સ્મૃિત તો નબળી છે પણ તેમના જીવનકાર્યનું આકર્ષણ જોરદાર રહ્યું છે, તેથી આ લખવા હિંમત કરી છે. દરુસાહેબનું નામ સાંભળતા જ આદરથી માથું નમી જાય છે. તેમને હું દૂરથી ઓળખતી હતી પણ એટલું બધું દૂરથી ય નહીં. મજૂર મહાજન સંઘના કાયદા વિભાગમાં વકીલની ડિગ્રી અને બાર કાઉન્સિલનો છાપસિક્કો લઈને કામે રહ્યા હોઈએ (૧૯૫૫થી) અને દરુસાહેબનાં ગુણગાન (સાચાં-ખોટાં) ન સાંભળીએ એવું તો બને નહીં ને! હું તો મહાજનમાં હજુ નવી હતી મિલોની મૅનેજમેન્ટની ગૂંચ સમજવામાં જ હજુ અટવાતી હતી. પણ વખત જતાં, લેબર-કમિશનરની ઑફિસના ધક્કા ખાતાં-ખાતાં લેબરકોર્ટમાં એપિયર થવા સુધીનું સ્નાતકપદ મેળવ્યું. ત્યાર પછી તો મારું વકીલાતનું લક્ષ જ બદલાઈ ગયું. દેશમાં જે વિશાળ વર્કફૉર્સ (૯૦ ટકા) અને તેમાંથી શ્રમિક બહેનો (૫૦ ટકા) કોઈ પણ લેબર કાયદાથી વંચિત રહ્યાં, અરે, જેને ‘વર્કર’ની વ્યાખ્યામાંથી ય બાકાત રાખ્યા – ઇન્ડિયન સેન્સસે પણ બિનકામદાર / નૉનવર્કર તરીકે નોંધ્યાં છે (૧૯૯૦ સુધી) તેમનાં યુનિયન બનાવવા તરફ મારું લક્ષ્ય કેન્દ્રિત કર્યું. ટૂંકમાં, ફૉર્મલ /ઑર્ગેનાઇઝ્ડ લેબરમાંથી ઇન્ફોર્મલ / અન-ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં જ કામ કરવું તેવું મેં દૃઢ પણે વિચાર્યું. ફોર્મલ સેક્ટર એટલે કે જ્યાં માલિક-મજૂરનો સંબંધ હોય, જેને બોમ્બે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ ઍક્ટ લાગુ થતો હોય તેમાંથી મારો રસ જ ઊડી ગયો. પરિણામે ‘સેવા’ યુનિયન બાંધ્યું (૧૯૭૨).
કદાચ તેથી જ દરુસાહેબના લડેલા બે કેસ મને યાદ રહી ગયા છે, મારા મનમાં આજે પણ બરાબર ઠસેલા છે.
• પહેલો કેસ મારી સ્મૃિતમાં છે તે બ્લીચ-ફોલ્ડરનો. મજૂરકાયદા હેઠળ મિલમાં જે બે કલાક સળંગ ટેબલખુરશી પર બેસીને લખવાનું કામ કરતા હોય, જેને સેમીક્લાર્ક કહેવાય તેને તે મુજબ સેમીક્લાર્કનો પગાર મળી શકે. મિલમાં બ્લીચ-ફોલ્ડરને લખવાનું કામ વધુ રહેતું, તેથી તેમણે સેમીક્લાર્કનો પગાર માંગ્યો. મિલે ના પાડી. કેસ કર્યો. મિલમાલિકમંડળ સામે કામદાર વતી દરુસાહેબ ઊભા રહ્યા, હાર્યા. હાઈકોર્ટમાં ગયા ત્યાં પણ હાર્યા.
આ કેસ બાબત મહાજન કોઈ રીતે સંકળાયેલું નહોતું છતાં ય અમારા લિગલ ખાતામાં રોજરોજ આ કેસ ચર્ચાતો. કેસની યોગ્યાયોગ્યતા કોઈના મનમાં સ્પષ્ટ નહોતી. મને પણ નહોતી. તો પણ મને એ ખાસ યાદ રહી ગયો છે, કારણ કે એ મારો દરુસાહેબની વકીલાતનો પહેલો પરિચય હતો. ત્યારે તો શબ્દો નહોતા પણ આજે કહું કે આ તેમની ‘ઇનોવેટિવનેસ’ હતી, જેને હું બિરદાવું છું. આજ લગી જે કામને મજૂરકાયદાના મધ્ય પ્રવાહમાં નહોતું ગણાયું તે કામને તે કાયદાની અદાલત સુધી લઈ ગયા. અંતે ૧૯૭૦માં કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. મજૂર મહાજન સંઘે પણ સુપ્રીમમાં ટેકો આપ્યો. (વિરોધ છતાં) કેસ જીત્યા. તેમાંથી ‘સેમીક્લાર્ક’નું એક લિગલ સ્ટેટસ જન્મ પામ્યું. બ્લીચ-ફૉલ્ડરોને મોટી સંખ્યામાં લાભ મળ્યો.
મજૂરમહાજન તથા દરુસાહેબ વચ્ચેના સમુધુર સંબંધો ત્યારે પહેલી વાર હું સમજી. અમે/તમેનો સંબંધ હોવા છતાં મજૂરસેવાનો પથ તો બેઉનો એક જ હતો.
બીજો કેસ જે મને બહુ યાદ છે, જે હું મારા ‘સેવા’ના સાથીદારોને કદીક સંભળાવું છું તે ઇચ્છાબહેનનો કેસ.
• સોમા ટેક્ષટાઇલ મિલમાં ઇચ્છાબહેન લક્ષ્મીશંકર, વાઇન્ડર તરીકે કામ કરે. સુવિદિત છે કે વાઇન્ડિંગખાતું આખું સ્ત્રી-કામદારોનું વસેલું (દિવસપાળીમાં) અને તમામ, એક-બે અપવાદ (જૉબર) સિવાય બધા જ કામદારો કૉન્ટ્રેક્ટ પર કામ કરે. તેમને કૉન્ટ્રેક્ટર પગાર ચૂકવે. મિલના કાયદેસરના પગાર કરતાં લગભગ બેથી ત્રણ હજાર રૂપિયા એકંદરે ઓછા ઊતરે. તો આ ઇચ્છાબહેને, મિલકામદાર સમકક્ષ પગાર માટે માંગણી કરી. મહાજન ત્યારે વ્યક્તિગત કેસ લડવા દેતી અને વાંધો નહીં ઉઠાવતી તે મહાજનની ઉદારતા કહેવાય અને દરુને એ ગમતું.
દરુએ ઇચ્છાબહેનનો કેસ લડી આપ્યો. ફી વગર. એ તેમની મોટાઈ. આ કેસ લેબરકોર્ટમાં ગયો ત્યારે જજે કૉન્ટ્રેક્ટ લેબરને રેગ્યુલર લેબરની વ્યાખ્યામાં બંધ બેસાડ્યા. સ્વીકાર્યા. ત્યારની દરુસાહેબની દલીલો કઈ હતી તે જાણવા આજે હું ઘણી જ ઉત્સુક છું. હાઈકોર્ટમાં ય જીત્યા. આથી વાઇન્ડિંગ ખાતાના તમામ મિલકામદારોને ફાયદો થયો. ઇચ્છાબહેનની ઇચ્છા પૂરી થઈ (આજની મારી ઇચ્છા પૂરી થઈ.) ‘ Workman engaged through and agency is also workman.’ આ મતલબનું જજમેન્ટમાં નોંધ્યું તેવું જાણમાં આવ્યું છે.
આ બેઉ કેસમાં મારું કહેવું એ છે કે ખરેખર તો કાયદામાં વાંધો નથી, પણ કાયદાને ઇન્ટરપ્રીટ કરનારના પરસેપ્શનમાં વાંધો છે એ પરસેપ્શન બદલતાં અમને-‘સેવા’ને વર્ષોનાં વર્ષો જઈ રહ્યાં છે. જો કે હાલના નવા લેબર-રિફોર્મમાં તો પ્રિન્સિપલ ઍમ્પ્લોયરનો તો છેદ જ ઉડાડી દીધો છે !
ખરેખર તો ફોર્મલ-ઇન્ફોર્મલ વર્કની સમજ જ મૂળમાંથી ખોટી છે. શ્રમ એ શ્રમ. લેબર એ લેબર જ છે – એ સૌ રાષ્ટ્રીય આવકમાં તથા જીડીપીમાં ઉમેરો કરે છે, જે દીવા જેવી ચોખ્ખી હકીકત છે. આવી ‘સેવા’ની અમારી લડત સાથે આ બેઉ કેસ સીધો સંબંધ ધરાવે છે, તેથી જ મારી એ સ્મૃિત આજ લગી કાયમ રહી છે અને અહીં નોંધવાનું મને યોગ્ય લાગ્યું.
એમ તો દરુસાહેબ અન્ય બાબતો માટે પણ યાદ આવે છે. મિસાના કાયદા હેઠળ આપણા નજીકના સાથીઓના હાથ સીલ થઈ ગયેલા, તેના કેસો લડેલા અને બધાને છોડાવેલા. મારી યાદદાસ્ત બરાબર ન હોય તો માફ કરશોજી. યાદ છે, જસ્ટિસ સાકળચંદ શેઠની (કદાચ) આ જજમેન્ટને પરિણામે ટ્રાન્સફર થઈ ત્યારે ત્રિવેન્દ્રમમાંથી એચ. એન. સીરવાઈએ આ ટ્રાન્સફરને ગેરબંધારણીય છે તેવું સ્ટેટમેન્ટ આપેલું. સાંભળ્યું’તું ત્યારે દરુસાહેબે જસ્ટિસ સાકળચંદને મળીને પૂછેલું કે શ્રી સીરવાઈને રોકી લઈએ? શેઠ સંમત થયા. દરુ કેસ લડ્યા. યુ.એસ.-કૅનેડાનાં બંધારણને ક્વોટ કર્યાં. ‘જજની કન્સેન્ટ વગર તેની ટ્રાન્સફર ન થાય.’ તેવું જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટે આપ્યું. ત્યારે દરુ જેલમાં હતા. દેશના બંધારણની પવિત્રતા માટે લડ્યા અને જીત્યા. એવા હતા દરુ.
હું દરુસાહેબને ત્રણ-ચાર વાર રૂબરૂ મળેલી. તેમની ઑફિસમાં અને એક વાર કોર્ટમાં. દેખાવે શ્યામ, ઊંચા નહીં, સાદા મલમલનો લેંઘો-ઝભ્ભો ને હાથમાં સિગાર, વાતચીત બે-ચાર વાક્યોથી વધારે થઈ નહોતી. હું તેમની પ્રશંસક થતી જાઉં છું. મહાજનમાં રહીને, ખાદીધારી રહીને, છતાં ય તેની તેમને ક્યાં ખબર હતી ?! આજે તેમને યાદ કરવાનો લાભ મળ્યો તે માટે પ્રકાશ[ન.શા]ભાઈની આભારી છું.
આ લખાણની ચોકસાઈ માટે મારા મહાજનસાથી શ્રી ધીમંત વસાવડાને મારું લખાણ વંચાવ્યું છે, વિગતમાં તેમણે સુધારો કર્યો છે તે માટે તેમની આભારી છું. તેમણે મને એક સરસ વાત કરી. ધીમંતભાઈએ એક પિટિશનનો ડ્રાફ્ટ કરેલો અને તે દરુસાહેબને બતાવ્યો. તેમણે કહ્યું, ‘ધીમંત, આટલું ભારે અંગ્રેજી લખાતું હશે ? … જજને આપણે ભાષાથી ઇમ્પ્રેસ કરવાના નથી … તું વસાવડાનો દીકરો ? હું તને ધીમંત જ કહીશ.’
મેં દરુને સાંભળ્યા છે. તે કહેતા કે ‘વકીલાતનો પહેલો નિયમ કે શું ન બોલવું, તે પોતે સાદું અને ટૂંકું બોલતા તેથી જ તો આટલા અસરકારક નીવડ્યા !’
દરુ તેમના પ્રોફેશનલ એથિક્સ માટે પણ જાણીતા છે. મેં સાંભળ્યું છે કે એક વાર, મિલમાલિકમંડળના એક જાણીતા વકીલે ‘સીકનોટ’ મોકલી. સામે પક્ષે દરુ હતા. જજે કહ્યું કે જાઓ તે વકીલના ઘેર ને જુઓ કે તે માંદા છે? દરુસાહેબે તરત જ કહ્યું. ‘ના, મુદત આપો, સાહેબ.’
દરુસાહેબના મહાજન સાથેના સંબંધો બહુ રસપ્રદ હતા. મહાજનમાં અમે બધા ગાંધીવિચારવાળા, શિસ્તબદ્ધ. દરુસાહેબને ખાદી, દારૂબંધી, ગાંધીભક્તિ જેવાં બંધનો અમાન્ય તેમને તો જોઈએ ‘ફ્રીડમ’! બીજો મહારાજનો વિરોધ જે આજીવન રહ્યો તે પણ ફ્રિડમની બાબતનો જ. મજૂરમહાજન સંઘ અમદાવાદમાં રેપ્રિઝેન્ટેટિવ યુનિયન. તેના સિવાય અન્ય કોઈ યુનિયનને મજૂરના કેસ લડવાનો અધિકાર નહીં (‘નો લોક્સ સ્ટેન્ડી’). દરુસાહેબને આ ધરાર મંજૂર નહીં. તે તો માને કે રાઈટ ટુ ડિફેન્ડ ઇઝ કૉન્સ્ટિચ્યૂશનલ રાઇટ – પોતાને ડિફેન્ડ કરવાનો દરેકને બંધારણીય અધિકાર છે. દરુસાહેબ આ બાબતમાં છેવટે સુધી નિરાશ રહ્યા. તેમનો આગ્રહ જેટલો વ્યક્તિગત સ્વાતંત્ર્યનો એટલો જ સંસ્થાકીય સ્વાતંત્ર્યનો. તેમાં જ તો તેમણે જીવન સમર્પિત કર્યું.
છેલ્લે, પેંડા ખાઈને આ સ્મૃિતમાળાને પૂરી કરું. મહાજનમાં અમે બેઠાં હતાં. અને એક ખોખામાં બે પેંડા આવ્યા. શાના ? ક્યાંથી ? લેબર કોર્ટમાંથી. ઇન્દિરા ગાંધીની હાર પછી નવી સરકાર બની. નવા પ્રધાનમંત્રી (મોરારજી દેસાઈ) આવ્યા. તેના પેંડા. બનેલું એવું કે દરુ લેબર કોર્ટમાં આવી પહોંચ્યા. ખુશમાં હતા. બાર એસોસિએશને સૌને પેંડા વહેંચ્યા. ધીમંત વસાવડા પણ હાજર હતા. દરુએ કહ્યું. ખુશાલીની ઘડી છે. ‘આજે ડે ઑફ ડીલિવરન્સ’!
‘ઇન્ડિવિડ્યુઅલ ફ્રીડમ ઍન્ડ સિવિલ લીબર્ટીઝ’નું મૂલ્ય તેમના દિલમાં વસ્યું હતું, જેમાં તેમણે તેમનું જીવન ખપાવી દીધું. બીમાર પડ્યા અને વિદેશ ગયા અને સ્વદેશ પાછા ન આવી શક્યા. સ્વધામ પહોંચી ગયા (૧૯૭૯). બંધારણ, મજૂર કાયદા અને સેવા ક્ષેત્ર, આ ત્રણ કાયદાના નિષ્ણાત તરીકેની તેમની અવિસ્મરણીય સ્મૃિત ઇતિહાસમાં કાયમ રહેશે.
ઉસ્માનપુરા, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 03-04
[ચંદ્રકાન્ત દરુની જન્મ શતાબ્દી (2૩ જૂન 2016) ઉજવણી પ્રસંગે 16 જુલાઈ, 2016ના રોજ ફલી નરીમાન અને ઉપેન્દ્ર બક્ષીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રકાશિત થનારા સ્મૃિતગ્રંથમાંથી ચૂંટેલો લેખ]