દર વર્ષે 10 ઑક્ટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિન ઊજવાય છે. વર્ષ ૧૯૯૨માં વર્લ્ડ ફૅડરેશન ફૉર મેન્ટલ હૅલ્થ દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી. થોડા વખત પહેલાં ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશને’ એક રિપૉર્ટ ‘હાઉ ઇન્ડિયા પર્સિવ્સ મેન્ટલ હૅલ્થ’ પ્રગટ કર્યો હતો. આ રિપોર્ટ આઠ ભારતીય શહેરોમાં લોકો માનસિક આરોગ્યને કઈ રીતે જુએ છે એ સંદર્ભે થયેલા સર્વે પર આધારિત હતો. તેમાં એવું જાણવા મળ્યું કે 87 ટકા લોકો સ્કિઝૉફ્રેનિયા અને ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર જેવી માનસિક બીમારીઓ સાથે વત્તાઓછા અંશે જોડાયેલા છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું કે 50 ટકા લોકો માનસિક તકલીફો પ્રત્યે તિરસ્કારથી જુએ છે, 60 ટકા લોકો માને છે કે માનસિક બીમારીવાળા લોકોનો ચેપ તંદુરસ્ત લોકોમાં ન ફેલાય તે માટે તેમનાં પોતાનાં જૂથો હોવા જોઈએ અને 68 ટકા લોકો માને છે કે આવા લોકોને કોઈ જવાબદારી ન સોંપાવી જોઈએ.
ખરેખર તો માનસિક રીતે બીમાર વ્યક્તિ પ્રત્યે જવાબદાર, જાગૃત ને પરિપક્વ દૃષ્ટિકોણથી જોવું જોઈએ અને માનસિક સમસ્યા ધરાવનાર સાથે એને સંભાળનારને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે તે સમજવું જોઈએ. આપણે એવું કરીએ છીએ, કરી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ કદાચ ‘15, પાર્ક એવન્યુ’ નામની અપર્ણા સેનની નેશનલ અવૉર્ડ વિનિંગ ફિલ્મમાં મળે. આ ફિલ્મ બન્યાને દોઢ દાયકા જેટલો સમય થયો હશે. પણ એ પહેલા કે એ પછી આજ સુધીમાં આટલી સંવેદનશીલતાથી, આટલી ચોકસાઈથી અને આટલી સુંદર રીતે માનસિક બીમારી પર ભાગ્યે જ કોઈ ભારતીય ફિલ્મ બની હશે.
ફિલ્મની શરૂઆત અનુ (શબાના આઝમી) અને તેની નાની બહેન મીઠી (કોંકણા સેન) કારમાં એક ઘર – 15, પાર્ક એવન્યુ શોધી રહ્યા છે એ દૃશ્યથી થાય છે. દરમિયાન એક ફોન આવે છે. અનુ કહે છે, ‘મીઠી, વી હેવ ટુ ગો બેક. મારે કોલેજ જવાનું છે, વિદ્યાર્થીઓ રાહ જુએ છે.’ મીઠી કહે છે, ‘તો મારાં બાળકો પણ મારી રાહ જુએ છે ને.’ ધીરે ધીરે આપણને સમજાતું જાય છે કે મીઠી જેને શોધે છે એવું કોઈ ઘર છે જ નહીં. રાહ જોતાં પતિ અને બાળકો એના સ્ક્રીઝોફેનિક મનનું અધૂરું સ્વપ્ન માત્ર છે.
નોર્મલ અને એબ્નોર્મલની સીમા આખરે કઈ છે? જેને માટે ભ્રમણાઓનું વિશ્વ જ સાચું છે એનો અનુભવ, એ આપણા કરતાં જુદો છે એટલા માત્રથી એને નકારવાનો આપણને અધિકાર મળી જાય? ભારતીય સિનેમાને માનસિક બીમારીને પણ રોમેન્ટિસાઈઝ કરવાની ટેવ છે, જ્યારે ‘15, પાર્ક એવન્યુ’ એને નોર્મલાઈઝ કરે છે. મીઠીનું વર્તન, તેને અલગ કે એકલી પાડવાને બદલે દર્શકોને એની સાથે જોડે છે ને એના મગજના સ્તરોને સમજવા પ્રેરિત કરે છે. અપર્ણા સેન એ યાદ અપાવવામાં સફળ થાય છે કે સ્વપ્નમાં કે જાગતાં આપણે બધા જ આપણા એક ખોવાયેલા ઘરને શોધવા મથતા હોઈએ જ છીએ
તે રાત્રે અનુને એક લેખ લખવાનો છે અને મીઠી આવીને એના ઘરની, રાહ જોતા પતિ અને પાંચ બાળકોની વાત માંડે છે. અકળાયેલી અનુ કહે છે, ‘એ બધું તારો ભ્રમ છે. એવી કોઈ જગ્યા, એવા કોઈ લોકો ક્યાં ય છે જ નહીં.’ ત્યારે મીઠી તેને વીંધી નાખે તેવો સવાલ કરે છે, ‘આ કેવી વાત? તને કોઈ કહે કે તું પ્રોફેસર છે તે તારો ભ્રમ છે, તો?’ અને એને સ્તબ્ધ મૂકીને ચાલી જાય છે. મોડી રાત્રે તેને તેનાં બાળકો રોતાં હોય એમ લાગે છે, એ ઘરનો દરવાજો ખોલી બહાર જવાની કોશિશ કરે છે, નથી જઈ શકતી ત્યારે પોતાના કાંડા પર બ્લેડ ફેરવી દે છે. અનુ, એની મા (વહીદા રહેમાન) અને આયા તેને લઈને હૉસ્પિટલમાં દોડે છે.
મીઠી અન્ડર ટ્રીટમેન્ટ છે ત્યારે અનુ (શબાના આઝમી) સાઈક્યાટ્રિસ્ટ ડૉ. કુનાલ(ધૃતિમાન ચેટર્જી)ને પૂછે છે, ‘મીઠી તેના કાલ્પનિક વિશ્વમાંથી જે આનંદ મેળવે છે તેને છીનવી લેવાનો આપણને શો અધિકાર છે?’ ત્યારે આપણે વિચારતા થઈ જઈએ છીએ. નોર્મલ અને એબ્નોર્મલની સીમા આખરે કઈ છે? જેને માટે ભ્રમણાઓનું વિશ્વ જ સાચું છે એનો અનુભવ, એ આપણા કરતાં જુદો છે એટલા માત્રથી એને નકારવાનો આપણને અધિકાર મળી જાય?
એક આઘાતજનક ‘સિક્વન્સ’ પણ ફિલ્મમાં છે – અનુ કૉલેજમાં ક્વૉન્ટમ ફિઝિક્સ શીખવતી હોય છે ત્યારે ઘરમાં એક તાંત્રિક મીઠીનો ‘ઈલાજ’ કરતો હોય છે. આપણા દેશમાં સાઈક્યાટ્રિસ્ટ પાસે આવતા પહેલાં દરદીઓ આવા અનુભવમાંથી પસાર થયા જ હોય છે. પણ મીઠીને સ્ક્રીઝોફેનિયા કેવી રીતે થયો? અનુ ડૉક્ટરને જણાવે છે, ‘મીઠી નાની હતી ત્યારથી એકલી ફર્યા કરતી, પોતાનામાં ડૂબેલી રહેતી અને ગભરુ હતી. પછી તો સારું ભણી, જર્નાલિસ્ટ થઈ, સરસ બૉયફ્રેન્ડ હતો. સામૂહિક બળાત્કાર થયા પછી તેને સ્ક્રીઝોફેનિયા થયો.’ ડૉક્ટર કહે છે, ‘એ અર્થઘટન ખોટું છે. સ્ક્રીઝોફેનિયા આ રીતે થતો નથી. એને સ્ક્રીઝોફેનિયા હતો જ, લક્ષણો એ પછી દેખાયાં.’
આ બાજુ ગભરુ, થોડી વિચિત્ર અને માનસિક સારવાર લેતી હોવા છતાં તેને ચાહતો અને પરણવા તૈયાર થયેલો જોયદીપ રૉય (રાહુલ બૉઝ), બળાત્કાર પછીની મીઠીની અને પોતાની સ્થિતિને સંભાળી શકતો નથી અને એક ચિઠ્ઠી લખી ચાલ્યો જાય છે. અનુ સંજીવ(કંવલજિત)ને ચાહે છે, પણ એની જવાબદારીઓ એને સંજીવથી દૂર કરતી રહે છે. માને એની પોતાની અસહાયતા છે.
અગિયાર વર્ષ બાદ અચાનક જોયદીપ દેખા દે છે. એ હવે પરિણીત છે, બે સુંદર બાળકોનો પિતા છે. મીઠી એને ઓળખી શકતી નથી, પણ એને કહે છે કે 15, પાર્ક એવન્યુમાં એનો પતિ અને બાળકો એની રાહ જુએ છે અને એને કોઈ ત્યાં લઈ જતું નથી. જોયદીપને ખ્યાલ આવે છે કે મીઠીનો કાલ્પનિક પતિ એ પોતે જ છે અને બાળકો, જોયદીપે એક વાર મજાકમાં બાળકોની કલ્પના કરીને નામ પાડેલાં એ જ છે.
મીઠીએ પોતાને ઓળખ્યો નથી, પણ વિશ્વાસ તો મૂક્યો છે એ જોઈ જોયદીપ અનુને કહે છે કે એકવાર હું મીઠીને લઈ 15, પાર્ક એવન્યુ શોધવા જાઉં. બન્ને જાય છે, કારમાંથી ઊતરી ઘર શોધે છે. લોકો મજાક ઉડાવવા માંડે છે, જોયદીપ મીઠીને લઈ પાછો જવાની તૈયારી કરે છે ત્યાં મીઠીને 15 નંબરનું ઘર દેખાય છે, આંગણામાં એનાં બાળકો રમતાં દેખાય છે. સૌથી નાના બાળકને લઈને બેઠેલો પતિ દેખાય છે. મીઠી આનંદથી એમને ભેટી પડે છે અને સૌ હસતાંરમતાં અંદર ચાલ્યા જાય છે. ગુમ થઈ ગયેલી મીઠીને શોધતા જોયદીપ, કુનાલ અને અનુનાં દૃશ્યો સાથે ફિલ્મ પૂરી થાય છે.
ભારતીય સિનેમાને માનસિક બીમારીને પણ રોમેન્ટિસાઈઝ કરવાની ટેવ છે. એની સામે 15, પાર્ક એવન્યુ એને નોર્મલાઈઝ કરે છે. મીઠીનું વર્તન, તેને અલગ કે એકલી પાડવાને બદલે દર્શકોને એની સાથે જોડે છે ને એના મગજના સ્તરોને સમજવા પ્રેરિત કરે છે. અપર્ણા સેન એ યાદ અપાવવામાં સફળ થાય છે કે સ્વપ્નમાં કે જાગતાં આપણે બધા જ આપણા એક ખોવાયેલા આશ્રયને શોધવા મથતા હોઈએ જ છીએ.
મે મહિનાને માનસિક આરોગ્ય માસ ગણવામાં આવે છે. યુ.કે.ના પત્રકાર હેટ્ટી ગ્લેડવેલે ગયા વર્ષે ‘મારી માનસિક બીમારી વિશે લોકોએ કહેલી વાતો’ને વર્ણવતા હૅશટેગ સાથે ટ્વિટર થ્રૅડ શરૂ કરેલો. આ થ્રૅડ વાઇરલ બન્યો અને તેનાથી માનસિક બીમારીથી પીડાતા લોકો પાસેથી સાંભળેલી ટીપ્પણીઓનો ઘટસ્ફોટ થયો. એક નરુલ નાસીરે લખ્યું કે ‘મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડૉક્ટરે મને તપાસીને મારી માતાને એવું કહ્યું કે તે પોતાની તરફ ધ્યાન ખેંચવા આવું કરે છે. કાઇલી લૉવીએ લખ્યું કે ‘થેરપિસ્ટને બતાવતા પહેલાં મારી માતાએ મને કહ્યું કે અમે (માતાપિતા) તને મારીએ છીએ તેવું તારે ડૉક્ટરને નહીં કહેવાનું. મારા પિતા હકીકતે ખૂબ જ મારપીટ કરે છે.’ ઇડા વૈસનેને લખ્યું કે ‘કોઈને માનસિક બીમારીવાળી વ્યક્તિ સાથે સંબંધ (એટલે કે લગ્ન)માં રસ નથી. મારું કોઈ નથી.’
આ વર્ષના માનસિક સ્વાસ્થ્ય દિનની થીમ છે ‘મેન્ટલ હેલ્થ ઈન એન અન્ઈક્વલ વર્લ્ડ’ 2020ના વર્ષમાં વિશ્વમાં જાતજાતની અસમાનતાઓ જોવા મળી છે જેમાંની એક માનસિક સ્વાસ્થ્ય સંબંધે પણ છે. નિમ્ન અને મધ્યમ સ્થિતિના દેશોના 75થી 95 ટકા માનસિક અસ્વસ્થ લોકો પૂરતી સારવાર મેળવી શકતા નથી અને ભેદભાવ અને ઉપેક્ષાનો ભોગ બને છે. તેમને તાલીમ, સ્નેહ, શિક્ષણ અને આવકની તકો ખૂબ ઓછી મળે છે. ઘણીવાર શારીરિક બીમારીની અસર પણ મન પર પડે છે. કોરોનાનો દાખલો તાજો છે. સરકારો શરીરના આરોગ્યમાં કરે છે એની સરખામણીએ માનસિક સ્વાસ્થ્ય પર ઘણું ઓછું રોકાણ કરે છે. 2021નો વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે લોકોને માનસિક સ્વાસ્થ્યનો અધિકાર મળે તે માટે અસમાનતાઓને દૂર કરવાના સંગઠિત પ્રયાસો કરવાની હાકલ કરે છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ઑક્ટોબર 2021