આજકાલ જ્યાં જુઓ ત્યાં આંતરવિગ્રહની હોળી ખેલાઈ રહી છે. જો કે આમ તો માનવ ઇતિહાસ લોહિયાળ વિગ્રહો, યુદ્ધો અને ક્રાંતિઓથી ભરપૂર છે. દુ:ખની વાત એ છે કે આપણે આપણા વડવાઓના અનુભવો અને પોતાની ભૂલો પરથી કશું શીખતા નથી, અને એની એ જ ભૂલો ફરી ફરી કરીએ છીએ. આમ જુઓ તો પૃથ્વી એક વૃક્ષ સમાન છે અને આપણે બધા તેની ડાળ પરનાં પંખી છીએ. પક્ષીઓની કેટકેટલી જાત હોય છે? તેઓ પરસ્પર કોઈ લડે છે? જળચર, ભૂચર અને માનવ જાતમાં પણ કેટકેટલી વિવિધતા? જો એ સારું ન હોત તો કુદરત એટલી વિવિધ રચના કરે છે જ શા માટે?
દુનિયાની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ તમામ દિશાઓ કોઈ ને કોઈ કારણસર વિધ્વંસક સંઘર્ષમાં ખતમ થતી ભાસે છે. કોઈ સમૂહને પોતાના ધર્મના સિદ્ધાંતો આધારિત રાજ્ય રચવું છે, કોઈ દેશની પ્રજાને લોકશાહી મૂલ્યોવાળી શાસન રચના પોતાના દેશમાં હોય તેવા ઓરતા છે, કોઈ આપખુદને પોતાની સત્તા યાવદચંદ્રદિવાકરૌ ટકી રહે તે માટે જનતાના હિતને કચડી મારીને શાસન કરવાની ભૂખ જાગી છે, તો વળી કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષી માથા ફરેલ સત્તાધારીઓ ‘શુદ્ધ લોહી’ ધરાવતી જાતિવાળા રાષ્ટ્રના નિર્માણ કરવાની પોતાની મહેચ્છા પૂરી કરવા અન્ય ધર્મીઓની સામૂહિક હત્યા કરવાનો માર્ગ લે છે. હવે પ્રશ્ન એ ઊઠે કે ‘શુદ્ધ લોહી’ કોનું ગણાય, જે ધર્મ કે જાતિના ભેદ આધારિત અન્યનો જાન લે તે? પ્રજા હોય કે સત્તાધારી બંને પક્ષે વાણી પ્રહારનો ઉપયોગ કરવાને બદલે શસ્ત્ર પ્રહારનો પ્રચૂર ઉપયોગ થવાથી માનવ જાતનું સમૂળું અસ્તિત્વ ભયમાં આવી પડ્યું લાગે છે. જાણે કેમ માનવ માત્રને કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ, પોતાની માગણીઓને સંતોષવાનો માર્ગ કે અધિકાર મેળવવાનો એક માત્ર રસ્તો શસ્ત્રો છે અને એ સિવાય કશા માર્ગ છે તેની તેને જાણ જ ન હોય તેમ લાગે છે. તો પછી હજારો વર્ષથી અનેક આધ્યાત્મિક વિભૂતિઓ, સમાજ સુધારકો અને સ્વાતંત્ર્ય વીરો કે જેમણે અનેક પરિસ્થિતિઓનો શાંતિમય ઉકેલ અહિંસક માર્ગે લાવીને પ્રજાના અધિકારો મેળવી આપ્યા છે તેમની મહેનત શું પાણીમાં ગઈ?
સદીઓનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પોતે જે ધર્મમાં માને છે એ ધર્મની ધજા હેઠળ તેને અનુસરનારની સંખ્યા વધે તેમાં જ તેની સુરક્ષા માનનારાઓએ ધર્મ પરિવર્તન કર્યાં, મિશનરી સેવા પૂરી પાડી અને ડર-ધમકી અને લાલચ આપી પરાણે વટાળ પ્રવૃત્તિ પણ હાથ ધરી. અરે, એક જ ધર્મના અનુયાયીઓ તેના બે વાડાઓના અનુયાયીઓને સહન ન કરી શક્યાને પરિણામે એકબીજાના મઠ, સાધુ-સંતો અને ધર્મસ્થાનોનો નાશ કરતા હતા અને હજુ કરે છે. તો પછી અન્ય ધર્મના લોકોને રંજાડે તેમાં શી નવાઈ? આપણે હવે સમજવું જોઈએ કે દરેક દેશને એક ભૌગોલિક સીમા હોય છે, જેમાં ભાષા, ધર્મ, સંસ્કૃિત, પોષાક અને ખોરાકની વિવિધતા હોવાની જ છે, તો એમાં વાંધો શું? એક વૃક્ષનાં પાન અલગ અલગ હોય છે, તે શું ઝઘડે છે? માનવને મળેલ બુદ્ધિશક્તિનો આવો દુરુપયોગ શાને? વળી વફાદારી પોતાના દેશ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને સમાજ એમ બધા માટે જરૂરી છે પણ તે એક બીજાની વિરોધી ન હોવી ઘટે. પોતાનો ધર્મ દરેકને મન શ્રેષ્ઠ લાગે. કોઈને પોતાના ધર્મના સિદ્ધાંતોને આધારે રાજ્ય સ્થાપવું હોય તો તેમ કરે, પણ તે શું બીજા ધર્મના અનુયાયીઓને મારીને કરી શકાય? જીસસ, બુદ્ધ, મહાવીરે એમ કરેલું? મરેલા લોક પર રાજ્ય કેમ થાય? ચક્રવર્તી બનવાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા જીતેલી લડાઈઓના અંતે થયેલ સંહારને જોઈને રાજા અશોકને હિંસાની નિરર્થકતા વિષે જ્ઞાન લાધ્યું તો આપણે તેનો આધાર લઈ સામ્રાજ્ય વિસ્તારની ઘેલછા અને તે પણ સશસ્ત્ર હુમલાઓ દ્વારા સિદ્ધ કરવાની વૃત્તિમાં ફસાતા અટકી જઈએ.
હાલમાં પૂર્વના અને પશ્ચિમના ઘણા દેશોમાં તેના નાગરિકો પોતાના દેશ માટે વફાદારી દાખવે છે કે પોતાના ધર્મ પ્રત્યે એ વિષે ઘણી ચર્ચાઓ થાય છે અને જેમના વલણો ધર્મને નામે ચાલતી હિંસક પ્રવૃત્તિઓ તરફ વધુ ઢળ્યાં છે તેમને નાગરિક તરીકે તેઓ કેટલા વફાદાર છે તે વિષે સાશંક જોવામાં આવે તે સ્વાભાવિક છે. તેના અનુસંધાને હાલમાં ભારતમાં કેટલાક દેશપ્રેમ દર્શાવતા સૂત્રો પોકારવા કે રાષ્ટ્રભક્તિનાં ગીતો ગાવાની ફરજ પાડવાનો નવો સિલસિલો શરુ થયો છે. એવી માગણી કરનારાઓએ જે તે પ્રસંગની ઉપયુક્તતા વિષે અને તે વ્યક્તિના સમાજમાં માન અને સ્થાન વિષે વિવેક દાખવવો રહ્યો. તો સામે પક્ષે એક વાતે ધ્યાન દોરવાનું મન થાય. મૂર્તિ પૂજામાં માનવું કે ન માનવું તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને શ્રદ્ધાનો વિષય છે. એક જ ધર્મના અનુયાયીઓ આ માન્યતાના બે છેડે જોવા મળશે. પરંતુ જે ધર્મ મૂર્તિને સદંતર નિષિદ્ધ ગણે છે તેમણે વિચારવું રહ્યું કે ધરતીને અને દેશને યા તો માતૃભૂમિને કેટલાક લોકો માતાની ઉપમા આપે છે કેમ કે ધરતી આપણને માતાની જેમ ધારે છે, પોષે છે, તેના પ્રત્યે ભૂલ કરીએ તો પણ ક્ષમા આપી સ્વીકારે છે; તે કદી આપણને તરછોડે નહીં. તો એ વિભાવનામાં શું ખોટું છે? હા, તેની રંગબેરંગી વેશભૂષા વાળી મૂર્તિની જરૂર નહીં, પણ કોઈ બનાવે અને પૂજે તો બીજાને શો વાંધો? આખર દુનિયામાં જે કંઈ દ્રશ્યમાન છે તે તેની એક યા બીજા પ્રકારની તસ્વીરને કારણે છે. આપણી પોતાની માતા એક તસ્વીર છે, તો ધરતી કે દેશને એવું માન આપવામાં કોઈ અપરાધ ખરો? આપણા પિતા આપણા પાલક, પોષક અને રક્ષણ કર્તા છે અને તેમની પણ એક તસ્વીર છે, તો સૂર્ય જેવા અજોડ શક્તિના સ્રોતને પિતા સમાન ગણી તેની તસ્વીર કેટલાક લોકો ન બનાવે પણ બીજા કોઈ બનાવે તેમાં આપણી માન્યતાને કોઈ ઠેસ નહીં પહોંચે. કોઈ પણ ધર્મ કે વિચારધારા એવી નાજુક કેમ હોય જે પોતાનાથી અલગ એવી માન્યતાઓથી ડરી જાય, ભડકી જાય? અને તે પણ એટલી હદે કે તે અન્યોને મૂલ્યવાન લાગતાં અને તેમની સંસ્કૃિતના ધરોહર સમાં પ્રતીકોનો નાશ કરવા પ્રેરે?
અહીં મુદ્દો છે અર્થઘટનનો. અમે, એટલે કે હું અને મારા કુટુંબીજનો અને સરખા વિચાર ધરાવનારા મિત્રો જ્યારે બીજા ધર્મ સ્થાનોમાં જઈએ, તેના નશીદ, હિમ્સ, શબદ કે ભજનો સાંભળીએ ત્યારે તેનો અર્થ અને મર્મ જાણીએ એટલે પોતાના ગીતો સાથે સામ્ય લાગે જેથી તે વિષે વિરોધ કે અણગમો ન થાય. રોમના સેન્ટ પીટર્સના પવિત્ર જળમાંથી અંજલી લઈ મારા પુત્રો ગાયત્રી મંત્ર બોલ્યા અને અમે તાજ મહેલના પગથીએ બેસી, યમુનાને કાંઠે દેખાતા લાલ કિલ્લા તરફ થતા સુર્યાસ્તને જોતાં જોતાં ઇશાવાસ્યમ પ્રાર્થનાનું ગાન કર્યું તો નથી અમે અમારો ધર્મ ગુમાવ્યો, ન અમે ‘અપવિત્ર’ થઈ ગયાં કે ન અમે કોઈ પાપ કે ગુનો કર્યાની લાગણી થઈ. એટલું જ નહીં એ પવિત્ર સ્થાનોની ધાર્મિક પ્રતિભા કે મહત્ત્વને જરા પણ ઝાંખપ ન આવી એટલું જ નહીં પણ તેનાથી સાબિત થયું કે એ ઈમારત કે જે તે ધર્મના મૂળ રચયિતાઓ આવી ચેષ્ટાઓને સહર્ષ સ્વીકારી લે છે. તેને જ ખુલ્લા મનના વિચાર ધરાવનારા અને અન્ય ધર્મના અસ્તિત્વ, જુદી માન્યતાઓ, અલગ શ્રદ્ધા ધરાવનારાઓ માટેની સહિષ્ણુતા કહેવાય. દરેક ધર્મના ઉપદેશમાં ‘ભગવાન એક છે અને તેના સિવાય અન્ય કોઈ પર શ્રદ્ધા ન રાખો’ તેમ એક યા બીજી ભાષામાં અને અલગ અલગ શબ્દોમાં કહેવામાં આવ્યું છે. તેનો અર્થ મારા જેવા એવો કરે કે આ સૃષ્ટિને રચનાર માત્ર એક શક્તિ છે, માટે માત્ર તેના પર વિશ્વાસ રાખો, તેનું શરણું સ્વીકારો અને જે નાશવંત છે, સર્વશક્તિમાન નથી તેવા માનવોને શરણે જઈને તેમનું પૂજન ન કરો. એ વિધાનોનો અર્થ લગીરે એવો નથી જ કે સર્વશક્તિમાનને કોઈ જુદા સ્વરૂપે ઓળખે અને પુકારે તો તે પાપી છે, આ દુનિયામાં જીવવા લાયક નથી તેથી તેમને કાં તમારી માન્યતા અનુસરવાની ફરજ પાડો, કાં જાનથી ખત્મ કરી દો. એવું અર્થઘટન માત્ર અને માત્ર એ વિધાનને તેના સાચા અર્થમાં ન સમજનારાઓ જ કરે અને કમનસીબે એવી અધકચરી સમજણવાળી પ્રજા વધતી જતી જણાય છે અને હાથમાં વિનાશક શસ્ત્ર લઈ બીજા શાંતિપ્રિય લોકોને ડરાવે છે. તેમાં કેટલાક શસ્ત્ર ન ઉગામનારા પણ વાણી અને વર્તનથી ઝેર ફેલાવનારાઓનો પણ સમાવેશ થાય છે.
આ દુનિયામાં કેટલાક દેશો પોતાના દેશને ક્રિશ્ચિયન દેશ તરીકે તો કેટલાક પોતાને મુસ્લિમ દેશ તરીકે ઓળખાવે છે, જ્યારે અન્ય દેશો પોતાના દેશની ઓળખ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે રહે તેવું ઈચ્છે છે. એક એવો પ્રશ્ન ચર્ચાય છે કે ધર્મ આધારિત દેશની રચના હોવી એ તેના નાગરિકોના ભલામાં છે કે બિન સાંપ્રદાયિકતા સારી? ઇતિહાસ પર નજર નાખતાં અહેસાસ થશે કે ધર્મને નામે રચાયેલ કોઈ દેશ કે સમૂહમાં સુલેહ-સંપ નથી રહ્યાં. પિલગ્રિમ્સ ફાધર્સનું સામૂહિક સ્થળાંતર, ધર્મને આધારે પારસી કોમનું સ્થળાંતર, કોઈ એક ધર્મને આધારે એક રાષ્ટ્ર રચવાની મહેચ્છાને કારણે થયેલ મહા હત્યાકાંડ વગેરે ઘટનાઓ શીખવે છે કે આ દુનિયામાં એકે એક દેશમાં અનેક ધર્મ, સંસ્કૃિતઓ, ભાષાઓ, રીત-રિવાજો અનુસરતી જાતિઓ અને વિવિધ રંગના લોકો રહેતા હતા, રહે છે અને રહેશે, – એ સ્વીકારો, તેમને સમજો, આદર આપો અને સહઅસ્તિત્વની ભાવના કેળવો. કોઈ એક દેશમાં વિધવિધ મૂળના, રંગ અને જાતિના લોકો રહેતા હશે જેઓ જુદા જુદા ધર્મને અનુસરે. હવે એ દેશની રાજ્ય પદ્ધતિ લોકશાહી હોય, સામ્યવાદી હોય કે આપખુદી શાસન વ્યવસ્થા હોય, ત્યાં શ્વેત રંગનો માણસ તે શ્વેત રંગો જ ગણાશે અને ક્રિશ્ચિયન દરેક શાસન વ્યવસ્થામાં ક્રિશ્ચિયન આસ્થા ધરાવનારો જ રહેશે. આટલી સીધી સાદી વાત ન સમજી શકીએ તેટલા અબુધ ક્યારથી થયા આપણે?
વસંત ઋતુમાં જેમ પાન અને ફૂલોને નવી કુંપળો ફૂટી નીકળે તેમ ઠેકઠેકાણે કોઈને કોઈ બહાને વિગ્રહો અને સંઘર્ષો ફાટી નીકળે છે. કોઈ પણ કારણસર વિગ્રહ થાય, સહુથી વધુ જાનહાનિ પુરુષોની થાય અને સહુથી વધુ ત્રાસ બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ અને કંઈક અંશે યુવાનો પર વીતે છે. જીવની સલામતી ખાતર સ્થળાંતર કરીને વિસ્થાપિત થતા સમૂહોની હાલત દયાજનક હોય છે. તેઓ ન તો પોતાના દેશના રહે અને પારકા દેશમાં દયાના ટુકડા પર જીવવું, આજીવિકા મેળવવા ફાંફાં મારવાં અને પેઢીઓ સુધી દ્વિતીય વર્ગની પ્રજા તરીકે જીવવું એ તેમની અસ્મિતાને ભારે જોખમમાં મૂકનારી સ્થિતિ હોય છે. તેમાંથી ઉગરવા પેઢીઓની પેઢીઓ સુધી મથવું પડે. તેમ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ અને વિચારધારાઓને સાકાર કરવા કેટલાક આતંકવાદીઓ કેવા કેવા દુષ્કૃત્યો આચરે છે? પોતાની માગણીઓનો સ્વીકાર ન થાય તો ગુસ્સામાં કોઈ કાર બાળી મુકો તે ઠીક, પણ પુસ્તકાલયો, વિશ્વવિદ્યાલયો, શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ અને જાહેર ઈમારતોનો નાશ કરવાનું કહેતી હોય એવી કોઈ સંસ્કૃિત છે ખરી? કયો ધર્મ એવો છે જે માનવીની અમૂલ્ય થાપણ સમાં સાંસ્કૃિતક ધામોનો વિનાશ કરવાનું કહે? એમ કરનાર લોકો કયો ધર્મ ફેલાવવા માગે છે? કઈ સંસ્કૃિતનું નિર્માણ કરવા માગે છે? કોણ એ પગલે ચાલશે? જો ધર્મને આધારે સ્થપાયેલ આપખુદ શાસન હેઠળના દેશોમાં માનવ અધિકારોની જાળવણી થતી હોત અને સંપ સુલેહનું રાજ્ય હોત તો અત્યારે ધર્મ નિરપેક્ષ દેશોમાં અને જ્યાં લોકશાહી શાસન છે તેવા દેશોમાં આશ્રય શોધવા લાખો માણસો વલખાં ન મારતાં હોત.
ભારત સ્વતંત્ર થયું ત્યારે જ એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે પોતાની આગવી પ્રતિભા ઊભી કરી શક્યું એ એક અનોખી સિદ્ધિ છે. આજે જાણે એ અસ્મિતા ભૂલથી ઊભી થઈ ગઈ હોય અને એ ભૂલને સુધારવી હોય તેમ તેને ધર્મ આધારિત દેશ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જે અત્યંત દુ:ખદ, ટૂંકી બુદ્ધિની અને વાહિયાત ચેષ્ટા છે. પોતાના દેશમાં રહેનાર અન્ય ધર્મની પ્રજાને ‘તમે અમારાથી અલગ છો, તમારા દેશમાં જતા રહો’, એવો વ્યવહાર કરવાથી પરસ્પર વૈમનસ્ય વધશે, જુદાઈ પાંગરશે અને ક્યાંયના નહીં રહીએ, એટલું નક્કી. એક ઘર બાંધવા કડિયો, સુથાર, ચૂનો દેનાર, રંગ કરનાર, વીજળીનાં જોડાણ કરનાર એમ અનેક કારીગરોની જરૂર પડે તેમ સમાજને રચવા, ટકાવવા અને વિકસાવવા હજારો પ્રકારના કુશળ કારીગરો અને નિષ્ણાતોની જરૂર પડે, પછી ભલે તેઓ કંઠી બાંધે, ક્રોસ લટકાવે, માળા પહેરે, પાઘડી બાંધે કે માથે ઓઢે. આટલું ભારતવાસીઓ અને અન્ય દેશના લોકો પણ કેમ નથી સમજતા? આપણને આ હકીકત કોણ સમજાવશે? પૂર્વજોનાં ડહાપણ પરથી આપણે ઘણું શીખીએ પણ તેમની ભૂલોને ન અનુસરીએ. આજના પુખ્ત વયના લોકો આ વાત ન સમજે તો શું એનાં છોકરાં એને પાઠ ભણાવશે કે પછી પોતાના માતા-પિતા પાસેથી અવળા માર્ગે જવાનું જ શીખશે? જેમ આપણે કર્યું તેમ? છેલ્લા કેટલાક શતકોથી ચાલતી આવેલી લડાઈઓ અને સંઘર્ષો વિષે તપાસ કરતાં માલુમ પડશે કે મોટા ભાગના ભાગ લેનારાઓ ઓછું શિક્ષણ મેળવેલા કે બેકાર હશે. બે પાંચ હજાર કે પાંચસો-સાતસો વર્ષ પહેલાં બનેલી કોઈ ઐતિહાસિક ઘટના કે જેના કોઈ દસ્તાવેજી પુરાવા પણ ન હોય તેને વેર વાળવાનું બહાનું ગણીને સામૂહિક હત્યા કરનાર લોકો પાક્યા છે. ભગવાને એક ધર્મના અનુયાયીઓને એક ભૂમિ ભાગ આપવાનું વચન હજારો વર્ષ પહેલાં આપેલું હતું તે યાદ કરીને હાલમાં ત્યાં વસતા નાગરિકોની જમીન પચાવી પાડી તેમને વિસ્થાપિત કરવા કે તેમનો સદંતર નાશ કરવો એ કેવી વાત છે? ભૂતકાળમાં થયેલ લડાઈઓ કે વર્તમાનમાં ચાલતા સંઘર્ષોના મૂળમાં નજર નાખતા દેખાશે કે જ્યારે તમે કોઈ એક સમૂહના લોકોને મૂળભૂત માનવીય જરૂરિયાતોથી વંચિત કરી દો, તેમને ગામ, શહેર કે દેશથી અલગ રાખો અને પાણી, ખોરાક, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી સેવાઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરો કે તરત જુદાઈ, એકબીજા પ્રત્યે અજાણપણું, નફરત, તિરસ્કાર અને દુશ્મનાવટની લાગણી ફેલાશે જે હિંસાને જન્મ આપશે.
શિક્ષિત અને જાગૃત નાગરિકો માટે એક મૂંઝવણ એ છે કે તેઓ આ પરિસ્થિતિના મૂક પ્રેક્ષક કે શ્રોતા બનીને બેસી રહેવા નથી માગતા. તેમને શોષિત અને પીડિત લોકો માટે અનુકંપા જાગે છે તેથી બહુ બહુ તો સરકારી પગલાંનો વિરોધ કરે અને વિસ્થાપિત થયેલ લાખો લોકો માટે થોડી નાણાકીય સહાય આપી પુણ્ય કર્યાનો સંતોષ માનીને બેસી જાય છે. દુનિયાભરમાં શાંતિ જાળવવાનું કામ જે તે દેશની સરકારનું છે અને બહુ બહુ તો યુ.એન. જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોનું છે, એમાં સામાન્ય નાગરિકનો અવાજ કોણ સાંભળે એમ તેઓ માને છે. વિયેતનામ, રૂવાંડા અને બોસ્નિયામાં સામૂહિક હત્યાકાંડ થયા ત્યારે યુ.એન.ના સભ્ય દેશો ક્યાં હતા અને શું કર્યું તે જાણીએ છીએ. જરા જાતને પૂછી જોઈએ, જ્યારે ક્યારે પણ કોઈ ધર્મ પર સંકટ આવે છે તો કોઈ સરકાર તેને ઉગારે છે કે જે તે ધર્મના ગુરુઓ અને અનુયાયીઓ? ગુલામી પ્રથા કઈ સરકારે દૂર કરી? દક્ષિણ આફ્રિકાની રંગભેદી નીતિ સામે સરકારે લડત આપી કે આફ્રિકન નેશનલ કોંગ્રેસે? ભારતની આઝાદીની ચળવળ કઈ સરકારના પ્રતાપે લડાઈ? ક્રાંતિ અને સુધારણા માત્ર લોકશક્તિથી જ આવે છે. સરકારો તો માત્ર આપખુદ, સમાજવાદી, સામ્યવાદી કે લશ્કરી શાસન આપે છે, પોતાના દેશની સીમાઓની રક્ષા કરે છે અને સત્તા પર બેઠેલાઓના અને તેમના મળતિયાઓના હિતમાં આર્થિક વિકાસ કરીને જનતાને આડકતરો લાભ ચાલુ રહે તે જુએ છે. તો બાકીનાં બધાં કામ મારા તમારા જેવા નાગરિકોના હાથમાં છે.
આથી જ તો સારી્ ય માનવ જાત એક જ ડાળ પર રહેતાં પંખી જેવી છે એ સમજીએ. એ ગીતમાં ગવાયું છે તેમ સુખ અને દુઃખમાં સાથે જ રહીએ, લડીએ, વઢીએ અને કદી જુદાં પણ પડીએ, તોયે નિરંતર સંપીને સાથે રહીએ એ જ એક માર્ગ છે. એકલે હાથે કશું સિદ્ધ ન થાય, માટે ‘સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થાક જાયેગા મિલકર બોજ ઉઠાના’ એ આહ્વાન ઝીલી લઈને સહુ સહિયારો પ્રયાસ કરીએ।
e.mail : 71abuch@gmail.com