નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ ચાલતી કેન્દ્ર સરકાર લોકોને કેટલી હદે મૂરખ બનાવવાની નિંભર કોશિશ કરે, તેનો દાખલો તાજેતરમાં જોવા મળ્યો. કેન્દ્ર સરકારના માનવસંસાધન વિકાસ મંત્રાલયે નવમી જુલાઈએ દેશમાં ઉચ્ચશિક્ષણમાં ઉત્તમ નિવડેલી છ સંસ્થાઓની એક યાદી ‘ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ એમિનન્સ’ એવા વર્ગ હેઠળ જાહેર કરી. એમાં સરકારશ્રીએ રિલાયન્સ ગ્રૂપની ‘જિઓ ઇન્સ્ટિટ્યૂટ’ને પણ સ્થાન આપ્યું. હકીકત એ છે કે આવી કોઈ સંસ્થા હકીકતમાં નક્કર રૂપે અસ્તિત્વમાં જ નથી. તેનાં મકાન, સંકુલ અને વિદ્યાર્થીઓ એવું કશું છે જ નહીં. અક્કલવાળા માણસનું મગજ બહેર મારી જાય તેવી આ વાત છે. આ મોદીનો જાદુ છે. તેમણે એ ઇલમનો એક કામયાબ અખતરો ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા, ત્યારે અમદાવાદ પર કર્યો હતો. રળિયામણું અને વિશાળ કાંકરિયા તળાવ દેખાતું બંધ કરી દીધું! જે દૃશ્ય હતું તેને અદૃશ્ય કરી દીધું. હવે વડાપ્રધાન મોદી જે અદૃશ્ય છે એને દૃશ્ય કરે છે. જિઓ ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ દેશને બતાવે છે કે જુઓ એ છે અને વળી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનન્સ તરીકે છે! દેશમાં કેટલાકને તો એ દેખાઈ પણ ગઈ છે.
આ છેતરપિંડી વિશે વર્તમાનપત્રોમાં બહુ ઓછું લખાયું છે અને જે છે તે સ્પષ્ટ શબ્દોમાં નથી. તેને આધુનિક પરિભાષા વાપરીને સ્માર્ટ પૅકેજિંગ કરીને મૂકવામાં આવ્યું છે. તેમ કરવામાં, સારા પત્રકારત્વના નમૂના સમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કે ‘હિન્દુ’ દૈનિકો પણ અપવાદ નથી. પ્રમુખ છાપાંની સરખામણીમાં થોડુંક સ્પષ્ટ કવરેજ કેટલાંક પોર્ટલ્સમાં જોવા મળ્યું, પણ એકંદર પ્રકરણમાં રિલાયન્સની માધ્યમો પરની પકડ જોવા મળી.
સોશિયલ મીડિયામાં ઠીક ટીકા અને મશ્કરી થઈ. જેમ કે, કાનૂનવિદ પ્રશાન્ત ભૂષણે ટિ્વટ કર્યું : ‘પૂરેપૂરા ચોંકી જવાય તેવી વાત! માનવસંસાધન વિકાસ મંત્રાલયે અંબાણીની માલિકીની ‘હજુ ખૂલવાની બાકી’ હોય તેવી જિઓ ઇન્સ્ટિટ્યૂટને આઇ.આઇ.ટી. અને આઇ.આઇ.એમ.ની સાથોસાથ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનન્સ જાહેર કરી દીધી. દેશ માટે આના કરતાં વધુ વિકૃત જોક અને ગુનાઇત સાઠગાંઠનું વધુ ખુલ્લેઆમ કામ હોઈ શકે નહીં.’
એક ટિ્વટ એવી છે કે જેમાં મોદી અને અંબાણીને પદવીદાનના પોષાકમાં બતાવીને લખ્યું છે : ‘લૉર્ડ મેકૉલે અને લૉર્ડ અંબાણી ભારતમાં ભક્તોમાં સાક્ષરતા વધારવા માટે જિઓ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાનું આયોજન કરી રહ્યા છે.’
એક પોસ્ટ કહે છે : ‘એવું નથી કે જિઓ ઇન્સ્ટિટ્યૂટ નથી. ખરેખર વાત એમ છે કે આપણી પાસે તેનો પૂરતો ડેટા નથી.’
જાણીતા ઇતિહાસકાર અને જાહેરજીવનના સમાલોચક રામચન્દ્ર ગુહાએ ટિ્વટ કરી છેઃ ‘અંબાણી યુનિવર્સિટીને પસંદગીમાં આપવામાં આવેલી અગ્રતા એ આઘાતજનક છે. વિશેષ એટલા માટે કે પ્રથમ કક્ષામાં બેસી શકે તેવી ખાનગી યુનિવર્સિટીઓને બાજુ પર મૂકવામાં આવી છે. શું આ યુનિવર્સિટીઓને તેમની ઉચ્ચ ગુણવત્તા અને તેમાંના વિદ્વાનોની બૌદ્ધિક સ્વતંત્રતાની સજા આપવામાં આવી રહી છે ?’ રામચન્દ્ર ગુહાએ ચૌદમી જુલાઈના હિન્દુસ્તાન ટાઇમ્સમાં લખેલો એક લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે. –
[નોંધ અને અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]
ધારો કે એક પૈસાદાર વ્યક્તિને પેટ્રોલિયમ પેદાશો તૈયાર કરનાર કંપનીમાં મૂડીરોકાણ કરવું છે. એની સામે બે વિકલ્પ છેઃ એક, એવી કંપનીમાં પૈસા રોકવા કે જેને રિલાયન્સ પ્રમોટ કરતી હોય; અને બે, એવી કંપનીમાં પૈસા રોકવા કે જેને વિદ્વાનોનું એક જૂથ ચલાવતું હોય અને તેના પ્રમુખ શિકાગો યુનિવર્સિટીના રઘુરામ રાજન હોય. આ વિકલ્પોમાંથી પસંદગી કરવા માટે બહુ વિચાર કરવાની જરૂર નથી. કોઈ પણ હોશિયાર રોકાણકાર રાજન કરતાં રિલાયન્સની જ પસંદગી કરે.
આ કલ્પના કર્યા પછી હવે વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લો. ભારત સરકાર વૈશ્વિક કક્ષાએ પહોંચવાની ક્ષમતા ધરાવનારી સંસ્થાઓને પસંદ કરીને એમનો દિલ્હીની નોકરશાહીના વહીવટમાંથી છુટકારો કરાવવા ઇચ્છે છે. સરકારની સામે પણ બે વિકલ્પો છે : એક, રિલાયન્સે પ્રમોટ કરેલી યુનિવર્સિટી; અને બે, રઘુરામ રાજનના માર્ગદર્શન હેઠળ ચાલતી યુનિવર્સિટી. અને તમે માનશો, આપણી સરકારે પહેલા વિકલ્પની પસંદગી કરી છે.
સરકારના આ નિર્ણયની વધુ ચકાસણી કરતાં પહેલાં મારે તેની પાછળની એકંદર ભૂમિકા આપવી છે. સરકારે ગયા વર્ષે એક સ્પર્ધાની જાહેરાત કરી. તેમાં સરકાર દસ ‘ઇન્સ્ટિટ્યૂટ્સ્ ઑફ એમિનન્સ’(સર્વોત્તમ કે પ્રતિષ્ઠિત સંસ્થાઓ)ની પસંદગી કરવા માગતી હતી. આમાં દસ જાહેર યુનિવર્સિટીઓ અને દસ ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવાનો હતો. આ સ્પર્ધા માટે અરજીઓ મંગાવવામાં આવી. જેને બહોળો પ્રતિસાદ મળ્યો. એ અરજીઓમાંથી સરકારે પહેલા ફેરામાં ચાળીસ યુનિવર્સિટીઓની પસંદગી કરી. તે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને આઇ.એ.એસ.ઑફિસરના પ્રમુખપદ હેઠળની સમિતિની સામે પ્રેઝેન્ટેશન્સ કરાવવામાં આવ્યાં.
આ પ્રેઝેન્ટેશન્સ એપ્રિલ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવ્યાં હતાં. પહેલી યાદીમાંથી પડતી મુકાયેલી સંસ્થાઓએ વાંધો લેતાં તેમને પણ પ્રેઝેન્ટેશનની તક આપવામાં આવી. પછી કેટલાક મહિના આ અંગે કશું થયું નહીં. સંસ્થાઓ કે જનતાને કોઈ માહિતી આપવામાં ન આવી. જુલાઈના પહેલા અઠવાડિયામાં સરકારે પસંદગી પામેલી સંસ્થાઓની યાદી અચાનક જ બહાર પાડી. તેમાં છ જ સંસ્થાઓ પસંદ કરી. ખરેખર તો મૂળમાં તો સ્પર્ધા વીસ સંસ્થાઓની પસંદગી માટે હતી. પસંદ થયેલી સંસ્થાઓમાં બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, દિલ્હી અને મુંબઈની આઇ.આઇ.ટી. છે. તે જાહેર સંસ્થાઓ છે. ખાનગી સંસ્થાઓમાંથી પસંદ થયેલી ત્રણમાંથી બે એટલે લાંબા સમયથી કાર્યરત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (બિટ્સ) અને મણિપાલ એકૅડેમી ઑફ હાયર એજ્યુકેશન.
આ પાંચેય સંસ્થાઓને આ લખનાર સારીપેઠે જાણે છે. તેણે એ બધામાં વ્યાખ્યાનો આપવા ઉપરાંત એમાંના અધ્યાપકો સાથે કામ પણ કર્યું છે. તે ખરેખર પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર સંસ્થાઓ છે, તેમની પસંદગીની બાબતમાં ખાસ મતભેદ થઈ શકે તેમ નથી. કોઈ કદાચ એમ કહી શકે કે દિલ્હીની આઇ.આઇ.ટી.ને બદલે મદ્રાસની આઇ.આઇ.ટી.ને પસંદ કરી શકાઈ હોત. અથવા કોઈ કદાચ એમ કહી શકે કે સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન માટે જાણીતી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની પસંદગી કરી શકાઈ હોત. એમ પણ દલીલ થઈ શકે કે બિટ્સ અને મણિપાલ સંસ્થાઓએ વર્ષોથી ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. એ વાત સાચી હોય તો પણ મૂળભૂત રીતે તો એ શૈક્ષણિક સંસ્થાઓ છે, અને તેમાં થયેલ સંશોધન આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી પહોંચી શક્યું નથી અને પહોંચે એવી શક્યતા પણ નથી. પસંદગી-સમિતિએ જે કેટલીક સંસ્થાઓ શૉર્ટ-લિસ્ટ કરી હતી, તેમાં અશોકા, જિન્દાલ, અઝીમ પ્રેમજી અને અમદાવાદ યુનિવર્સિટી છે. આ દરેક સાથે હું કોઈક કામ નિમિત્તે સંપર્કમાં આવ્યો છું. તેમાંથી દરેકનાં ઊજળાં પાસાં છે. જિન્દાલ પાસે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અશોકામાં ઉત્તમ સમાજશાસ્ત્રીય વિભાગો છે, અઝીમ પ્રેમજીમાં નીતિવિષયક સંશોધન સારું થાય છે. અમદાવાદ યુનિવર્સિટીમાં ઉચ્ચશિક્ષણ માટે નવતર ટ્રાન્સ-ડિસિપ્લિનરી અભિગમ છે. પસંદગી સમિતિએ ભૂતકાળના અધ્યાપનકાર્યની સિદ્ધિઓને બદલે ભાવિ સંશોધનક્ષમતાને ધ્યાનમાં લીધી હોત, તો તો બિટ્સ અને મણિપાલને બદલે ઉપર્યુક્ત ચારમાંથી બે સંસ્થાઓને પસંદ કરવી પડી હોત.
અલબત્ત, સહુથી વધુ વિવાદાસ્પદ પસંદગી તો છઠ્ઠી સંસ્થાની છે. આ સંસ્થા એટલે જિઓ ઇન્સ્ટિટ્યૂટ કે જેની પસંદગી થઈ છે, પણ સ્થાપના થઈ નથી, એ અત્યારે તો માત્ર એક વિચાર તરીકે જ અસ્તિત્વમાં છે.
પસંદગી-સમિતિની યાદીમાં જીઓ ઇન્સ્ટિટ્યૂટનું નામ જાહેર થતાં જ સોશિયલ મીડિયામાં પુષ્કળ ટીકાઓ થઈ. એના પ્રતિભાવ તરીકે માનવસંસાધન મંત્રાલયે એક સ્પષ્ટતા કરી કે પસંદગી-સમિતિને ‘ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ’ પણ ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું હતું. (બાંધકામ અને મિલકતને લગતી પરિભાષામાં વપરાતાં ગ્રીનફિલ્ડ શબ્દનો અર્થ એવી જમીન કે જ્યાં હજુ સુધી બાંધકામ થયું ન હોય અને પહેલી વાર થઈ રહ્યું હોય.) હવે સવાલ એ થાય છે કે પસંદગી સમિતિએ ગ્રીનફિલ્ડ સંસ્થાઓના વર્ગમાંથી ફક્ત જિઓ જ કેમ પસંદ કરી ? આમ તો આ જ વર્ગમાં ચેન્નાઈના પરામાં જેનું સંકુલ ઝડપથી વિકસી રહ્યું છે, તે સૂચિત સંસ્થા ‘ક્રિઆ’ પણ આવી શકી હોત.આ સંસ્થાના સંચાલકમંડળમાં આનંદ મહિન્દ્રા, કિરણ મુજુમદાર-શૉ, અનુ આગા અને એન. વાઘુલનો સમાવેશ છે. એની એકૅડેમિક કાઉન્સિલના પ્રમુખ રઘુરામ રાજન છે અને બીજા સભ્યોમાં પ્રતિભાશાળી ઇતિહાસકાર શ્રીનાથ રાઘવન, તેજસ્વી શાસ્ત્રીય સંગીતકાર ટી.એમ. કૃષ્ણા અને મહાન ગણિતશાસ્ત્રી મંજુલ ભાર્ગવ છે.
ગયા ચારેક દાયકાથી વધુ સમયથી હું ભારતના વિદ્યાક્ષેત્રનો એક સક્રિય વિદ્યાર્થી અને સંશોધક છું. મને લાગે છે કે અશોકા, પ્રેમજી અને અમદાવાદ યુનિવર્સિટીમાંથી બે સંસ્થાઓ છ સંસ્થાઓમાં પસંદ થવી જોઈતી હતી, કારણ કે તેમણે સર્વોત્તમ સંસ્થાઓની આ યોજના પાછળની જે વિભાવના છે, તેના માટેના પુરાવા આપ્યા છે. આ સંસ્થાઓ પૂરી સક્રિય છે અને દેશ અને દુનિયાના ઉત્તમ અધ્યાપકોને તેણે આકર્ષ્યા છે. તેમનામાં વૈશ્વિક સ્તરે પહોંચવા માટેની ક્ષમતા ચોક્કસ જ છે. વધુ પાત્રતા અને સ્વતંત્ર વૈચારિક ક્ષમતા ધરાવતી પસંદગી-સમિતિ હોત, તો આ સંસ્થાઓની ગુણવત્તા પર તેમણે જરૂર વિશ્વાસ મૂક્યો હોત.
આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે જિઓ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી મીડિયામાં ચર્ચાના ચકડોળે ચઢી છે, એમાં હું ઉમેરો કરવા માગતો નથી. પણ હું એ ફરીથી ભારપૂર્વક કહીશ કે જિઓ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી એક કોયડો છે. સવાલ એ પણ છે કે ‘નિષ્ણાત’ વ્યક્તિઓની બનેલી હોવાનું કહેવાતી પસંદગી-સમિતિએ નફો કમાવાના ઇરાદા ધરાવનાર કારખાના અને વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીની વચ્ચે શો ફરક છે, એનો વિચાર કર્યો હતો ખરો?
૩૧ જુલાઈ, ૨૦૧૮
સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 08-09