આખરે એ ‘ગુજરાત ગૌરવ’ અને ‘વિકાસ’ સ્તો હતાં જે વેચીને મોદી અખિલ હિંદ અપીલના ધરાર ધણી લેખાયા છે
ઇતિવૃત્તકાર રામચંદ્ર ગુહાના તાજેતરના લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ ખાતેના એ ઉદ્ગારોને કેવી રીતે ઘટાવશું વારુ? સહેજે બારપંદર દિવસ થઈ ગયા એ વાતને, અને દૈનિક પત્રના આ ચહેતા કતારચીએ હજુ તે વિશે રદિયાથી સમજૂતની તરજ પર કશી વાત પણ કરી નથી! રહો, ઓર નુક્તેચીનીમાં જવા પૂર્વે ગુહાના લંડન વક્તવ્યનો ટૂંકસાર જરી ઉતાવળે આપી દઉં: નરેન્દ્ર મોદી નાતજાતપ્રદેશને વટી જતી અખિલ હિંદ અપીલ ધરાવે છે. એ રીતે જોઈએ તો જવાહરલાલ નેહરુ અને ઇંદિરા ગાંધી પછીના ત્રીજા સફળ વડાપ્રધાન તરીકે ભાવિ ઇતિહાસ મોદીની નોંધ લેશે.
સામાન્યપણે ગુહા મોદી નેતૃત્વના ટીકાકાર તરીકેની છાપ ધરાવે છે. ભ્રષ્ટાચારનાબૂદી બાબતે તે ખરેખાત ઇચ્છુક છે કે કેમ એવો પ્રશ્ન પણ સવિશેષ તો વિભાજક અને વિષાક્ત કોમી રાજનીતિથી માંડીને આપણી ક્રિમિનલ જસ્ટિસ પદ્ધતિની મર્યાદાઓ સાથે તોડમરોડ સહિતનાં વાનાં એમનો બેબાક ટીકાવિષય રહ્યાં છે. મોદીના વિશ્વદર્શનની સંકીર્ણતા વિશે બોલતાં ગુહાએ સંકોચ કર્યો જાણ્યો નથી. આ ગુહા, નમોને નેહરુ, અને ઇંદિરા સાથે મૂકે? ખરું જોતાં, એ તો નેહરુ અને ઇંદિરાને પણ એક સાથે મૂકી ન શકે, કેમ કે નેહરુનું ઇતિહાસદર્શન-માનવતા-લોકશાહી સમાજવાદ એમને જે રીતે જમાતજુદેરા ને મૂઠીઊંચેરા મૂકી આપે છે એ રીતે કટોકટીખ્યાત ઇંદિરા ગાંધી સુધ્ધાં કિસ ગિનતી મેં એવો સવાલ લાજિમ છે. ટૂંકા ગાળાની વડાપ્રધાન આયુમાં દંતકથારૂપ ઉભરેલા લાલબહાદુર શાસ્ત્રી, ટટ્ટાર મોરારજી દેસાઈ, ઇન્સાનિયતની રાજનીતિ ચાહતા વાજપેયી, આ સૌને કોરાણે રાખીને નમોનું નામ લેવું તે જરૂર સાહસ માગી લે છે.
અધૂરામાં પૂરું, વાતમાં મોણ નાખવાને ધોરણે નહીં પણ પરિપ્રેક્ષ્યસર, બીજી જે એક વિગત અહીં નોંધવી જોઈએ તે પણ સંભારી લઉં. એજન્સીએ લંડન વક્તવ્ય પ્રસારિત કરતી વેળાએ ખાસ કાળજી રાખીને અંબોળેલી ટિપ્પણી એ હતી કે મોદીની અને હિંદુત્વ રાજનીતિની ટીકા સબબ ગુહાને ‘થ્રેટ મેલ’ (માત્ર ‘હેટ મેલ’ નહીં પણ ‘થ્રેટ મેલ’) મળે છે. જોકે ગુહા એને મહત્ત્વ નથી આપતા અને એક રોજિંદી બીના માત્ર તરીકે જ ઘટાવે છે એમ પણ એજન્સીએ ઉમેર્યું હતું. છતાં, એણે બે બાબતોને એક સાથે મૂકી આપવાની ચેષ્ટા કરી હતી એમાંથી કેમ જાણે કોઈ સૂચક સહોપસ્થિતિની બૂ ઊઠતી હતી.
ઇતિવૃત્તકાર કહેતાં ક્રોનિકલર ગુહા તાજેતરનાં વરસોમાં એક એવા બૌદ્ધિકરૂપે ઉભર્યા છે જેણે જાહેર જીવનમાં કાંક કહેવાપણું છે. જ્યારે એક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે એમનો વિશેષોલ્લેખ કરીએ ત્યારે હમણાં સુધીની એમની મોદીમીમાંસાનું એ એક વાનું પણ બિનચૂક સંભારી લેવુ રહે કે બૌદ્ધિકો બાબતે મોદી સરકાર જે તુચ્છકારથી પેશ આવતી માલૂમ પડી છે એના ગુહા ટીકાકાર રહ્યા છે. મોદીના નેતૃત્વમાંથી સોડાતા બૌદ્ધિકવિરોધવાદ બલકે એન્ટિ-ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ વિશે બોલવાલખવામાં ગુહાએ કોઈ સંકોચ દાખવ્યો નથી. તેમ છતાં નેહરુ-ઇંદિરા-મોદી ત્રણેને અખિલ હિંદ અપીલને ધોરણે સફળતાના એક જ સોપાને ગુહાએ મૂક્યાં છે તે મૂક્યાં છે. એટલે જાહેર ચર્ચાના ક્ષેત્રમાંથી એમણે પણ પાપપુણ્યની બારી પેઠે પસાર થવું તો પડે. બલકે, પોતે પાપપુણ્યની બારીમાંથી પસાર થઈને પોતાનું વજૂદ અંકે કરવું રહે છે એ સમજવામાં જાહેર મતે એમને પ્રેમથી પુચકારીને કે લગરીક આરીનો અનુભવ કરાવીને ય મદદરૂપ થવું રહે છે. આ કોશિશ, આ પ્રક્રિયા અલબત્ત ગુહા સંદર્ભે જ નહીં જાહેર મતના બાકી સૌ લખવૈયા (આ લખનાર સહિત)ના લાભાર્થે ય ઈષ્ટ છે.
દરમ્યાન, કદાચ દૂરાકૃષ્ટ છતાં અહીં સાંભરતો એક પેરેલલ ચિમનભાઈ પટેલના ગુજરાતકારણ (અને સત્તાકારણ)નો છે. સોળ વરસ પછી એ બીજી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની એક નવી સ્વીકૃતિ બની હતી. નહીં કે એમનાં અગાઉનાં ટીકાસ્થાનો હવે નહોતાં; પણ તે છતાં સ્વીકૃતિ બની’તી તે બની’તી. એમના જૂના ટીકાકારોનો ટીકાભાવ ઝાઝો ઘટ્યો હશે, એવું પણ નહોતું. પણ જ્યારે ખરીખોટી અનવસ્થા વચ્ચે આ એક જણ ‘ડિલીવર’ કરી જાણનાર જણ છે, આપણે જે દોરમાંથી ગુજરી રહ્યા છીએ તેમાં ‘ત્રાહિમામ્’ને દાદ આપી શકે એવો કાબેલ જણ છે, એવો ભાવ પ્રજામાનસમાં જાગે ત્યારે આવી સ્વીકૃતિ બનતી હોય છે. આવી સ્વીકૃતિ વખતે કથિત વ્યક્તિત્વની મૂળભૂતપણે નીતિનિરપેક્ષ-મૂલ્યનિરપેક્ષ ગતિવિધિ કાં તો લક્ષમાં જ રહેતી નથી કે પછી તેવી ગતિવિધિ પોતે કાબેલિયતરૂપે મહિમામંડન પામી ભાગ્યશાળીને ભૂત રળે એ કહેવત સાચી પાડી આપે છે.
એટલે ગુહા જ્યારે નેહરુ-ઇંદિરા-મોદીને એક શ્વાસે એક સોપાને મૂકતા જણાય છે ત્યારે કાં તો જનમાનસનો પડઘો પાડતા (કે એમાં જોડાઈ જતા) માલૂમ પડે છે. આ સંજોગોમાં નીરક્ષીર અને નિકષને ધોરણે એ ક્યાં ઊભા છે એવો સવાલ પૂછવો લાજિમ છે. અથવા તો, એમણે એક સાથે બે ધાગે અને બે સ્તરે કામ લેવાપણું જરૂરી લાગે છે. એક પા, તે આ સ્વીકૃતિની જો નોંધ લે તો બીજી પા આ સ્વીકૃતિમાં ગૃહીત પારનૈતિક (અમોરલ) અભિગમ વિશે એ અજાણ નથી અને જનમતે પણ જાગ્રત રહેવાપણું છે તે એમણે ચોખારી અને ખોખારીને બોલવું રહે. જો આ વાતે, ‘સ્વીકૃતિ’નું વાસ્તવ સ્વીકારતે છતે આપણે ઢીલું મૂકીએ તો શું બને એ કલ્પવું પડે એમ નથી. મોદી સહી અને યોગી નહીં, એવો જે તર્ક આ આખું રાજકીય પેકેજ પ્રીછ્યા વગર આજકાલ આગળ ધરાઈ રહ્યો છે તે આનું જ એક ઉદાહરણ છે.
વણઝારાની બનતી આવતી સ્વીકૃતિ પણ આ સંદર્ભમાં જોવાતપાસવાપણું છે. ગુહા જો આ મુદ્દો ચૂકીને ચાલવાના હોય – એટલે કે બે ધાગે અને બે સ્તરે – એક સાથે સ્પષ્ટતાથી ચાલી શકવાના ન હોય તો એક જાગતલ અને જાણતલ પબ્લિક ઇન્ટેલેક્યુઅલ તરીકે એમને પક્ષે એ ઇતિહાસગોથું હશે. અંગ્રેજી પત્રકારત્વમાં મેઘનાદ દેસાઈ, તવલીન સિંહથી માંડીને એકાધિક ગુજરાતી કટારચીઓ આજે આવા એક ગોથાને અંગે ગુરુત્વાકર્ષણની પરિસ્થિતિ જાણેઅજાણે સરજી રહ્યાં છે. આ ગુરુત્વાકર્ષણની બલિહારી એ છે કે વિજ્ઞાનનિરપેક્ષપણે તે ઉપર (મોદી તરફ) અને નીચે (પારનૈતિક ને મૂલ્યનિરપેક્ષ ભોંય ભણી) એક સાથે ખેંચી શકે છે. આમાં બાદશાહના મહેલના દીવે જોઈ કાતિલ ઠંડીમાં નદી વચાળે ઉષ્મા મેળવતા નિરીહ નાગરિકની સરળતા જ નહીં, બાદશાહના ‘દિવ્ય વસ્ત્રો’ની અસલિયત જોતે છતે નહીં જોતા વિચક્ષણ જણની વશેકાઈ પણ છે. મધુ કિશ્વરની મોદીનામા ભણીની સફર અને તે પછી કંઈક ભોંયપછાડ પણ અહીં જરૂર સંભારી શકીએ.
કદાચ, કરવા જેવું એક કામ એનું એ જ જૂનું ગાણું લાગે તો પણ કથિત ગુજરાત મોડેલનો વાંસો લોક સમક્ષ લાવવા જેવું છે. માયા કોડનાની કેસમાં અમિત શાહને સાક્ષી તરીકે હાજર થવાનું બને તે આ સંદર્ભમાં તપાસવા જેવું છે. ગોધરા-અનુગોધરા તપાસ છેડા ક્યાં ને કેમ છૂટા મુકાયા છે ત્યાંથી માંડીને વિકાસનું વાસ્તવ શું છે તે વિશે પણ હજુ વિશેષ ઊહાપોહની જરૂરત છે. આખરે એ ‘ગુજરાત ગૌરવ’ અને ‘વિકાસ’ સ્તો હતાં. જે વેચી વેચીને મે 2014માં દિલ્હીપતિ બની મોદી અખિલ હિંદ અપીલના ધરાર ધણી લેખાયા છે. આ આખી પ્રક્રિયાથી લગારે અજાણ નહીં એવા ગુહા જ્યારે મૂલ્યનિરપેક્ષતાના મુલકમાં પોતાના લંડન વક્તવ્ય સાથે નાંગરે છે ત્યારે મોદીના સફાઈ અભિયાન સાથે નાગરિકને પક્ષે જરૂરી સફાઈ બેલાશક સાફ, સાફ અને સાફ હોવાની. નિયતિ કહો તો નિયતિ, સૌભાગ્ય કહો તો સૌભાગ્ય, આ નહીં તો શું છે, કહો જોઉં.
સૌજન્ય : ‘મુખ અને વાંસો’, “દિવ્ય ભાસ્કર”, 15 અૅપ્રિલ 2017