દેશની આર્થિક નીતિનો એકમાત્ર આરાધ્યદેવ જી.ડી.પી.નો વૃદ્ધિદર બન્યો છે. તેના કેટલાંક પરિણામો નીપજ્યાં છે. તેના એક પરિણામ રૂપે જી.ડી.પી.નો અંદાજ વર્ષના અંતે મૂકવાને બદલે ત્રૈમાસિક ધોરણે મૂકવાની પ્રથા પડી છે. વિકસિત દેશોમાં મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ ભારતમાં જેને સંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે એવાં ક્ષેત્રોમાં થાય છે. તેથી અર્થતંત્રમાં થતી ઉત્પાદનપ્રવૃત્તિની આંકડાકીય માહિતી સુલભ હોય છે. આ માહિતીના આધાર પર જી.ડી.પી.માં થતાં ફેરફારો, એટલે કે એના વૃદ્ધિદરનો અંદાજ ત્રૈમાસિક ધોરણે વિશ્વાસપૂર્વક મૂકી શકાય છે. વર્ષનાં અંતે આ ત્રૈમાસિક અંદાજોમાં નહિવત્ સુધારાવધારા કરવાના થાય છે.
આનાથી ઊલટું, ભારતના અર્થતંત્રમાં રોજગારીની દૃષ્ટિએ અસંગઠિત ક્ષેત્ર ઘણું મોટું છે પણ જી.ડી.પી.માં તેનો હિસ્સો ઘણો ઓછો છે. દા.ત. ખેતીમાં ૪૮ ટકા લોકો રોકાયેલા છે, પણ જી.ડી.પી.માં તેનો હિસ્સો ૧૫ ટકાની આસપાસ રહે છે. બીજા લગભગ ૪૫ ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા છે, પણ જી.ડી.પી.માં તેમનો હિસ્સો ત્રીસેક ટકા જેટલો છે. આ ક્ષેત્રોમાં થતી ઉત્પાદનપ્રવૃત્તિની વિગતો મેળવવામાં સમય વીતે છે. વળી ખેતીમાં ત્રૈમાસિક ધોરણે જી.ડી.પી.ના આંકડા કરેલા અર્થપૂર્ણ બને તે એક પ્રશ્ન છે. ટૂંકમાં, ભારતમાં ત્રૈમાસિક ધોરણે જી.ડી.પી.નો અંદાજ મૂકવાની ખરેખર કોઈ ભૂમિકા નથી. વાસ્તવિકતા તો એ છે કે ભારતમાં જી.ડી.પી.ના કોઈ એક વર્ષના અંદાજને પણ પછીનાં બે વર્ષોમાં સુધારવામાં આવે છે. તેને ‘સુધારેલો અંદાજ’ (Revised Estimate) અને ‘અંતિમ અંદાજ’ (Final Estimate) એ શીર્ષક નીચે રજૂ કરવામાં આવે છે. આમ જી.ડી.પી.નો અંદાજ મૂકવા માટેની પ્રસ્તુત માહિતી મેળવવાની એને તેને સંસ્કારવાની પ્રક્રિયા ત્રણેક વર્ષ ચાલે છે. આ પ્રક્રિયામાં જે તે વર્ષના જી.ડી.પી.ના અંદાજમાં કેટલાક દાખલાઓમાં મોટો ગણી શકાય, એવો વધારો ઘટાડો થતો હોય છે. મુદ્દો એ કે ભારતમાં વર્ષના અંતે મૂકવામાં આવતો જી.ડી.પી.નો અંદાજ પણ કામચલાઉ (provisional) હોય છે. ત્રૈમાસિક અંદાજ તો અર્થતંત્રના કેવળ સંગઠિત ક્ષેત્રની વિગતો પર આધારિત હોઈ તદ્દન કામચલાઉ હોય છે. આવા અંદાજને એક સાક્ષરી વ્યાયામ (academic excercise) તરીકે જોવામાં આવે તે અપેક્ષિત છે અને તેમાં વિવેક પણ છે.
પણ ભારતમાં જી.ડી.પી.ના વૃદ્ધિદરનો રાજકીય ઉપયોગ કરી લેવાની ચતુરાઈ ધરાવતા વડાપ્રધાન આ વિવેક જાળવે, એવી અપેક્ષા રાખી શકાય તેમ નથી. ઑક્ટોબર-ડિસેમ્બરના ત્રૈમાસિક ગાળામાં સાત ટકા વૃદ્ધિદરનો અંદાજ આવ્યો, તે પોતાના ‘હાર્ડવર્ક’ને આભારી છે અને નોટબંધીની અસર વિશે હાર્વર્ડના અર્થશાસ્ત્રી ખોટા પડ્યા એ વિશે વ્યંગ કરીને વડાપ્રધાને તત્કાળ રાજકીય સ્કોર કરી લીધો. પણ ઉપર દર્શાવ્યું છે તે પ્રમાણે જી.ડી.પી.નો ત્રૈમાસિક અંદાજ તદ્દન કામચલાઉ હોય છે અને તેમાં અસંગઠિત ક્ષેત્રોમાં થતી ઉત્પાદનપ્રવૃત્તિમાં થઈ રહેલાં પરિવર્તનોનું પ્રતિબિંબ પડતું હોતું નથી. બીજી બાજુ, નોટબંધીની અસર મુખ્યત્વે સારા પ્રમાણમાં રોકડ નાણાંનો ઉપયોગ કરતા અસંગઠિત ક્ષેત્ર પર પડી છે.
અસંગઠિત ક્ષેત્રમાં વધતી બેકારી, ઘટતું ઉત્પાદન અને ઘટતા વેતનના અહેવાલો અખબારોમાં નિયમિત પ્રગટ થતા હતા. નગરવિસ્તારમાં બેકાર થયેલા કામદારો ગ્રામવિસ્તારમાં પણ પાછા ફર્યાના અને ‘મનરેગા’ હેઠળ રોજગારી માગતા હોવાના અહેવાલો પણ અખબારોમાં પ્રગટ થતા હતા. ખેડૂતોને તેમનાં શાકભાજીના ભાવો ખૂબ નીચા મળ્યા હોવાની વિગતો પણ પ્રગટ થઈ હતી. આમાંની એક પણ હકીકત જી.ડી.પી.ની વૃદ્ધિના આંકડામાં ઝિલાઈ નથી. ભારતમાં જી.ડી.પી.ના વૃદ્ધિદરની મોટી મર્યાદા આ અનુભવમાંથી ઊપસી આવે છે. ખેતીનું ઉદાહરણ લઈને આ મર્યાદાને સમજીએ.
દેશમાં ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ ઉપરાઉપરી પડેલા બે મોટા દુષ્કાળનાં વર્ષો હતાં. એને પરિણામે ખેતીમાં સર્જાતી જી.ડી.પી. લગભગ સ્થિર રહી હતી અને ખેડૂતો આર્થિક રીતે વિષમ સ્થિતિમાં મુકાઈ ગયા હતા. એને પરિણામે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા પણ બનતા રહ્યા હતા, પણ એ બે વર્ષોમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર અર્થતંત્રનું ગુલાબી ચિત્ર દર્શાવતો હતો. એ બે વર્ષોમાં જી.ડી.પી.માં અનુક્રમે ૭.૨ ટકા અને ૭.૬ ટકાનો વધારો થયો હતો. આ અનુભવ એ સૂચવે છે કે દેશના લગભગ ૫૦ ટકા લોકોની આવકમાં વધારો ન થવા છતાં કે અલ્પ વધારો થયો હોવા છતાં દેશની જી.ડી.પી.માં સાત ટકાથી ઊંચા દરે વધારો થઈ શકે છે. અને આ વૃદ્ધિદર દુનિયાના ૪૨ મોટા દેશોમાં સહુથી ઊંચા દરે વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રનું ગૌરવ લઈ શકાય તેટલો મોટો છે. આમ, દેશના અર્થતંત્રમાં ઊંચા દરે થતી જી.ડી.પી.ની વૃદ્ધિનો લાભ અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા લોકોને અલ્પ પ્રમાણમાં મળતો હોય કે બિલકુલ ન મળતો હોય એવું બની શકે છે. દેશમાં જેમ ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ છે, તેમ અર્થતંત્રમાં ‘સંગઠિત’ અને ‘અસંગઠિત’ ક્ષેત્રો છે.
૨૦૧૬-૧૭ના વર્ષમાં ખેતીના ક્ષેત્રે જી.ડી.પી.માં ચાર ટકાથી અધિક વધારો થશે, એવો અંદાજ છે, પણ કુલ જી.ડી.પી.નો વૃદ્ધિદર સાત ટકા અને અપેક્ષા રાખવામાં આવે છે તે પ્રમાણે ઘટે તો ૬.૫ ટકા કે તેનાથી ઓછો રહેશે. આ દાખલામાં પણ ખેતીમાં વધેલી જી.ડી.પી.નો દેશની કુલ જી.ડી.પી.ના વૃદ્ધિદર પર પ્રભાવ પડ્યો નથી. આમ, દેશમાં ખેતીમાં રોકાયેલા લગભગ ૫૦ ટકા લોકોની આર્થિક સ્થિતિમાં થતા ફેરફારનો કોઈ નિર્દેશ જી.ડી.પી.ના વૃદ્ધિદરમાંથી સાંપડતો નથી. જે ખેતી માટે સાચું છે, તે અર્થતંત્રનાં અન્ય અસંગઠિત ક્ષેત્રો માટે પણ ઓછાવત્તા પ્રમાણમાં સાચું છે.
દેશની આંકડાકીય સંસ્થા (CSO)ના નિયામક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, તે પ્રમાણે દેશના અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્ર પર પડેલી નોટબંધીની અસર તે ક્ષેત્રોની આંકડાકીય માહિતી પ્રાપ્ત થતાં થોડા મહિના પછી જાણી શકાશે. એ ક્ષેત્રો પર પડેલી અસરને કારણે જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં ફક્ત અડધા ટકાનો ઘટાડો થાય, તો દેશની જી.ડી.પી.માં રૂ. ૭૫,૦૦૦ કરોડનો ઓછો વધારો થાય. આ ઘટ મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોએ ગુમાવેલી રોજગારી અને આવકનું પરિણામ હશે. આ ક્ષેત્રમાં કામ કરતા મોટા ભાગના લોકોનું માસિક વેતન રૂ. પાંચ-સાત હજાર જેટલું હોય છે. પુરુષોની આ આવકમાં સ્ત્રીઓ કામ કરીને થોડી પૂર્તિ કરતી હોય છે, પણ આ આવકમાં તેમને પાંચ-સાત માણસોના કુટુંબનું ભરણપોષણ કરવાનું હોય છે. આવાં હજારો કુટુંબોએ જે આર્થિક આપત્તિ ભોગવી, તે જી.ડી.પી.ના અડધા ટકામાં અસરકારક રીતે થતી નથી, કેમ કે વૃદ્ધિદરમાં અડધા ટકાનો ઘડાટો નજીવો લાગે છે.
જી.ડી.પી.ના વૃદ્ધિદર અને તેના આધાર પર રોજગારીમાં થતા વધારા વચ્ચે કોઈ નિશ્ચિત સંબંધ નથી, એ હકીકતમાંથી જી.ડી.પી.ના વૃદ્ધિદરની બીજી મોટી મર્યાદા ઉદ્ભવે છે. વિકસિત દેશોની તુલનામાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ પ્રશ્ન વધારે ગંભીર છે, પણ અમેરિકા જેવા વિકસિત દેશોમાં જી.ડી.પી.ના ત્રૈમાસિક વૃદ્ધિદરની સાથે બેકારીના આંકડા પણ પ્રગટ કરવામાં આવે છે. મતલબ કે દેશની આર્થિક તંદુરસ્તીને કેવળ જી.ડી.પી.માં થતા વધારાઘટાડાના આધારે તપાસવામાં આવતી નથી. તેની સાથે રોજગારીનો પણ એક નિર્દેશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આ બીજો નિર્દેશક વધારે અગત્યનો છે, કેમ કે દેશમાં દર વર્ષે યુવાનો માટે એક કરોડથી અધિક રોજગારીની તકો સર્જવી એ આપણી જરૂરિયાત છે. પણ ભારત જેવા વિકાસશીલ દેશોમાં રોજગારીવિહીન વૃદ્ધિ(જૉબલેસ ગ્રોથ)ની સમસ્યા ઘણી જાણીતી છે. ભારતમાં સાત ટકાનો ઊંચો વૃદ્ધિદર છેલ્લાં બે વર્ષોમાં બહુ ઓછી રોજગારી સર્જી શક્યો છે. આમ, ઊંચા દરે થઈ રહેલી આર્થિક વૃદ્ધિનો બહુ ઓછો લાભ રોજગારી શોધતા યુવાનોને મળે છે. આના ઉપાય રૂપે વૃદ્ધિદરને ૯-૧૦ ટકા પર લઈ જવાની ભલામણ કરવામાં આવે છે, પણ આર્થિક વૃદ્ધિનું સ્વરૂપ બદલ્યા વિના, કેવળ વૃદ્ધિદર વધારવાથી રોજગારીની તકો વધુ મોટા પ્રમાણમાં કેવી રીતે સર્જાશે, તે સ્પષ્ટ નથી.
છેલ્લે, ભારતનું અર્થતંત્ર દુનિયામાં સહુથી ઊંચા દરે વૃદ્ધિ પામી રહ્યું છે, એ હકીકતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજીએ. આપણે સ્વીકારીએ કે ભારતનું અર્થતંત્ર ૭.૫ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે અને બીજા નંબરે આવતું ચીનનું અર્થતંત્ર ૬.૫ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના અંદાજ પ્રમાણે ૨૦૧૬માં ચીનની માથા દીઠ આવક ૮૨૬૦ ડૉલર હતી અને ભારતની માથા દીઠ આવક ૧૭૧૯ ડૉલર હતી. જાડી ગણતરી પ્રમાણે ચીનની માથા દીઠ આવકમાં એટલે ૫૪૦ ડૉલરનો વધારો થાય, જ્યારે ભારતની માથા દીઠ આવકમાં ૧૩૦ ડૉલરનો વધારો થાય. ચીનનો વૃદ્ધિદર ભારત કરતાં ઓછો હોવા છતાં ચીનની માથા દીઠ આવક ડૉલરમાં ભારત કરતાં ચાર ગણી વધે. હવે ઊંચા વૃદ્ધિદરથી કેટલું ગૌરવ અનુભવવું એ વાચકે નક્કી કરવાનું છે.
પાલડી, અમદાવાદ-૦૭.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 03-04