આ છે દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાં ભણતી વીસ વર્ષની ગુરમેહર કૌર. એણે એની ફેસબુક પર પોતાની તસવીર મૂકી, હાથમાં પૂંઠા સાથે, એમાં લખાણ કે ‘હું એ.બી.વી.પી.થી ડરતી નથી.’ તાજેતરમાં એ.બી.વી.પી.ના, યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પરના, હિંસક હુમલાના વિરોધમાં ગુરમેહરનો આ પ્રતિભાવ હતો. એણે જાહેર મંચ પરથી નથી કોઈનું અપમાન કર્યું કે નથી અપશબ્દો વાપર્યા. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામેલા કૅપ્ટન મનદીપ સિંહની આ પુત્રીને દેશભક્તિ એટલે શું, એની ખબર હોય એ સ્વાભાવિક છે. એણે જે હિંમતપૂર્વક કહ્યું, એના અર્થની ભીતર જવાને બદલે સોશિયલ મીડિયા પર એની સામે ગાળોનો મારો ચાલ્યો. આ આક્રમણ પાછળના હલકટ પુરુષ માનસને એક વિચાર પહેલો આવે, એટલે એવા કોઈ ગંદકીથી ખદબદતાએ ઓક્યું કે ‘નિર્ભયા કરતાંયે બૂરા હાલ થશે તારા!’
અહીં પ્રશ્ન ભાવ-પ્રતિભાવ પૂરતો મર્યાદિત ન રહેતાં એક વ્યક્તિ, જે સ્વતંત્ર અને નિર્ભય રહી વિચારે છે, એને થથરાવવા માટેની નિમ્ન સ્તરની યોજનાઓ સુધી વિસ્તરે છે, અને એમાં સરકારી પદાધિકારીઓ પણ ઝંપલાવે છે! ગુરમેહરને જે આઘાતક ધમકીઓ મળે છે, એની સામે બુલંદ પડકાર ફેંકવાને બદલે, યુનિવર્સિટી પ્રાંગણમાં હિંસા બિલકુલ ચલાવી ન લેવાય, એવી કૃતનિશ્ચય જાહેરાતને બદલે, સહુ ગુરમેહર પર તૂટી પડે છે. છોકરી છે, તે ય વીસ વરસની અને પોતે નિર્ભય છે એમ કહે છે? ચલાવી લેવાય આવો અનાચાર આ દેશમાં? માતૃભૂમિનાં ગુણગાન ગાવાનાં હોય, ત્યારે નાની કે મોટી ટિપ્પણી કરનાર આ બેઅદબ કોણ? આપો ધમકી બળાત્કારની. માની રક્ષા કરવાની વાતો કરવાની મોટે અવાજે, અને ટ્વીટર-બ્લૉગ પર ડરાવવાનું બળાત્કાર નામના નમાલાઓના શસ્ત્ર વડે! ગુરુમેહર કૌરની સામે જે જોખમ છે, તે દેશની બોલતી અને બોલી શકતી કોઈ પણ સ્ત્રી સામે હોઈ શકે. જો તમે હા જી હાની જમાતમાં નથી, જો તમે ખુશામતખોરોની ધમધમાટ દોડતી ગાડીમાં નથી, જો તમે ચૂપ રહીને ‘કશામાંયે હાજર નથી’ની મૃતઃપ્રાય દશાને પસંદ કરનારાં નથી, તો તમે અનેકોને ખૂંચવાના એ નક્કી.
વિરોધનો એકાદ સૂર કાઢનારી વ્યક્તિને ‘દેશદ્રોહી’ કહેવાની ફૅશન ચાલી છે આજકાલ. રેમ્પ પર ચાલનારા વરવા વેશધારીઓનું ટોળું મોટું થતું જાય છે. પોતાની આસપાસ આવડી મોટી જમાત છે એનો ઉન્માદ ભલભલાંને નશીલી અવસ્થામાં મૂકી દે છે. ચૂંટણીપ્રચારમાં કેવું-કેવું બોલ્યા છે સત્તાધારીઓ અથવા સત્તા-મહત્ત્વાકાંક્ષીઓ ! બંધારણના સોગંદ લઈ ગળું ફાડતાં કોઈને યાદ નથી આવતું કે ગુરમેહર પરનું આક્રમણ અંતે તો બંધારણ પરનું આક્રમણ ઠરે છે. હજી હમણાં જ કોણ બોલ્યું હતું કે સ્ત્રીઓ પર અત્યાચાર કરનારને રહેંસી નાખવા જોઈએ, એ બોલનારાં ઉમા ભારતી કે …?
સત્તાને શરણે બધાં ન્યાય-અન્યાય, અધિકાર-ગુલામી, સમતુલા અને ઉદ્દંડતાનો અર્થો ભૂલી જાય છે. બાકી ગુરમેહરને બળાત્કારની ધમકી મળે અને મેનકા ગાંધી કે સુષમા સ્વરાજ કશું જ ન અનુભવે એમ બને? પદલાભ મેળવવો એટલે સ્વતંત્રતા અભરાઈ પર ધૂળ ખાવા મૂકી દેવી. પદ મેળવ્યા બાદ એ ક્યારે ય ખપ ન લાગે એવી ચીજ. એની હાજરીની જાણ કેટલાકને હોય ખરી, પણ ધૂળની ઝાપટઝૂપટ કરી એનો ઉપયોગ કરવા જેટલી સજગતા કેટલા પાસે?
સત્તાનો મદ વિવેકને ધક્કે ચડાવે છે. ‘અમને કોઈ કહેનાર નથી’ એવો અહંકાર વાણી અને વર્તનને નિરંકુશ બનાવે છે. ઠેઠ ઉપર બેઠેલા કોઈને ડારતા નથી, રોકતા નથી, એમને તો આ ઘાતક ખેલમાં નથી કશું ખોટું દેખાતું, નથી કંઈ અટકાવવા જેવું લાગતું! પહેલાંયે ક્યારે લાગેલું, તે હવે લાગે?
મારા દેશમાં વીસ વર્ષની એક છોકરીને ધમકી મળે છે. નિર્ભયાથીયે બૂરા હાલ થવાની, અને સઘળો નાટારંગ યથાવત્ ચાલતો રહે છે એનો માથાવાઢ પ્રહાર ખમવા જેટલાં જડસુ આપણે છીએ, એને પણ આમ તો વિકાસ જ કહેવાયને? ને આ મંદવાડ અને ગંદવાડ માટે છે સ્વચ્છતા – અભિયાનની જોગવાઈ આપણે ત્યાં?
અબ્રામા, વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 04