ચિનુ મોદી (30 સપ્ટેમ્બર 1939, દેહદાન માર્ચ 19, 2017) છેલ્લે મિત્રો સાથે વાત કરી ન શક્યા. ચારેક દિવસના મૌન પછી યંત્રોની મદદથી ચાલતા શ્વાસ પણ થાકી ગયા. એમને લાગતું હતું કે પોતે ઈશ્વરમાં નથી માનતા, પણ દૃઢપણે સામાજિક નિસબતમાં માનતા હતા. દેહદાન કરતા ગયા, એ નિસબતનો છેલ્લો પુરાવો. આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ એમને એનાયત થયો એ વેળા કોઇક પત્રકાર-લેખક મિત્રે પૂછેલું: તમે ઈશ્વરમાં તો નથી માનતા તો પછી ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ સાથે સંકળાયેલો અને મોરારિબાપુના વરદહસ્તે અપાતો આ એક લાખ એકાવન હજારનો એવોર્ડ કેમ સ્વીકારો છો?
ચિનુભાઇએ કહેલું કે પોતે નરસિંહની કવિતામાં માને છે, ગુજરાતી ભાષાના ઉપાસક છે. મોરારિબાપુ મનોજ ખંડેરિયા અને ચિનુ મોદીની ગઝલના ચાહક છે એ સુવિદિત છે. મનોજભાઇનું અવસાન થયું ત્યારે ચિનુભાઇ પહોંચી ગયેલા. મૈત્રી પણ એમની નિસબત હતી. નાનો અમથો ઉપકાર પણ ન ભૂલે. મતભેદ પછી, કહેવા જોગું કહી દીધા પછી સંવાદ ચાલુ રાખે. દલીલો સાથે દાખલા પણ આપે. એલ.એલ.બી. થયેલા ને! વળી, અમારા ઉત્તર ગુજરાતની તોછડાઇ પણ પ્રેમપૂર્વક દાખવી જાણે. પણ સતત શબ્દસેવી રહ્યા, સંપર્કમાં તો એમને કોઇ ન પહોંચે. તબિયતના ભોગે પણ ઘર બહાર નીકળે. સાજા થાય કે કારની ચાવી લઇ લે. રસ્તામાં મારા જેવા કોઇને ઊભેલો જુએ તો બેસાડી લે.
ચિનુભાઇ ગુજરાતી સાથે હિન્દી પણ ભણેલા. જુદી જુદી સંસ્થાઓમાં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરેલું. પીએચ.ડી. ગુજરાતી ખંડકાવ્ય વિશે કરેલું. પચાસેક પુસ્તકો એમના નામે છે, બેઠા હોત તો વર્ષે બબ્બે ત્રણ ત્રણ પુસ્તકો આપતા રહેત. હિન્દીમાં સ્વતંત્ર લેખન અને અનુવાદનાં પુસ્તકો ખરાં. કાર્યશિબિરો દ્વારા હિન્દી-ઉર્દૂમાં ગુજરાતી કવિતા ઉતારતા રહ્યા. એમનાં નાટકોના પણ હિન્દી-અંગ્રેજીમાં અનુવાદ થયા છે.
છેલ્લે સંસ્મરણો લખતા ગયા. બોલતાં અતિશયોક્તિ અલંકાર આવી જાય પણ લખતાં સંતુલિત રહે. છેલ્લાં બેએક વર્ષથી ગુજરાતી સર્જકોના ગદ્યની તપાસ કરતા લેખો એ લખી રહ્યા હતા. એમાં ક્યારેક ભાષાવિજ્ઞાનની જાણકારી પણ દાખવે. ખાસ વળતર વગરનું, ગંભીર કામ એ કરે એમાં નવાઇ નથી. નવી પેઢીના કવિઓ લખે એની ચકાસણી થાય એ દૃષ્ટિએ ‘હોટલ પોએટ્સ’ નામની એક કાર્યસભા ચલાવતા. હું જાહેરમાં ઘણીવાર એમને ‘ગઝલગુરુ’ કહી ચૂક્યો છું.
કયા સાહિત્ય પ્રકારમાં ચિનુભાઇનું પ્રદાન વધારે? કવિતા, નાટક, નવલિકા, નવલકથા, સંસ્મરણ, વિવેચન, સંપાદન બધા પ્રકાર એમણે ખેડ્યા છે. કદાચ એમની નવલકથાઓનો પૂરતો અભ્યાસ થયો નથી. એમની લઘુનવલો શૈલા મજમુદાર, ભાવ-અભાવ, નાગના લિસોટા વગેરેની ચર્ચા થઇ છે. પણ એમની એક દીર્ઘ નવલ ‘કાળો અંગ્રેજ’ હમણાં બીજી આવૃત્તિ વખતે દલિત વિવેચકો દ્વારા આવકાર પામી. મેં એની પ્રથમ આવૃત્તિનું અવલોકન લખેલું.
એ નવલકથામાં ગીતો દ્વારા પાત્ર વિકાસનો ચિનુભાઇએ પ્રયોગ કરેલો. શ્રમજીવી વર્ગનું શોષણ કરતો માણસ એટલે કાળો અંગ્રેજ. અંગ્રેજો ગયા પણ શોષણલક્ષી શાસન રહ્યું. સમાજ સમરસ ન બન્યો. એમનું નાટક ‘નવલશા હીરજી’ ભજવાતું રહેલું. ઇતિહાસ-પુરાકલ્પનનો આધાર લઇને જૂની ઘટના એ નવી દૃષ્ટિએ – આજના સંદર્ભમાં રજૂ કરતા. નિમેશ દેસાઇથી મહેશ ચંપકલાલ સુધીના નાટ્યવિદોનો સદ્દભાવ ચિનુભાઇના નાટ્યલેખનને પ્રાપ્ત થયો છે.
જૂની રંગભૂમિની મનોરંજકતાને નવા નાટકમાં લઇ આવી ગુજરાતી પ્રેક્ષકોનો નાટ્યરસ ટકાવી રાખવામાં એમનો ફાળો છે. ગુજરાતી નાટક અને રંગભૂમિના ઇતિહાસનું એક આખું પ્રકરણ નાટકકાર ચિનુભાઇના નામે હશે. એમનું એકાંકી ‘હુકમ માલિક’ સુબદ્ધ છે, શિક્ષણ સંસ્થાઓમાં ભજવાતું રહ્યું છે. કૃત્રિમ રીતે મેળવેલું આધિપત્ય ભારરૂપ-બંધનરૂપ બને છે એ સંદેશ જીન સાધવાની માન્યતાના આધારે વ્યક્ત થયો છે.
ઘણા સહૃદયોની જેમ મને પણ ચિનુભાઇની કાવ્યપંક્તિઓ યાદ રહી ગઇ છે. એમની ગઝલની સાધના અવિરત ચાલુ રહી.
ગઝલ પર પ્રભુત્વ હતું, એમ સંસ્કૃત છંદો પર પણ નિયંત્રણ હતું. મારી દૃષ્ટિએ દીર્ઘ કાવ્યો-ખંડ કાવ્યોના સર્જનમાં એમનું પ્રદાન મૂલવાતું રહેશે. ‘બાહુક’માં નળના વાસ્તવિક સ્વરૂપ અને ધારણ કરેલા રૂપનું નિરૂપણ આજના મનુષ્યના વિકેન્દ્રીય વ્યક્તિત્વનો નિર્દેશ કરે છે. ‘કાલાખ્યાન’ને પંડિતવર્ય લાભશંકર પુરોહિતની સહૃદય સમીક્ષાનો લાભ મળેલો. એ પાઠ જેમણે માણ્યો હશે એ ભૂલશે નહીં. ઈશ્વરમાં ન માનતા ચિનુભાઇ અહીં કાળના પરિબળને સર્વોપરી ઠરાવે છે. ભાષા અને છંદવિધાન પર એમની સ્વકીય મુદ્રા છે.
ચિનુભાઇ જીવન અને કવનમાં સતત સક્રિય રહ્યા, તેથી થાકે તો ખરા, પણ હાર્યા નથી. ‘પર્વતને નામે પથ્થર’ એમની વિખ્યાત ગઝલ છે. એનો આ શેર એમનો પરિચય આપે છે:
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે
થાકી જવાયું આખર તલવાર તાણી તાણી.
પોતાનાં પ્રતિબિંબો સામે, પોતાને વર્તાતા સત્ય સામે પણ લડવાનું આવ્યું. કદી હથિયાર હેઠાં ન મૂક્યાં. પણ સતત ચાલતા રહેતા સંઘર્ષની પણ એક મર્યાદા છે. એ થકવી નાખે.
આ ગઝલમાં એક સૂક્ષ્મ કલ્પન સહૃદયોને સ્પર્શી ગયું છે. આંસુ પર નખની નિશાની કવિને જ દેખાય:
આંસુ ઉપર આ કોના નખની થઇ નિશાની
ઇચ્છાને હાથપગ છે એ વાત આજ જાણી.
સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 26 માર્ચ 2017