ઘણા સમય પહેલા ખેડા જિલ્લાનાં પુસ્તકાલયોમાં જ્ઞાનકોશ જેવાં પુસ્તકોનું વિતરણ થયેલું. તેમાં ખગોળ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયોની જ્ઞાનગંગા વહેતી હતી. એસ.પી. યુનિવર્સિટી, વિદ્યાનગર તરફથી પ્રકાશિત અને પુસ્તકાલયોનાં અણમોલ આભૂષણ સમાન આ ગ્રંથમાળાનું સંપાદન કરેલું વડોદરાના ભોગીલાલ ગાંધીએ. તેનું નામ – જ્ઞાનગંગોત્રી. તેમાં ૨૭ ગ્રંથ હતા – ૨૭ નક્ષત્ર જેવા.
નામ જ ભોગીલાલ, બાકી યોગી જેવા હતા. તેમની અક્ષરયાત્રા પ્રાસાદિક. તેમણે ‘વિશ્વમાનવ’ સામયિક ચલાવેલું, એ નડિયાદ-આણંદનાં સાર્વજનિક પુસ્તકાલયોમાં ઘણું વંચાતું અને જિલ્લા પુસ્તકાલય – મંડળની કારોબારી સભા, સામાન્ય સભા, વાર્ષિક પરિષદો અને ગ્રંથપાલ તાલીમ શિબિરોમાં અવારનવાર ચર્ચાતું. ‘વિશ્વમાનવ’ના અનુવાદો યાદગાર બની રહ્યા. તેમાં પણ વિશેષાંકો તો ઘણાં લોકપ્રિય બન્યા. તેમનું જીવન સતત પરિવર્તનમય હશે, એમ લખાણો પરથી લાગે છે.
મંત્રી, ખેડા જિલ્લા પુસ્તકાલય મંડળ,
મુકામ પોસ્ટ મહીજ ગામ, તાલુકા, જિલ્લા ખેડા.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 02