નર્સિંગની નાયિકા ફ્લૉરેન્સ નાઇટિંગેલની જન્મ દ્વિશતાબ્દી
નર્સિગનાં સેવાક્ષેત્રનો મહામૂલો વારસો આપી જનાર ફ્લૉરેન્સ નાઇટિંગલ(12 મે, 1820)નાં જન્મને બસો વર્ષ થયાં છે. ફ્લૉરેન્સનો જન્મદિન ‘ઇન્ટરનેશનલ નર્સિસ ડે’ તરીકે ઉજવાય છે. નર્સિંગના ક્ષેત્રમાં તેમણે કરેલાં કાર્યની નોંધ ગાંધીજીએ પણ લીધી હતી. ગાંધીજીનાં શબ્દોમાં વાંચીએ ફ્લૉરેન્સનું સેવાકાર્ય ….
“… 1851ની સાલમાં જ્યારે ક્રિમિયાની ભારે લડાઈ થઈ ત્યારે બ્રિટિશ સરકાર ધારા મુજબ ઊંઘતી હતી. કંઈ તૈયારી ન હતી. અને જેમ બોઅરની લડાઈમાં થયું તેમ ક્રિમિયાની લડાઈમાં પણ શરૂઆતમાં ભૂલો કરી સજ્જડ હાર ખાધેલી. આજે જેટલાં સાધનો જખમી માણસોની સારવાર કરવાનાં છે તેટલાં આજથી 50 વર્ષ ઉપર ન હતાં. આજે જેટલા માણસો મદદ કરવા નીકળે છે તેટલા તે વખતે ન હતા. શસ્ત્રવિદ્યાનું જોર આજ છે તેટલું તે વખતે ન હતું. ઘાયલ માણસોને મદદ કરવા જવામાં પુણ્ય છે, તે દયાનું કામ છે, એવું સમજનારા તે વેળા થોડા માણસ હતા. એવે વખતે આ બાઈ ફ્લૉરેન્સ નાઇટિંગેલ કેમ જાણે ફિરસ્તો થઈ ઊતરી ન હોય એવાં તેણે કામ કર્યાં! સોલ્જરો દુઃખી થાય છે એ તેણે જાણ્યું; ત્યારે તેનું હૃદય ભેદાયું.
પોતે મોટા કુળની પૈસાદાર બાઈ હતી. પોતાના એશઆરામ છોડી પોતે દરદીઓની સારવાર કરવા ચાલી નીકળી પડી. તેની પછવાડે બીજી ઘણી બાઈઓ ગઈ. પોતે 1854ના ઑક્ટોબરની 21મી તારીખે નીકળી પડી. ઇંકરમેનની લડાઈમાં તેણે સજ્જડ મદદ કરી. આ વખતે જખમીઓને ન હતાં બિછાનાં, કે ન હતી બીજી સગવડો. આ એક બાઈની દેખરેખ નીચે 10,000 જખમીઓ હતા. તે બાઈ પહોંચી તે વખતે મરણની સંખ્યા સેંકડે 42ની હતી, તેણીના જવા પછી એકદમ 31 ઉપર આવી, ને છેવટે તે સેંકડે 5 સુધી સંખ્યા આવી. આ ચમત્કારી બનાવ છે છતાં સહેજે સમજી શકાય એવો છે. આટલા હજારો ઘાયલ થયેલા માણસોને લોહી ચાલતું અટકાવવામાં આવે, જખમ બાંધવામાં આવે, અને જોઈતો ખોરાક આપવામાં આવે, તો બેશક જાન બચે. માત્ર દયાની અને સારવારની જરૂર હતી તે નાઇટિંગેલે પૂરી પાડી.
એમ કહેવાય છે કે મોટા ને મજબૂત માણસો કામ ન કરી શકે તેટલું નાઇટિંગેલ કરતી. પોતે દહાડોરાત મળી 20 કલાક સુધી કામ કરતી. જ્યારે તેની નીચેની બાઈઓ સૂઈ જતી ત્યારે પોતે એકલી મધ્યરાતે મીણબત્તી લઈ દરદીઓના ખાટલા પાસે જતી, તેઓને આસાએશ આપતી અને જે કંઈ ખોરાક વગેરે જોઈએ તે પોતાને હાથે આપતી. નાઇટિંગલ જ્યાં લડાઈ ચાલતી હતી ત્યાં જતાં પણ ડરતી નહીં, ને જોખમમાં શું છે તે સમજી ન હતી. ભય માત્ર ખુદાનો રાખતી. જ્યારેત્યારે પણ મરવું છે એમ સમજી દુઃખ ઓછું કરવાને ખાતર જે ઈજા ઉઠાવવી પડે તે ઉઠાડતી.
આ બાઈ કદી પરણી ન હતી. પોતાની જિંદગી આવાં સારાં કામોમાં ગાળી. જ્યારે તે મરી ગઈ ત્યારે હજારો સોલ્જરો નાનાં બાળકની માફક પોતાની મા મરી ગઈ હોય તેમ પોકેપોકે રડેલા એમ કહેવાય છે. આવી બાઈઓ જ્યાં પેદા થાય તે દેશ કેમ આબાદ ન હોય!
[इन्डियन ओपीनियन, 9-9-1905માંથી સંપાદિત]
e.mail : kirankapure@gmail.com