ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દીના અનુલક્ષમાં એક લેખ કરેલો :
'ગાંધીજી સાહિત્યકાર ખરા? હા.'
આવતી કાલે ગાંધીજયન્તી છે. એ નિમિત્તે એ લેખને અહીં 'પુન:શ્ચ'-માં એટલે કે 'again'-માં પુન:પ્રકાશિત કર્યો છે :
ગાંધી-શબ્દનો ઉત્તમોત્તમ વિશેષ છે આત્માની સચ્ચાઈથી પ્રોજ્જવળ વિચારસૃષ્ટિ, જેમાં `સત્ય' અને `અહિંસા'-ના અર્થસંકેતોને અ-પૂર્વ ઊંચાઈ મળી છે. એ બન્ને શબ્દો શબ્દ નથી રહ્યા, વ્યક્તિ અને પ્રજા બન્ને માટે જીવનમન્ત્ર રૂપે વિશ્વ આખામાં પ્રસર્યા છે.
એમનું લિટરરી ઍક્સ્પોઝર સીમિત હતું – મતલબ, સાહિત્યપદાર્થ વિશે તેઓ પૂરા ઊઘડ્યા ન્હૉતા. એટલે સાહિત્ય પ્રત્યેની એમની દૃષ્ટિમતિ કુણ્ઠિત રહી ગયેલી.
ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે પણ્ડિત-યુગથી માંડીને આધુનિક યુગ દરમ્યાન જીવનપરક અથવા કલાપરક જે કંઈ ઝુંબેશો ચાલી તેનો એક સાર ગાંધીજી છે અને બીજો સાર સુરેશ જોષી છે.
ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો પ્રભાવ એટલો બધો પડ્યો હતો કે સાહિત્યના ઇતિહાસમાં એ સમયગાળો `ગાંધીયુગ' કહેવાયો છે. તેમ છતાં, કોઈ કોઈ ખૂણે એવો કચવાટ સંભળાય છે કે ગાંધીજી તે વળી શેના સાહિત્યકાર ! આ કચવાટ નવો નથી. શતાબ્દી-વર્ષમાં પણ પુછાયું હતું -ગાંધીજી સાહિત્યકાર ખરા? સાહિત્યની ગમ્ભીર ચર્ચામાં ગાંધીજીનો જ્યારે પણ ઉલ્લેખ થાય, એમને સાહિત્યકાર નહીં ગણનારા મળી આવતા હોય છે.
ગાંધીજીએ કવિતા વાર્તા કે નાટક નથી લખ્યાં. તેઓ એવા સર્જક સાહિત્યકાર નથી. પણ સર્જન સિવાયનું બીજું એમણે જે અઢળક લખ્યું છે તે એક તેજસ્વી અને સમુપકારક સાહિત્ય છે, જીવનદર્શન છે. એમણે જે કિંચિત્ સર્જનાત્મક સાહિત્ય લખ્યું છે તેમાંનું ઘણું સાહિત્યિક ગુણોથી સમૃદ્ધ છે : `સત્યના પ્રયોગો' આત્મકથાના સાહિત્યપ્રકારનું બેજોડ દૃષ્ટાન્ત છે. જેનાથી પ્રભાવિત થયા હોય એવાં કેટલાંક પુસ્તકોના એમણે અનુવાદ કર્યા છે; અને તેને `તરજૂમો' કહેવાની નમ્રતા દાખવી છે. કારકિર્દી દરમ્યાન એમણે અસંખ્ય વ્યક્તિઓને પત્રો લખેલા. એ પત્રોમાંના કેટલાક તો પત્રલેખન પાછળનો આશય અને તેની ભાષા-શૈલીના ઉત્તમ નમૂના છે. એમણે ગુજરાતી સાહિત્યકારો સામે પૂરી નિસબતથી તાતાં તીર જેવી ફરિયાદો કરી છે. પોતાની દૃષ્ટિમતિ અનુસારના સાહિત્યની ફાંકડી વકીલાત કરી છે. એવી નિસબત અને ફરિયાદોથી સુસ્થિર થયેલો એમનો સાહિત્ય સાથેનો લગાવ જરા પણ ન-ગણ્ય નથી.
એમની સાદી સરળ અને પ્રભાવક વાણી જેવું જ એમનું લેખન છે. એમનો દેખાવ નીરસ છતાં મોહક છે તેવું એમનું લેખન પણ છે. એમના ગદ્યમાં બેઢંગ વાક્યરચનાઓ નથી એમ નથી પણ ક્યાંક ક્યાંક એમાં અલંકારોની ચમક પણ છે. પરન્તુ ગાંધી-શબ્દનો ઉત્તમોત્તમ વિશેષ છે આત્માની સચ્ચાઈથી પ્રોજ્જવળ વિચારસૃષ્ટિ, જેમાં `સત્ય' અને `અહિંસા'-ના અર્થસંકેતોને અ-પૂર્વ ઊંચાઈ મળી છે. એ બન્ને શબ્દો શબ્દ નથી રહ્યા, વ્યક્તિ અને પ્રજા બન્ને માટે જીવનમન્ત્ર રૂપે વિશ્વ આખામાં પ્રસર્યા છે.
ટૂંકમાં, એમનો સાહિત્ય સાથેનો સમ્બન્ધ નિ:સામાન્ય નથી. તાત્પર્ય, એમને સાહિત્યકાર ગણવામાં કશી તકલીફ ન પડવી જોઈએ.
વિચાર-સંવેદન શબ્દોમાં લખાય તે લેખન, પણ લેખનને વાચનનાં ખાતરપાણીની હંમેશાં જરૂર પડે છે. સાહિત્યકારની કારકિર્દીમાં વાચનની મહત્તા એના લેખનથી જરા ય ઓછી નથી હોતી. ગાંધીજીએ જેલનિવાસ દરમ્યાન અને અન્યત્ર ખૂબ વાંચ્યું છે. મહાદેવ દેસાઈ તેમ જ શાંતિલાલ મ. દેસાઈ અને જશવંત શેખડીવાળાનાં લેખનો ગાંધીજીના વાચન અંગે પણ માહિતીસભર રહ્યાં છે. ગાંધીજીએ પોતે `સત્યના પ્રયોગો'-માં પોતે શું વાંચ્યું પોતાને તે કેવું લાગ્યું તેના નિર્દેશો કર્યા છે. ભણતા'તા એ ગાળામાં, `શ્રવણપિતૃભક્તિ' `હરિશ્ચન્દ્ર આખ્યાન' `નિબંધોનાં નાનાં ચોપાનિયાં' અને `લીલા પૂંઠાવાળી કહેવતમાળા' પણ વાંચેલાં. વિલાયતમાં એમણે `ભગવદ્ગીતા'-નો ઍડવિન આર્નોલ્ડે કરેલો અંગ્રેજી અનુવાદ વાંચેલો. `રામચરિતમાનસ' `ઈશોપનિષદ' `કુરાન' ટાગોરકૃત `મુક્તધારા', `પાતંજલ યોગદર્શન', મણિલાલ નભુભાઈ દ્વિવેદી-લિખિત `રાજયોગ', નર્મદ-લિખિત `ધર્મવિચાર વગેરે એમણે વાંચ્યાં છે. અનેક મહામનાઓનાં જીવનચરિત્ર વાંચ્યાં છે : ઈસુ, વિવેકાનંદ, કેશવચન્દ્ર સેન, ગેરીબાલ્ડી, વગેરે. અનેકોનાં લેખનોમાંથી પસાર થયા છે : સૉક્રેટિસ, તૉલ્સતોય, થોરો, એમર્સન, બૅકન, હક્સલી, વગેરે. મારો લેખ પૂરો થઈ જાય પણ આ યાદી પૂરી ન થાય એટલી દીર્ઘ છે.
પોતાના વાચન-અનુભવોને હંમેશાં ખુલ્લા મને વ્યક્ત કરતા. `ગીતા' વિશેનો એમનો ભર્યોભર્યો ઉમળકો તો જુઓ : `મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે `ગીતા'-માતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય `ગીતા'-નો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી …' : એટલે સ્તો, એમણે કાકા કાલેલકરની સમ્પાદકીય સહાયથી `અનાસક્તિયોગ' શીર્ષકથી ગીતાનો તરજૂમો કરેલો. રસ્કિનના `અનટુ ધિસ લાસ્ટ'-નો `સર્વોદય' નામે તરજૂમો કર્યો ત્યારે પણ કહ્યું કે `જેણે મારી જિન્દગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ પુસ્તક જ કહેવાય.' વગેરે.
સાહિત્ય વિશેની એમની સમજ નિજી હતી પણ ચૉક્કસ હતી એ કારણે પણ એમને સાહિત્યકાર ગણવા જોઈશે. સાહિત્યકારો પાસે એમણે કોશિયાને સમજાય એવું સરળ સાહિત્ય તો માગ્યું પણ બીજું ય ઘણું માગ્યું. એમનાં એ વચનોમાંનાં કેટલાંક તો કશા ટિપ્પણ વગર રજૂ કરાય એટલાં બધાં સ્પષ્ટ છે
: ૧ : આપણાં ધર્મપુસ્તકો આપણને જેટલો રસ આપે છે તે અત્યારનું સાહિત્ય આપણને નથી આપતું … તુલસીદાસ જેવું, કબીર જેવું, આપણને કોણે આપ્યું છે? અખાના જમાનામાં આપણને જે કાંઈ મળ્યું છે એ હવે ક્યાં છે?
: ૨ : હું બાણ ભટ્ટની `કાદંબરી' નથી માગતો પરંતુ તુલસીદાસનું `રામાયણ' માગું છું.
: ૩ : `નવલકથા વાંચવી એ રોગ છે, જગતમાં ઘેર ઘેર એ ફેલાઈ ગઈ છે પણ એમાં કલ્પનાના ઘોડા સિવાય શું છે? નવલકથાનું સાહિત્ય ગુજરાતીમાં ન હોય તો ગુજરાતી રાંડીરાંડ નહીં રહે.
: ૪ : સાહિત્યની કલમ ઉઠાવો તો એ જ વિચારથી ઉઠાવજો કે સ્ત્રી એ મારી જનની છે અને તમે ચીતરો તો તેને વિકારી ન ચીતરો.
: ૫ : જીવન, સૌ કળાથી અદકું છે … કળા જીવનની દાસી છે, અને તેની સેવા કરવાનું જ તેનું કાર્ય છે.
: ૬ : મારું ધ્યેય હંમેશાં કલ્યાણનું છે, કળા કલ્યાણકારી હોય ત્યાં સુધી જ તે મને સ્વીકાર્ય છે.
: ૭ : ભાઈ, સત્ય એ જ મૂળ વસ્તુ. પણ તે સત્ય `શિવ' હોય, `સુંદર' હોય. સત્ય મેળવ્યા પછી જ તમને કલ્યાણ અને સૌન્દર્ય બંને મળી રહે.
: ૮ : તે જ કાવ્ય અને સાહિત્ય ચિરંજીવ રહેશે જે લોકોનું હશે, જેને લોકો મેળવી શકે, સહેજે ઝીલી શકે.
લોકભોગ્યતા, નીતિ-સદાચારનો ઉપદેશ, જનકલ્યાણ, ભાષિક સરળતા, વગેરે સાહિત્ય-ગુણોની ગાંધીજીએ સાગ્રહ હિમાયત કરી એ બરાબર, પણ એમના ધ્યાનમાં એ સત્ય નથી આવ્યું કે એ જ ગુણો ઉત્તમ સાહિત્યકૃતિઓમાં કલાની રીતેભાતે આપોઆપ પ્રગટતા હોય છે. પણ એવું સાહિત્ય એમના વાંચવામાં આવ્યું નથી. ટૂંકમાં, એમનું લિટરરી ઍક્સ્પોઝર સીમિત હતું -મતલબ, સાહિત્યપદાર્થ વિશે તેઓ પૂરા ઊઘડ્યા ન્હૉતા. એટલે સાહિત્ય પ્રત્યેની એમની દૃષ્ટિમતિ કુણ્ઠિત રહી ગયેલી. પરન્તુ યાદ રાખવું જરૂરી છે કે અન્ધશ્રદ્ધાગ્રસ્ત પ્રજા અને અબુધ લોકડિયાંને બેઠાં કરીને દેશને ગુલામીમાંથી મુક્ત કરવો એ ગાંધી-જીવનનો અગ્રિમ કાર્યક્રમ હતો. સમજાય એવું છે કે એમને અમુક સાહિત્ય ન જ પાલવે ને અમુક જોઇએ જ જોઈએ.
ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે પણ્ડિત-યુગથી માંડીને આધુનિક યુગ દરમ્યાન જીવનપરક અથવા કલાપરક જે કંઈ ઝુંબેશો ચાલી તેનો એક સાર ગાંધીજી છે અને બીજો સાર સુરેશ જોષી છે. બન્ને નામો એ વિભિન્ન વિચારધારાનાં પ્રતીક છે. પહેલામાં, સાહિત્ય `કેવું અને કોને માટે' હોવું જોઈએ તેની અને બીજામાં, સાહિત્ય `કેવી રીતે' લખાવું જોઈએ તેની મનોમથામણ વિકસી હતી. પહેલામાં, પ્રજાજીવનનું કલ્યાણ કરે તેવા સાહિત્યનો અને બીજામાં, મનુષ્યજીવનનો સાક્ષાત્કાર કરાવે તેવી નિર્ભેળ સાહિત્યસાધનાનો આગ્રહ ઘુંટાયો હતો. બન્નેમાં સાહિત્યકલાનાં પરમ સત્યો વસે છે. જીવન તેમ સાહિત્યકલા પણ પરમ સત્યોથી જ ટકે છે. જરૂરી છે કે સમકાલીનો એને આત્મસાત્ કરે.
= = =
https://www.facebook.com/suman.shah.94/posts/2758048707559358