શું નરેન્દ્ર મોદી પોતાની અદા (અંદાજ) ભૂલી રહ્યા છે? એવો સવાલ એમના બીજા કાર્યકાળમાં આટલો જલદી ઉઠાવવો પડશે તે વિચાર્યું પણ ન હતું. જો તે સ્માર્ટ ન હોત તો અહીં સુધી ન પહોંચ્યા હોત, બે-બે વખત લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન મેળવી શક્યા હોત, વિપક્ષને નેસ્તનાબૂદ ન કરી શક્યા હોત. ઇન્દિરા ગાંધી પછીના તે ભારતના સૌથી સ્માર્ટ નેતા છે અને ઇન્દિરા ગાંધી પાસે હતી એવી કોઈ રાજકીય વારસાઈ પણ તેમની પાસે નથી. શાયદ આઝાદ ભારતના અત્યાર સુધીના ઇતિહાસના તે એવા એક માત્ર નેતા છે જે પોતાના જોરે સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા છે.
તેમની રાજનૈતિક બ્રાન્ડ ત્રણ મુખ્ય આધારો પર ટકી છે. મહત્ત્વના હિસાબે તેમનો ક્રમ આ પ્રમાણે છે.
૧. ભાષણ અને સંદેશા આપવાની કળામાં પાવરધાપણું. ૨. વ્યક્તિગત શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતાથી બનાવેલું આભામંડળ. અને સૌથી મહત્વપૂર્ણ ૩. સામાન્ય ભારતીય સાથે ઊંડાણપૂર્વક જોડાઈ શકવાની ક્ષમતા. તેના લીધે ભારતના ગરીબો અને દેશના વધુમતી મતદારો તેમને પોતાના માને છે. આ ગરીબો મોદીને એટલા માટે પસંદ કરે છે કે જે બાબતો તેમને ગાંધી પરિવારમાં જોવા મળતી નથી, તે બધી મોદીમાં જોવા મળે છે. પોતાના બળે સફળ થવું, સામાન્ય ચાવાળાના કુટુંબ માંથી આવવું, કોઈ પણ પ્રકારનો વિશેષાધિકાર કે વિદેશી અને અંગ્રેજી શિક્ષણ વગરના હોવું, સાદીસરળ જીવનશૈલી અને ગરીબો પ્રત્યે હમદર્દી લોકોની નજરમાં મોદીને ખાસ બનાવે છે.
નરેન્દ્ર મોદીએ બહુ કુશળતાથી પોતાની છબી એક ‘એલિટ’વિરોધી (ઉચ્ચ વર્ગોના વિરોધી), વંશવાદવિરોધી નેતાની બનાવી છે, જેમણે એલિટ કૉલેજોનાં કેમ્પસમાં કે દિલ્હીના ભદ્ર વિસ્તારોનાં ચક્કર કાપીને નહીં, રખડી-રઝળીને દેશને ઓળખ્યો છે. તેમને એ વાતનું ભારે ગૌરવ છે કે તેમણે દેશના હરેક જિલ્લામાં સમય વિતાવ્યો છે. તે આપણને યાદ કરાવ્યા કરે છે કે તેમને સત્તામાંથી હઠાવી દેવાશે તો પણ તેમને બહુ ફરક પડવાનો નથી. તે તો તેમનો ઝોળો લઈને ચાલી નીકળશે. ફકીરે ભલા શું ગુમાવવાનું હોય?
તેમની આ છાપ ત્યારે હાલકડોલક થઈ હતી, જ્યારે તેમને સૂટબૂટવાળા કહેવામાં આવ્યા. આ જ કારણે તેમણે રાજનૈતિક અર્થવ્યવસ્થા અંગેની તેમની દૃષ્ટિ બિલકુલ બદલી નાખી હતી. બિઝનેસ-ફ્રૅન્ડલી ‘ગુજરાત મૉડેલ’ને તેમણે નકારી દીધું. ‘મનરેગા’ જેવા કાર્યક્રમોની મજાક બંધ કરી દીધી. બલકે તેને વધુ મજબૂત કર્યું. તેમને એ સત્ય સમજાઈ ગયું હતું કે જે ભારતીય રાજનેતાએ જાતે જ નહીં, બીજા ૩૦૦ લોકોને પણ લોકસભાની ચૂંટણી જીતાડવાની છે, તેના જીવનમાં સૌથી મોટો વી.આઇ.પી. હોય તો એ ગરીબ-કામદાર વર્ગનો મતદાતા છે — નહીં કે શહેરી ભદ્રવર્ગ કે મધ્યમવર્ગ.
એટલે જ સવાલ થાય છે કે કોરોનાકાળમાં તેમના અત્યાર સુધીના બધા સંદેશા ફક્ત મધ્યમવર્ગ કે ભદ્રવર્ગને ધ્યાનમાં રાખીને જ કેમ આવ્યા છે? તેમનાં ભાષણો અને ‘મનકી બાત’ સાંભળી લો. તે ચાહે સલાહ આપતા હોય કે ઉપદેશ, પણ માત્ર જ આ જ વર્ગને સંબોધિત કરે છે. વડાપ્રધાન કહે છે કે આપણી અર્થવ્યવસ્થાએ ભારે કિમત ચુકવવી પડશે. શહેરોના કોઈ શાહ, શર્મા કે અગ્રવાલનું તકદીર જો શેરબજાર બગાડી નાંખવાનું હશે તો તે જરૂર ધ્યાન આપશે. પણ અચાનક જે બેકાર થઈને સડક પર આવી ગયો છે, ભૂખથી હેરાનપરેશાન થઈને દરબદર ભટકી રહ્યો છે, પોતાના ગામ-ઘરે પહોંચવા લાં…બી યાત્રાએ નીકળ્યો છે અને રસ્તામાં પોલીસના દંડા ખાઈ રહ્યો છે એવા દાડિયા મજૂર માટે અર્થવ્યવસ્થાની ભારે કિંમતની વસૂલીનો શો મતલબ છે?
મોદીના તાળી, થાળી, ટોર્ચ, દીવો જેવા નિર્દેશો પર ધ્યાન આપો. તે કહી રહ્યા છે કે આ લઈને આપની બાલ્કની, વરંડા, છત પર આવી જાવ. લાગે છે કે પોતાના સત્તાકાળના છઠ્ઠા વરસમાં મોદીની રાજનીતિ એટલી આત્મતુષ્ટ થઈ ગઈ છે કે તેઓ “બાલ્કનીવાળા વર્ગ”ને અસલ ભારત સમજવાની ભૂલ કરી રહ્યા છે. એવામાં “રૅસિડેન્ટ વેલફેર એસોસિસિયેશન” (આર.ડબલ્યૂ.એ.) શહેરી ભારતની નવી તાનાશાહીનાં પ્રતીક બનીને પોતાની આક્રમકતા દેખાડી રહ્યાં હોય, તો તેમાં નવાઈ પામવા જેવું શું છે ?
જરા વિચારો કે ભારતમાં કેટલા મતદારો પાસે બાલ્કની હશે? કેટલાની પાસે ઠેકાણાસરનાં ઘર છે? કેટલા કરોડ લોકો પોતાના પરિવારથી સેંકડો માઈલ દૂર રહેતા હશે? માચીસના ડબ્બા જેવા એક જ ઓરડાઓમાં ચૌદ-ચૌદ લોકો કેવી રીતે રહેતા હશે? એવામાં ગૃહ મંત્રાલય ફરમાન જારી કરે કે સાંજના સાત વાગ્યા પછી કોઈ પોતાના ઘરની બહાર ન નીકળે ! જરા વિચારો, કેટલા ટકા ભારતીયો એવા છે જે કોને ઘર ગણવું અને કોને ઘરની બહારની બાજુ ગણવી, એવો ભેદ પાડી શકે છે? કામદારોની મુસીબત ૪૫ દિવસોથી ચાલી રહી છે, પણ કોઈ નેતા સહાનુભૂતિ દર્શાવીને એ લાખો લોકો સુધી પહોંચ્યા નથી. જાણે કે તેમનું કોઈ અસ્તિત્વ જ ન હોય. તેમને તો તેમની રાજ્ય સરકારોની સમસ્યા ગણી લેવામાં આવ્યા છે.
મોટા શહેરોમાં જ્યાં સૌથી મૂલ્યવાન ભારતીયો રહે છે તેમને તો આ મજૂરોથી છૂટકારો મળી ગયો છેઃ જો તે વાઈરસ લઈને ગામડે પહોંચે છે તો એમાં અમે શું કરી શકીએ?
બેશક, રાજ્ય સરકારો દ્વારા તેમને અમાનવીય હાલત ધરાવતાં અસ્થાયી ક્વૉરન્ટીન સેન્ટરોમાં પોલીસની મદદથી કેદ કરીને રાખવામાં આવશે. પોતાનાં ઘરનો અડધો રસ્તો પગપાળા કાપીને આવેલા આ લોકોના માટે છ અઠવાડિયા પછી થોડી ટ્રેનો ચલાવવામાં આવી ત્યારે કેન્દ્ર સરકાર તેમની ટિકિટનો ખર્ચ રાજ્ય સરકારોના માથે નાખવા લાગી હતી. અને પછી તે માટે સામસામી બોલાચાલી શરૂ થઈ ગઈ. ગરીબોને રાતોરાત અમીર તો નથી બનાવી શકાતા કે નથી તેમને વિમાનથી તેમના વતન પહોંચાડી શકાતા. પરંતુ તેમના પ્રત્યેની હમદર્દી ક્યાં છે? ભા.જ.પ.માં એવો કોઈ નેતા છે, જે આ ગરીબ મજૂરો માટે હમદર્દીની ભાષામાં બોલતો હોય? કોણ છે જે એમના તરફ સમજદારી, સોહાર્દ અને સાંત્વનનો હાથ લંબાવે છે? મોદી પણ એવું કરી રહ્યા નથી, તે નવાઈની વાત છે. માત્ર ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ તેમના માટે કંઈ કરતા જણાય છે. તેમણે તેમની રાજનૈતિક સમજ ગુમાવી નથી અને તે જમીન સાથે જોડાયેલા પણ છે.
અનુવાદઃ ચંદુ મહેરિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020