ત્રીજા તબક્કાના લૉક ડાઉનને પૂર્ણ થવામાં હજુ પાંચ દિવસ બાકી હતા અને આપણા વોકલ વડાપ્રધાન તમામ દેશવાસીઓને આદરપૂર્વક નમસ્કાર કરવા આવી પહોંચ્યા. આટલી ઉતાવળ શીદને હતી એ તો અયોધ્યાના રામ પણ જાણતા નહીં હોય! જો ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ લૉક ડાઉનની જેમ તરતોતરત લાગુ પાડવાનું હોત તો આ અધીરાઈ સમજાત, પણ એ તો એમણે તબક્કાવાર વિત્તમંત્રીને જાહેર કરવાનું સોંપ્યું છે. તો પછી પાંચ દિવસ વહેલાં, ૧૨મી મેની રાત્રે, આવવાનું પ્રયોજન શું હતું ?
દુનિયાનાં મોટાં મોટાં અર્થતંત્ર હચમચી ગયાનું જણાવીને, વડાપ્રધાને એકવીસમી સદી ભારતની છે એવી આત્મસંતુષ્ટિ ભલે લીધી, પણ એ વાસ્તવિકતા નથી. કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા પ્રથમ ક્રમે છે, તો ભારત અગિયારમા ક્રમે છે. કોરોનાગ્રસ્ત દેશોમાં એશિયાઈરાષ્ટ્ર જાપાને સૌથી મોટું, જી.ડી.પી.ના ૨૧.૧ ટકાનું આર્થિક પૅકેજ જાહેર કર્યું હતું. યાદ રહે, જાપાન અસરગ્રસ્ત દેશોમાં ટોચના સ્થાને નથી. ભારતે જી.ડી.પી.ના ૧૦ ટકા જેટલું આર્થિક પૅકેજ જાહેર કર્યું છે, જેમાં તેનો ક્રમ દુનિયામાં પાંચમો છે. એટલે બીજાં મોટાં અર્થતંત્રો હચમચી ગયાં છે અને ભારત સલામત છે, એમ કહેવું સાચું નથી. પોતાનાં ગુણગાન ગાવામાં પાવરધા પ્રધાનમંત્રી કોરોનાકાળમાં પી.પી.ઈ. કીટ અને એન-૯૫ માસ્કનું દેશમાં પ્રથમ વાર રેકોર્ડ ઉત્પાદન થયાનું તો જણાવે છે (જે સાચું નથી), પરંતુ કોવિડ-૧૯ સામે લડવા અનિવાર્ય એવી ટેસ્ટિંગ કીટ આપણી પાસે નથી અને જે ચીન પાસેથી મંગાવી હતી તે સબસ્ટાન્ડર્ડ હતી તેનું શું, તે સવાલ ગુપચાવી જાય છે.
આ દિવસોમાં ભારતમાં કોરોનાસંકટ કરતાં વધુ મોટું સંકટ સ્થળાંતરિત કામદારોનું છે. ”છેલ્લાં છ વરસમાં જે સુધારા થયા તેના કારણે આજે સંકટના સમયે ભારતની વ્યવસ્થાઓ વધુ સક્ષમ, વધુ શક્તિશાળી જોવા મળી છે”, એ વાત આ કામદારોના સંદર્ભે નકરું જૂઠ છે. વડાપ્રધાનને ગરીબ કામદારો પ્રત્યે કેવી હમદર્દી કે સંવેદના છે તેની પ્રતીતિ કામદારો માટે પ્રયોજેલા તપ, ત્યાગ, સંયમ જેવા શબ્દોથી થાય છે. અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફાઈ કામદારોને તેમના કામમાંથી આધ્યાત્મિક આનંદ મળતો હોવાનું કહેનાર નરેન્દ્ર મોદી સ્થળાંતરિત મજૂરોનું સંકટ તેમની અને તેમની સરકારની ઘોર નિષ્ફળતા છે તે સ્વીકારવાને બદલે કાં તો તેને મનુષ્ય સ્વભાવ ગણે છે કે પછી તપ, ત્યાગ, સંયમ કહીને બિરદાવે છે.
વર્ણસગાઈનું વડાપ્રધાનને કે તેમના પ્રવચન લખતા લહિયાઓને એવું ઘેલું છે કે તેમનાં સઘળાં પ્રવચનો તેનાથી ભરેલાં હોય છે. આર્થિક પૅકેજને તે લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લૉ ગણાવે છે, પરંતુ લેન્ડ કહેતાં જમીનો કાં ભૂમિપતિઓ કાં ઉદ્યોગપતિઓના હવાલે કરી છે અને ભૂમિહીનોને જમીનો મળે તેવું સ્વપ્ને પણ વિચારતા નથી. લો કહેતા શ્રમિક કાયદામાં શ્રમિકોનું શોષણ કરતાં સુધારા કરે છે. લિક્વિડિટી કોના ફાયદામાં હશે તે ઉઘાડું સત્ય છે અને લેબર તો બિચારો મરવા પડ્યો છે. ‘એષા પંથાઃ” અર્થાત્ રસ્તો તો એ જ છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આત્મનિર્ભર નાગરિક બનાવવાની જરૂર છે — નહીં કે સત્તાપક્ષના સમર્થકોની.
જે આપણા વશમાં છે, નિયંત્રણમાં છે, કાબૂમાં છે તે જ સુખ છે — એ મતલબની સંસ્કૃત ઉક્તિ સાથે સમાપ્ત થયેલા વડાપ્રધાનના વાયુપ્રવચન અંગે એટલું જ કહેવાનું કે ભારતનો મતદાર આજે ભલે સુખ માટે વડાપ્રધાન અને તેમની સરકાર પર નિર્ભર છે. તે મતદાર તરીકે જો આત્મનિર્ભર બનશે અને તેમના સુખ હણનારને ઓળખતો થશે તો કોઈનું ય સત્તાસુખ ઝાઝું ટકશે નહીં, તે સમજી લેવાની જરૂર છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020