લોકો પર્સનલ એક્સેસરીઝ, કાર્સ, લેપટોપ, રસોડાંનાં ઉપકરણો લેશે પણ ટ્રાવેલિંગ કે ઘરનું રિનોવેશન તેમની પ્રાથમિકતા નહીં હોય
આજે દશેરાની સવાર તમે પણ માસ્ક પહેરીને, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ફાફડા જલેબી ખરીદવામાં ગાળી હશે. દર વખતની જેમ આજે પણ વાહનોની પૂજા, સંસાધનોની પૂજા એવું બધું થશે પણ છતાં ય એ ચમક ફિક્કી હશે. કોરોના વાઇરસને મનમાં ભાંડતા આપણે આ વર્ષ પતે એની રાહ જોઇ રહ્યા છીએ. પણ દર વખતની જેમ એ સવાલ ક્યાંક તો મનમાં આવશે જ કે દિવાળી આ વર્ષે કેવી જશે? વ્યાપાર, ધંધા, બજારો, ખરીદી એ બધાં પર ‘માસ્ક’ લાગી ગયા છે. દશેરા સુધી તો આમ જ ખેંચી નાખ્યું, પણ દર વર્ષે દિવાળીના ભણકારા શરૂ થાય એટેલે કે દશેરા પછીના દિવસોથી માંડીને નવું વર્ષ આવે ત્યાં સુધી તહેવારો અ લગ્ન ગાળો દરેક ઉત્પાદક, વ્યાપારી અને નાના મોટા તમામ ટ્રેડર માટે સૌથી અગત્યની ‘સિઝન’ હોય છે. આમ તો વ્યાપારીઓને આશા છે કે કોરોના વાઇરસના આ ગ્રહણમાંથી ઑક્ટોબર-ડિસેમ્બરનો ગાળો કોઇક રીતે રાહત આપનારો રહેશે, પણ છતાં ય તેમને આ અંગે કોઇ ખાતરી નથી.
આમે ય વસ્તુઓની ખરીદી કરવી એ કદાચ દરેક ભારતીયના મનમાં સૌથી છેલ્લી બાબત હશે જે અત્યારે ચાલતી હશે. ઘણાં લોકોએ નોકરી ગુમાવી છે, બિઝનેસમાં ખોટ ખાધી છે, ઘણું બધું જતું કરવું પડ્યું છે, પગારમાં કાપ લેવો પડ્યો છે, ત્યારે ચાલો, દિવાળીમાં શું ખરીદશું કે પછી ક્યાં બહાર ફરવા જઇશુંના સવાલો જેની પર વાઇરસનો બોજ પણ પડ્યો છે એ તો ખડા થાય એવી શક્યતા પણ નથી. જો કે મુંબઇના જાણીતા ઓમ અલંકાર જ્વેલર્સના ભાગીદાર સંદીપ સોની કહે છે કે તેમને લગ્નગાળા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેમણે જણાવ્યું કે, “લગ્ન ગાળાનો ફાયદો જ્વેલર્સને થશે જ, ધન તેરસની ખરીદી પણ જે અમુક વર્ગના લોકો કરતા આવ્યા છે તે કરશે જ. કોરોનાને કારણે પંદર ટકા જેટલો ફેર તો પડવાનો જ છે, પણ દિવાળી અને લગ્નગાળો સાવ ઠંડા નહીં જ જાય. વળી સૌથી મોટો ફાયદો છે કે સોનાનો ભાવ સારો છે અને એટલે લોકો તેનો લાભ પણ લેશે જ.”
એક તરફ સોનાની ખરીદી સાવ ઝાંખી નહીં પડે તેવી આશા છે તો કોર્પોરેટ ગિફ્ટિંગ આ વર્ષે ઠંડું જ રહેશે તેવું એલેક્સાઝન્ડ્રા ક્રિસ્ટી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર નિતેશ બાફનાનું કહેવું છે. તેમણે માર્કેટની ઓવરઓલ વાત શરૂ કરતી પહેલાં જ્યારે દિવાળી કેવી જશે એવો સવાલ તેમને પૂછ્યો તો જવાબ વાળ્યો કે, “જેવો કોઇ પણ સામાન્ય દિવસ પસાર થાય છે તેવી જ રીતે દિવાળીનો દિવસ પણ પસાર થઇ જશે. રહી કોર્પોરેટ ગિફ્ટિંગની વાત તો એ ટ્રેન્ડ તો ઘણા વખતથી મંદ પડ્યો છે. લોકો જાત પર ખર્ચો કરવાનુ વધુ પસંદ કરે છે અને બીજાને ભેટ આપવાનું આમે ય ટાળે છે. લોકોને વસ્તુઓ નહીં અનુભવોમાં રસ છે. અત્યારે તહેવારો, બસ, શરૂ થવામાં છે ત્યારે અઠવાડિયે એક બે દિવસ બિઝનેસ વાઇઝ માંડ સારા જાય છે. લોકો એકબીજાને હળવા-મળવાનું પણ ટાળે છે. પહેલાં પાર્ટીઝ થતી હવે તો એ પણ નથી થવાનું, ગેટ ટૂ ગેધર્સ નથી થતા અને આવા સંજોગોમાં લોકો કંઇપણ ખરીદવાને મહત્ત્વ આપે એ નથી થવાનું.”
કોરોના વાઇરસને કારણે બીજા કોઇપણ દેશની માફક આપણી પણ હાલત કફોડી થઇ ગઇ છે. હજી 2016-17માં આપણા દેશના વડા સૌથી ઝડપથી વિકસી રહેલી ઇકોનોમી હોવાનો ગર્વ લઇ રહ્યા હતા, અને આપણે એ અંગે હજી વધુ પોરસાઇએ પહેલાં તો બધું આ વાઇરસને કારણે પત્તાંનાં મહેલની માફક કડડડભૂસ થઇ ગયું. આ વર્ષે દર વર્ષ જેવો કોઇ દેખાડો, પ્રદર્શનો, મેળાવડાઓ કશું જ નથી થવાનું. માસ્કની વધતી જરૂરિયાત અને દૂર દૂર સુધી વેક્સિનનો કોઇ પત્તો નથી એ આ વર્ષે તહેવારોની મોસમ કેવી રહેશે એ જતાવવા માટે કઠે એવા પુરાવાઓ છે.
ટ્રાવેલ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને ઓવરઓલ કેટલા કરોડનો ફટકો પડ્યો હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ અંગે જ્યારે અજય મોદી ટ્રાવેલ્સના કર્તાહર્તા અજય મોદી સાથે વાત માંડી તો તેમણે કહ્યું કે, “બિઝનેસ કરવો હોય તો કશું પણ વેચી શકાય છે પણ માણસાઇ પહેલાં અને એટલે જ જ્યારે કોઇ ગ્રાહક અમારી સલાહ માગે કે મુસાફરી કરવા જેવી છે ખરી, ત્યારે અમે તો ચોખ્ખી ના જ પાડતા હોઇએ છીએ. લોકો લૉકડાઉનમાં રહીને કંટાળ્યા છે, ગુજરાતમાં અને નજીકના અન્ય રાજ્યોમાં ઘણું બધું અનલૉક થયું છે, ત્યારે ઉદયપુર અને માઉન્ટ આબુ જવાની ઇચ્છા કરનારા ઘણાં ક્લાયન્ટ્સ હોય છે. હવે તહેવારો આવ્યા એટલે જાહેરાતો પણ મોટીમસ થવા માંડી છે, વિદેશની ટૂર્સની જાહેરાતો પણ થઇ રહી છે પણ શું સરકારે ફ્લાઇટ્સ અંગે કોઇ ચોખવટો કરી છે ખરી? તો પછી આ રીતે ખોટા વાયદાઓનો શો અર્થ? વળી આજે કોઇને માટે કોઇ ટ્રીપ પ્લાન કરીએ, એ માણસ બીજા રાજ્યમાં જતો હોય અને ત્યાં અચાનક કોવિડ સંબંધિત સંજોગો બદલાયા, કંઇ નવું લાગુ થયું તો જેને જે પેમેન્ટ્સ થઇ ગયા છે એ પણ પાછા મેળવવા મુશ્કેલ થઇ જવાનાં છે. વળી એટલુ જ નહીં લોકો જ્યા પણ ફરવા જશે ત્યાં તેમને વેકેશનનો માહોલ નહીં ફીલ થાય. તમારે છોકરાંઓને સોડમા લઇને બેસી રહેવું પડે, જગ્યાઓ સૂમસામ હોય તો પછી આવી હો-હલ્લા અને ધમાલ વગરની મુસાફરીમાં શું મજા આવે?
“કોઇપણ વડીલો કે બાળકોને જોખમમાં મુકવા ન માગે તે સ્વભાવિક છે. વાત રહી નવપરણિત યુગલોની, તો હા હમણાં હમણાંથી હનીમૂનર્સની ટ્રાવેલ ક્વેરીઝ આવી રહી છે. જુવાન લોહી હોય એટલે તેમને રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાની, અને વળી બે જ જણાં હોય એટલે તકેદારી પણ રાખવાનાં તો પછી તેમની ઇચ્છા પ્રમાણે ટ્રીપ પ્લાન કરી આપવી પડે. આ વર્ષે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કોઇ મોટી હિલચાલ નહીં હોય, જે હશે એ કપલ્સ ટ્રીપ હશે જે માંડ દસેક ટકા જેટલી હશે.” તેમણે બહુ સ્પષ્ટતાથી એ પણ ઉમેર્યુ કે ભલેને તેમનો આ બિઝનેસ છે પણ તેઓ પણ નહીં ઇચ્છે કે કોઇ પોતાના જીવનું જોખમ લઇને પ્રવાસ કરે, લોકોએ આ સંજોગોમાં મુસાફરી ટાળવી જ જોઇએ.
આ એક્સપર્ટ્સ સાથેની વાતો આપણને એક ઝલક આપે છે બસ. આ કટોકટી પૂરી નથી થઇ. આપણે ત્યાં કોવિડના કેસિઝમાં જુલાઇની મધ્યે ધરખમ વધારો થયો, મરનારાઓનો આંકડો પણ દિવસો દિવસ મોટો જ થઇ રહ્યો છે. લોકો પાસે કામ નથી, નોકરીનાં ઠેકાણાં નથી, બોનસની આશા નથી અને છે તો બસ વર્ક ફ્રોમ હોમનું પ્રેશર. મોટે ભાગે રજાઓ અને તહેવારો દરમિયાન 20-25 ટકા જેટલું વેચાણ વધતું હોય છે પણ આ વર્ષે બધા બધા કેટલું વધશે તેનો નહીં પણ કેટલું નહીં થાય તેની ગણતરીમાં વ્યસ્ત છે.
બાય ધી વેઃ
લૉકડાઉન પછી ફરી એકવાર ખરીદી બજારમાં નીકળેલા ગ્રાહકો લાગણીથી ખેંચાઇને ખરીદી કરી પણ લેશે તો પણ બાયિંગ કૅપેસિટી ઘટી હોવાથી ત્યાં પણ બહુ ફેર નથી પડવાનો. લોકો પર્સનલ એક્સેસરીઝ, કાર્સ, લેપટોપ, રસોડાના ઉપકરણો લેશે પણ ટ્રાવેલિંગ કે ઘરનું રિનોવેશન તેમની પ્રાથમિકતા નહીં હોય. લોકો આતુરતાથી આવતા વર્ષની રાહ જોઇ રહ્યા છે ત્યારે એક વાસ્તિવકતા એક પણ છે કે 1લી જાન્યુઆરીએ આ વાઇરસ અચાનક જ ગાયબ નહીં થઇ ગયો હોય, એ હશે અને સાથે માસ્ક અને સેનિટાઇઝર્સ પણ હશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઑક્ટોબર 2020