સબરીમાલા શાંત થવાનું નામ લેતું નથી. વિવાદે હિંસક વળાંક લઈ લીધો છે. દક્ષિણ ભારત શિસ્ત અને સ્ત્રી-સન્માન માટે જાણીતું છે. વર્ષો પહેલાંનો અનુભવ છે. દક્ષિણના એક શહેરની સિટીબસમાં હતો. બસ પૅસેન્જરોથી ભરચક હતી, પણ ચાર સીટ ખાલી હતી. કેમ ખબર પડી કે મહિલાઓ માટે અનામત છે!
બે કે ત્રણ બહેનોએ ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરવાના સમાચાર છે. સંતોષ જરૂર થાય પણ આનંદ તો નહીં. મંદિરનું શુદ્ધીકરણ થયું લાગે છે. એકવીસમી સદી ઉપર અઢારમી સદી હાવી થઈ ગઈ છે. આપણે બુદ્ધ અને ગાંધી … તમામ સમાજસુધારકો સામે જાણે યુદ્ધ જાહેર કર્યું છે.
એક નવા સમાચાર ઉમેરાયા. મંદિરમાં વ્યંઢળોને પ્રવેશ કરતાં અટકાવ્યા. હવે વ્યંઢળોને તો બહેનો જેવી કોઈ સમસ્યા નથી. પ્રવેશ માટે તેઓ સૌથી વધુ પવિત્ર ગણાવા જોઈએ.
ખેર, સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી બધા જ રાજકીય પક્ષોનું કામ હતું કે કેરળની બધી જ સામાજિક, મહિલા-સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓને, શાણા આગેવાનોને બોલાવીને આ સમસ્યાઓનો સકારાત્મક ઉકેલ લાવે. કેરળ સહિત દેશના સેમિનારપ્રિય સંવેદનશીલ બૌદ્ધિકોની પણ ફરજ બને છે કે તેઓ આ મુદ્દે ભેગા થઈ દિશાસૂચન કરે. ગુજરાતમાં સદ્ભાવના ક્ષેત્રે કાર્યરત કર્મશીલોએ પણ આ અંગે પહેલ કરવી જોઈએ. ગાંધીવાદી સંસ્થાઓ પણ આગળ આવે.
કથાકારો સૌથી વધુ પ્રભાવી હોય છે, પરંતુ કથાકારોને શ્રોતાઓની ચિંતા હોય છે અને રાજકીય પક્ષોને વોટની ચિંતા હોય છે, ત્યારે તમામ રાજકીય પક્ષોથી અલિપ્ત પૂર્વગ્રહમુક્ત થોડાંક જણ સમાજમાં આગળ આવે એ જરૂરી છે. સામાજિક સંવાદિતા અને તેના તાણાવાણા છિન્નભિન્ન થઈ જતા હોય, ત્યારે એવી સમસ્યાઓને રાજકીય પક્ષોને ભરોસે છોડી શકાય નહીં.
દરેક ધર્મ અને દરેક સમાજે પૂર્વગ્રહમુક્ત અને દુરાગ્રહમુક્ત થવાની જરૂર છે. માત્ર ભારત જ નહીં સમગ્ર પૃથ્વી દુરાગ્રહો અને પૂર્વગ્રહોથી મુક્ત થાય એ જરૂરી છે, કારણ નાના નાના વિવાદો, નાની કટુતાઓ, નાના સંઘર્ષો સમય જતાં ‘વિકરાળ રૂપ ધારણ કરે છે.’ સમાજ અને ધર્મનાં સ્થાપિત હિતો, રાજકીય પક્ષોના ક્ષુદ્ર સ્વાર્થ અને પ્રજાની અજ્ઞાનતાના કારણે પોષાતા હોય છે.
માત્ર હિંદુની જ વાત કરીએ, તો હિંદુસમાજ સમયની સાથે બદલાતો રહ્યો છે. હિંદુદર્શનના ‘અદ્વૈત’માં શુદ્ધને સ્થાન છે કે નહીં એ સવાલ હિંદુ-સમાજમાંથી જ પુછાયો હતો. આ સવાલ આજે સબરીમાલા માટે પૂછી શકાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિચારો અને આઇડિયાના ભંડાર છે. સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત નરેન્દ્ર મોદી કોઈ મંદિરમાં મહિલા-પ્રવેશના ‘પરંપરાના’ નામે વિરોધી હોય એમ હું માનતો નથી. એ મુખ્યમંત્રી હતા ત્યારે એક શાળાના મેદાનમાં તેમને સાંભળ્યા હતા. જાહેરસભા કરતાં એ વિચારસભા વધુ હતી. તેમની સાથે મનન આશ્રમના સ્વામી તદ્રુપાનંદજી પણ હતા. હિન્દુ કઈ રીતે સમયની સાથે તાલ મિલાવે છે, તેનું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ આપતાં જણાવ્યું હતું કે, ‘હિંદુઓ પહેલાં શબને ચંદનનાં લાકડાંથી બાળતા. પછી સાદાં લાકડાંથી અને હવે વીજળી સ્મશાન-ગૃહમાં અગ્નિસંસ્કાર અપાય છે. (અલબત્ત, હવે તો ગૅસનો ઉપયોગ થાય છે.) કોઈ હોહા કે વિરોધ વિના હિન્દુએ સ્વીકાર કરી લીધો.’
મોદીની વાત સાચી છે. મને લાગે છે હવે નરેન્દ્ર મોદી પરંપરાનું સમર્થન આપતી વખતે ખૂબ પીડાયા હશે. એ જ રીતે આર.એસ.એસ. કે ભા.જ.પ.માં હિંદુધર્મના ઉદારવાદી પ્રગતિશીલ ચહેરો ધરાવતાં અનેક સજ્જનો અંદરથી સંકટ અને દુઃખ અનુભવતાં હશે, પરંતુ રાજકીય મજબૂરીએ તેઓ મૂક હશે. બધે ધર્મસંકટ છે.
ઉત્તર ભારતના મંદિર માટે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સન્માન અને દક્ષિણ ભારતના મંદિર મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે વિરોધ. આ આંતરવિરોધ વચ્ચે મોદીજી સ્વયં દુઃખી હશે, ‘અજીબ દાસ્તાં’ હૈ.
સમાજસુધારાની ચાર રીત હોઈ શકે, પહેલી, સામાન્ય રોગો નિર્દોષ દવા – ટીકડીથી ઠીક થઈ શકે. બીજા પ્રકારની સારવારમાં ડૉક્ટર કંઈ નહીં થાય, એમ કહીને ઇન્જેક્શન આપી દે છે. ત્રીજા પ્રકારની સારવાર શલ્ય – ચિકિત્સાની છે અને ચોથા પ્રકારમાં ઉપર્યુક્ત ત્રણે ય સારવારનો સમન્વય હોય છે. ગાંધીજીની ‘હિંદ છોડો’ હાકલ શલ્યચિકિત્સા જેવી હતી.
સબરીમાલા મુદ્દે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો તે શલ્યચિકિત્સા છે, પરંતુ તેમાં પછીની સારવારનું ખૂબ મહત્ત્વ છે.
શબરી શબ્દ સાથે ભગવાન રામ યાદ આવે. અયોધ્યાના ત્યાગ પછી વનવાસી રામનું સ્વરૂપ કરુણાનિધાન અને સેતુનિર્માણનું છે. પ્રજા પ્રજા વચ્ચે, પ્રદેશ પ્રદેશ વચ્ચે સેતુ સ્થપાયા. ઉત્તરના સામે દક્ષિણમાં રામેશ્વરની સ્થાપના કરી; પછી તો ઉત્તરનું ગંગાજળ રામેશ્વરમાં ચઢતું રહ્યું. આ સંવાદપ્રેમ અને કરુણાનું પરિણામ હતું. આ શાશ્વત હતું અને આ શાશ્વત અખંડિત રહે, એ જરૂરી છે.
ભલે, દક્ષિણમાં ‘રામરાજ્ય’ સ્થપાયું, પરંતુ એ રામરાજ્ય કરુણા, પ્રેમ, સદ્ભાવ અને સંવાદથી સ્થપાય એવું આપણે ઇચ્છીએ. અબ દક્ષિણ કી બારી હૈ, એવું આક્રમણ સ્વરૂપ ન હોય. ભલે ૨૦મી સદીમાં પણ શબરી (સબરીમાલા) અને અયોધ્યાના શ્રીરામનું મિલન દિવ્ય રીતે થાય, ગરિમામુક્ત થાય.
ગુરુકુળ રોડ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 09 તેમ જ 14