર્થિક સમૃદ્ધિને કારણે દુનિયા આખીને અભિભૂત કરે છે તેને શું દયાપાત્ર ગણવો?
અમેરિકાએ છેલ્લાં સોએક વરસોમાં નાનાં મોટાં કૈંક યુદ્ધો જોયા છે, કંઈક ચડતી પડતી જોઈ છે, કેટલા ય વેરી દેશો સામે સંગ્રામો ખેલ્યા છે, પણ આખરે આ બધામાંથી એ હેમખેમ બહાર આવ્યું છે. છતાં કરોના વાયરસની મહામારીમાં એ થાપ ખાઈ ગયું. આમ જુઓ તો અહીંની મહાન યુનિવર્સિટીઓમાં મેડિસિનમાં નોબેલ પ્રાઈઝ લેનારા કઈંક સંશોધકો અડ્ડો જમાવીને બેઠા છે અને એમની સંશોધનસિદ્ધિઓ વિશ્વપ્રસિદ્ધ છે. જ્યારે ક્યાં ય કોઈ મહામારી થઈ તો લોકો અહીંના વિશ્વવિખ્યાત સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન પાસેથી માર્ગદર્શન લેવા આવે. દેશની પ્રસિદ્ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થમાં કેન્સર જેવા અનેક કપરા રોગોને ટાળવા નિત્ય પ્રયત્ન થઈ રહ્યા છે. અહીંની હોસ્પિટલોમાં દુનિયા આખીના ખમતીધર લોકો, શ્રીમન્તો, વડા પ્રધાનો, રાજાઓ અને રાજકુમારો વગેરે અસાધ્ય માંદગીઓની સારવાર કરાવવા આવે છે. અને છતાં અમેરિકા આ કરોના વાયરસના કોયડાને ઉકેલી નથી શક્યું, એ કેમ બન્યું?
ટ્રમ્પની રેઢિયાળ નેતાગીરી
અમેરિકાની કરોનાને કાબૂમાં લાવવાની નિષ્ફ્ળતાના મૂળમાં હું એની અત્યારની રેઢિયાળ નેતાગીરી જોઉં છું. આ કસોટીમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ સર્વથા નિષ્ફ્ળ નીવડ્યા છે. એમને માટે અનેક અપમાનભર્યાં વિશેષણો વપરાય છે : ચરિત્રહીન, દુષ્ટ, સ્વાર્થી, નિષ્ઠુર, હલકટ, લમ્પટ, નિર્લજ્જ, ગુંડો, જુઠ્ઠો, વ્યભિચારી, વગેરે. એક દુરાચારી વ્યક્તિ તરીકે ટ્રમ્પનાં લક્ષણો આપણે બાજુમાં મૂકીને માત્ર એમની નેતાગીરીનો જ વિચાર કરીએ તો એક વાત સ્પષ્ટ સમજાય છે કે આ માણસ અધકચરો, અણઘડ, બિનઅનુભવી, બેજવાબદાર, અને અમેરિકા જેવા મહાન દેશનું સંચાલન કરવા માટે સર્વથા અસમર્થ છે. આવડા મોટા દેશને ચલાવવા માટે જે આવડતની જરૂરિયાત છે તેનો એનામાં અભાવ છે. છતાં આવો ના-લાયક માણસ પ્રમુખ તરીકે કેમ ચૂંટાયો તે અમેરિકન રાજકારણ અને એની વિચિત્ર ચૂંટણીપ્રથાનું એક મહાન રહસ્ય છે. બહારના લોકો માટે એ સમજવું મુશ્કેલ છે.
અગત્યની વાત એ છે કે એક વાર ચૂંટાયા પછી પણ પ્રમુખના હોદ્દાની જવાબદારીઓ સ્વીકારવા એ તૈયાર નથી, એને માટે જે તૈયારી કરવી પડે — વાંચવું, વિચારવું, ચર્ચવુ પડે, વિરોધીઓ સાથે મસલત કરવી પડે — એ એને ગમતું નથી, અને આજુબાજુ હોશિયાર મદદનીશ સલાહકારો રાખવા પણ એ તૈયાર નથી. એને કામ જ નથી કરવું, એને ગોલ્ફની રમત રમવી છે, એને ટી.વી. સામે બેસીને જોવું છે કે કોણ એનાં કેટલાં વખાણ કરે છે, કોણ એની ટીકા કરે છે, અને પછી એ મુજબ એના પચાસેક મિલિયન અનુયાયીઓને દિવસને રાત ટ્વીટ કરવી છે. આ ટ્વીટમાં હરીફરીને એક જ વાત હોય છે — પોતે મહાન છે, અમેરિકાને પોતાની જેવો મહાન પ્રમુખ હજુ મળ્યો નથી, ટી.વી. અને છાપાંવાળાઓ જે ટીકા કરે છે, તે બધા ખોટા છે. પોતાના વિરોધીઓને ઉતારી પાડવામાં એ પાછા પડતા નથી. પોતાના બણગાં ફૂંકવામાં એને કોઈ લાજ શરમ નથી કે જૂઠું બોલવામાં એને કોઈ સંકોચ નથી. અહીંના વિખ્યાત વર્તમાનપત્ર ‘વૉશિંટન પોસ્ટ’ની ગણતરી મુજબ ટ્રમ્પ રોજના પાંચ જૂઠાણા વહેતા મૂકે છે. આ ગણતરીએ છેલ્લા સાડા ત્રણ વરસમાં એણે હજારોની સંખ્યામાં જૂઠાણાં ફેલાવ્યા છે!
કશો પણ નાનો મોટો પ્રશ્ન આવીને ઊભો રહે, અથવા કોઈ અગત્યના નિર્ણયની જરૂર પડી તો તે ઘડીએ એને જે સૂઝ્યું એ કરે છે. પછી એ પ્રશ્ન દેશના અત્યન્ત સંકુલ સરંક્ષણનો હોય, કે અટપટા અર્થશાસ્ત્રનો હોય, કે કથળતી આબોહવાનો હોય, દાવાનળમાં ખાખ થઈ જતાં મોટાં જંગલોનો હોય, કે ભયંકર પૂર આવ્યાં હોય તેનો હોય — આવા આવા અનેક જટિલ પ્રશ્નોના ઉકેલ કરવા માટે નિષ્ણાતોએ કરેલાં સલાહસૂચનોને અવગણી એ પોતાનો કક્કો સાચો કરે છે અને પોતાનું હંકારે જાય છે. ઊલટાનું એમ કહે છે કે નિષ્ણાતોને શું ખબર પડે? એ પોતે જ બધું જાણે છે, પોતે સ્થિર મેધાવી પુરુષ (stable genius) છે એમ માને છે!
આગળ જણાવ્યું તેમ અમેરિકા પાસે નિષ્ણાત ડોકટરો છે, ઉત્તમ અને અનુભવી સંશોધકો છે, સરંજામ, સાધનો, સંસ્થાકીય વ્યવસ્થા છે, છતાં છેલ્લાં સાડા ત્રણ વર્ષ ટ્રમ્પએ એ બધાને બાજુમાં રાખી પોતાનું તૂત ચલાવ્યું છે. વાયરસના નિષ્ણાતોની સલાહસૂચનો સ્પષ્ટ હતાં. એમનું કહેવું હતું કે જો તમારે કરોનાને કાબૂમાં લાવવો હોય તો લોકડાઉન કરી ઘરમાં બેસો, વારંવાર સાબુથી હાથ ધુઓ, લોકોને જો મળવાનું હોય તો જરૂર છ ફૂટ જેટલું અંતર રાખો, મંદિર, મસ્જિદ અને સભા સરઘસોમાં જવાનું ટાળો. ટ્રમ્પએ આ બધી સલાહ અવગણી. આ નવેમ્બરમાં અહીં પ્રમુખની ચૂંટણી થવાની છે. એમાં જો ટ્રમ્પ ફરી વાર ચૂંટાશે તો એની રેઢિયાળ નેતાગીરી નીચે દેશ તેમ જ દુનિયાને અકલ્પ્ય હાનિ થશે.
અમેરિકન પ્રજાની ચૂંટણી અને રાજકારણ પ્રત્યેની જે ભયકંર બેદરકારી છે તેનાથી 2016માં ટ્રમ્પની ચૂંટણી થઈ, અને તે પણ સીધી બહુમતિ મતદાનથી નહીં, પણ અહીંની વિચિત્ર ઈલેક્ટોરલ કોલેજની અટપટી પ્રથાથી. અમેરિકનોને રમતગમત અને એના ખેલાડીઓમાં જેટલો રસ છે, તેટલો રસ તેમને દેશના રાજકારણમાં કે એમના કૉન્ગ્રેસમેન, સેનેટર, ગવર્નર કે પ્રમુખમાં નથી. અમેરિકનો પોતાના નેતાઓ વિષે આવી બેદરકારી કેમ રાખે છે એ અમેરિકન રાજકારણના વિદ્વાનો માટે એક મોટો કોયડો છે.
અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્ય
અમેરિકાની અત્યારની અવદશા જરૂર નિરાશાજનક છે, છતાં એના ભવિષ્ય માટે હતાશ થવાની જરૂર નથી. આ જ પ્રજાએ માત્ર બે જ સદીની હયાતીમાં વિશ્વની એક મહાસત્તા સમું રાષ્ટ્ર ઊભું કર્યું, સમૃદ્ધ અર્થકારણની રચના કરી, એક ઉત્તમ બંધારણ ઘડ્યું, અને બધા લોકોને ઈર્ષ્યા આવે એવી સધ્ધર લોકશાહી ઊભી કરી. વધુમાં અમેરિકાએ કટોકટીના ખરાબ દિવસો આ પહેલાં પણ જોયા છે અને એ બધી અગ્નિપરીક્ષાઓમાંથી એ ઉજ્જવળ થઈ ને બહાર નીકળ્યું છે. 1860ના દાયકામાં અહીં ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે ભયકંર સિવિલ વૉર થયેલી. 1930ના ગ્રેટ ડિપ્રેશનમાં તો અમેરિકા સાવ ખલાસ થઈ ગયેલું. 1940ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધમાં લડવા માટે એ પૂરતું તૈયાર પણ ન હતું. 1960ના દાયકામાં સિવિલ રાઇટ્સ અને વિયેટનામના યુદ્ધને કારણે અહીં મોટી ચળવળ થયેલી, પ્રેસિડેન્ટ કેનેડી અને માર્ટિન લ્યુથર કીન્ગની હત્યા થયેલી અને મોટાં શહેરોમાં ભયકંર હુલ્લડો થયેલાં.
આવા બનાવો અહીં થતા જ રહે છે. છતાં અમેરિકા એ બધામાંથી વધુ સધ્ધર અને સબળ થઈને બહાર નીકળે છે એના મૂળમાં એક પ્રજા તરીકેની અમેરિકનોની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. સૌથી અગત્યની વાત એ છે કે અમેરિકનો એક નિરન્તર પરિવર્તનશીલ પ્રજા છે. જ્યારે જ્યારે અમેરિકા પાછું પડે છે ત્યારે ત્યારે એ અરીસામાં જુએ છે, જાતતપાસ શરૂ કરે છે, પોતાનામાં શી ખામી ખોટપ છે? કેવી રીતે આ થાપ ખાધી? આવી ભૂલો ફરી ન થાય તે માટે શું કરવું જોઈએ? હવે શું થશે એમ કહીને લમણે હાથ મૂકીને બેસી રહે એવી આ પ્રજા નથી. અત્યારે એને ખબર છે કે એ પેન્ડેમિકના સંકંજામાં સપડાઈ છે. એટલે એમાંથી કેમ બહાર નીકળવું તે માટે રાતદિન મથે છે. વહેલી મોડી પણ કરોના વાયરસની વેક્સિન અહીં શોધાશે ને આ મહારોગને અહીં કાબૂમાં લવાશે.
આવી પરિવર્તનશીલતા કારણે અમેરિકનો નવા સંયોગો, નવી પરિસ્થિતિને અપનાવીને અનુકૂળ વર્તન અને વ્યવહાર કરે છે. રોજબરોજના વ્યવહારમાં, વાતચીતોમાં, અમેરિકન પ્રજા સમજુ, સજાગ અને વ્યવહારુ છે. એ જુએ કે શું કામ લાગશે, શું ચાલશે, અને એ પ્રમાણે નવી રીતભાત, નવી પદ્ધતિ અપનાવે છે. એમની પાસે લાંબો ઇતિહાસ નથી, પૂર્વજોની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો ભાર નથી એટલે એમને રૂઢિ અને રીતરિવાજો નડતા નથી. એ તો એ જુએ છે કે જે પ્રશ્ન છે તેનો નિકાલ કરવા માટે આજે અને અત્યારે શું કરવું જોઈએ અને તે મુજબ યોજના કરી કામે લાગી જાય છે. એ કામ કોણ કરે છે — અહીં જન્મેલો છે કે ગઈ કાલે આવેલો ઇમિગ્રન્ટ છે, કાળો છે કે ધોળો, સ્ત્રી છે કે પુરુષ — એવાં ભેદભાવ કર્યા વગર જેની પાસે આવડત છે એની પાસેથી કામ લે છે. આનો અર્થ એ નથી કે અહીં ભેદભાવ નથી — છે જ, પરંતુ ધીમે ધીમે એને નાબૂદ કરવામાં અમેરિકનો નિત્ય પ્રવૃત્ત રહે છે. વ્યક્તિગત તેમ જ પ્રજા તરીકે સુધરવા માટે નિરન્તર મથામણ કર્યા કરવી, એ એમની એક પ્રશંસનીય વિશિષ્ટતા છે.
દેશનાં નાનાં મોટાં અસંખ્ય કામો વ્યવસ્થિત રીતે પૂરા પડે એ માટે અમેરિકાને અનેક પ્રકારના માણસોની જરૂર છે તો એ આખી દુનિયામાંથી લોકોને અહીં આવવા દે છે. અહીંની ઈમિગ્રેશન પોલીસીમાં પારકાને સ્વીકારવાની અને પોતાના કરવાની ઉદારતા જરૂર વ્યક્ત થાય છે, પરંતુ સાથે સાથે એમાં અમેરિકનોની વ્યવહારુતા પણ પ્રગટ થાય છે. સમાજના મોવડીઓને ખબર છે કે આ દેશનો વિકાસ જાળવી રાખવો હોય તો ઇમિગ્રન્ટ્સ ખૂબ ઉપયોગી નીવડવાના છે. યુનિવર્સિટીઓ, હોસ્પિટલો અને હાઈટેક કંપનીઓમાં પ્રોફેસરો, ડોકટરો, અને એંજિનિયરોની જરૂર છે, તેમ જ ખેતરો, ફેકટરીઓ, કતલખાનાઓમાં અને ઘરોમાં કામ કરવા માટે મજૂરો, ખેડૂતો, દાડિયાઓ, કામવાળાઓની પણ જરૂર છે. ઇમિગ્રેશનને ઓછું કરવાની અથવા તો સાવ બંધ કરવાની મોટી મોટી વાતો ભલે થાય અને એ બાબતના કાયદાઓ ભલે ઘડાય, છતાં અંતે તો ભણેલાગણેલા તેમ જ અભણ ઈમિગ્રન્ટ્સ અહીં કાયદેસર કે ગેરકાયદેસર લાખોની સંખ્યામાં આવ્યા જ કરે છે. દુનિયાભરથી આવી ચડતા આ ભાતભાતના ઈમિગ્રન્ટ્સ પેઢીએ પેઢીએ દેશમાં નવું લોહી રેડે છે. નવું જોમ આપી દેશને યુવાન રાખે છે. વધતા જતા વૃદ્ધ લોકો અને તેમની સંભાળ લેવાનો જે બહુ મોટો પ્રશ્ન યુરોપ કે જાપાનનો છે, અને જે ચીનને પણ આવી રહ્યો છે તે આ ઈમિગ્રેશનને કારણે અમેરિકાને નથી.
કામઢા ઇમિગ્રન્ટ્સ આ દેશને કેટલા ઉપયોગી નીવડે છે તેનો એક દાખલો આપણા ભારતીય ઇમિગ્રન્ટ્સ પૂરો પાડે છે. ભણેલગણેલ અને વિવિધ કૌશલ્ય ધરાવતા ભારતીયો આવીને તરત કામે લાગી જાય છે અને દેશના આર્થિક વિકાસમાં ફાળો આપવા માંડે છે. સ્પેઈસ શટલ અને સોલર એનર્જીથી માંડીને હોટેલ, મોટેલ, ગ્રોસરી, ધોબી, ગેસ સ્ટેશન સુધીના અનેક ક્ષેત્રોમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ યથાશક્તિ પ્રદાન કરી રહ્યા છે. જે ભારતીયો અહીં મેડિસીન કે એન્જીનિયરીંગ જેવી પ્રોફેશનલ ટ્રેનીંગ વગર આવે છે તે પણ પોતાના વ્યાપાર કૌશલ્ય અને ખંતથી નાનામોટા ધંધા રોજગાર શરૂ કરે છે. સંખ્યાની દૃષ્ટિએ ભારતીય ઈમિગ્રન્ટ્સ ભલે બહુ ઓછા હોય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
એકાઉન્ટીંગથી માંડીને ઝૂઓલોજી સુધીના કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ જરૂર જોવા મળે. અમેરિકામાં ભાગ્યે જ એવી હોસ્પિટલ હશે કે એમાં ભારતીય ડોક્ટરો કામ ન કરતા હોય કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રોફેસરો ન હોય. કરોના વાયરસનો ઉકેલ કેમ કરવો એ બાબતમાં દરરોજ થતાં ટી.વી. પ્રોગ્રામોમાં અચૂક નિષ્ણાત ભારતીય ડોક્ટરોની સલાહ લેવાય છે. અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં અવશ્ય હોય જ. અમેરિકાની મહાન કંપનીઓ — આઈ.બી.એમ., માઈક્રોસોફ્ટ, ગૂગલ, અડોબી, હરમન, માસ્ટરકાર્ડ, વગેરેના ચીફ એકઝીકયુટીવ ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. અહીં વસતા ઇન્ડિયન અર્થશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રિય કીર્તિ ધરાવે છે. આ ક્ષેત્રોમાં ભવિષ્યના ભારતીય નોબેલ પ્રાઈઝ વિજેતાઓ અમેરિકામાંથી નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે. અત્યાર સુધીમાં હરગોવિંદ ખુરાના (1968), એસ. ચંદ્રશેખર (1983), અમર્ત્ય સેન (1998), વી. રામક્રિશ્નન (2009) અને અભિજીત બેનરજી(2019)ને નોબેલ પ્રાઈઝ મળી ચૂક્યાં છે.
ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની જેમ આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને સંશોધકો અમેરિકાની મહાન યુનિવર્સિટીઓમાં અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં કામ કરવા તત્પર છે. અહીંના વૈજ્ઞાનિકોમાં લગભગ 40 ટકા ઇમિગ્રન્ટ્સ છે. છેલ્લા વીસ વરસમાં જે 85 અમેરિકનોને નોબેલ પ્રાઈઝ મળ્યા છે, તેમાં 33 ઇમિગ્રન્ટ્સ હતા. 2017 અને 2018માં જે 6 અમેરિકનોને નોબેલ પ્રાઈઝ મળ્યાં તે બધાં જ ઇમિગ્રન્ટ છે. એવી જ રીતે કુશળ ઇમિગ્રન્ટ્સ ઉદ્યોગપતિઓ અહીં આવીને નાની મોટી અસંખ્ય કંપનીઓ શરૂ કરે છે અને દેશને સમૃદ્ધ કરે છે. કહેવાનો આશય એટલો જ છે કે અમેરિકાને આખી દુનિયાની કુશળતા, ઉદ્યમ અને બુદ્ધિમતાનો લાભ મળતો રહે છે.
આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ ટી.વી. અને છાપાંઓની હેડલાઈન્સ જોતાં કોઈને પણ અમેરિકાના ભવિષ્ય માટે સહજ જ ચિંતા થાય. કરોના વાયરસને કાબૂમાં લાવવામાં અમેરિકાની સદન્તર નિષ્ફ્ળતા જોતાં આજે ભલે આપણને અમેરિકાનું ભવિષ્ય ધૂંધળું દેખાય, પણ એવું નિરાશાજનક નિદાન કરવું એ ઐતિહાસિક દૃષ્ટિએ અયોગ્ય અને ઉતાવળું છે. વિચિત્ર સંજોગોમાં અને વિવિધ કારણોસર મહાસત્તાઓ થાપ ખાઈ જાય એવા કંઈક દાખલાઓ ઇતિહાસમાં મળી રહે છે. અમેરિકાનું એવું જ કાંઈક થયું છે. છતાં ભૂતકાળની આવી અને આનાથી યે કપરી કસોટીમાંથી અમેરિકા વધુ બળવાન થઈને જ બહાર નીકળ્યું છે. અત્યારની કરોનાની દુર્દમ મહામારી અને ટ્રમ્પના ચાર કે આઠ વરસનાં પ્રમુખપદને હું અમેરિકાનાં ત્રણસોએક વરસના ભવ્ય ઇતિહાસમાં માત્ર એક ભૂંડા અને લાંછનભર્યા પ્રકરણથી વધુ ગણતો નથી. ઊલટાંનું અહીંની બળકટ પ્રજાની નિત્ય પરિવર્તનશીલતામાં અને દુનિયા આખીના ઇમિગ્રન્ટ્સને પોતાના કરવાની એની વ્યવહારુતામાં હું અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્ય જોઉં છું.
(શબ્દ સંખ્યા 2381)
સપ્ટેમ્બર 28, 2020
4301 Military Road NW, #510 Washington, DC 20015
e.mail : natgandhi@yahoo.com
પ્રગટ : મહદ્દ અંશ : "ચિત્રલેખા", 02 નવેમ્બર 2020; પૃ. 20-23