કેન્દ્ર સરકારે તાજેતરમાં નાણાખરડો-૨૦૧૭ પસાર કરતી વેળાએ એકસાથે ચાલીસ ધારા(સ્ટૅચ્યૂટ)માં સુધારા કર્યા. બંધારણીય જોગવાઈ મુજબ નાણાખરડામાં જે સુધારા કરવા હોય, તે માટે ફક્ત લોકસભાની મંજૂરી લેવાની રહે છે. રાજ્યસભામાં સુધારા પસાર કરાવવાની આવશ્યકતા નથી. લોકસભામાં સરકાર સ્પષ્ટ બહુમતી ધરાવતી હોવાથી છેલ્લી ઘડીએ ચાલીસ સુધારા એકસાથે ચર્ચા માટે રજૂ કર્યા અને ગણતરીની મિનિટોમાં તે પસાર થઈ ગયા. હવે આ સુધારા કાયદાકીય સ્વરૂપે અસ્તિત્વમાં આવી ચૂક્યા છે.
કેન્દ્ર સરકારનું આ પગલું સ્પષ્ટ અને ચોખ્ખો સંકેત આપે છે. પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચા કરવામાં સરકાર માનતી નથી અથવા આવી ચર્ચા કરવાનો તેને રસ પણ નથી. સ્વતંત્ર ન્યાયતંત્ર ઉપર પણ સરકાર ભરોસો ધરાવતી નથી. પુરોગામી યુ.પી.એ. સરકારના કાર્યકાળ દરમિયાન વર્તમાન સરકારના મોવડીઓ ‘ટૅક્સ ત્રાસવાદ’ (ટૅક્સ ટેરરિઝમ) અંગે જોરશોરથી વિરોધ વ્યક્ત કરતા હતા. રાજકીય પક્ષોને મળતાં નાણાં અંગે પારદર્શિતા લાવવાની વાત આ સરકારના મોવડીઓએ અનેક વાર કરી હતી, પરંતુ અત્યારે તેનું વલણ બિલકુલ વિરોધી છે. આવકવેરાતંત્રના અધિકારીઓને જે વિશાળ અને અમાપ સત્તા તપાસ તેમ જ જપ્તી બારામાં આપવામાં આવી, તે અંગે અન્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવાનું કેન્દ્ર સરકારે મુનાસિબ નથી માન્યું! હાલ તો ભારતની લોકશાહી કૉર્પોરેટ કંપનીઓનાં હિતોની જાળવણી કરતી થઈ જાય તે રીતે પરિસ્થિતિ આકાર લઈ રહી છે.
નાણાખરડો-૨૦૧૭, લોકસભામાં મનીબિલ તરીકે કેન્દ્ર સરકારે રજૂ કર્યો હતો. આગળ જણાવ્યું તેમ, આપણી બંધારણીય જોગવાઈ મુજબ, આ પ્રકારના કાયદા ઘડવાની સત્તા લોકસભાને છે. રાજ્યસભા ને કૉંગ્રેસના સભ્ય જયરામ રમેશે આધારબિલ-૨૦૧૬ને મનીબિલ તરીકે વર્ગીકૃત કરતા, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનના નિર્ણય સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી દાદ માગી છે. આ અરજીનો ચુકાદો આવવો બાકી હોવા છતાં, સરકારે આધારબિલ-૨૦૧૬ને મનીબિલ તરીકે પસાર કરી નાખ્યો અને હવે આધારખરડો-૨૦૧૬, આધારકાયદા સ્વરૂપે અસ્તિત્વમાં આવી ગયો છે. બંધારણની કલમ ૧૧૦(૩)ની જોગવાઈ પ્રમાણેે, કોને મનીબિલ ગણવો તે અંગે લોકસભાના અધ્યક્ષનો ચુકાદો આખરી હોય છે. બંધારણની આ છટકબારીનો લાભ ઊઠાવીને સરકારે આધારબિલને પણ મનીબિલ તરીકે વર્ગીકૃત કરી, લોકસભામાં પસાર કરાવી નાખ્યો. બંધારણની કલમ ૧૧૦(૧) પ્રમાણે કઈ બાબતોને મનીબિલ અંતર્ગત આવરી શકાય તે સ્પષ્ટ છે. નાણાકીય ખરડો ઉક્ત વર્ગીકરણમાં બંધબેસતો હોય છે. પણ નાણાકીય ખરડો-૨૦૧૭માં, બંધારણની કલમને સુસંગત હોય, તેવા મુદ્દા ઓછા જોવા મળે છે.
કેટલાંક ઉદાહરણ લઈને મુદ્દો સ્પષ્ટ કરીએ. ૨૦૧૩ના કંપની-કાયદાની કલમ ૧૨માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર બિનસરકારી કંપનીઓ પાછલાં ત્રણ નાણાકીય વર્ષમાં જેટલો ચોખ્ખો નફો કર્યો હોય, તેના સરેરાશ ૭.૫ ટકા સુધીની રકમ રાજકીય પક્ષોને દાન તરીકે આપી શકતી હતી. જે સુધારો કરવામાં આવ્યો, તેમાં ઉક્ત મર્યાદા દૂર કરાઈ છે. હવે કંપનીઓ પોતાના ચોખ્ખા નફામાંથી ઇચ્છે એટલી રકમ રાજકીય પક્ષોને દાનસ્વરૂપે આપી શકશે. અગાઉ, સામાન્ય રીતે કંપનીઓ તેમના ચોખ્ખા નફામાંથી પાંચ ટકા રકમ રાજકીય પક્ષોને દાનમાં આપતી હતી. કાયદાકીય જોગવાઈ પ્રમાણે કંપનીઓએ કઈ રાજકીય પાર્ટીને કેટલી રકમ આપી, તે જાહેર કરવું પડતું હતું. કાયદામાં કરવામાં આવેલા પ્રવર્તમાન સુધારા પ્રમાણે, બિનસરકારી કંપનીઓ રાજકીય પક્ષોને દાન આપે તે મર્યાદા દૂર કરવામાં આવી, સાથેસાથે રાજકીય પક્ષોનાં નામ તેમ જ તેમને અપાયેલી રકમ જાહેર કરવામાં પણ કંપનીઓને મુક્તિ અપાઈ છે!
૧૯૫૬ના કંપનીકાયદામાં ૧૯૮૫માં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી ભારતમાં કંપનીઓ, રાજકીય પક્ષોને દાન આપી શકતી ન હતી. તેમની ઉપર પ્રતિબંધ હતો. ચૂંટણી પ્રથામાં સુધારા સૂચવવા નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે બિનસરકારી કંપનીઓ, રાજકીય પક્ષોને દાન આપવાનું શરૂ કરશે, એટલે આવાં નાણાંને તેઓ ‘ખર્ચ’ નહીં, પરંતુ ‘રોકાણ’ સમજશે. ભવિષ્યમાં આવા રોકાણના બદલામાં કંપનીઓ સરકાર પાસેથી ઇચ્છે તે લાભ મેળવી શકશે. એવી દલીલ પણ એક તબક્કે કરાઈ હતી કે સરકાર ઉપર કંપનીઓ પોતાની તરફેણમાં નિર્ણયો કરવાનું દબાણ આણી શકે છે, આથી કંપનીઓ પાસેથી ભંડોળ મેળવવું રાજકીય પક્ષો માટે સલાહભર્યું નથી.
ચૂંટણીપ્રથામાં સુધારાઓ સૂચવવા માટે રચાયેલી સમિતિઓએ કરેલી ભલામણોથી તદ્દન સામા છેડાનું વલણ સરકારે અપનાવ્યું છે. વેપારીગૃહો અને રાજકારણ વચ્ચેની સાંઠગાંઠ હવે વધારે મજબૂત બની છે. અનામી નાણાં થકી કૉર્પોરેટકંપનીઓ રાજકીય પક્ષોને જે દાન આપશે તે વધારે અપારદર્શક બનશે. કંપનીકાયદો-૨૦૧૩માં રાજ્યસભાએ જે સુધારા પસાર કરેલા તે લોકસભાએ નકારી કાઢ્યા છે. કેન્દ્ર સરકારે નાણાખરડો-૨૦૧૬માં પણ ચુપચાપ સુધારો કરી લીધો હતો. વિદેશી કંપનીઓની વ્યાખ્યા જ સરકારે બદલી નાખી હતી. લંડનમાં મુખ્ય મથક ધરાવતી વેદાંતા કંપનીએ ભા.જ.પ. અને કૉંગ્રેસને ગેરકાયદેસર ભંડોળ આપ્યું હોવાનું કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું. આ સંદર્ભમાં સરકારે વિદેશી કંપનીઓની વ્યાખ્યા બદલી નાખી!
ચોક્કસ ટ્રિબ્યૂનલોને અન્ય સાથે ભેળવી દેવાનો સુધારો પણ ચિંતાજનક છે. તેનાથી ખાસ કામગીરી કરતી ટ્રિબ્યૂનલો ઉપર કામનું ભારણ વધશે. કેટલીક ટ્રિબ્યૂનલનો ઉપર અત્યારે પણ વધારે કાર્યબોજ છે, તેમાં ઉમેરો થશે. તદુપરાંત ટ્રિબ્યૂનલના સભ્યોની નિમણૂક, સેવાની શરતો તથા સભ્યને દૂર કરવાની બાબતોમાં પણ સરકારનો હસ્તક્ષેપ વધશે. હાઈકોર્ટને સમાન સત્તા તેમ જ કાર્યો ધરાવતી ટ્રિબ્યૂનલોની સ્વતંત્રતા ઉપર સરકારના સુધારાથી તરાપ આવશે. ટ્રિબ્યૂનલો ન્યાયિક સંસ્થાઓ છે. આ પ્રકારની સંસ્થાઓમાં જે નિમણૂક કરાય તેમાં સરકારનો હસ્તક્ષેપ અથવા સામેલગીરી ન હોવી જોઈએ તેમ સર્વોત્તમ અદાલતે ૨૦૧૪માં ઠરાવ્યું હતું. સરકાર સામેના અનેક કેસો ટ્રિબ્યૂનલો પાસે આવે છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકાર પક્ષકાર હોય છે. આઘાતની વાત એ છે કે પરસ્પર હિતોની અથડામણ થશે, તે હકીકત સ્વીકારવાનો કેન્દ્ર સરકાર ઇન્કાર કરે છે. નાણાપ્રધાને આ બાબતમતાં સરકાર ન્યાયતંત્ર સાથે સલાહ-મસલત કરશે, તેવી ખાતરી રાજ્યસભામાં આપી હોવા છતાં તે પર્યાપ્ત નથી.
આવકવેરા કાયદો-૧૯૬૧માં જે સુધારા નાણાખરડા-૨૦૧૭ અંતર્ગત કરવામાં આવ્યા, તે પણ ચિંતાનો વિષય છે. આવકવેરા અધિકારીઓની સત્તામાં આપખુદપણે વધારો કરાયો છે. આવકવેરા અધિકારીઓ ‘માની લીધેલાં કારણોસર’ કરદાતાની મિલકતની તપાસ કરી શકશે અને તેને જપ્તીમાં લઈ શકશે. ૧૯૬૨ની પશ્ચાદ્વર્તી અસરથી આ સુધારો અમલમાં આવ્યો છે અને કરદાતાઓમાંથી બહુ ઓછાને તેની જાણકારી છે. આવકવેરા અધિકારીઓને આપવામાં આવેલી આ પ્રકારની રાક્ષસી સત્તા સરવાળે ચોક્કસ કરદાતાઓની કનડગતમાં પરિણમશે. રાજ્યસભાએ આ બધા સુધારાઓમાં ફેરફારો સૂચવ્યા હતા, જે લોકસભાએ નકારી કાઢ્યા છે.
સુધારાઓનાં જમા-ઉધાર પાસાં અંગે ચર્ચા થઈ શકે, પરંતુ જે રીતે તે પસાર કરવામાં આવ્યા તે સરકારના સંચાલન તેમ જ રાજ્યસભા માટે બંધારણમાં જે ભાગ ભજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે, તેની સામે પ્રશ્નો ખડા કરે છે. મની બિલના માર્ગથી કાયદાઓમાં સુધારા કરવા અને રાજ્યસભાની મંજૂરી ન મેળવવી તે પરંપરા લોકશાહી શાસનવ્યવસ્થા માટે યોગ્ય તો નથી જ. રાજ્યસભામાં હજી ભા.જ.પ. બહુમતી ધરાવતો નથી. લોકસભામાં બહુમતી ધરાવતો કોઈ પણ પક્ષ રાજ્યસભાને નજરઅંદાજ કરે તે પરંપરા હવે ભારતમાં શરૂ થઈ ગઈ છે. આના કારણે બંધારણે રાજ્યસભાને ઉપલાગૃહનો દરજ્જો આપ્યો, તેની અગત્ય જ રહેતી નથી. પોતાના નિજી સ્વાર્થ સાધવા માટે કેન્દ્રની સરકાર લોકશાહી ધોરણોનો ભંગ અને બંધારણની ભાવનાઓનો છેદ ઉડાવી રહી છે. સ્વસ્થ લોકશાહી માટે આ સારાં ચિહ્નો નથી.
ઇ.પી.ડબ્લ્યુ.(૧-૪-૧૭)ના તંત્રીલેખનો સારભાગ, ‘સર્વોદયસમાજ’ના સદ્ભાવથી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 03 અને 02