પ્રસ્તાવના
ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીની શબ્દસૃષ્ટિનો પરિચય કરાવતા લેખોના આ સંપાદન વિષે લખતાં સૌથી પહેલાં બે અંગત વાતો યાદ આવે છે. ડૉ. શ્રીધરાણીને દૂરથી પણ કયારે ય જોયા હોય એવું યાદ નથી. પણ લેખક શ્રીધરાણીનો પહેલો પરિચય મુંબઇની ન્યૂ ઇરા સ્કૂલમાં ભણતો હતો ત્યારે થયો, અને એ પરિચય હતો નાટયકાર શ્રીધરાણીનો. અમે વિદ્યાર્થીઓએ ‘વડલો’ નાટક ભજવેલું. તેમાં આ લખનારને ભાગે ‘વડલો’નું પાત્ર ભજવવાનું આવ્યું હતું. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું હતું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઇને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું.
ડૉ. શ્રીધરાણી સાથેનો પહેલો ઋણાનુબંધ ‘વડલો’ નાટકમાંની ભજવણીમાં ભાગ લીધો તે, તો બીજો ઋણાનુંબંધ તેમના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિષે એક લેખ લખ્યો અને મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળના ‘રશ્મિ’ નામના વાર્ષિકમાં એ છપાયો તે. ‘રશ્મિ’માં કૉલેજના વિદ્યાર્થીઓનાં લખાણો ઉપરાંત આપણી ભાષાના અગ્રણી લેખકોનાં લખાણો પણ છપાતાં એટલે ‘રશ્મિ’ની શાખ સારી હતી. એટલે તેમાં ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખ છપાયેલો જોઇને જે અધધધ આનંદ થયેલો તે પછી કયારે ય થયો નથી. સમીક્ષા, અનુવાદ, સંપાદન, સંશોધનનાં ક્ષેત્રે જે થોડુંઘણું કે ઘણું થોડું કામ થઇ શક્યું છે તેનો આરંભ ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખથી થયેલો એ ભૂલી શકાય એમ નથી.
ડૉ. શ્રીધરાણીની શાખ આપણે ત્યાં મુખ્યત્વે કવિ તરીકેની છે, પણ તેમનું નાટયસર્જન પણ પહેલેથી છેલ્લે સુધી કવિતા લેખનની સમાંતર રહીને ચાલતું રહ્યું છે. તેમનું પહેલું નાટક ‘વડલો’ ૧૯૩૧માં પ્રગટ થયું. ‘સંસ્કૃિત’ના ઑકટૉબર ૧૯૫૬ના અંકમાં ‘મારે થવું છે (એકાંકી ઠઠ્ઠા પ્રહસન)’ છપાયું છે. ઘણા ‘મારે થવું છે’ને બાળનાટક ગણે છે. પણ ‘સંસ્કૃિત’માં બાળસાહિત્યની કૃતિઓ છપાતી? અપવાદ રૂપે છાપી હોય તો ઉમાશંકરે તે અંગે નોંધ ન મૂકી હોત? વચમાંનાં વર્ષોમાં ડૉ. શ્રીધરાણીએ ‘પીળાં પલાશ’, ‘બાળા રાજા’, ‘સોનાપરી’, જેવાં બાળકો માટેનાં નાટક આપ્યાં. બાળકો માટે ડૉ. શ્રીધરાણીએ વધુ લખ્યું હોત તો આજે આપણું બાળસાહિત્ય થોડું ઓછું રાંક લાગતું હોત. આ ઉપરાંત ‘મોરનાં ઇંડા’ જેવું સામાજિક ત્રિઅંકી નાટક અને ‘પદ્મિની’ જેવું ઐતિહાસિક ત્રિઅંકી નાટક પણ તેમણે આપ્યું. તો ‘પિયોગોરી’ પુસ્તકમાં તેમનાં દસ એકાંકી સંગ્રહાયાં છે. બંગાળના કે મહારાષ્ટ્રના લોકોના લોહીમાં નાટક અને રંગભૂમિ જેટલાં ભળી ગયાં છે એટલાં આપણા લોહીમાં ભળ્યાં નથી, એટલે ભજવાતાં કે છપાતાં નાટકોની આપણા વિવેચને ઝાઝી દરકાર કરી નથી. પણ ચન્દ્રવદન મહેતાએ શ્રીધરાણીનાં નાટકો વિષે કહ્યું છે તે સાવ સાચું છે. “આ કૃતિઓમાં અર્ક કાવ્યનો છે, મહેક નાટકની છે.”
દક્ષિણામૂર્તિની ભૂમિ એ ડૉ. શ્રીધરાણીની કવિતાની જન્મભૂમિ. સ્થૂળ અર્થમાં તો ખરી જ, પણ તેથી વધુ તો સૂક્ષ્મ અર્થમાં. જૂનાગઢની નવાબી નિશાળમાં નપાસ થઇને ભણવા આવેલો પંદર-સોળ વર્ષનો કિશોર એક સાંજે પ્રાર્થનામંદિરની અગાસી પર બેસીને શુક્રના તારા સામે તાકી રહ્યો છે. એકાએક કાવ્યપંક્તિઓ ટપકવા લાગે છે. છોકરો એ રચના ગુજરાતીના શિક્ષક ગિરીશભાઇને બતાવે છે અને શિક્ષક કહ્યા કારવ્યા વિના એ કૃતિ ‘કુમાર’ માસિકને મોકલી દે છે. છપાઇને આવે છે ત્યારે છોકરાની છાતી ગજગજ ફૂલે છે. પણ આપણે માટે થોડો ગૂંચવાડો ઊભો થાય તેમ છે: શ્રીધરાણીનું આ પહેલું કાવ્ય તે કયું ? ૧૯૩૪માં પ્રગટ થયેલી ‘કોડિયાં’ની પહેલી આવૃત્તિમાં અંતે ‘કાલક્રમિકા’ આપી છે તેમાં પહેલું કાવ્ય નોંધાયું છે તે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૭ના દિવસે લખાયેલું ‘હું જો પંખી હોત’. તેનો આરંભ “પ્રભુ પાથર્યા લીલમડા શા / ખેતર વાઢ મહીં વિચરું” એ પંક્તિઓથી થાય છે. પણ ‘કુમાર’ના જૂન ૧૯૨૭ના અંકમાં ૨૫૭મા પાના પર બાળવિભાગમાં શ્રીધરાણીના નામ વગર છપાયું છે તે કાવ્ય આ નથી, એ તો છે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે” એ પંક્તિઓથી શરૂ થતું કાવ્ય. આ કાવ્ય કોડિયાંની પહેલી આવૃત્તિમાં ૧૭૭મા પાને છપાયું છે. પણ ‘કાલક્રમિકા’માં તો તેની રચ્યા તારીખ ૨૪ એપ્રિલ ૧૯૨૮ આપી છે ! સંભવત: અહીં બે કાવ્યોની રચ્યા તારીખની અદલાબદલી થઇ ગઇ છે. જેનું શીર્ષક ‘કોડિયાં’માં ‘અભિલાષ’ છે તે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે”થી શરૂ થતું કાવ્ય ૧૯૨૭ના જૂન અંકમાં તો ‘કુમાર’માં છપાયું છે. એટલે તે ૧૯૨૮માં ન જ રચાયું હોય. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી ઑગસ્ટ ૧૯૬૦ના કુમારના અંકમાં તેમને અપાયેલી અંજલિમાં લખ્યું છે: “તેમણે લખેલું કાવ્ય ‘તારા, તારા’ ‘કુમાર’ના છેક ૪૨મા અંકમાં પ્રગટ થયું, એ તેમનું પહેલું પ્રસિદ્ધ કાવ્ય. ત્યારથી આખર સુધી ‘કુમાર’ સાથેનો તેમનો સંપર્ક અખંડ રહ્યો હતો.” (પા. ૩૪૨). એટલું જ નહીં, ૧૯૫૨ના જાન્યુઆરીના ‘સંસ્કૃિત’ના અંકમાં પ્રગટ થયેલ લેખ ‘હું અને કવિતા’માં શ્રીધરાણીએ પોતે ‘તારા, તારા’ થી શરૂ થતા કાવ્યને પોતાના પહેલા કાવ્ય તરીકે અને ‘કુમાર’માં છપાયેલા પોતાના પહેલા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે. પછી કહે છે “કવિજીવનની શરૂઆત આમ અભિલાષથી જ થઇ, અને એક કુમારની પહેલી કૂંપળ પ્રગટી. સન ૧૯૨૭ની વાત છે.” એટલે ‘હું જો પંખી હોત’ એ કાવ્ય શ્રીધરાણીનું પહેલું કાવ્ય નહીં, ‘તારા, તારા, તારા જેવી …’ થી શરૂ થતું કાવ્ય તે જ તેમનું પહેલું કાવ્ય.
યોગાનુયોગ એવો થયો છે કે ગુજરાતી કવિતામાં નવા યુગની નાન્દી જેવાં બે કાવ્ય ૧૯૫૬માં થોડા સમયને અંતરે લખાયાં છે. ૧૯૫૬ના ફેબ્રુઆરીની ૬ થી ૧૯ તારીખ દરમિયાન ઉમાશંકર જોશી ‘છિન્નભિન્ન છું’ લખે છે તો એ જ વર્ષના મેની ૧૯મીએ શ્રીધરાણી ‘આઠમું દિલ્હી’ કાવ્ય લખે છે. ૧૯૫૬ પછી ઉમાશંકરને જેટલો સમય મળ્યો તેટલો સમય શ્રીધરાણીને મળ્યો હોત તો તેમની કવિતાએ કેવાં કેવાં રૂપ બતાવ્યાં હોત અને આધુનિક કવિતાના ઘડતરમાં શ્રીધરાણીએ કેવો ભાગ ભજવ્યો હોત તેનો વિચાર કે વસવસો કરવાનો હવે અર્થ નથી.
શ્રીધરાણીના જીવન અંગેની એક ભૂલ ઘણા વખતથી જુદાં જુદાં પ્રકાશનોમાં જોવા મળે છે. તેમનાં પત્ની સુંદરીબહેનને દયારામ ગિડુમલનાં પુત્રી તરીકે ઓળખાવવામાં આવે છે. પણ દયારામ ગિડુમલ તો હતા ગોવર્ધનરામ ત્રિપાઠી અને નરસિંહરાવ દિવેટિયાના સમકાલીન. દયારામ ગિડુમલનો જન્મ ૧૮૫૭માં, અવસાન ૭૦ વર્ષની વયે, ૧૯૨૭માં. કૃષ્ણલાલ શ્રીધરાણી અને સુંદરીબહેનનાં લગ્ન થયાં ૧૯૫૦માં. આ શકય છે ? એવો વિચાર કોઇને કેમ નહીં આવતો હોય ? હકીકતમાં સુંદરીજી દયારામ ગિડુમલનાં પુત્રી નહીં, પણ દૌહિત્રી હતાં. અગાઉ અનેક વાર જે લખાયું હતું તે વિષે શંકા જતાં દિલ્હી રહેતાં જાણીતાં લેખિકા અને મિત્ર ડો. વર્ષા દાસને સાચી વાત જાણવા વિનંતી કરી. તેમણે સુંદરીબહેન પાસેથી સાચી વિગત મેળવી આપી.
ડૉ. શ્રીધરાણીનાં ગુજરાતી પુસ્તકો વિષે આપણે ગમે તેટલા ઉત્સાહથી વાત કરીએ તો પણ એ વાત અધૂરી જ છે. અંગ્રેજીમાં તેમણે સર્જનાત્મક કશું નથી લખ્યું. ૧૪ વર્ષ પછી લખાયેલું કાવ્ય ‘ઘરજાત્રા’ ‘કુમાર’ના ડિસેમ્બર ૧૯૪૮ના અંકમાં પ્રગટ થયું ત્યારે તેની સાથેની નાનકડી નોંધમાં કવિએ લખેલું : “અંગ્રેજીમાં અખબારી લખાણો લખ્યાં, ચોપડીઓ લખી, ને એનાં વખાણ પણ થયાં. પણ અંગ્રેજીમાં કવિતા – ખરી કવિતા ન લખી શકયો. પરભાષામાં એક પછી એક એમ તમે અનેક વિજયો મેળવી શકો, પણ કવિતાનો દુર્ગ તો અજેય જ રહેવાનો.” શ્રીધરાણીનું અંગ્રેજી લેખન ભલે સર્જનાત્મક ન હોય, સંગીન ઘણું જ છે. અંગ્રેજી પુસ્તકોની બાબતમાં શ્રીધરાણી કનૈયાલાલ મુનશીના અનુગામી છે. પણ બંનેનાં અંગ્રેજી પુસ્તકો વિષે આપણે ઝાઝી વાત કરતા નથી. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી તેમને અંજલિ આપતા લેખમાં ગગનવિહારી મહેતાએ કહ્યું હતું તેમ “અમેરિકાનો લોકમત કેળવવામાં શ્રીધરાણીનો ફાળો કીમતી હતો. આપણા રાજયના નહીં, પણ સ્વતંત્ર થવા મથતા રાષ્ટ્રના એ એલચી હતા.”
વડલો તો સો વર્ષની આવરદા ભોગવ્યા પછી ધરાશાયી થયેલો. ‘વડલો’ના લેખકને તો તેનાથી માંડ અડધું જ આયુષ્ય મળ્યું. તેમની કૃતિઓ પણ ઢળી પડેલા વડના ટેટાની જેમ વિખરાયેલી, વિસરાયેલી, ક્યારેક વગોવાયેલી પણ, પડી હતી. જન્મશતાબ્દી નિમિત્તે ફરીથી એમની કૃતિઓ તરફ અભ્યાસીઓનું ધ્યાન ગયું. ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય અકાદમીએ ૨૦૧૧ના માર્ચમાં અમદાવાદમાં રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું આયોજન કર્યું. એ પરિસંવાદમાં જ ડૉ. કુમારપાળ દેસાઈએ આ પુસ્તક પ્રગટ કરવાની અને તેનું સંપાદન આ લખનારને સોંપવાની જાહેરાત કરી દીધી. તે વખતે ઇરાદો તો એવો હતો કે એ પરિસંવાદમાં રજૂ થયેલાં વક્તવ્યો પુસ્તાકાકારે મૂકી દેવાં. પણ પછી ભાવનગર અને ગુજરાતનાં બીજાં સ્થળોએ તથા મુંબઈમાં પણ શતાબ્દી નિમિત્તે કાર્યક્રમો થયા. તેમાંનાં કેટલાંક વક્તવ્યો પણ પુસ્તકમાં સમાવવાનો લોભ જાગ્યો. એટલે પુસ્તકનું પ્રકાશન ઠેલાતું ગયું.
પુસ્તકનું સંપાદન કરતી વખતે જે ખાંખાખોળાં કર્યાં તે દરમ્યાન સામયિકોમાં પ્રગટ થયેલાં શ્રીધરાણીનાં અને શ્રીધરાણી વિશેનાં કેટલાંક લખાણો ધ્યાનમાં આવ્યાં. અગાઉ પુસ્તકરૂપે ન સંગ્રહાયેલાં આવાં લખાણો પણ આ ગ્રંથમાં સમાવી લેવાનું યોગ્ય લાગ્યું. પરિણામે ધાર્યા કરતાં પુસ્તકનું કદ થોડું વધી ગયું અને પ્રકાશનનો વિલંબ થોડો લંબાયો. પણ આ પ્રસંગે એ લખાણો ગ્રંથસ્થ નહીં થાય તો ભવિષ્યમાં ક્યારે થશે, એવી વિમાસણને કારણે એ લખાણો અહીં સમાવ્યાં છે. અલબત્ત, બધાં અગ્રંથસ્થ રહેલાં લખાણો અહીં મૂકી દીધાં હોવાનો દાવો નથી. વધુ ખાંખાખોળાં કરતાં આવાં બીજાં લખાણો પણ મળી આવે.
અહીં સમાવેલાં લખાણોને ત્રણ વિભાગમાં ગોઠવ્યાં છે. પહેલા વિભાગમાંનાં બધાં લખાણો શ્રીધરાણીની જન્મશતાબ્દી નિમિત્તે લખાયેલાં છે. શ્રીધરાણીના જીવન, વ્યક્તિત્વ, લેખન, પત્રકારિતા, વગેરેની ચર્ચા તેમાં જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ ડૉ. ધીરુભાઈ ઠાકર અને પ્રા. તખ્તસિંહ પરમારથી માંડીને પરેશ નાયક જેવા યુવાન અભ્યાસીઓએ મુક્ત મને અને ખુલ્લા દિલે કરી છે. દિલ્હીવાસી મિત્ર અને લેખિકા ડૉ. વર્ષા દાસને સુન્દરીબહેન શ્રીધરાણીની મુલાકાત લેવાની વિનંતી કરી અને તેમણે લીધેલી મુલાકાતને આધારે લખાયેલો લેખ આ પુસ્તક માટે મળ્યો તેનો સવિશેષ સંતોષ છે, બે કારણોથી. પહેલું તો એ કે ડૉ. શ્રીધરાણીના જીવન અને વ્યક્તિત્વ અંગેની કેટલીક નવી કે ઓછી જાણીતી વિગતો તેમાં બહાર આવી છે. બીજું, મુલાકાત વખતે સુન્દરીબહેને કેટલાક મૂલ્યવાન ફોટાની નકલો પણ આપી હતી. તેમાંથી કેટલાક ફોટા અહીં સમાવ્યા છે. આ પુસ્તક માટે વર્ષાબહેને મુલાકાત લીધી તે પછી થોડા વખતમાં ૯૩ વર્ષની વયે સુન્દરીબહેનનું અવસાન થયું. જો આ મુલાકાત ન લેવાઈ હોત તો આ બધું આપણે કાયમ માટે ગુમાવ્યું હોત. બીજા વિભાગમાં શતાબ્દી પહેલાં સામયિકોમાં પ્રગટ થયેલાં શ્રીધરાણી વિશેનાં કેટલાંક લખાણો સમાવ્યાં છે, તો ત્રીજા વિભાગમાં શ્રીધરાણીનાં પોતાનાં અગ્રંથસ્થ ગદ્ય લખાણો મૂક્યાં છે.
આ પુસ્તક માટે લેખો લખી આપનાર સૌ લેખકોનો આભારી છું. શ્રીધરાણીનાં અગ્રંથસ્થ લખાણો અહીં સમાવવાની અનુમતિ આપવા માટે તથા બીજી ઘણી રીતે મદદરૂપ થવા માટે અમરભાઈ કૃષ્ણલાલ શ્રીધરાણીનો અને તેમનાં બીજાં કુટુંબીજનોનો પણ ખાસ આભાર માનવો જોઈએ. આ પુસ્તકના સંપાદનની જવાબદારી મને સોંપવા માટે ગુજરાત સાહિત્ય સભાનો અને તેના પ્રમુખ કુમારપાળભાઈનો ખાસ આભારી છું. ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક ડૉ. શ્રીધરાણીને આપવાની જાહેરાત કરી તે પછી થોડા વખતમાં જ તેમનું અણધાર્યું અવસાન થયું. એ જ ગુજરાત સાહિત્ય સભા જન્મશતાબ્દી નિમિત્તે આ પુસ્તક પ્રગટ કરે છે તે એક સુખદ યોગાનુયુગ જ ગણાય. સાહિત્યપ્રેમીઓને આ પુસ્તક થોડેઘણેઅંશે પણ સંતોષ આપી શકશે એવી આશા છે.
[૨૦૧૨માં પ્રગટ થયેલ પુસ્તક 'શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ'ની પ્રસ્તાવના]
e.mail : deepakbmehta@gmail.com