૧૯૭૯માં હું પહેલી વાર અમદાવાદ ગયો અને તેના પછીના દાયકામાં વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને કારણોસર ત્યાં ઘણી વખત જવાનું થતું રહ્યું. ત્યાર બાદ મેં ગાંધી પરનું મારું સંશોધન શરૂ કર્યું અને આ શહેર સાથેનું મારું જોડાણ વધ્યું. ૨૦૦૨ના આરંભે ગુજરાતમાં ભીષણ રમખાણો થયાં, તેના તરત પછીના ઉનાળામાં હું અમદાવાદ ગયો, ત્યારે સ્વાભાવિક રીતે જ મેં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ત્યાં મેં આશ્રમના એક ટ્રસ્ટી સાથે કેટલોક સમય વાત કરી. ખુદ વિશે બોલવામાં સંકોચશીલ અને નમ્ર એવા આ ટ્રસ્ટીએ ગાંધીની સેવામાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં. વાતચીત દરમિયાન એમણે મને કહ્યું કે ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો ‘બીજી વારની ગાંધીહત્યા’ હતી.
૨૦૦૨નાં રમખાણો તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની રહેમનજર હેઠળ થયાં હતાં. મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં કેળવાયેલા છે. સંઘની સાંપ્રદાયિક અને વિદેશીઓને તિરસ્કારવાની (xenophobic) વિચારધારા ગાંધીના વિશાળ અને ઉદાર વિશ્વદર્શનની તદ્દન વિરુદ્ધ છે. મોદી સંઘના સરસંઘચાલક મ.સ. ગોળવલકરની આભામાં મોટા થયા છે. ગોળવલકરનો ગાંધી માટેનો જાણીતો અણગમો નોંધાયેલો છે. ૧૯૪૭ના એક જાહેર ભાષણમાં ગોળવલકરે કહ્યું હતું : ‘મહાત્મા ગાંધી લોકોને લાંબા સમય માટે ગેરમાર્ગે દોરી ન શકે. આપણી પાસે એવા રસ્તા છે કે જેના થકી આવા લોકોને તરત જ ચૂપ કરી શકીએ, પણ આપણી એ પરંપરા છે કે આપણે હિન્દુઓ તરફ વેરભાવ ન રાખીએ. પણ જો આપણને ફરજ પાડવામાં તો આપણે એ રસ્તો પણ અપનાવવો પડે.’
મોદી માટે ગોળવલકર ‘પૂજ્યશ્રી ગુરુજી’ હતા. મોદીએ એમની કારકિર્દીમાં ગોળવલકરનો ખૂબ આદર કરતા રહ્યા છે, પણ ગાંધી વિશે તેમણે ભાગ્યે જ કંઈ વિચાર્યું હશે. ગુજરાતના મુખ્ય મંત્રીપદના વર્ષોમાં તેઓ ગાંધી આશ્રમ બહુ વખત ગયા નથી. જો કે વડા પ્રધાન બન્યા બાદ તેમને આ સ્થળમાં ઊંડો રસ જાગ્યો છે. જાપાન અને ઇઝરાયેલના વડા પ્રધાનો તેમ જ ચીન અને અમેરિકાના પ્રમુખોએ જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ત્યારે મોદીએ બિલકુલ વ્યક્તિગત રીતે એસ્કૉર્ટ બનીને તેમને આશ્રમ બતાવ્યો.
ગાંધી આશ્રમના ઘણા ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ગાંધી વિશે ઊંડી જાણકારી ધરાવે છે. પણ તેમનામાંથી કોઈને વિદેશી મહાનુભાવોના એસ્કૉર્ટ બનવાનું કહેવાને બદલે, ગાંધીજીની નિંદા અને તેમના તિરસ્કારમાં માનનારી વિચારધારામાં ઘડાયેલ વ્યક્તિ એવા મોદીએ પોતે વિદેશી મહેમાનોને આશ્રમ બતાવવાનો આગ્રહ રાખ્યો. એ વખતે કૅમેરામૅનને સૂચના આપવામાં આવી હતી કે ફ્રેમમાં માત્ર ભારતના વડાપ્રધાન અને મુલાકાત લેવા આવેલા રાષ્ટ્રપ્રમુખ જ આવવા જેઈએ. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ગાંધી રહ્યા હતા તે બાપુ કુટિર, ગાંધીજીની પ્રાર્થનાની જગ્યા અને તેમના ચરખા જેવી, આશ્રમની વિશિષ્ટતાઓ હાવભાવ અને હસ્તનિર્દેશ દ્વારા મુલાકાતીઓને બતાવી રહેલાં મોદીનું દૃશ્યાંકન કરવું, જેને કારણે ગાંધીનાં જીવન અને સંદેશ વિષય પરની અધિકારી વ્યક્તિ તરીકેના મોદીની છાપ ઊભી થાય.
ગાંધી માટેનો લગાવ જાહેરમાં બતાવવા માટેની વડા પ્રધાનની ઇચ્છાને શી રીતે સમજાવી શકાય ? એમ જણાય છે કે પોતાની મહત્તા વધારવા માટેની મોદીની ઇચ્છાએ તેમની પહેલાંની રાજકીય નિષ્ઠા અને વૈચારિક જોડાણોને પાછળ ધકેલી દીધાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગાંધી વિશે ભારે સંદિગ્ધતા છે. મોદીભક્તો સોશિયલ મીડિયામાં ગાંધીનો ખુલ્લેખુલ્લો વિરોધ કરે છે. પણ મોદી જાણે છે કે ગાંધી – આજકાલની ભાષામાં કહીએ તો – એવી ભારતીય ‘બ્રાન્ડ’ છે કે જેને આખી દુનિયા જુએ છે અને પસંદ પણ કરે છે. એટલે જાપાન, ચીન, ઇઝરાયેલ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, જર્મની – ગમે ત્યાં હોય, મોદીએ ગાંધીને પોતાના નિંદાભાવ છતાં પણ સાધન તરીકે સાથે રાખવા પડે.
મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી તેમણે ગાંધીમાં બતાવેલા રસ છતાં નૈતિક અને વૈચારિક રીતે તેમની અને ગાંધીજીની વચ્ચે જે ખાઈ છે, તે ક્યારે ય ન પુરાય તેવી રહેવાની. વડા પ્રધાન જે પક્ષના છે, તેના ત્રણસો જેટલા લોકસભા સાંસદોમાં એક પણ મુસ્લિમ સાંસદ નથી. આ પક્ષની બનેલી સરકારે મુસ્લિમોને બદનામ કરનારા અને તેમની તરફ ભેદભાવ રાખનાર સંખ્યાબંધ વિધેયકો પસાર કર્યાં છે. આ એવું રાજકારણ છે કે જેનો કોમી સંવાદિતાના પેગંબર એવા ગાંધીએ આખી જિંદગી વિરોધ કર્યો હતો. જે માણસે પોતાના ભૂતકાળને કલ્પનાનો બેસુમાર ઉપયોગ કરીને સજાવ્યો હોય; અને જેના શાસનમાં અર્થવ્યવસ્થા, આરોગ્ય અને બીજી બધી જ બાબતોને લગતા આંકડા સાથે પદ્ધતિસર ચેડાં કરવામાં આવ્યાં હોય તે માણસ સત્યમેવ જયતે કહેનાર વ્યક્તિથી જોજનો દૂર છે. ખરેખર તો આ શાસનનાં જૂઠાણાં અને દેખાડા એટલાં બધાં સર્વવ્યાપી છે કે મારા ઓળખીતા એક લેખક કહે છે કે આ શાસકપક્ષનો મુદ્રાલેખ ‘અસત્યમેવ જયતે’ હોવો જોઈએ.
ગાંધી એટલે સત્ય, પારદર્શિતા અને બહુધાર્મિકતા (religious pluralism). મોદી એટલે કપટ, ગુપ્તતા અને બહુમતવાદ (majoritarianism). આમ હોય ત્યારે મોદી ગાંધી સાથે કોઈ સંબંધ હોવાનો દાવો શી રીતે કરી શકે ? તર્ક અને નૈતિકતા બતાવે છે કે આવો સંબંધ હોઈ ન શકે, પણ સત્તા અને મહાત્ત્વાકાંક્ષાની માંગ આ સંબંધને અનિવાર્ય બનાવે છે. એટલા માટે સાબરમતી આશ્રમને ‘વર્લ્ડક્લાસ’ અર્થાત્ વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠતા ધરાવતું સ્મારક બનાવવાના બહાના હેઠળ આ પ્રકલ્પ સૂચવવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા પુષ્કળ પૈસાની ફાળવણી સાથેનો રાજ્યસરકાર હસ્તકનો આ પ્રોજેક્ટ સાબરમતી આશ્રમને ધરમૂળથી નવો ઘાટ આપવા માગે છે. પણ ખરેખર તો મોદીના નામને ગાંધી સાથે જોડીને મોદીનાં કાળાં કૃત્યોની તવારીખને ઊજળી બતાવવાનો આ સહુથી નવો અને અતિશય ખરાબ પ્રયત્ન છે.
‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ – એમ ગાંધી કહેતા. મોદીની જેમ એમને સ્ટેડિયમ સાથે પોતાનું નામ જોડવાની જરૂર ન પડી. તેમને ઇતિહાસમાં સ્થાન પામવા માટે પાટનગરોને નવો ઘાટ આપીને ભૂતકાળના શાસકોની મુદ્રા ભૂંસીને પોતાની છાપ ઉપસાવવાની જરૂર ન પડી. પણ સાબરમતી આશ્રમ આજે જેવો છે, તે ગાંધી અને તેમણે જે મૂલ્યો બતાવ્યાં તેના માટેનું પરિપૂર્ણ પ્રતીક છે. આશ્રમ-પરિસરનાં મજાનાં બેઠાં મકાનો ગાંધીના સમયથી અસ્તિત્વમાં છે. વૃક્ષો અને પક્ષીઓ, પરિસર પછવાડે નદી, આશ્રમ સંકુલમાં પ્રવેશની પૂરેપૂરી છૂટ, ટિકિટ નહીં, ચોકીદાર નહીં, બંદૂક તો જવા દો, દંડાવાળી પોલીસ પણ નહીં : આ બધું આશ્રમની વસ્તુને — આજના ભારતનાં બીજાં કોઈ પણ સ્મારક કે મ્યૂઝિયમમાં ન હોય તેવું — એક વિશિષ્ટ, આવકારોત્સુક રૂપ આપે છે.
ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં બે અને ભારતમાં ત્રણ એમ પાંચ આશ્રમો સ્થાપ્યા. તેમાંથી સાબરમતી આશ્રમ સહુથી મહત્ત્વનો છે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. વર્ષોથી દેશ અને દુનિયાનાં લાખો લોકો આશ્રમની મુલાકાત લેતાં રહ્યાં છે. મુલાકાતીને આશ્રમની સાથે જોડાયેલી ઐતિહાસિક હકીકતો જેટલી જ તેના માહોલની સાદગી અને સુંદરતા પણ સ્પર્શવા વિના રહેતી નથી.
સૌંદર્યની બાબતમાં બર્બરતા માટે અને સ્મારકવાદ (monumentalism) માટે જાણીતું શાસનતંત્ર જ્યારે સાબરમતી આશ્રમની બાબતમાં ‘વર્લ્ડક્લાસ’ શબ્દ વાપરે છે, ત્યારે ધ્રૂજી જવાય છે. વળી, આ ‘અપગ્રેડેશન’ માટે પસંદ કરવામાં આવેલ સાધન-સ્થપતિ (architect) બિમલ પટેલ છે, એ વાત વધુ બેચેન બનાવનારી છે. પટેલે કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. એમણે કરેલાં સિમેન્ટ કોંક્રિટનાં, હૂંફ વિનાનાં બાંધકામોનો સાબરમતી અને સેવાગ્રામ આશ્રમોમાંનાં ઘરો અને નિવાસો સાથે મેળ ખાતો નથી.
મોદીએ આર્કિટેક્ટ્સમાં માત્ર બિમલ પટેલનું જ નામ સાંભળેલું લાગે છે. દિલ્હી, વારાણસી અને અમદાવાદના બીજા સરકારી પ્રોજેક્ટોની જેમ સાબરમતી આશ્રમનો પ્રોજેક્ટ પણ લગભગ એની મેળે જ બિમલ પટેલના ખોળામાં આવીને પડ્યો લાગે છે. પ્રોજેક્ટના કામ માટે મોદીએ તેમના અંગત રીતે વિશ્વાસુ ગણાતા ગુજરાતના કેટલાક સનદી અધિકારીઓની નિમણૂક કરી છે. ‘રિડેવલપમેન્ટ’ની યોજના મોદીનાં અંદરનાં વર્તુળોએ ઘડી છે. તે ઘડતી વખતે સ્મારકો અને વારસાની જાળવણીનું જ્ઞાન ધરાવનાર સ્થપતિઓને તેમ જ ગાંધીવાદીઓ અને અભ્યાસીઓનાં સલાહ-સૂચન લેવામાં આવ્યાં નથી. આશ્રમના ટ્રસ્ટીઓને સુધ્ધાં આ યોજના અને તેની વિગતો અંગે પૂરેપૂરા અંધારામાં રાખવામાં આવ્યા હતા.
સાબરમતી આશ્રમ માટેની મોદી-યોજના ગુપ્તતાથી ઘેરાયેલી અને મળતિયાવાદ (architect)થી અંકાયેલી છે. આ પહેલાં ૧૯૬૦ના દાયકામાં પણ આશ્રમ સંકુલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પણ તે ધોરણસરનું ઉમેરણ હતું. ટ્રસ્ટીઓને આશ્રમના પરિસરમાં એક નાના સંગ્રહાલયની જરૂર જણાઈ હતી, ત્યારે તેમણે સ્થપતિ તરીકે પોતાના ગુજરાતના નહીં પણ મુંબઈના ચાર્લ્સ કોરીઆની પસંદગી કરી હતી. સ્થપતિ અલગ ધર્મના અને ભારતના જુદા પ્રદેશના હોય એ બાબત, ગાંધીના સંકુચિતતાથી દૂર રહેવાના અભિગમ સાથે બંધબેસતી હતી. વળી, કોરીઆનું કામ બધે ખૂબ વખણાયું હતું. તેમણે ડિઝાઇન કરે સંગ્રહાલયનું કદ પ્રચંડ નહીં, પણ માનવીય છે. તેની મોકળાશવાળી પરસાળને આકાશ, પ્રકાશ, જમીન, નદી એવાં તત્ત્વો (the elements) અને આજુબાજુનાં ઝાડ સાથે સંવાદ છે. વળી, મ્યૂઝિયમનું બાંધકામ આશ્રમ પરિસરમાં ગાંધીના સમયમાં કરવામાં આવેલાં બાંધકામો સાથે ભળી જનારું છે.
અમદાવાદના એક સાથી એવી રમૂજ કરે છે કે આપણે ત્યાં ‘એક દેશ, એક પક્ષ’ એવું સદ્ભાગ્યે ક્યારે ય નહીં બને, પણ આપણે ‘એક દેશ’ એક સ્થપતિ’ની દિશામાં તો આગળ વધી જ રહ્યા છીએ. જો કોઈ કરોડપતિ પોતાનાં જુદાં જુદાં પ્રકારનાં ઘર-દરિયાકાંઠાનું ઘર, કસબાનું ઘર, ડુંગર પરનું ઘર અને રણનું ઘર – એના પોતાના પૈસે એક જ સ્થપતિ પાસે બનાવડાવે તો તેના માટે કોઈ નૈતિક વાંધો લઈ ન શકાય. પણ કરદાતાના પૈસે તૈયાર થનારા બધા જ મોભાદાર સરકારી પ્રોજેક્ટ્સનું કામ જો એક જ સ્થપતિને સોંપવામાં આવે, તો તેમાં સવાલ થાય. કોઈ એક સ્થપતિ કોઈ એક નેતા અને તેના મહિમામંડન સાથે જોડાયા હોય, એવું માત્ર સરમુખત્યારશાહી શાસનમાં જોવા મળે છે. એક જ વ્યક્તિ મંદિરો માટે જાણીતાં પ્રાચીન શહેર, આધુનિક રાજધાની અને ગાંધીનો આશ્રમ ત્રણેયને ફરીથી ડિઝાઇન કરવાની પાત્રતા ધરાવતી હોય, તે મોદીશાસનના મળતિયાવાદ અને લાગવગશાહી પર પ્રકાશ ફેંકે છે. ભારતના સ્થાપત્ય ક્ષેત્રે અને ભારતમાં આ કરતાં ઘણી સારી પરિસ્થિતિ હોય તે જરૂરી છે.
વધારે સારો અને વધુ નીડર સમાજ મોદી અને તેમના સાથીદારોની વિદ્વંસકતા ચલાવી ન લે. ખેદની વાત છે કે સાબરમતી આશ્રમનાં ટ્રસ્ટીઓ ગુજરાતનાં હોવાને કારણે વિરોધ કરતાં નથી. તેમને કદાચ ભીતિ હશે તે બદલો લેવામાં નામચીન એવી સરકાર તેમને કે તેમનાં પરિવારજનોને નિશાન બનાવે. મોદી અને તેમના મળતિયાઓએ રચેલી યોજનાઓ આગળ વધશે. હવે આ માણસને (મોદીને) આપણે ઓળખી ગયા છીએ, એટલે એમની યોજનાઓમાં એવું કશું જ નથી હોતું કે જેમાં એમનો સ્વાર્થ ન હોય. મોદી સાબરમતી આશ્રમને મહાત્મા માટેનાં પ્રેમ કે આદર ખાતર રિડેવલપ કરી રહ્યા નથી. તેઓ આ કરી રહ્યા છે, તે પોતાની છબીને ચમકાવવા અને પોતાના ભૂતકાળને ફરીથી લખવા માટે.
નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટામાં જે લૂંટ અને વિનાશ ચાલી રહ્યાં છે તેની ચોમેર ટીકા થઈ છે. પણ સાબરમતી આશ્રમનો સૂચિત વિનાશ આચરણની દૃષ્ટિએ વધુ ચિંતાજનક છે. મોદી દેશના પાટનગરની જમીન પર ગમે તેટલાં બેહૂદાં અને મોંઘાં બાંધકામો કરે તો પણ તેની કંઈક કાનૂની વૈધતા (legitimacy) છે એમ ગણી શકાય, કેમ કે એ જાહેર જમીન છે અને તેઓ દેશના ચૂંટાયેલા વડા પ્રધાન છે. ગાંધી આશ્રમની વાત સાવ જુદી છે. સાબરમતી આશ્રમ અને ગાંધી અમદાવાદના નથી, ગુજરાતના નથી, એ ભારતના સુધ્ધાં નથી : તે જન્મેલા અને નહીં જન્મેલા, અત્યારના આવતી પેઢીઓના દરેક માણસના છે. જેમની આખી જિંદગીનું કામ ગાંધીના કાર્યનું વિરોધી રહ્યું હોય તેવા રાજકારણી, અને એ રાજકારણી સાથેના મળતિયાપણાની મુખ્ય લાયકાત ધરાવતા એક સ્થપતિ – આ બંનેને મહાત્મા સાથે જોડાયેલી એક સહુથી પવિત્ર જગ્યાને બગાડી નાખવાનો કોઈ અધિકાર નથી.
[અનુવાદ : સંજય સ્વાતિ ભાવે, ‘ધ ટેલિગ્રાફ’, 17 જુલાઈ, 2021]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 04-06