આ શીર્ષક ચોંકાવનારું જરૂર છે, પણ આઘાત આપવા માટે નથી. દરેક સફળ સામ્રાજ્ય, સમાજ અને શાસન વ્યવસ્થાનું પતન થાય છે. લોકશાહી તેમાંથી બાકાત નથી. જુલાઈ મહિનામાં લીસ્બનમાં મળેલી ઇન્ટરનેશનલ સોસાઇટી ઓફ પોલિટિકલ સાઈકોલોજિસ્ટની ચાર દિવસની વાર્ષિક મિટિંગમાં એક રીસર્ચ પેપર રજૂ થયું હતું, જે રાજકીય પંડિતોમાં ચર્ચાનો (આઘાતનો) વિષય બન્યું છે. હાર્વડ અને ઓક્સફર્ડમાં ભણેલા તેમ જ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર, ૬૮ વર્ષના શોન રોઝેન્બર્ગે આ મિટિંગમાં એક અસાધારણ પેપર રજૂ કર્યું છે, જેમાં તેમણે લોકશાહીના પતન માટે આપખુદશાઈ અને જમણેરી શાસકોને નહીં, પણ ફોર અ ચેન્જ, નાગરિકોને જવાબદાર ઠેરવ્યા છે.
રોઝેન્બર્ગના પેપરનું શીર્ષક જ સૂચક છે : લોકશાહી ખુદને જ ગળી રહી છે – અણઘડ નાગરિકનો ઉદય અને જમણેરી લોકપ્રિયતાવાદની લાલચ (ડેમોક્રસી ડેવોરિંગ ઈટસેલ્ફ: ધ રાઈઝ ઓફ ઇન્કૉમ્પિટન્ટ્ સિટીઝન એન્ડ ધ અપીલ ઓફ રાઈટ-વિંગ પોપ્યુલિઝમ).
રોઝેન્બર્ગનો તર્ક આ પ્રમાણે છે : લોકશાહીને જાળવવા માટે નાગરિકો પાસે જરૂરી બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષમતા નથી. આ ઉણપને મોટાભાગના આધુનિક ઇતિહાસ દરમ્યાન રાજકીય ભદ્ર વર્ગે પૂરી કરી હતી, પણ આ વર્ગ ઉત્તરોતર હાંસિયામાં ધકેલાતો ગયો છે. પરિણામે અજ્ઞાની નાગરિકો નોંધારા થઇ ગયા છે, જેના કારણે અમેરિકા અને વિશ્વમાં બીજે જમણેરી લોકવાદી સરકારો આવી છે. લોકવાદ રાજકારણ અને સમાજનો વૈકલ્પિક દૃષ્ટિકોણ છે, જે આસાનીથી સમજમાં આવે છે અને ભાવનાત્મક રીતે વધુ સંતોષજનક હોય છે." લોકવાદ એટલે લોકોને ગમે તેવી રીતે કામ કરવું અથવા બોલવું અને તેના પરિણામોની ચિંતા ના કરવી તે.
આ સમજવા જેવું છે. મોટા ભાગના સાધારણ નાગરિકો શાસન-વ્યવસ્થા(એટલે કે લોકશાહી)ની નૈતિકતામાં પડતા નથી. દાખલા તરીકે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, માનવધિકાર જેવાં લોકતાંત્રિક મૂલ્યો સામાન્ય માણસને ન તો સમજમાં આવે છે કે ન તો એના જીવનમાં એની પ્રાથમિકતા હોય છે. એને તો એના જીવનની બુનિયાદી જરૂરિયાતોની જ ચિંતા હોય છે. લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવાની જવાબદારી હંમેશાં સમાજના મુઠ્ઠીભર રાજકીય બૌદ્ધિકોના હાથમાં રહી હતી અને તેઓ જ લોકશાહીનું શાસન ચલાવતા હતા.
આ મૂલ્યો એટલાં મહત્ત્વનાં બની ગયાં કે બહુમતી નાગરિકોમાં એવી લાગણી ઘર કરી ગઈ કે લોકશાહી વધારે પડતી ઉદાર છે અને ઉદારતાવાદી શાસકો સાધારણ માણસો અને તેમની ભાવનાથી તદ્દન કપાઈ ગયેલા છે. બીજા અર્થમાં કહીએ તો લોકોમાં એવી માન્યતા મજબૂત બની કે 'લોકો માટેની' લોકશાહી અમુક લોકો માટે જ છે.
લોકવાદનો પ્રવેશ અહીંથી થાય છે. લોકવાદ આમ તો લોકશાહીનું જ શીર્ષાસન છે. લોકશાહીમાં જે લોકો-લાગણીઓ મૂલ્યો અને સિદ્ધાંતો પર ખરી ઉતરે, તેને જ અમલ કરવા માટે ઉચિત માનવામાં આવે છે. લોકવાદમાં મૂલ્યો અને સિદ્ધાંતો લોક-લાગણીઓ પર ખરા ઉતરે છે, તેને જ અમલ કરવા ઉચિત માનવામાં આવે છે. લોકશાહી અને લોકવાદમાં એટલો જ ફરક છે, જેટલો ફરક ‘શાહી’ અને ‘વાદ’માં છે.
લોકવાદી સરકાર કેવી હોય? તેની બે મુખ્ય માન્યતાઓ હોય છે : એક, રાજકીય ભદ્ર વર્ગ ‘બહાર’નો છે અને તે ‘સાચા લોકો’ની વિરુદ્ધ કામ કરે છે અને બે, અમે ‘સાચા લોકો’નો અવાજ છીએ અને એમાં અમને કોઈ નહીં રોકે. લોકશાહીમાં સત્તા પક્ષ ચૂંટણી પછી વિરોધ પક્ષમાં બેસવા તૈયાર હોય છે. લોકવાદી સરકાર કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહે છે. લોકવાદી સરકારને લોકશાહીનાં બંધનો ગમતાં નથી, કારણ કે લોક લાગણી પર અમલ કરવામાં તે અવરોધક બને છે.
વીસમી સદીનો ઉત્તરાર્ધ લોકશાહીનો સુવર્ણ યુગ હતો. એક સર્વે પ્રમાણે ૧૯૪૫માં પૂરા વિશ્વમાં માત્ર ૧૨ લોકશાહીઓ હતી. સદીના અંતે ૮૭ થઇ ગઈ હતી. તે પછી ઊલટો ઊથલો વાગ્યો. એકવીસમી સદીના પહેલા દાયકામાં લોકશાહીની આગેકૂચ અચાનક થંભી ગઈ અને પીછેહઠ શરૂ થઇ. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, હંગેરી, બ્રાઝિલ અને પોલેન્ડમાં જમણેરી નેતાઓ સત્તામાં આવી ગયા કે આવી રહ્યા છે.
રોઝેન્બર્ગ કહે છે કે ૧૯૯૮માં યુરોપમાં જમણેરી લોકવાદી નેતાઓનો વોટ-શેર ૪ ટકા હતો, તે ૧૯૧૮માં ૧૩ ટકા થઇ ગયો. જર્મનીમાં તો મંદી પૂરી થઇ અને બહારથી આવતા લોકોનો પ્રવાહ ઓછો થયો, પછી પણ જમણેરી લોકવાદી નેતાઓના વોટમાં વધારો થયો હતો.
રોઝેન્બર્ગ યેલ, ઓક્સફર્ડ અને હાર્વડના ડિગ્રીધારક છે અને તે હાલના સૌથી પ્રતિભાશાળી સમાજ વિજ્ઞાની છે. તેમની ભવિષ્યવાણી છે કે અગામી અમુક દાયકાઓમાં પૂરા વિશ્વમાં લોકશાહીનો પથારો ઘટતો જશે અને જે બચી જશે તે પણ ખોખલી પડતી જશે. રોઝેન્બર્ગ કહે છે કે લોકશાહીની જગ્યાએ એવી લોકપ્રિય જમણેરી સરકારો આવશે, જે લોકોને જટિલ સમસ્યાઓનાં સરળ ઉપાયો બતાવશે.
મુદ્દાની વાત અહીં જ છે. લોકશાહી પરિશ્રમથી ઊભી થયેલી વ્યવસ્થા છે. એના માટે નાગરિકોથી લઈને નેતાઓ સુધીના લોકોએ ઘણા બધા વિરોધાભાસો અને વિવિધતાઓ સાથે જીવવાનું શીખવું પડે છે. લોકશાહીમાં લોકોએ ભિન્ન મતને જગ્યા આપવી પડે છે, સચ્ચાઈ અને જૂઠમાં ફર્ક કરવો પડે છે, શિસ્ત અને તર્કનું સન્માન કરવું પડે છે અને આપણા જેવા ના હોય, તેવા લોકોને પણ સમાવવા પડે છે. આવા અભિગમો આધુનિક શિક્ષણ અને લોકતાન્ત્રિક વ્યવસ્થાઓમાંથી આવ્યા છે. માણસ જ્યારે કબીલામાં રહેતો હતો, ત્યારે તેને ભિન્નતાની દરકાર કરવાની જરૂર ન હતી.
રોઝેન્બર્ગ મનોવિજ્ઞાનનો સહારો લઈને કહે છે કે બુનિયાદી રૂપે માણસ પૂર્વગ્રહવાળો છે. સદીઓથી માણસે તેનાથી (રંગમાં, ભાષામાં, સંસ્કૃતિમાં, માન્યતાઓમાં) ભિન્ન હોય, તેવા માણસો માટે આભડછેટ રાખી છે. ‘અમે અને તમે’ એ માણસનો મૂળભૂત સ્વભાવ રહ્યો છે અને તે વિવિધ રીતે તેની સામાજિક વ્યવસ્થામાં પડઘાતો રહ્યો છે. લોકશાહી આવા પૂર્વગ્રહો પરનો વિજય હતો, પરંતુ તે પૂર્વગ્રહો નાબૂદ થયા ન હતા, સુષુપ્ત અવસ્થામાં હતા. આધુનિક લોકશાહી માટે આ પૂર્વગ્રહો જોખમી બની રહ્યા છે.
હંગેરીના જમણેરી પ્રધાનમંત્રી વિક્ટોર ઓર્બાને કહ્યું હતું કે, “ઉદારવાદી લોકશાહીનો યુગ પૂરો થયો છે.” આપણે ઓર્બાનને (કે ડોનાલ્ડ ટ્રમ્પને) દોષ દેવાની જરૂર નથી. લોકશાહીના પતન માટે લોકો જવાબદાર છે. આર્થિક અને સામાજિક અસમાનતાએ વિશ્વભરમાં ઊથલપાથલ મચાવી છે અને લોકો લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. લોકોને એમની સમસ્યાના સહેલા ઉપાયો જોઈએ છીએ, કારણ કે તેમને વોટ આપવા સિવાયની બીજી કોઈ બૌદ્ધિક બાબતોની સમજ નથી. ગ્રીક ચિંતક સોક્રેટિસે કહ્યું હતું કે લોકશાહીમાં લોકોને વિચાર કરીને વોટ આપવા માટે ટ્રેઈન કરવા પડે, પણ લોકોમાં એટલી વિચારશક્તિ છે નહીં, એટલે લોકશાહી નહીં ચાલે.
સોક્રેટિસ અત્યારે જીવતો હોત, તો હસ્યો હોત.