courtesy : "The Daily Telegraph", 16 January 2019
courtesy : "The Daily Telegraph", 16 January 2019
૨૯મી નવેમ્બર, ૨૦૧૮ના રોજ ઉર્દૂનાં પ્રગતિશીલ કવયિત્રી ફહમીદા રિયાઝનું મૃત્યુ થયું. જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં નીચે ટાંકેલી કવિતા વાંચેલી, ત્યારે એક લશ્કરી જવાન બંદૂક તાકી બેઠેલો. ધાર્મિક કટ્ટરતા અને પુરાતનપંથી પણ પાકિસ્તાન જે રીતે ગરકાવ થઈ ગયું છે એ જ રીતે ભારત પણ થઈ રહ્યું છે, એની એમાં વ્યંગપૂર્ણ ટીકા હતી. આજે પણ આ કવિતા મારી પ્રિય કવિતા છે. એમના ચાલ્યા જતાં આવા અવાજો ક્ષીણ થતા માલૂમ પડે છે. પ્રતિરોધની આ કવિતાના મૂળ ફૈઝ અહેમદ ફૈઝે પાબ્લો નેરુદા સાથે પણ સામયિક કાઢેલું.
એવું નથી કે ફહમીદા પ્રથમ પંક્તિનાં ઉર્દૂ કવયિત્રી છે. પરંતુ પાકિસ્તાનના સાંપ્રદાયિક માહોલમાં એમણે જે રીતે પ્રતિરોધની કવિતા કરી, માનવ-અધિકારોની લડત ચલાવી અને સડી ગયેલી પરંપરાઓ સામે અવાજ ઉઠાવ્યો, ‘એનું મારે મન મોટું મૂલ્ય છે. એમના એક કવિતાસંગ્રહનું શીર્ષક છે ‘પથ્થર કી જુબાન’. એમની કવિતા મહેકતાં ફૂલોની નથી, બોલતા પથ્થરોની છે.
૨૮મી જુલાઈ, ૧૯૪૬ ફહમીદનો જન્મ ઉત્તરપ્રદેશના મેરઠમાં થયો હતો. જ્યારે હિંદુસ્તાનમાં સાંપ્રદાયિકતા એની ચરમ કક્ષાએ હતી, ત્યારે કુટુંબ પાકિસ્તાન ચાલી ગયું. મા કવિતા કરતાં હતાં એનો પ્રભાવ એમના પર પડ્યો. પિતા રિયાજુદ્દીન સિંધમાં શિક્ષણક્ષેત્રે કાર્યરત હતા. ફહમીદા રિયાઝે સિંધ યુનિવર્સિટી, હૈદરાબાદથી અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાં ગ્રૅજ્યુએશન કર્યું. આઝાદી પછી તરત જ પાકિસ્તાનમાં ધર્મકેન્દ્રી રાજનીતિના કારણે લોકતંત્રનું સ્વપ્ન છીનવાઈ ગયું હતું. અબ્દુલ ગફારખાન, સરહદના ગાંધીને વીસ વીસ વરસ જેલમાં સબડવું પડેલું. ફૈઝ અહેમદ ફૈઝ અને એમના સાથીઓને જેલ મળી હતી. જનરલ ઐયુબખાને વિદ્યાર્થીઓને રાજનીતિમાં ભાગ લેવા પર બાન મૂક્યો હતો. ત્યારે નૅશનલ સ્ટુડન્ટ ફૅડરેશન એનો વિરોધ કરી રહ્યું હતું અને જેમાં એક સક્રિય કાર્યકર ફહમીદા રિયાઝ હતાં. સમાજવાદી ચિંતકોથી ફહમીદા પ્રભાવિત હતાં અને વિશેષ કરીને ફૈઝની કવિતાથી પણ. અભ્યાસ પછી ૧૯૬૬માં પાકિસ્તાન રેડિયોમાં નોકરી કરી, ત્યાર બાદ સાત વર્ષ લંડનમાં રહ્યાં. લંડન સ્કૂલ ઑફ ફિલ્મમેકિંગમાંથી ફિલ્મનિર્માણ શીખ્યાં પણ સાથોસાથ એ વખતે ચાલતા નારીવાદ-આંદોલનને પણ સમજ્યું, જાણ્યું અને એ પરિપ્રેક્ષ્ય એમની કવિતામાં આવતો થયો.
‘એક ઔરત કી હંસી’, ‘જાને નાપાક’ જેવી કવિતામાં એમણે સ્ત્રીઓની ભયગ્રંથિને લલકારી હતી. જમણેરીઓએ એમની કવિતાને ‘અશ્લીલ’ ગણાવી હતી. ફહમીદા શરૂઆતથી સિંધી ભાષા અને સિંધીઓના અધિકારો માટેની પણ લડાઈ ચલાવતાં હતાં. એ પણ સત્તાધીશોને રુચતું ન હતું. ઈ.સ. ૧૯૭૨માં એમણે તલાક લીધા. એમનાં બીજાં લગ્ન સમાજવાદી ફિલ્મનિર્માતા અને કર્મશીલ જફર અલી ઉજાન સાથે થયાં અને તેઓ બે બાળકોની મા પણ બન્યાં.
એ એમના માટે કપરો ગાળો હતો જ્યારે ઈ.સ. ૧૯૭૭માં ભુટ્ટોની ફાંસી પછી જિયા-ઉલ-હકે પાકિસ્તાનની રહીસહી લોકશાહીનો ખાતમો બોલાવી લશ્કરી શાસન લાદી દીધેલું. વળી, આ લશ્કર ધાર્મિક પ્રતિબંધને સખ્તાઈથી અમલમાં મુકાવતું હતું, જે આપણે ‘ખામોશ પાની’ જેવી ફિલ્મમાં જોયું છે. આ જિયા-ઉલ-હકે ફૈઝ અહેમદ ફૈઝ, અહમદ ફરાઝ, હબીબ જાલિબ અને ફહમીદા રિયાઝને જાતભાતની રીતે પરેશાન કર્યાં. ઇસ્લામીકરણના વિરોધ કરનાર તરીકે ફહમીદા અને એમના પતિ જકર પર ચૌદ કેસ ઠોકી દેવામાં આવ્યા હતા! જફરને જેલમાં નાંખી દેવામાં આવ્યા અને ફહમીદા જામીન પર બહાર હતાં. યેનકેન પ્રકારે બે બાળકો સાથે ફહમીદા પાકિસ્તાનથી ભારત આવી ગયાં કારણ કે ત્યાં જાનનું જોખમ હતું. અમૃતા પ્રીતમ એમનાં મિત્ર હતાં જેમની મદદથી ઇન્દિરા ગાંધીના હસ્તક્ષેપથી ફહમીદાને રાજનૈતિક શરણ મળ્યું. ત્યાર પછી એમના પતિ પણ ભારત આવ્યા. સાત વર્ષ એમણે અહીં ગાળ્યાં. ઝિયા-ઉલ-હકના અવસાન પછી દંપતી પાકિસ્તાન જઈ શકેલાં. ભારતનિવાસનાં સાત વર્ષો દરમ્યાન અસંખ્ય ઉર્દૂ-હિંદી સાહિત્યકારો સાથે એમનો સંબંધ પ્રગાઢ બનેલો.
પાકિસ્તાન હદીદ અધ્યાદેશ, શરિયતના કાયદાઓએ સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવી હતી. એની સામે એમણે WADA દ્વારા અવાજ ઉઠાવ્યો. આસિયા બી જેવી ગરીબ સ્ત્રીને આવા કાયદાના કારણે વર્ષો સુધી જેલ મળી હતી!
કોટવાલ બેઠા હૈ’ અને ‘ચાચા ઔર ચાર દિવારી’ એમની અનુભવની કવિતા છે. ‘પૂર્વાંચલ જેવી કવિતા ભારતનાં સાંપ્રદાયિક તોફાનો પર લખી છે.’ એમની સમગ્ર કવિતા ઈ.સ. ૨૦૧૧થી ઉપલબ્ધ થઈ છે.
પ્રતિરોધની પરંપરાના એક પ્રતિનિધિને સલામ સાથે એમની કવિતા
“તુમ બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાઁ થે ભાઈ,
વો મૂર્ખતા વો ઘામડપન, જિસમેં હમને સદી ગવાઈ,
આખિર પહુંચી દ્વાર તુમ્હારે, અરે બધાઈ બહુત બધાઈ,
પ્રેત ધરમ કા નાચ રહા હૈ, કાયમ હિન્દુરાજ કરોગે ?
સારે ઊલટે કાજ કરોગે, અપના ચમન દરાજ કરોગે,
તુમ ભી બૈઠે કરોગે, સોચા પૂરી હૈ વૈસી તૈયારી,
કૌન હૈ હિન્દુ કૌન નહીં હૈ, તુમ ભી કરોગે ફતવે જારી,
હોગા કઠિન યહાઁ ભી જીના, રાતો આ જાયેગા પસીના,
જૈસીતેસી કટા કરેગી, યહાઁ ભી સબકી સાઁસ ઘૂટેંગી,
કલ દુઃખ સે સોંચા કરતી થી, સોંચો બહુત હંસી આજ આઈ
તુમ બિલકુલ હમ જૈસે નિકલે, હમ દો કૌમ નહીં થે ભાઈ!
ભાડ મેં જાએ શિક્ષા-વિક્ષા, અબ જાહિલપન કે ગુણ ગાના,
આગે ગઢ્ઢા હૈ યે મત દેખો, વાપસ લાઓ ગયા જમાના,
વશ્ટ કરો તુમ આ જાગેયા, ઊલટે પાઁવ ચલતે જાના
ધ્યાન ન મન મેં દૂજા આયે, બસ પીછી હી નજર જમાના,
એક જાપસા કરતે જાઓ. બારમ-બાર યહી દોહરાઓ,
કિતના વીર મહાન થા ભારત, કૈસા આલિશાન થા ભારત
ફિર તુમ-લોગ પહુઁચ જાઓગે, બસ પરલોક પહુઁચ જાઓગે,
હમ તો હૈં પહલે સે યહાઁ પર, તુમ ભી સમય નિકાલતે રહના
અબ જિસ નરક મેં જાઓ વહાઁ સે, ચિઠ્ઠી-વિઠ્ઠી ડાલતે રહના”
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 12
ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-5
અમેરિકન ઇતિહાસકાર જેરાલ્ડિન એચ. ફોર્બ્સ દ્વારા સંપાદિત તથા 1977માં પ્રકાશિત મૂળ અંગ્રેજીમાં લખાયેલ આત્મકથા 'અ પેટર્ન ઓફ લાઈફ' તેની લેખિકાના જીવન ઉપરાંત વર્ષ 1900 થી 1930ના ત્રણ દાયકાના ગાંધીપ્રેરિત સ્વતંત્રતા આંદોલનનો તાદ્રશ ચિતાર આપે છે. સંપાદક જેરાલ્ડિન ફોર્બ્સના શબ્દોમાં 'આ આત્મકથા ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીએ આપેલ પ્રદાનનો એક સચોટ ‘કેસ સ્ટડી' ગણાવી શકાય તેમ છે.' લેખિકા શુધા મઝુમદારે (જ. 1899) આ પુસ્તકમાં માંડેલ પોતાના જીવન પર ગાંધીજીની અસરની વાત માંડતા પહેલાં આજે આ અસામાન્ય આત્મકથાનું 'પ્રાક્કથન' લખનાર બ્રિટિશકાળના અવિભાજિત બંગાળના તત્કાલિન ઓસ્ટ્રેલિયન ગવર્નર આર.સી. કેસીનાં પત્ની લેડી કેસીએ આ પુસ્તક માટે લખેલ 'પ્રાક્કથન' તથા સંપાદક જેરાલ્ડિન એચ. ફોર્બ્સની પ્રસ્તાવનાના અનુવાદિત અંશો જોઈશું. આ બંને વિદેશી મહિલાઓ શુધા મઝુમદારની આ આત્મકથામાં ભારતીય સ્ત્રીના જીવનમાં સ્વતંત્રતા આંદોલન તથા ગાંધી વિચારધારાએ ખોલી આપેલ નવી દિશાને મહત્ત્વ આપે છે.
•••••••
શુધા સાથેના પરિચયના લગભગ 50 વર્ષ બાદ, એટલે કે 1973માં, લેડી કેસીએ શુધા મઝુમદારની આત્મકથા માટે લખેલા 'પ્રાક્કથન'માંથીઃ
વર્ષ 1944માં અખંડ બંગાળના ગવર્નર તરીકે મારા પતિ આર.સી. કેસીની બે વર્ષ માટે કલકત્તા ખાતે નિમણૂક થયેલી. તે દરમિયાન મારી ઓળખાણ એક ગર્ભશ્રીમંત વિદૂષી, અનુવાદક શ્રીમતી શુધા મઝુમદાર સાથે થયેલી … એક ઓસ્ટ્રેલિયન તરીકે મારો તત્કાલિન ભારત પ્રત્યેનો અભિગમ શુધા સાથેની ચર્ચાઓથી પ્રભાવિત હતો … શુધાની પ્રસ્તુત આત્મકથા તેના જન્મ એટલે કે વર્ષ 1899થી લઈને વર્ષ 1930 સુધીની વાત કરે છે. ભારતની સ્વતંત્રતા સંદર્ભે 20મી સદીના પ્રારંભકાળના આ ત્રણ દસકોનું ઘણું મહત્ત્વ છે. આ જ એ વર્ષો હતાં કે જ્યારે રાષ્ટ્રવાદ તથા સ્વતંત્રતા આંદોલનના શ્રીગણેશ થયેલા. મોહનદાસ કરમચંદ ગાંધી, મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુ જેવા રાષ્ટ્રીય નેતાઓનો ઉદય આ સમયે જોઈ લો … આ પ્રકારનું પુસ્તક ભવિષ્યમાં લખી શકાશે તેવું હું નથી માનતી. કેમ કે તે વખતની નોખી પેઢી અને સ્વતંત્રતા આંદોલનનો એ સમય દુર્લભ હતા.
••••••••
આત્મકથાના સંપાદક અમેરિકન ઇતિહાસકાર કેરોલિન એચ. ફોર્બ્સની પ્રસ્તાવનામાંથીઃ
હું શુધા મઝુમદારને 1970માં પ્રથમવાર મળેલી. કારણ હતું બે પેઢી પહેલાંના તેમના મામા જોગેન્દ્રો ઘોષ અંગે મારા સંશોધન માટે માહિતી મેળવવાનું. પરંતુ બે-ત્રણ મુલાકાતો બાદ જોગેન્દ્રો ઘોષ અમારી વાતચીતમાંથી પડતા મુકાયા અને શુધા પોતાના જીવનની વાતો કરવા માંડી. વાતવાતમાં તેણે મને 'કંઈક' બતાવવાની ઇચ્છા કરી. મેં હા પાડી અને તરત તે પોતાના ખંડમાં જઈને 'કંઈક', એટલે કે વર્ષો પહેલાં તેણે લખેલ આત્મકથાની 500 પૃષ્ઠની હસ્તપ્રત, લઈ આવી. મને તેની આત્મકથામાં અનહદ રસ પડ્યો … એક ઇતિહાસકારને એક દેશ અને કોઈ વ્યક્તિમાં જેટલો રસ પડે તેટલો રસ પડ્યો … હું તે હસ્તપ્રતને મારી સાથે ઇલિનોઈ યુનિવર્સિટી લેતી ગઈ. પાંચ-સાત અમેરિકન પ્રોફેસર મિત્રોએ આ પ્રત વાંચી. અને તેને વ્યક્તિગત જીવનના ચિતાર કરતાં ગાંધીયુગીન સ્વતંત્રતા આંદોલનના જીવંત દસ્તાવેજ તરીકે નવાજી. તેમને મન શુધાની આ હસ્તપ્રત એક અણમોલ દસ્તાવેજ હતી. એક એવો દસ્તાવેજ કે જે બ્રિટિશ રાજની નોકરી કરતા ભારતીય સિવિલ ઓફિસરની પત્નીએ ઘણા બધા રાજકીય નિયંત્રણો વચ્ચે લખી હતી … 1972માં હું શુધાને મળવા અને તેની હસ્તપ્રતને પ્રકાશિત કરવા માટે સમજાવવા ખાસ ભારત આવી. શુધાના નિવાસસ્થાને તેની હાજરીમાં મેં કદાચ ક્યારે ય ન છપાવવા માટે લખાયેલ, આ હસ્તપ્રતની પ્રેસ કોપી તૈયાર કરી. પુસ્તકના પ્રકાશનમાં પાંચ વર્ષ લાગ્યાં. એ પાંચ વર્ષ દરમિયાન હું ભારતીય સ્ત્રીના સશક્તિકરણ તથા તેમના વિકાસમાં સ્વતંત્રતા આંદોલન તથા ગાંધીજીએ આપેલ ફાળાને બરાબર સમજતી થઈ. અને માટે મારે મન શુધાની આ આત્મકથા એક અમૂલ્ય ખજાનાસમી બની રહી … એ વર્ષોમાં અદનામાં અદનો ભારતીય ગાંધી જીવનમૂલ્યો પ્રમાણે જીવવા પ્રયત્નશીલ હતો. આ પુસ્તક ભારતીયોના એ પ્રયત્નનું જીવંત સાક્ષી છે … 1900થી 1930 દરમિયાન જીવાયેલ એક ભારતીય સ્ત્રીના જીવનનો આ દસ્તાવેજ રાષ્ટ્રપ્રેમ તથા મહાત્મા દ્વારા પ્રેરિત અગણિત ભારતીય સ્ત્રી-પુરુષોનો વિરાટ બ્રિટિશ સલ્તનત સામેનો અહિંસક સંઘર્ષની નાટ્યાત્મક, માન્યામાં ન આવે તેવી, કહાણી છે.
આ પુસ્તકનું દસ્તાવેજીકરણ ઘણા કારણોસર મહત્ત્વપૂર્ણ છે. પ્રથમ આ એક વ્યક્તિગત લેખન હોઈ તેમાં અપાયેલ તત્કાલિન સમયના ચિતારને વધુ આધારભૂત બનાવે છે. દ્વિતીય આ એક સ્ત્રીના જીવન અને તેમાં આવેલ અને જીવાયેલ પરિવર્તનની વાત કરે છે. જેના પરથી સમગ્ર ભારતીય સ્ત્રીવર્ગના જીવનમાં આવેલ પરિવર્તન સમજી શકાય તેમ છે. અને તૃતિય, આ જીવનકથાને એક ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીએ આપેલ પ્રદાનનો ‘કેસ સ્ટડી' તરીકે સ્થાપીને એ વર્ષો દરમિયાન રાષ્ટ્રીય આંદોલનમાં ભારતીય સ્ત્રીના પ્રદાનને મૂલવી શકાય તેમ છે.
1900 થી 1930નો સમય એટલે ગાંધીયુગીન ભારતીય સ્ત્રીઓની જાગૃતિનો પ્રારંભકાળ. ગાંધીએ સ્ત્રીઓને ઘરનો ઉંમર ઓળંગીને રાજકારણ, સ્વતંત્રતા આંદોલન, સ્વદેશી, અસહકાર અને પિકેટીંગ જેવી ચળવળમાં પ્રવૃત્ત કરી. ગાંધીના પ્રોત્સાહન અને પ્રેરણાથી પરંપરાવાદી રોલને ત્યજીને સ્ત્રીઓએ પોતાના પરિવાર તથા સમાજની સંમતિ સાથે ઘર બહાર પગ માંડ્યા. તેમનો નવો રોલ કુનેહ માગી લેતો હતો. ઘર અને બહાર, પરિવાર અને સમાજ બંને પ્રત્યેની જવાબદારીઓ શુધાની પેઢીની સ્ત્રીઓએ બરાબર નભાવી. ગાંધીજીના પ્રભાવ તળે સ્ત્રી જીવનમાં આવેલ આવા પરિવર્તનને કારણે પારિવારિક તથા સામાજિક જીવનમૂલ્યો પર પણ અસર થઈ. નવા સ્વસ્થ જીવનમૂલ્યો વિકસવાનો પ્રારંભ થયો. શુધા પોતે એક પરંપરાવાદી જમીનદાર પરિવારની દીકરી હતી. તારાપદ ઘોષ તથા ગિરિબાલાના ઘરે જન્મેલ આ દીકરીના દાદા મોહનચંદ ઘોષ પોતે બ્રિટિશ રાજમાં સિવિલ સર્વન્ટ હતા. પરિવારમાં સમૃદ્ધિનો પાર ન હતો. જોગેન્દ્રોચંદ્ર ઘોષ પણ આ જ પરિવારના સભ્ય હતા. પશ્ચિમી દેશોમાં જોગેન્દ્રોની પૂછ હતી. પરંતુ આવા વૈચારિક રીતે પ્રગતિશીલ પરિવારમાં સ્ત્રીઓ તો જનાનખાનામાં જ રહેતી. સ્ત્રીવર્ગનું ક્ષેત્ર ફક્ત રસોડું અને ધર્મ સુધી સીમિત હતા. 13 વર્ષની થતાં થતાં શુધાના લગ્ન મુર્શીદાબાદના એક વૈભવી પરિવારના નબીરા સાથે થઈ ગયા. નાનકડી શુધા લગ્ન બાદ પ્રેમ કરતાં શીખેલી … એકવાર તેણે મને કહેલું, 'અમારે ત્યાં રિવાજ એવો કે લગ્ન પહેલાં થાય અને પ્રેમ ત્યારબાદ.' શુધાનો પતિ ભણીગણીને બંગાળ સિવિલ સર્વિસમાં મોટા પદે નિયુક્ત થયેલો. એ સુધારાવાદી પુરુષ પોતાની પત્નીને પ્રોત્સાહન આપતો. લગ્ન બાદના પતિની ટ્રાન્સફર્સના સમય દરમિયાન શુધા શિક્ષણ, સંગીત તથા સાહિત્યમાં પ્રવૃત્ત થઈ. એક સમાજસેવી સિનિયર મહિલાની છત્રછાયામાં તેણે મહિલા વિકાસના ક્ષેત્રમાં ઝંપલાવ્યું.
બ્રિટિશ ભારતમાં બંગાળની સિવિલ સર્વિસના મોટા ઓફિસરની પત્ની તરીકે શુધા પોતાનો રાષ્ટ્રપ્રેમ કે ગાંધી મૂલ્યો પ્રત્યેનું તેનું સમર્પણ વ્યક્ત કરી શકે તેમ નહોતી. તે વાત નક્કી. એમ કરે તો પતિની નોકરી જોખમાય તેમ હતું. પણ તો ય અંદરખાને સ્વતંત્રતા આંદોલન અને ગાંધી મૂલ્યોમાં તેનો વિશ્વાસ અતૂટ હતો. 1920માં કલકત્તામાં ભરાયેલ અધિવેશનમાં તેણે હાજરી પણ આપેલી. અને તે અધિવેશનમાં ગાંધીજીએ આપેલ વક્તવ્યથી તે પ્રભાવિત થઈ હતી … આ એ જ સભા હતી જેમાં અંગ્રેજ સરકાર સાથે ભારતીઓએ અસહકાર કરવો તેવો નિર્ણય લેવાયો હતો. શુધાનો પત્નીધર્મ તેના રાષ્ટ્રપ્રેમમાં હંમેશાં નડ્યા કર્યો. પરંતુ ગાંધીજીનું સ્વદેશી તથા અહિંસક અસહકારનું સાધન ફક્ત બ્રિટિશરોને ભારત છોડાવવા માટે ન હતું. મહિલાઓના ઉદ્ધાર માટે કામ કરી રહેલ શુધા જેવી વિચક્ષણ સ્ત્રીની નજરે જોતાં ગાંધીના એ મૂલ્યો ભારતીય સ્ત્રીના સશક્તિકરણનું માધ્યમ પણ હતાં … ભલે એક બ્રિટિશ રાજના તાબેદાર સેવકની પત્ની તરીકે શુધા સ્વતંત્રતા આંદોલનમાં પ્રત્યક્ષપણે ભાગ લેવા સમર્થ ન હતી, પરંતુ તે આંદોલનનો સ્ત્રી જીવન પર પડી રહેલ હકારાત્મક અસર તથા પરિવર્તન તે અનુભવી રહી હતી. પોતે જેને કાર્યક્ષેત્ર તરીકે અપનાવ્યું હતું તેવા સ્ત્રી સશક્તિકરણના ક્ષેત્રે આસપાસ બની રહેલ રાજકીય ઘટનાઓનું કેવું વિશેષ મહત્ત્વ હતું તે શુધા સમજી રહી હતી. અને તેથી પોતાના શયનખંડના એકાંતમાં બેસીને લખાઈ રહેલ આત્મકથામાં આ બધા જ અનુભવોનું સતત દસ્તાવેજીકરણ કરી રહી હતી. ભલે તે પોતે સરોજિની નાયડુની જેમ જાહેરમાં પ્રદાન ન કરી શકે, પરંતુ આ બધી ઐતિહાસિક ઘટનાઓના એક સમર્થ સબળ અને સાક્ષર સાક્ષી તરીકે તે આ સમગ્રને પોતાની કલમ દ્વારા બિરદાવી શકે તેમ તો હતી જ.
… શુધાની આત્મકથા વર્ષ 1930 સુધી આવતાં આવતાં પૂર્ણ થાય છે. તેનું કારણ કદાચ એ હોઈ શકે કે 1930 સુધી પહોંચતા સુધીમાં શુધાના વ્યક્તિત્વને ઘાટ આપનાર વર્ષો સમાપ્ત થાય છે … મારે મન શુધા મઝુમદારની આ આત્મકથા તત્કાલિન સ્ત્રી જીવન પર પડેલ ગાંધીયન મૂલ્યોના પ્રભાવનો એક સરસ કેસ સ્ટડી છે.
E-mail : ranjanaharish@gmail.com
સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની કોલમ, “નવગુજરાત સમય”, 02 જાન્યુઆરી 2019