આ કથાનું શબ્દાંકન નેહા સાવંતનું છે. અનુવાદ દેવયાની દવેનો છે. પ્રકાશક : અરુણોદય. મૂલ્ય :₹ 120-00.
કૃષ્ણાનું લાડનું નામ કિશા. એમને ફોટામાં જુઓ તો પ્રભાવશાળી, જાજરમાન લાગે. પ્રથમ છાપ જ એવી પડે કે બાંધો મજબૂત હશે. ચહેરા પર નિર્ભીકતા એકદમ બોલકી. સહજ સ્મિતમઢી મોંકળા અને માયાળુ નજર ધ્યાનાકર્ષક. એની સામે નારાયણ સુર્વે ફોટામાંથી ય થોડા અકળ, બીડાયેલા હોઠોના કારણે મક્કમ નિર્ણયશક્તિ ધરાવનાર નિજાનંદી લાગે. એ બન્નેની સામ્યતા એ કે બાળપણથી જ એમણે માતાપિતાની છત્રછાયા ગુમાવેલી. નારાયણ તો કચરાપેટી આગળથી એમના પાલકપિતાને મળેલા. તેથી એમને ઓળખ મળી નારાયણ ગંગારામ સુર્વે તરીકે. બન્ને સાખપાડોશી. દાદીએ કિશાને ભરપૂર પ્રેમથી સાચવ્યાં અને ઉછેર્યાં. ભરચક સંયુક્ત પરિવારમાં કેળવ્યાં પણ ખરાં. ભણ્યાં નહીં છતાં કોઠાસૂઝ અને ડહાપણ તો મળ્યું. પોતાનાં બાળપણ, દાદી અને નાની, ફોઈ અને કાકાઓ, પિતરાઈઓ અને એમની સાથેની જીવનચર્યા વિશે એ પારદર્શક, નિર્ભેળ, સહજ વર્ણન કરી શકે છે. પારકાં-પોતાનાંનાં ભેદ, માણસોની વર્તનવ્યવહારની રીત વિશે સ્પષ્ટ સમજ એમને છે. પ્રેમ, આકર્ષણ, સંબંધનું મૂલ્ય અને ગરિમા વિશે પણ અત્યંત સ્પષ્ટ વલણ એમને સહજ સાધ્ય લાગે. આજથી પચ્ચોતેર એંસી વર્ષ પહેલાંનાં મુંબઈની મિલોના શ્રમિકોની પારિવરિક જિંદગીની વાતો કિશા સરળતાથી પોતાની અભિવ્યક્તિમાં વણી લે છે.
નારાયણને પોતે સામેથી કહી શકે છે કે મારા કાકા મારા પાલક નથી. તમારે કોઈ નથી, મારું પણ અત્યારે કોઈ નથી. આપણે એકબીજાંનો હાથ પકડીએ, એમાં શું ખરાબ છે? આજી (દાદી) નારાયણને પસંદ કરતાં હતાં. કિશા નારાયણને ‘માસ્તર' તરીકે જ ઓળખાવે છે. માસ્તરની કમ્યુિનસ્ટ ચળવળ, ભાષણ, પ્રવૃત્તિ અને સ્વભાવ બધ્ધું એને ગમતું હતું! એમને વિશે કિશાની ભાવના સાફ અને સ્પષ્ટ હતી તેથી પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરવામાં એને સંકોચ થયો નહીં. માસ્તર સાથે લગ્ન થયાં તે દિવસનું કોર્ટનું વાતાવરણ અને અકિંચન વર સાથે શરૂ થયેલી ઉપર આભ નીચે ધરતી જેવી વાસ્તવિક જિંદગીની શરૂઆત કિશાને બિહામણી લાગતી નથી. મરાઠા, મહાર, બૌદ્ધ એવા કોઈ ભેદભાવ કિશાના મનમાં નથી. સાચા અર્થમાં કમ્યુિનસ્ટ. ભણતરથી શીખેલી જીવનશૈલી નહીં. વાસ્તવિક ચણતર, પણતર, ગણતર અને જણતરની દાસ્તાન.
અભણ તો કહેવાં પૂરતાં, તે સમયે પણ કુટુંબ નિયોજનની સભાનતા એમને પૂરેપૂરી! તે જ રીતે પગભર રહેવાની અનિવાર્ય સમજ અને પ્રબળ વૃત્તિયે પૂરેપૂરી. ફૂટપાથ પરથી દુકાનના ઓટલા, એક ઓરડાનું ઘર, કારમી ગરીબી અને સંસારલીલાની ચઢતી ઊતરતી વાસ્તવિકતાને એમણે પચાવી. પોતાની જવાબદારી પર જ ચાર સુવાવડ કરી. હંમેશાં પોતાનું કામ ચાલુ જ રાખ્યું. શાળામાં પટાવાળા તરીકે વફાદારીથી કામ કરતાં રહ્યાં. માસ્તરને એટલા મુક્ત રાખ્યા કે ખરા અર્થમાં એમને પટાવાળામાંથી માસ્તરની પદવીએ પહોંચવામાં પીઠબળ પૂરું પાડ્યું. માસ્તર કવિ અને વક્તા તરીકે વિકસતા રહ્યા એમાં પોતે જે ફાળો આપ્યો તે વિશે ય કૃષ્ણાબાઈ એટલાં જ સ્પષ્ટ અને સભાન. માસ્તરને નાનીનાની વાતો શીખવીને મેં ઘડ્યા છે એવું અભિમાનપૂર્વક કહેવામાં એમને સંકોચ નથી અને એટલે જ એ મારાં તો પ્રીતિપાત્ર બને છે. જે રીતે પતિને આગળ વધવા પ્રોત્સાહિત કરતાં રહે છે તે રીતે પોતાનાં સંતાનોના વિકાસ માટે ય ઉત્સુક છે જ. રવિ, શ્રીરંગ, કલ્પના, કવિતા વિશે પણ એમને ગાંધારીની દ્રષ્ટિ કે ધૃતરાષ્ટ્રભાવના નથી. જે ગુણો દેખાયા છે તેની વાતની સાથે પારદર્શકતાથી એમના વિશેની પોતાની ભાવના પણ દર્શાવે છે. પોતે ક્યાં ભૂલ કરી તે વિશે જે સમજાયું તેની રજૂઆત એઓ નિસંકોચપણે કરે છે.
પોતાનાં દોહિત્ર – પૌત્રીઓને ઉછેરવાની જવાબદારી સહજપણે જ માથે લઈ લે છે, બાળપણની જ નહીં પરણાવવા સુધીની! ક્યારે ય કોઈના પર ઉપકાર કર્યો હોય એવો ભાવ નહીં કે સામે અપેક્ષા નહીં. નખશીખ માતૃવાત્સલ્ય. બધું અનાયાસ, સહજ. જે રીતે સામે આવ્યું તે રીતે સ્વીકૄત. એકદમ રેશનલ, સ્થિતપ્રજ્ઞા. માની મઢૂલીમાં બધાંને સ્થાન. એની ખાસ દાદફરિયાદ નહીં. એમની કથામાંથી પસાર થતાં થતાં મેં જાતને સતત સંકોર્યાં કરી. જીવનને વિકસાવવાં ખરેખર શાની જરૂર પડે? મારે કહેવું જોઈએ કે મેં મારી આસપાસની અનેક સ્ત્રીઓ વિશે લખ્યું છે. ઘણી સ્ત્રીઓનાં આત્મકથન વાચ્યાં અને સાભળ્યાં છે, અનેકના પ્રશ્નોના ઊકેલ માટે પ્રયત્નો કર્યાં છે તોયે કૃષ્ણાબાઈની કથા સોંસરી ઊતરી છે.
એમનાં કથાનકની કેટલીક ઝલક જે એમનાં વ્યક્તિત્વને ઉજાગર કરે છે :
"મારા પિતાના ગયા પછી મારી માનાં મનમાં થયું હશે કે પતિ તો ગયા તેમના સિવાય જીવવું કેવી રીતે? ખોળામાં એકની એક છોકરી છે તેને એકલીને કોને આધારે મૂકીને મિલમાં કામે જાઉં? એ સમયનાં લોકો પણ વિચિત્ર હતાં. મારા કાકાઓ દારૂબારૂ પીતા હતા. તો આવા પુરુષોના ઘરમાં વિધવા તરીકે કેવી રીતે જીવાય? “(પાનું-૨) આમ માનાં આત્મકથન સાથે કિશા માની આત્મહત્યાની વાત કહે છે.
"પોતે (આજી-દાદી) ઘર છોડી બહાર જાય નહીં અને મને પણ જવા દે નહીં, હવે મને પણ એવી ટેવ પડી ગઈ છે. મને ઘરમાં રહેવું ગમે છે. અને મારે ઘરે કોઈ આવ્યું હોય તો જમાડ્યા વગર જવા દેતી નથી. આજીના સંસ્કાર મારામાં ઊતર્યા છે. મારી આજી કામમાં વાઘ જેવી ખાસ કરીને, રાંધવા કરવામાં."(પાનું-૮)
"આજીના શબ્દો મારા માટે કીંમતી હતા. આજીને જે ગમે તે સારું જ હોય એવી મને ખાતરી હતી. હે રામ! તેને (નારાયણ) કોઈ નથી તો મારે પણ કોણ છે? એકાદ લંગડી છોકરી આંધળા છોકરાનો હાથ ઝાલે એમાં ખરાબ શું? તેરમાં ચૌદમાં વર્ષે મારાં મનમાં પ્રગટેલી આ પહેલી જ ભાવના હતી. આને જ પ્રેમ કહેવાય શું? મને કંઈ સમજાતું નહોતુ.” (પાનું-૧૪) દાદીની નારાયણ પ્રત્યેની લાગણીથી પ્રેરિત કિસાની નારાયણ પ્રત્યેની પ્રેમની અનુભૂતિ પછી લગ્નમાં પરિણમી.
"સ્ત્રીઓ તેને માસ્તર કહેતી. એક ચોક અને બ્લેકબોર્ડ લઈ મતદાન માટે ચોકડી મારવાનું શિખવાડતો હતો. મને બોલાવી ચોકડી મારવા કહ્યું. મારી લીટી વાંકી જતી હતી. કદી હાથમાં ચોક પકડ્યો જ નહોતો ને? “આ શું કરો છો? સાદી ચોકડી મારવાનું પણ ફાવતું નથી તમને! બાકીની બહેનો જુઓ કેવી ચોકડી મારે છે?” મને ત્યારે ગુસ્સો આવ્યો. બહેનોને એએવું તે શું શીખવ્યું કે પોતાને મોતો માસ્તર સમજવા લાગ્યો! ત્યારથી તેને નીચો દેખાડવા માટે માસ્તર કહેવા લાગી.” (પાનું-૧૬)
"મારે આજી હતી. માસ્તરને એવું કોઈ નહોતું. તેમને કોઈએ પ્રેમ કર્યો નહીં. એ બિચારો શું કરે? હંમેશાં કોઈના ઉપકાર પર જ જીવતા હતા. કોઈ આપે તે ખાવાનું, કોઈ કપડાં આપે તે પહેરવાના, કદી કોઈનું શર્ટ, કદી કોઈનું પેન્ટ. આવા વેશમાં જોતી તો દિલ દુખતું, થતું કે માણસ છે તે પણ. જાતિ, ધર્મનું લેબલ નથી તે કંઈ તેનો ગુનો છે! કંઈ નહીં, લીકોએ તેને ધૂત્કાર્યો પણ હું એવું નહીં કરું. જે થવું હોય તે થાય. હવે એનો હાથ પકડવાનો તો છોડવાનો નહીં એવો પાકો નિર્ણય મનમાં કર્યો.” (પાનું-૧૯)
"આજીના ઘેર હું સ્વતંત્ર રૂમમાં રહેતી હતી. અહીં ઝૂંપડુ મળ્યું. આછીપાતળી મદદ મળતી. અમારા માટે તે કીંમતી હતી. નોકરી નથી, વ્યવસ્થિત ઘર નથી તો સંસાર વધારીને ચાલશે નહીં. આ બાબતમાં મને કોઈ માહિતી નહોતી. માસ્તરને તો જરા પણ નહીં. મેં નિર્ણય લીધો ને પહોંચી નાયગાંવ આરોગ્ય કેંદ્રમાં સંતતિનિયમનની માહિતી માટે”. (પાનું-૩૬)
આવા સીધાસાદા અનેક અવતરણો અહીં નોંધી શકાય એમ છે. વખત જતાં નારાયણ ખૂબ પ્રખ્યાત સાહિત્યકાર અને કર્મશીલ બને છે. અનેક એવોર્ડ મળે છે. પદ્મશ્રી નારાયણ સુર્વે તરીકે સન્માનિત થાય છે. જિંદગીના અનેક ચઢાવ ઊતરાવ આવે છે. સંતાનોના પ્રશ્નો, નારાયણભાઉની અતિ વ્યસ્તતા, આજુબાજુ અનેક પરિવર્તનના માહોલમાં ય કૃષ્ણાતાઈ તો તેવા જ રહે છે જેવા એ હતા. આખી કથામાંથી પસાર થતાં રહી રહીને એક જ વિચાર આવ્યા કરે કે પદ્મશ્રીના ખરા હક્કદાર કોણ
આ જીવનકથામાંથી હું શીખી કે આપણે જે છીએ તે જ દેખાવું અને સ્વીકારવું. કિશાબા તમને દિલથી પ્રણામ.
વલસાડ