મૂળમાં તો ઇમરાન ખાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકેની સોગંદવિધિમાં દક્ષિણ એશિયાના બધા જ દેશોના વડાઓને બોલાવવા માગે છે એવા સમાચાર આવ્યા હતા, પરંતુ એનું શું થયું એ આપણે જાણતા નથી. નરેન્દ્ર મોદીની સોગંદવિધિમાં તમામ પાડોશી દેશોના શાસકો ઉપસ્થિત રહ્યા હતા, એનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ એશિયામાં ભારત મોટો અને દરેક અર્થમાં મધ્યવર્તી દેશ છે. બીજું કારણ એ હતું એ એ આ રીતનો પહેલો પ્રયોગ હતો અને પાડોશી દેશોની અપેક્ષા હતી. એ અપેક્ષા ફળીભૂત થઈ નથી એ જુદી વાત છે. એવું બને કે ઇમરાન ખાનની ઓફરને ભારત તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ નહીં મળ્યો હોય, એટલે ઇમરાન ખાને સમય વર્તીને પાડોશી દેશોના વડાઓને બોલાવવાનો નિર્ણય માંડી વાળ્યો હશે.
૧૮મી ઓગસ્ટે ઇમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે સોગંદ લીધા એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદનનો પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે ‘ભારત પાકિસ્તાન સાથે સાર્થક અને રચનાત્મક સહયોગ માટે આતુર છે. ભારતીય ઉપખંડની પ્રજાના હિતમાં ભારત તેના પાડોશી દેશ સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે’. પાકિસ્તાને આનો અર્થ એવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખોલ્યા છે અને વાતચીતની દિશામાં આગળ વધવાનું આમંત્રણ આપ્યું છે. આ વાતનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરૈશીએ કહ્યું હતું કે બે દેશો વચ્ચે સતત વ્યવધાનરહિત વાતચીતની જરૂર છે અને તેમણે વડા પ્રધાનની વાતચીતની પહેલને આવકારી હતી.
એ પછી ખુલાસાઓનો દોર શરૂ થયો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સ્પષ્ટતા કરી હતી કે વડા પ્રધાને તેમના પત્રમાં વાતચીતની જરૂરિયાત પર ભાર મુક્યો છે, વાતચીત માટે આમંત્રણ નથી આપ્યું. ટેરરિઝમ અને ટોક સાથે ન જઈ શકે એવી ભારતની ભૂમિકાની પણ યાદ કરાવી હતી. વડા પ્રધાનના ઇમરાન ખાન પરના પત્રમાં પણ હિંસા અને ત્રાસવાદમુક્ત ભારતીય ઉપખંડની વાત કહેવામાં આવી છે. હું એમ માનું છું કે વિદેશ પ્રધાને આવો કોઈ ખુલાસો કરવાની જરૂર નહોતી. વડા પ્રધાનનો પત્ર જોશો તો એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉપખંડમાં પ્રજાના હિતમાં સહયોગ કરવા ભારત આતુર છે અને એ સહયોગનું પહેલું ચરણ વાતચીત છે. ઊલટું સુષ્મા સ્વરાજ કહી શક્યાં હોત કે વાતચીત માટેની અનુકૂળતા બનાવો, ભારત વાતચીત કરવા આતુર છે. આવી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ પેદા કરવાની જરૂર નહોતી.
વિદેશ નીતિમાં મક્ષિકાઓનું આવવું એ કોઈ નવી વાત નથી. સંબંધો જો વણસેલા હોય તો મક્ષિકાઓ વધારે આવતી હોય છે. ક્યારેક પહેલે કોળીએ આવે તો ક્યારેક વચલે કોળીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબધો વણસેલા છે અને તેને પાટે ચડાવવામાં ભારતનો સ્વાર્થ છે. એટલે તો છેલ્લા બે દાયકામાં સંબંધો સુધારવામાં ભારતે જેટલા પ્રયત્નો કર્યા એટલા આગલાં વર્ષોમાં કરવાની કોઈને જરૂર નહોતી પડી. સૌથી વધુ પ્રયત્નો અટલ બિહારી વાજપેયીએ કર્યા હતા. પાકિસ્તાનદ્વેષી સંઘ પરિવારમાંથી આવતા હોવા છતાં વાજપેયીએ સંબંધો સુધારવામાં કોઈ કસર નહોતી રાખી. રાજકારણી અને રાજપુરુષમાં આ ફરક છે. તેમને ખબર હતી કે નઠારા સાથે નઠારા થવામાં નુકશાન આપણને વધારે થવાનું છે.
ત્રણ વાતે ભારતે સાવધાન રહેવાની જરૂર છે. એક તો એ કે ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે અને તેમની રાજકીય આવડત અને પ્રતિબદ્ધતા બન્ને સાબિત થવાની બાકી છે. ઊલટું તેની વિરુદ્ધ જતા પ્રમાણો મળતા રહ્યા છે. ભારત વિશે તેમણે એવા ઉચ્ચારણો કર્યા છે જેવા પાકિસ્તાનના ત્રાસવાદીઓ કરી રહ્યા છે. તેમણે ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા ત્રાસવાદીઓનો બચાવ પણ કર્યો હતો અને ત્રાસવાદીઓ સામેના જનરલ પરવેઝ મુશરર્ફના લશ્કરી ઓપરેશનોનો વિરોધ કર્યો હતો. એક સમયે તેમને તાલિબાન ખાન તરીકે ઓળખાવવામાં આવતા હતા. આમ ઇમરાન ખાનનો અત્યાર સુધીનો રેકોર્ડ ભારત અને અમેરિકાદ્વેષનો રહ્યો છે. રાજકીય સ્વાર્થ બાજુએ મૂકીએ તો તેમની રાજકીય સમજ પણ શંકાસ્પદ છે. જગતમાં અત્યારે ટ્રમ્પયુગ ચાલી રહ્યો છે અને તેમાં પાકિસ્તાનનો ઉમેરો થયો છે.
બીજું કારણ એ છે કે છેવટે તો ઇમરાન ખાન લશ્કરના પ્યાદા તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. લશ્કર તેમને કેટલી મોકળાશ આપશે કે તેઓ લશ્કરથી કેટલા પ્રમાણમાં સ્વતંત્ર થઈ શકશે એ સવાલ છે. ઇમરાન ખાન પાસે બહુમતી પણ નથી. લશ્કર અને ઇમરાન ખાન વચ્ચે સંબંધોનું સ્વરૂપ કેવું બને છે અને એમાં કેટલું સાતત્ય છે એના આધારે ઇમરાન ખાનની ઉપયોગિતા કે જોખમ ભારતના ધ્યાનમાં આવશે.
ત્રીજું કારણ ચીન છે. સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ ખેંચ્યું અને એ પછી સોવિયેત રશિયાનું પતન થયું પછીથી અમેરિકાને પાકિસ્તાનનો ખપ રહ્યો નહોતો. ઊલટો ભારતનો ખપ વધવા લાગ્યો હતો. અફઘાનિસ્તાનની જેહાદથી લઈને પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનની હત્યા કરવામાં આવી એ વર્ષોને પાકિસ્તાનીઓ અમેરિકા દ્વારા કરવામાં આવેલા પાકિસ્તાનના ઉપયોગ તરીકે જુએ છે અને એમાં ઇમરાન ખાન મુખ્ય છે. ઇમરાન ખાને એકથી વધુ વખત અમેરિકા વિરોધી નિવેદનો કર્યા છે. આ બાજુ ચીને બહુ વ્યવસ્થિતપણે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો છે.
ભારત માટે આ ચિંતાની વાત છે. અમેરિકાએ સોવિયેત રશિયા સામે અને ભારત સામે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો હતો જ્યારે ચીન તો પાકિસ્તાનમાં આવીને બેઠું છે. પાકિસ્તાન ચીનની કોલોની બની રહ્યું છે જે ભારત માટે ચિંતાની વાત છે. ઇમરાન ખાને શરૂઆતમાં ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિરોધ કર્યો હતો, પરંતુ એ પછી તરત જ તેમણે તેમની ભૂમિકા સુધારી લીધી હતી. ડર એ વાતનો છે કે પાકિસ્તાન હજુ વધુ ચીનની નજીક જશે કારણ કે ઇમરાન ખાનનો ભારત દ્વેષ જાણીતો છે.
આ સ્થિતિમાં ભારત પાસે વાતચીત એ શ્રેષ્ઠ વિકલ્પ છે. વડા પ્રધાન કહે છે એમ બે દેશ એન્ગેજ રહે એ જરૂરી છે અને એન્ગેજ રહેવું હોય તો વાતચીત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બહુ ઉતાવળ કરવાની જરૂર નથી તો દૂર ભાગવાની પણ જરૂર નથી.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 અૉગસ્ટ 2018