બ્રિટિશ સત્તા સામે ગાંધીજીની પ્રથમ અહિંસક લડત
ગળીની ખેતી કરતા ખેડૂતોની દશા અને અવદશા એ સમયની આ તસવીરમાં રજૂ થાય છે. ગળીના છોડ કારખાનાં સુધી લઈ જવા માટે ગાડાંમાં ભરાઈ રહ્યાં છે
૧૯૭૮માં બિહાર સરકારે મોતિહારીમાં ગાંધી મેમોરિયલ સંગ્રહાલય ખુલ્લુ મૂક્યું. જગવિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝે તેની ડિઝાઈન તૈયાર કરી હતી. ૪૮ ફીટ ઊંચો આ પિલ્લર એ જગ્યાએ જ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં ૧૯૧૭માં કોર્ટ ભરાઈ હતી અને ગાંધીજી સામે કેસ ચાલ્યો હતો
એક સદી પહેલાંના ગુલામ ભારતની આ સંઘર્ષગાથા છે, જ્યારે ભારત પર અંગ્રેજોનું રાજ હતું. આજના બિહારમાં નેપાળને સ્પર્શતા ચંપારણ પ્રદેશમાં અંગ્રેજો ઉપરાંત સ્થાનિક જમીનદારો ખેડૂતો પાસે ધરાર ગળીની ખેતી કરાવીને તેમનું શોષણ કરી રહ્યા હતા. એ વખતે દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા ૪૮ વર્ષના વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીએ કેસ પોતાના હાથમાં લીધો. પરિણામ એ આવ્યું કે નવખંડ ધરતીમાં જેનાં તેજ તપતા હતાં એ અંગ્રેજોને પહેલી વખત સત્યાગ્રહ સામે હથિયાર હેઠાં મુકવા પડયાં. એ સાથે ભારતના જાહેર જીવનમાં ગાંધીજી નામના સેનાપતિનો ઉદય થયો. ૧૫મી એપ્રિલે ગાંધીજીએ આરંભેલી એ લડતને સદી પૂરી થઈ રહી છે, ત્યારે વાત કરીએ ગઈ કાલના ચંપારણની અને આજના ચંપારણના ખેડૂતોની વાસ્તવ સ્થિતિની ..
વીસમી સદીની શરૂઆતનો એ સમય. નાનકડા દેશ બ્રિટનમાંથી આવેલા અંગ્રેજોને ભારત પર રાજ કરવા માટે ફાવતું મળી ગયું હતું.
એ વખતના બિહાર-ઓરિસ્સા સંયુક્ત પ્રાંતનો ઉત્તરી હિસ્સો ચંપારણ નામે ઓળખાતો હતો. રાજા જનકની ભૂમિ ગણાતા એ પ્રદેશની ધરતી એટલી બધી સમૃદ્ધ કે ખેતરમાં દાણા નાખ્યા નથી કે પાક પેદા થયો નથી. બીજી તરફ ગંગા-ગંડક-સોન સહિતની ડઝનબંધ નદીઓનું પાણી. આ પ્રદેશમાં ૧૯મી સદીથી ગળીની ખેતી થતી હતી. સફાઈદાર વસ્ત્રોના શોખીન અંગ્રેજોને ગળી કપડે વળગી હતી. કેમ કે ગળી કરવાથી પોશાકનો ઝગમગાટ વધી જતો હતો. એ ગળીની વ્યાપક પેદાશ અહીંના ખેતરોમાં થતી હતી. ચંપારણમાં આવેલા બેતિયા શહેરના રાજાનું આ વિસ્તાર પર રાજ હતું. રાજાએ સ્થાનિક જમીનદારોને ઠેકેદારી આપી રાખી હતી. ખેડૂતો પાસેથી ઠેકેદારો નિશ્ચિત કરેલો કર ઉઘરાવતા હતા. એ વખતે ત્યાં મર્યાદિત માત્રામાં ગળીની ખેેતી થતી હતી.
ચંપારણમાં અંગ્રેજોનું આગમન થયું. અંગ્રેજોએ ઠેકેદારી લેવાની શરૂ કરી અને ગળીની ખેતી વધારવા પર ભાર મૂક્યો. અંગ્રેજોએ ગળીના છોડમાંથી ગળીનું ઉત્પાદન કરવા માટે ગળીનાં કારખાનાં (સ્થાનિક ભાષામાં કોઠી) સ્થાપવાની શરૂઆત કરી. કર્નલ હિક્કીએ અહીં પહેલી કોઠી સ્થાપી શરૂઆત કરી. વેપાર કરવામાં માસ્ટર અંગ્રેજોએ ૧૮૭૫ સુધીમાં મોટા ભાગની ઠેકેદારી (કોન્ટ્રાક્ટ) પોતાના હાથમાં લઈ લીધા. ઠેકેદારીમાં ગામ અને ખેડૂતો પર રાજ કરવાનું ઠેકેદારને લાઈસન્સ મળી જતું હતું. એ સમયે જ બેતિયા રાજ ભારે દેવામાં ડૂબ્યું. અંગ્રેજોએ તેમને આર્થિક મદદ કરી પણ શરત એ રાખી કે કોઠીનો મેનેજર અંગ્રેજ જ રહેશે. ત્યારથી જ ચંપારણના ખેડૂતોની માઠી દશા શરૂ થઈ.
શું હતી તીન કઠિયા પ્રથા?
કોઈ પણ ગામ ઠેકેદારના કબજામાં આવે એટલે સૌથી પહેલો પ્રયાસ એ થતો હતો કે ત્યાં ગળીની ખેતી શરૂ થાય. સમજાવીને અને પછી ધમકાવીને ગળીની ખેતી કરવા માટે ખેડૂતોને મજબૂર કરવામાં આવતા હતા. કેમ કે ગળી ઉત્પાદન થાય એ અંગ્રેજોની જરૂરિયાત હતી. ઠેર ઠેર કોઠીઓ સ્થપાઈ રહી હતી. તેમાં ચોવીસે કલાક ગળી બનતી રહે એટલા માટે ખેતરો ગળીના છોડથી લહેરાતાં રહે એ જરૂરી હતું. બીજી તરફ ખેડૂતો ગળી વાવવા ઈચ્છૂક ન હતા. કેમ કેે અત્યંત ફળદ્રૂપ જમીનમાં ચોખા, ઘઉં અને શેરડી જેવા પાક લેવાથી ખેડૂતોને ફાયદો થતો હતો. પરંતુ ઠેકેદારોએ ફરજિયાતપણે દરેક ખેતરના ૧૫ ટકા ભાગમાં ગળી જ ઉગાડવી એવો નિયમ બનાવી દીધો હતો. આ પ્રથા 'તીન કઠિયા' તરીકે ઓળખાતી હતી. આવા ઠેકેદારો એટલે તો 'નિલહા' તરીકે ઓળખાતા હતા કેમ કે હિન્દીમાં ગળીનેે 'નીલ' કહેવાય. ગળીની ખેતીને કારણે જીવનજરૂરી અનાજનું ઉત્પાદન ઓછુ થતું હતું અને અનેક લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા હતા.
ખેતર ખેડૂતોનું પણ મરજી ઠેકેદારોની. કેટલો પાક લેવો, શેનો લેવો, લીધા પછી કેટલા ભાવે વેચવો .. વગેરે ઠેકેદારો નક્કી કરતાં હતા. પાક નબળો થાય તો ખેડૂતે નુકસાન ભોગવવાનું, સબળો થાય તો ઠેકેદારને એ નક્કી કરે એ ભાવે વેચી દેવાનો. ખેડૂતો પાસેથી વિવિધ પ્રકારના કરાર તેમની મરજી વિરુદ્ધ કરાવી લેવામાં આવતા હતા. મોંઘવારી વધે પરંતુ, ખેડૂતોને મળતું વળતર વર્ષો સુધી સ્થિર રહેતું હતું. વચ્ચે ક્યારેક એવો પણ સમય આવતો હતો, જ્યારે ગળીનું ઉત્પાદન ઓછું થતું હતું. એ વખતે નિલહાઓની આવક ન ઘટે એટલા માટે ખેડૂતો પર વિવિધ જાતના કર નાખી દેવામાં આવતા હતા.
કોઠીધારી અંગ્રેજોએ ખેડૂતો માટે ઓર આકરા નિયમ બનાવી રાખ્યા હતા. જેમ કે પોતાના ખેતરમાંથી ઝાડ કાપવું હોય તો કોઠીની પરવાનગી લેવી પડે! ગામના ગૌચર પર ખેડૂતોના માલ-ઢોર ચરતાં હોય તો તેના માટે પણ ખેડૂતોએ ઠેકેદારોને કર ચૂકવવો પડે. ખેડૂતો પોતાનાં પશુ કોઈને વેચે તો તેનો પણ કર કોઠીધારીઓને ચૂકવવાનો થતો હતો. કેટલાક ખેડૂતોએ મક્કમતાપૂર્વક ખેતી કરવાની ના પાડી તો તેમને ખેતી માટે મળતું મફત પાણી બંધ કરી દેવામાં આવ્યુ હતું. આવા ડઝનબંધ પ્રકારના રસ્તાઓ અખત્યાર કરીને ખેડૂતોનું શોષણ થતું હતું. અને એ સમયે જ ચંપારણની ધરતી પર ગાંધીજીનાં પગલાં પડયાં.. એ પગરવ સાથે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હતો અને અંગ્રેજોને તેની જાણ ન હતી.
ચંપારણથી અજાણ ગાંધીજી
દક્ષિણ આફ્રિકામાં ગઢ જીતીને ૧૯૧૫માં ભારત આવેલા મોહનદાસને હજુ દેેશમાં કેવી ગરબડો ચાલી રહી છે, તેની ખબર ન હતી. ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ મુજબ ગાંધીજી તો દેશ ફરીને આંખે દેખ્યો અહેવાલ મેળવી રહ્યા હતા. ત્યારે ભારતમાં આઝાદીની લડત માટે કોંગ્રેસ નામનું સંગઠન સ્થપાયું હતું. (આજનો કોંગ્રેસ પક્ષ, એ આઝાદી માટે લડતી કોંગ્રેસ કરતાં અલગ છે.) અગ્રણી નેતાઓ સાથે ગાંધીજી પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.
ભારતના ઈતિહાસમાં ચંપારણ નામના પ્રકરણની શરૂઆત ૧૯૧૬ના લખનૌ કોંગ્રેસ અધિવેશન વખતે થઈ. ચંપારણથી આવેલા ખેડૂત આગેવાન રાજકુમાર શુક્લ અધિવેશનમાં એક પછી એક નેતાઓને મળ્યા અને તેમને વિનંતી કરી કે ચંપારણની રૈયત પીડાઈ રહી છે. મહેરબાની કરીને એક નજર તેમન પર પણ નાખો. શુક્લ સાથે બ્રજ કિશોર બાબુ (બિહારમાં બાબુ એટલે સન્માન આપવા લગાડાતો શબ્દ), રામ દયાલ સાહ, ગોરખ બાબુ, હરવંશ સહાય, પીર મહમ્મદ મુનિશ, સંત રાઉત સહિતના સાથીદારો હતા.
અહીં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ. મંડળી ગાંધીજીના તંબુમાં પહોંચી ત્યારે તેઓ દાતણ કરી રહ્યાં હતા. ગાંધીજીએ મૌન જાળવીને ચંપારણ ટુકડીની વાત સાંભળી અને પછી ગંભીર સ્વરે કહ્યું : 'હું ચંપારણમાં આવીને જાત-તપાસ કર્યા વગર કશું કરી ન શકું. પરંતુ તમે આ મુદ્દે મારો પીછો છોડો અને કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરો.' ગાંધીજી સાથે મુલાકાતનું પરિણામ એ આવ્યું કે લખનૌ અધિવેશનમાં ચંપારણ અંગે ચર્ચા થઈ. રાજેન્દ્ર પ્રસાદે ચંપારણ સત્યાગ્રહના ઈતિહાસમાં લખ્યુ છે : 'એ કદાચ પહેલો પ્રસંગ હતો, જ્યારે કોંગ્રેસની મહાસભામાં ખેડૂતોની સમસ્યા ચર્ચાઈ હતી.' બાકી તો કોંગ્રેસની ગણતરી હાઈ-પ્રોફાઈલ નેતાઓના પક્ષ તરીકે થતી હતી, જેમને આવી નાની માથાકૂટો કરતાં દેશને ઝટ આઝાદ કરાવવામાં રસ હતો.
રાજકુમાર શુક્લને ગાંધીજીએ વચન આપ્યું કે હું ચંપારણ આવીશ ખરો. પણ ક્યારે એ નક્કી નથી. એ પછી ગાંધીજી કાનપુર ગયા તો શુક્લ ત્યાં પણ હાજર હતા. થોડા વખત પછી રાજકુમારે ચંપારણ જઈને ગાંધીજીને પત્ર લખ્યો હતો કે ચંપારણની ધરતી તમારી રાહ જુએ છે. ૧૯૧૭ની ૩જી એપ્રિલે કલકત્તામાં કોંગ્રેસની બેઠક હતી. ગાંધીજી ત્યાં પહોંચ્યા તો રાજકુમાર ત્યાં પણ હાજર હતા. એટલે આખરે ગાંધીજીએ તેમને કહ્યું કે હું અહીંથી જ તમારી સાથે આવીશ.
ચંપારણમાં મહાત્માનું આગમન
કલકત્તાથી ૧૦મી એપ્રિલે ગાંધીજી પટના આવ્યા. ચંપારણ પ્રાંત પટનાથી થોડો ઉત્તરમાં હતો. રાજકુમારે પટનામાં (બાદમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનેલા) રાજેન્દ્ર બાબુના ઘરે ગાંધીજીના રહેવાની વ્યવસ્થા કરી. રાજેન્દ્ર બાબુ ત્યારે કલકત્તાની બેઠકમાં હતા, પરંતુ ગાંધીજી તેમને ઓળખતા ન હતા. વળી ગાંધીજી કલકત્તાથી બિહાર જવાના છે એવી પણ રાજેન્દ્ર બાબુને ખબર ન હતી. એટલે ગાંધીજી તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના નોકરને લાગ્યું કે કોઈ ખેડૂત આવ્યો છે, જે અસીલ હોવો જોઈએ. ગાંધીજીનો પોશાક ત્યારે ખેેડૂત જેવો ગામઠી હતો. માટે નોકરે ગાંધીજીને કોઈ સુવિધા વગર ત્યાં થોડો વખત રહેવા દીધા. તેનાથી વ્યથિત થયા વગર ગાંધીજીએ પોતાનું કામ કરી દીધું. એક તબક્કે જો કે ગાંધીજીને ચંપારણને પડતું મુકી દેવાનો પણ વિચાર આવ્યો હતો.
લંડનમાં ગાંધીજી સાથે પટનાના મૌલાના મઝહરૂલ હક ભણતા હતા. ગાંધીજીને એ યાદ આવ્યા અને તેમને પત્ર લખ્યો. એટલે હક તરત મોટર લઈને આવ્યા અને ગાંધીજીને પટનાથી ટ્રેનમાં મુઝ્ઝફરપુર મોકલી આપ્યા. ત્યાં પ્રોફેસરી કરતાં આચાર્ય કૃપાલાણીએ ગાંધીજીના રહેવાની સગવડ કરી દીધી.
ગાંધીજી આવ્યા એવી જાણ થઈ એટલે ચંપારણમાં ચો-તરફથી લોકો તેમને મળવા આવવા લાગ્યા. ઘણા-ખરા ખેડૂતો જો કે જોઈને ગાંધીજીને ઓળખતા ન હતા, તો વળી તેમને એ પણ ખબર ન હતી કે આફ્રિકામાં મોહનદાસે સત્યાગ્રહ દ્વારા સફળતાના વાવટા ખોડી બતાવ્યા છે. ખેડૂતોને એમ હતું કે કોંગ્રેસના કોઈ નેતા મદદે આવી પહોંચ્યા છે.
સ્થાનિક આગેવાન બ્રિજ કિશોર બાબુએ આપેલી માહિતી પરથી ગાંધીજીને સમજાયું કે મુઝ્ઝફરપુરથી ઉત્તરમાં આવેલા મોતિહારી શહેર સુધી જવુ પડશે. ગળીના ઠેકેદારો અને અંગ્રેજોનો આતંક ત્યાં વધારે હતો.
૧૫ એપ્રિલ, ૧૯૧૭ : ઐતિહાસિક દિવસ
ટ્રેન દ્વારા ગાંધીજી અને સાથીદારો ૧૫મી એપ્રિલે મોતિહારી પહોંચ્યા. ૩ વાગ્યે ટ્રેનમાંથી ઊતર્યા ત્યારે તેમને આવકારવા સેંકડો ખેડૂતો એકઠા થઈ ગયા હતા. ગાંધીજીનું આગમન થયું એટલે અંગ્રેજ સરકાર સચેત થઈ. ગાંધીજીને પણ ખબર પડી ગઈ હતી કે તેમની ધરપકડ થઈ શકે છે. એ તૈયાર જ હતા. મોતિહારીમાં તેમને ખબર પડી કે થોડા દિવસ પહેલાં જ બાજુના જસવલીપટ્ટી ગામે એક ખેડૂત પર નિલહોએ ત્રાસ વર્તાવ્યો છે. જાત-તપાસ કરવા ગાંધીજીએ ત્યાં જવાનું નક્કી કર્યું. વૈશાખ મહિનાનો તડકો હતો અને ધૂળની ડમરી ઊડતી હતી. પરંતુ એવા કોઈ અવરોધ ગાંધીજીની મક્કમતાને અવરોધી શકે એમ ન હતા. જસવલીપટ્ટી જવા માટે હાથીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિવહનની બીજી કોઈ સગવડ ન હતી. ગાંધીજી માંડ માંડ હાથી પર ચડયા, તેમની સાથે એ હાથી પર બીજા બેે સાથીદારો પણ હતા. સવારી આગળ ચાલી.
મિ. ગાંધી, ચંપારણમાંથી બહાર નીકળો
કાફલો જસવલીપટ્ટી પહોંચે એ પહેલાં જ રસ્તામાં ગાંધીજીને જિલ્લા મેજિસ્ટ્રેટ ડબલ્યુ.બી. હિકોકની સરકારી નોટીસ મળી. એમાં કહેવામાં આવ્યું હતું : 'મિસ્ટર ગાંધી, ચંપારણમાં તમે રહેશો તો જાહેર શાંતિ જોખમાશે. જાન-માલને નુકસાન થવાની શક્યતા છે. માટે હું તમને આદેશ આપું છું કે જે પહેલી ટ્રેન મળે તેમાંથી ચંપારણ બહાર નીકળી જાઓ.'
ગાંધીજીએ નોટીસનો જવાબ આપી દીધો : 'જિલ્લો છોડીને હું જઈ શકું એમ નથી. તમે મારા વિરુદ્ધ કાનૂનભંગની કાર્યવાહી કરી શકો છો.' એ રાતે જ ગાંધીજીએ સંખ્યાબંધ પત્રો દેશ-વિદેશમાં લખ્યા અને સ્થિતિની જાણકારી આપી દીધી. અંગ્રેજોને એ પ્રતિભાવની અપેક્ષા ન હતી, પરંતુ ગુજરાતી વણિકના માસ્ટર સ્ટ્રોકની તો હજુ શરૂઆત હતી. ગાંધીજીએ વાઈસરોય ચેમ્સફોર્ડને પત્ર લખીને કહી દીધું કે દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશરોએ મને જે 'કૈસર-એ-હિન્દ'નો ખિતાબ આપ્યો છે એ હું પરત કરું છું. કેમ કે આફ્રિકામાં બૂઅર યુદ્ધ વખતે માનવતાપૂર્ણ કામગીરી માટે મને એ એવોર્ડ મળ્યો હતો. હવે ભારતમાં એવી જ માનવતાપૂર્ણ કામગીરી કરતાં મને રોકવામાં આવી રહ્યો છે. માટે તમારો એવોર્ડ મારે નથી જોઈતો! ગાંધીજી ચંપારણના મુદ્દે આવો મોરચો ખોલીને અંગ્રેજોને ઘેરી લેશે એવી બ્રિટિશ સરકારને અપેક્ષા ન હતી. પરંતુ ગાંધીજી સરપ્રાઈઝ આપીને બાજી જીતી લેવાના એક્સપર્ટ હતા. આમે ય મૂળ સંસ્કૃતમાંથી આવેલા શબ્દ સત્યાગ્રહના અર્થની અંગ્રેજોને ક્યાંથી ખબર હોય!
ઇતિહાસે આવી લડત ક્યારે ય જોઈ ન હતી ..
૧૬ (એપ્રિલ ૧૯૧૭) તારીખે ગાંધીજીને નોટીસ મળી. ૧૭ તારીખે આસપાસની રૈયત શોષણ અંગે પોતાનું નિવેદન નોંધાવવા માટે હજારોની સંખ્યામાં મોતિહારી ખાતે એકઠી થઈ. દરમિયાન આફ્રિકામાં ગાંધીજીના સાથીદાર રહી ચૂકેલા મિસ્ટર પોલોક સહિતના લડવૈયાઓ ચંપારણ આવી ચૂક્યા હતા. ગાંધીજીનો પત્ર મળ્યા પછી મેજિસ્ટ્રેટે વળતો કાગળ લખ્યો કે કાલે તમારા પર મુકદમો ચાલશે, સબ-ડિવિઝનલ ઓફિસમાં હાજર રહેજો. ગાંધીજીએ તૈયારી આરંભી. પોતે જેલમાં જાય તો શું કરવુ તેની રૂપરેખા તૈયાર કરી.
૧૮મી એપ્રિલે સવારે ગાંધીજી કોર્ટમાં હાજર થયા. કોઈને કહેવામાં આવ્યુ ન હતું કે ગાંધીજી પર કલમ ૧૪૪ હેઠળ કામ ચાલવાનું છે. છતાં પણ દૂર-સુદૂરનાં ગામો સુધી ખબર પહોંચી હતી અને લોકો કોર્ટના પ્રાંગણમાં ઊમટી પડયાં હતાં. એ બધાને કાબૂમાં રાખવા હથિયારધારી પોલીસને બોલાવવી પડી. કોર્ટ કાર્યવાહી આરંભાઈ. ગાંધીજીએ કહ્યું કે તેમનો કોઈ વકીલ નથી, પોતે જ જવાબ આપશે. કોર્ટે વધુ સવાલ કર્યા તો ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હુું મારો ગુનો કબૂલ કરું છું. માટે કોર્ટનો અને મારો સમય બરબાદ ન કરતા મને સજા જાહેર કરો.
ચંપારણના લોકોએ કે અંગ્રેજોએ અગાઉ આવો આરોપી જોયો ન હતો, જે ગુનો કબૂલ કરી સજાની માંગણી કરે. રાજેન્દ્ર પ્રસાદે લખ્યું છે કે અંગ્રેજો સાથે કામ પાડવાની ગાંધીજીની પદ્ધતિ આખા દેશ માટે નવી હતી. ઇતિહાસમાં ક્યારે ય કોઈએ આવી લડત જોઈ ન હતી.
હું મારા અંતઃકરણના કાનૂનને માનું છું
એ પછી કોર્ટની મંજૂરીથી ગાંધીજીએ પોતાનું બયાન વાંચી સંભળાવ્યું : 'માનવીય ભાવના અને રાષ્ટ્રની સેવા કરવા માટે હું અહીં આવ્યો છું. અહીં ગળીના ઠેકેદારોનો ખેડૂતો સાથેનો વ્યવહાર સારો નથી. માટે એ પ્રશ્નનો અભ્યાસ કર્યા વગર હું અહીંથી જવાનો નથી. મારો કોઈ બીજો ઉદ્દેશ નથી અને મારા આગમનથી જાહેર શાંતિનો ભંગ થશે એ વાત હું માનતો નથી. આ કામગીરી દરમિયાન તમારા કાયદાનો મેં ભંગ કર્યો છે અને મને તેની સજા મંજૂર છે. મેં તમારા કાનૂનને તોડયો છે કેમ કે હું મારા અંતઃકરણના કાનૂનને માનું છું.'
આ નિવેદનથી સૌ કોઈ સ્તબ્ધ થયા. કોર્ટ સહિત બધાને એમ હતું કે વકીલાત ભણેલા મિસ્ટર ગાંધી કાયદાની કલમો ટાંકીને હમણાં દલીલો-પ્રતિદલીલો કરશે … પણ ગાંધીજીએ એક જ ઝટકામાં અંગ્રેજોનો છેદ ઉડાડી દીધો. હવે શું કરવુું એ અંગ્રેજોને સમજાતું ન હતું. માટે પહેલાં ૩ વાગ્યાની મુદત પડી. ૩ વાગે કોર્ટ ફરી ભરાઈ તો કહ્યું કે પાંચ-છ દિવસ પછી નિર્ણય આવશે. ગાંધીજી જઈ શકે છે. ગાંધીજી સહિતની ટુકડી ત્યાંથી રવાના થઈ. એ પછી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે પ્રથમ ઔપચારીક મુલાકાત પણ થઈ.
સરકારે કેસ પાછો ખેંચી લીધો
થોડા સમયમાં જ સરકારને સમજાયું કે ગાંધીજી સામે કાયદાનું શસ્ત્ર ઉગામવા જતાં ખુદ સરકારની જ નામોશી થઈ છે. માટે સરકારે ગાંધીજી વિરુદ્ધનો કેસ પાછો ખેંચી લીધો. પછી લોકોની ભીડ વધી એટલે ગાંધીજી મોતિહારીમાં ગોરખ બાબુના ઘરે રહેતા હતા એ જગ્યા નાની પડવા લાગી. ગાંધીજીનું આગમન થયું ત્યારે ચંપારણમાં ૭૩ ગળીનાં કારખાનાં ધમધમતાં હતાં. ગાંધીજીએ એ કોઠી માલિકોને પણ મળવાની શરૂઆત કરી. કેટલાક કોઠી માલિકોએ ગાંધીજીને ભીંસમાં લેવા કાવતરાં પણ કર્યાં, પરંતુ તેમની કારી ફાવી નહીં.
ગાંધીજીએ માંગણી કરી હતી કે ખેડૂતોની સમસ્યાની તપાસ માટે સમિતિ રચવામાં આવે. સરકારે એ ડિમાન્ડ તો મંજૂર કરી એટલું જ નહીં, સમિતિમાં ગાંધીજીને પણ શામેલ કર્યા. સમિતિની તપાસ ન થાય ત્યાં સુધી સ્થિતિ જેમની તેમ રાખવાની હતી. માટે ખેડૂતો ખુશ હતા. ગાંધીજી સાથે સમાધાન કર્યા સિવાય સરકાર પાસે છૂટકો ન હતો.
આખરે તીન કઠિયા પ્રથા રદ થઈ..
સરકારે નિયુક્ત કરેલી સમિતિએ તપાસ આરંભી દીધી. સમિતિમાં મોટા ભાગના અંગ્રેજ અધિકારીઓ હતા. વિવિધ સ્થળોએ ફરીને લોકોના બયાન લેવામાં આવ્યાં. અન્યાય સહન કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનો સમિતિ સમક્ષ ગંજ ખડકાયો હતો. એ બધાની તપાસને અંતે ૧૯૧૭ની ૩જી ઓક્ટોબરે સમિતિએ ભલામણ કરી કે તીન કઠિયા પ્રથા અન્યાયકારી છે, રદ કરો. સરકારે એ પ્રથા રદ કરી ત્યારે ૧૯૧૮ની ૪થી માર્ચ આવી હતી. ગાંધીજીએ ચંપારણમાં પગ મૂક્યો તેને એક વર્ષ પૂરું થાય એ પહેલા ચંપારણનો જંગ જનતા જીતી ચૂકી હતી. બીજી તરફ ચંપારણથી બે હજાર કિલોમીટર પશ્ચિમે બીજી લડતનો આરંભ થયો હતો, તેનું નામ ખેડા સત્યાગ્રહ.
ચંપારણ એ ભારતમાં અહિંસક લડતની, સત્યાગ્રહની શરૂઆત હતી. પછી તો આઝાદીની લડાઈ ૩ દાયકા ચાલી, પરંતુ લડતની કેન્દ્રીય રણનીતિ સત્યાગ્રહ જ રહી, જેનાં બીજ ચંપારણની ધરતી પર ગળીના છોડ ઉખેડીને તેની જગ્યાએ વવાયાં હતાં.
સમસ્યાનું મૂળ અજ્ઞાનતા
ગાંધીજીએ લડત દરમિયાન જોયું કે અહીં શિક્ષણનો અભાવ છે અને એ જ દરેક સમસ્યાનું મૂળ છે. માટે તેમણે સૌથી પહેલાં તો બેતિયા પાસે ભીતિહરવા ગામે આશ્રમની સ્થાપના કરી. કસ્તૂરબા, દેવદાસ ગાંધી, દુર્ગાબહેન દેસાઈ, મણિબહેન પરીખ સહિતનાં અંતેવાસીઓ દેશભરમાંથી આવી પહોંચ્યાં હતાં. આ વિસ્તારમાં લોકો ભારે ગંદા રહેતા હતાં. તેમને સૌથી પહેલાં સફાઈનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. કેટલીક શાળાઓની સ્થાપના થઈ. આશ્રમો થયા. લોકોમાં જાગૃતિના પ્રયાસો થયા. પરિણામ એ આવ્યું કે સદીઓથી દબાતી-પિસાતી ચંપારણની પ્રજાનું આત્મગૌરવ ફરી જાગૃત થયું. આત્મગૌરવ જાગૃત ન હતું ત્યાં સુધી ઠેકેદારો-અંગ્રેજોની દાદાગીરી ચાલતી હતી. હવે એ સમય પૂરો થવા આવ્યો હતો.
ચંપારણને જરૂર છે વધુ એક મોહનદાસની?
ત્યારે અંગ્રેજો અને ઠેકેદારોની તીન કઠિયા પ્રથા હતી, આજે બિહાર સરકાર અને સુગર મિલના માલિકોની તીન કઠિયા જેવી પ્રથા ચંપારણના ખેડૂતોનું શોષણ કરી રહી છે. અહીં શેરડીનું વ્યાપક ઉત્પાદન થાય છેે. એ શેરડી ઉગાડવા માટે ખેડૂતોએ ક્યાંથી બીજ ખરીદવા એ સરકાર નક્કી કરે છે. શેરડીનું ઉત્પાદન થયા પછી દરેક ખેડૂત તેના વિસ્તારમાં નક્કી થયેલી સુગર મિલને જ શેરડી વેચી શકે. બીજી કોઈ મિલ વધુ ભાવ આપતી હોય તો પણ તેને વેચી ન શકે. ખેડૂત શેેરડીનું ઉત્પાદન કરી જથ્થો લઈ સુગર મિલ સુધી પહોંચે ત્યારે માત્ર સુગર મિલના તોલમાં જ તેનું વજન થાય. વજનમાં સરેરાશ વીસેક ટકા જેટલી ઘાલમેલ થાય એટલે ખેેડૂત ૧૦૦ મણ શેરડી લઈને આવ્યો હોય તો વજનમાં ૮૦ જ મણ બતાવે! પૈસા પણ એટલા મણના જ મળે. ૨૦ ટકાની સીધી ઉચાપત!
ખેડૂતોએ મિલ માલીકો પાસેથી શેરડીના પૈસા લેવાના હોય તો એ પણ પૈસા તરત ન મળે. મિલનું મન પડે ત્યારે નાણાં છૂટ્ટા થાય. પરંતુ કોઈ મિલ ખેડૂતના નીકળતા પૈસા બહુ મોડા આપે તો તેના પર વ્યાજ ચૂકવવાનો નિયમ છે. અલબત્ત, એ નિયમ મિલ માલિકો માટે હોવાથી સરકારને તેનો કડકાઈપૂર્વક અમલ કરતા આલ આવે છે. બીજી તરફ ખેડૂતોએ લોન લઈને ખેતી કરી હોય અને એ લોનનું ખેડૂતે નિયમિત વ્યાજ ચૂકવવું પડે. બાકી ખેડૂત પર તરત સરકાર સખ્તાઈથી કાર્યવાહી કરે.
બિહારમાં જમીન અંગેનો કાયદો એવો છે, કે ખેડૂતો અમુક હદથી વધુ જમીન રાખી શકે નહીં. ખેડૂતોના જમીન અધિકાર માટે કામ કરતાં બેતિયાના પ્રોફેસર પ્રકાશ કહે છે, કે સરકારે હજારો એકર જમીન પોતાના કબજામાં રાખી છે, જે ખરેખર જમીન વિહોણા ખેડૂતોને વહેંચવાની છે. પરંતુ સરકાર દાયકાથી તેની ફાઈલો દબાવીને બેઠી છે. માટે આજે ય અમારે અહીંના ખેડૂતોના જમીન અધિકાર માટે લડત આપવી પડે છે. એટલે એક સદી પછી પણ ચંપારણના ખેડૂતોને તો કોઈ મોહનદાસ આવે તેની રાહ છે જ.
ગાંધીજીની કર્મભૂમિ
બિહારના ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા બે જિલ્લા પૂર્વ અને પશ્ચિમ ચંપારણ ગાંધીજીની પ્રથમ કર્મભૂમિ રહી હતી. ત્યારે જોકે ચંપારણ આખો એક જ વિસ્તાર હતો.
સૌજન્ય : ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 12 અૅપ્રિલ 2017