1998માં પ્રધાનમંત્રી બન્યાના સાત મહિનામાં જ એક સમાચાર પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, ‘જેવી રીતે સત્તામાં આવવું એને મેં ક્યારે ય સિદ્ધિ ગણી નથી, તેવી જ રીતે સત્તામાં ટકી રહેવાને પણ મેં ઉપલબ્ધિ માની નથી. મને સત્તાની કશિશ રહી નથી. હું 40 વર્ષ સુધી વિરોધ પક્ષમાં બેઠો છું, પણ સત્તા પક્ષમાં જવા માટે થઇને મેં પાયાના સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી.’
ભારતીય રાજનીતિમાં વાજપેયી સૌથી સન્માનનીય અને પ્રશંસિત લીડર એટલા માટે નથી કે તેઓ બહુ મહાન પ્રધાનમંત્રી હતા, પણ એટલા માટે છે કે તેઓ બહુ અચ્છા ઇન્સાન હતા અને એની અસર એમની લીડરશિપ ઉપર પડી હતી. પ્રધાનમંત્રીપદથી કોઇ વ્યક્તિ મહાન નથી બનતી, વ્યક્તિની ઇન્સાનિયત પ્રધાનમંત્રીની ખુરશીને શાનદાર બનાવે છે. વાજપેયીમાં પણ એવું જ થયું હતું. પાવર એટલે કે સત્તા અથવા શક્તિના આ આયામને બહુ ઓછા લોકો સમજે છે કે અનુસરે છે. 2012માં બરાક ઓબામાની પાર્ટીનું નેશનલ કન્વેન્શન મળ્યું હતું ત્યારે મિશેલ ઓબામાએ બરાકના પ્રમુખપદને વ્યાખ્યાઇત કરતાં કહ્યું હતું,
‘પ્રેસિડેન્ટ બનવાથી તમે જે છો તે બદલાઇ જતા નથી, પણ તમે જે છો તે બહાર આવે છે. અંતે તો પ્રેસિડેન્ટ તરીકે તમે જે નિર્ણય કરો તેનો આધાર તમારા આદર્શ, તમારા ખયાલાત અને જીવનના તમારા અનુભવો ઉપર છે.’ મારું અને તમારું જીવન ભિન્ન કેમ છે, સમાન કેમ નહીં? કારણ કે મારા અને તમારા નિર્ણયો અલગ અલગ છે, એટલે એક જ પ્રકારની સમાન પરિસ્થિતિમાં જેમ બે માણસો અલગ અલગ વ્યવહાર કરે છે તેવી જ રીતે એક સરખી સત્તામાં પણ બે વ્યક્તિનું વર્તન જુદું હોય છે.
એટલે જ, એક છીછરા માણસના હાથમાં પાવર આવે તો એના નિર્ણયોમાં સ્વાર્થ અને હલકાપણું હોય છે, અને એક નૈતિક વ્યક્તિના હાથમાં એ જ સામર્થ્ય વિવેકી અને ઉદાર બની જાય છે. સત્તા અને શખ્સિયત વચ્ચે સીધો સંબંધ છે. સદાચારી અને ઉત્તરદાયી વ્યક્તિ આચાર અને વિચારમાં અનુકૂળ, ઇમાનદાર, વિનમ્ર અને સહકારી હોય છે. એનાથી વિરોધી વ્યક્તિ સ્વ-કેન્દ્રિત, કપટી અને હાવી હોય છે. બંને શક્તિશાળી છે અને બંને મહામાનવ છે. ફર્ક એટલો જ છે કે રામનું સામર્થ્ય ધર્મ અને સદાચાર માટે છે, રાવણની તાકાત અધર્મ અને દુરાચારમાં છે.
રામનો પાવર એમની બુદ્ધિની એરણ પર તપીને વિવેકશીલતામાં બહાર આવે છે. રાવણની અંદર એ જ પાવર વૃત્તિમાં રંગાઇને ઇન્દ્રિયોમાં પ્રતિબિંબિત થાય છે. રામરાજ્ય અને રાવણરાજ્યમાં પણ આ જ ફર્ક છે. રામ માટે અયોધ્યાના નાગરિકોનું કલ્યાણ પ્રથમ છે, સત્તા નહીં. રામરાજ્યમાં સત્તા સ્વ-કેન્દ્રિત નહીં, પર-કેન્દ્રિત હોય છે. એ જ લોકતંત્રની પણ વ્યાખ્યા છે. રામાયણમાં રાવણ અને મહાભારતમાં દુર્યોધન સ્વ-કેન્દ્રી છે. એમના માટે એમના નગરવાસીઓ પ્રથમ નથી એટલા માટે જ રાવણરાજમાં લંકાવાસીઓ ભયભીત, ચિંતાતુર છે, પણ રામના શાસનમાં અયોધ્યાવાસીઓ આશ્વસ્ત અને સાહસી છે.
ઘણા લીડરો પાવરનો અર્થ લોકો પર અંકુશ મૂકવો, તેમને ડરાવવા, આજ્ઞાંકિત કરવા એવો કરે છે. આ ઇન્સ્ટિંગક્ટિવ (પ્રકૃતિદત્ત) પાવર છે. પશુઓમાં આ પ્રકારનું આધિપત્ય બહુ સહજ છે, જ્યાં દરેક સબળો નબળાને મારીને-દબાવીને પોતાનો સ્વાર્થ અકબંધ રાખે છે. માણસમાં ઇન્સ્ટિંગની (વૃત્તિની) સરખામણીમાં ઇન્ટલેક્ટ (બુદ્ધિ) વધુ છે એટલે પાવરનો ઉપયોગ જંગલ ધર્મ (ઇન્સ્ટિંગક્ટિવ) માટે નહીં પણ રાજ ધર્મ (ઇન્ટલેક્ટ) માટે થવો જોઇએ.
આ ત્યારે જ શક્ય છે જ્યારે માણસ એની જંગાલિયતના બદલે ઇન્સાનિયતમાંથી વિચારે અને વર્તે. આધુનિક અને ઉદાર અમેરિકાનો પાયો પૂરનાર અબ્રાહમ લિંકનનું એક પ્રચલિત વિધાન છે કે, ‘દરેક માણસમાં વિપત્તિ સામે લડવાની ક્ષમતા હોય છે, પણ તમારે જો એના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને પાવર અાપો.’ જેને કોગ્નેટિવ (જ્ઞાન-સંબંધી, સંજ્ઞાનાત્મક) વિજ્ઞાન કહે છે, તે પણ સ્વીકારે છે કે સત્તા આવવાથી માણસની અંદરના અવરોધો, શરમ, હિચકિચાહટ અને સંશય સમાપ્ત થઇ જાય છે, અને એનો અંતરાત્મા મુક્તિના અહેસાસ સાથે બહાર આવે છે. એટલે જો કોઇ જડ વ્યક્તિના હાથમાં સત્તા આવે તો એની જડતા વધુ દૃઢ થઇને અભિવ્યક્ત થશે, અને જો કોઇ શાલીન વ્યક્તિ પાસે એ પાવર હોય તો એમની સભ્યતા ઔર નીખરી જશે.
પાવર તમને તમારી ઇચ્છાઓ, કામનાઓ ચરિત કરવા પ્રેરે છે. ઉચ્ચ સ્થાને બેઠેલા માણસો કૌભાંડ કરવાની કે છીનાળાં કરવાની જે છૂટ લઇ લે છે, તે પેલા પાવરમાંથી આવે છે. ઇતિહાસકાર લોર્ડ એક્ટોનનું વિધાન ‘સત્તા ભ્રષ્ટતા લાવે છે અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટતા લાવે છે.’ એ રીતે સાચું છે. એટલા માટે જ અમર્યાદ સત્તાના ફાયદા કરતાં નુકસાનથી ઇતિહાસ ભરેલો પડ્યો છે. પાવરનાં કારણો-પરિણામોની આ સમજથી તમે અચાનક (ખરાબ હશો તો) સારા થઇ જશો, એટલું એ સહેલું પણ નથી. આપણે ભાગ્યે જ આપણી અંદર ઝાંખીએ છીએ ને આત્મવિશ્લેષણ કરીએ છીએ.
એની સરખામણીમાં બીજી વ્યક્તિને પરખવાનું સરળ છે. એમાં પણ, પાવરની આ સમજ ત્યારે રંગ લાવે જ્યારે તમે એ વ્યક્તિને એડવાન્સમાં પારખી લો. કોર્પોરેટ કંપનીઓમાં હ્યુમન રિસોર્સિસ મેનેજરો બાયોડેટા જોઇને કોઇને પાવર કે પોઝિશન આપવી કે નહીં તે નક્કી કરતા હોય છે. એટલે કોઇ પ્રમુખ કે પ્રધાનમંત્રી બને તે પહેલાં એના ચરિત્રનો બાયોડેટા જોઇને એનું શાસન રામનું હશે કે રાવણનું તે સમજવું સરળ હોય છે.
ટૂંકમાં કહીઅે તો, કોઇ વ્યક્તિ પાવર હાંસિલ કરે એ પછી એ એના અગાઉના વ્યવહાર કરતાં જુદી રીતે વર્તે એવી અપેક્ષા વધુ પડતી છે. અચ્છો ઇન્સાન પાવરમાં આવીને અચાનક દુષ્ટ નથી બની જતો અને ઘટિયા માણસ ઑટોમેટિકલી કલ્યાણકારી સાબિત નથી થતો. કોઇ જોતું ન હોય ત્યારે તમે કેટલી નાગાઇ બતાવો છો તેના આધારે અનુમાન બાંધી શકાય કે બધા જોતા હોય ત્યારે તમે કેટલા ઢંકાયેલા રહેશો.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 29 મે 2017