(એમ.એન. રોયે સને ૧૯૩૧થી ૧૯૩૬ના પોતાના જેલ સમય ગાળામાં જે જુદા જુદા વિષયો પર પોતાના ચિંતનાત્મક લેખો લખ્યા હતા, તેમાંનો અગત્યનો લેખ ભારતની રાજકીય આઝાદી પછી સામાજિક અને સાંસ્કૃિતક આઝાદી કેવી રીતે પ્રાપ્ત કરવી તે હતો. ઉપરના લેખની વિગત પ્રો. જયંતી પટેલ અને પ્રો. દિનેશ શુક્લ દ્રારા અનુવાદ કરેલ પુસ્તકના પ્રથમ પ્રકરણમાંથી લીધેલા છે. પુસ્તકનું મૂળ અંગ્રેજી નામ Essence of Royism by Prof. G.D. Parekh અને ગુજરાતીમાં તેનું નામ “રોય વિચાર દોહન” છે. ગુજરાતી પુસ્તકનું પ્રકાશન – યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ ૩૮૦ ૦૦૬, કરેલ છે. − બિપીનભાઈ શ્રોફ, તંત્રી, “માનવ વાદ”.)
રાષ્ટ્રીય આઝાદી એ ભારતમાં રહેતા કરોડો સ્ત્રી–પુરુષો માટે સામાજિક, સાંસ્કૃિતક પ્રગતિ અને વિવેકબુદ્ધિ આધારિત સ્વાયત્તતા સિદ્ધ કરવાનું એક માત્ર સાધન છે. પણ રાષ્ટ્રીય આઝાદીને જ સ્વયંમેવ ધ્યેય ગણીને તે સિદ્ધ કરવા સારુ સ્વાતંત્ર્યના વ્યાપક ખ્યાલ સહિત બીજા બધાનો ભોગ આપવાનો હોય તો સ્વાતંત્ર્યનું જે મુક્તિદાયી મૂલ્ય છે, તે ખુદ જ શંકાસ્પદ બની જાય. ખરેખર તો આવી રાષ્ટ્રીય આઝાદી માટની ઝનૂની, આક્રમક હાકલો એ સ્વાતંત્ર્યની વ્યાપક વિભાવનાનો જ નકાર ગણાય. રાષ્ટ્રીય આઝાદી માટેની ઝનીની હાકલોને કારણે ભારત સ્વાતંત્ર્ય તરફ આગેકૂચ કરી રહ્યું હોય તેમ લાગતું નથી. એથી ઊલટું તેણે ફાસીવાદને પોષણ આપે એવા વાતાવરણને જન્મ આપ્યો છે. આપણા દેશનું રાષ્ટ્રવાદી રાજકીય વાતાવરણ અને તેની સામાજિક તથા સાંસ્કૃિતક પરંપરાઓ ફાસીવાદ માટે ફળદ્રુપ ભૂમિકા પૂરી પાડે છે. આ હકીકત પ્રત્યે આંખમીંચામણાં કરવાં એનાથી વધુ મોટી ભૂલ કે વધુ મોટો ખતરો બીજો એકે ય નહીં હોય …..
આ હકીકત માનવ જાતના કોઈ પણ સમાજને લાગુ પડે છે.આ અમુક પ્રકારના મધ્યયુગી માનસની પેદાશ છે. સામાજિક ઉત્ક્રાંતિના અમુક તબક્કે જોવા મળતી એ એક સાર્વત્રિક ઘટના છે. ભારતમાં ફાસીવાદના ઉદયમાં મૂળભૂત રીતે ફાળો આપનાર એક પરિબળ તરીકે જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે આપણામાંના ઘણા લોકો આવું માનસ ધરાવે છે એમ સૂચવવા માંગીએ છીએ. આવું મધ્યયુગી માનસ વ્યાપક અને હકારાત્મક અર્થમાં સ્વાતંત્ર્યનો વિચાર કરી શકતું નથી. તેથી આવું માનસ સંયુક્ત કુટંબ અને સામંતશાહી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાંથી વ્યક્તિઓને મળતી સલામતીની લાગણીથી છૂટા પડી ગયેલા (વિચ્છેિદત) એવા એકાકી. નિ:સહાય લોકોની બિહામણી અવસ્થા તરીકે સ્વાતંત્ર્યને ખપાવવાના પ્રત્યાઘાતી તત્ત્વોના હાથમાં એક સરળ સાધન બની બેસે છે. આવા સમાજમાં સ્વાતંત્ર્યને અનૈતિક, અધાર્મિક, નાસ્તિક, ઇશ્વરના ઈન્કાર તરીકે વર્ણવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં ઈશ્વરી કે દૈવી સત્તા પર જ પારંપારિક રીતે આધાર રાખતા સમાજમાં વ્યાપક અને વિધાયક અર્થમાં સ્વાતંત્ર્યનો ખ્યાલ બિલકુલ અસ્વીકાર્ય બની રહે એ દેખીતું છે.
ભારતના લોકોની જે નાની લઘુમતી સામાજિક અને સાંસ્કૃિતક રીતે તેમ જ સમયાનુક્રમે વીસમી સદીમાં જીવે છે, તેમાંના લોકો પણ પ્રત્યાઘાતી, આક્રમક રાષ્ટ્રવાદને પોષક એવા બહુજન સમાજના માનસના જબરજસ્ત દબાણ હેઠળ નમતું જોખે છે. આપણે એ રખે ભૂલીએ કે આવી ઝનૂની આક્રમક રાષ્ટ્રીયતા એ જાતિ અગર વંશીય ધિક્કારની જ એક પ્રકારની અભિવ્યક્તિ છે. અને એમ એક અર્થમાં તે લઘુતાગ્રંથિનો (ઇનફ્યોરિટી કોમ્પલેક્સ) જ આવિષ્કાર છે. …… ભારતમાં પ્રવર્તતી સામાજિક મનોદશા હજુ મધ્યયુગી છે. તો બીજી બાજુએ ફીક્કા પડતા મૂડીવાદી આદર્શો, આધુનિક શિક્ષીત ભારતવાસીને પણ આ મધ્યયુગી સામાજિક મનોદશા ભેદીને બહાર આવવાનું મજબૂત કહેવાય એવું કોઈ પ્રોત્સાહન પૂરા પાડતા નથી. દેશના લોકો આ સંક્રાંતિ સમયના સ્વતંત્રતાના ખ્યાલ વચ્ચે ત્રિશંકુની જેમ ઝોલા ખાય છે. જેઓ આધુનિક સભ્યતાને એક અનિષ્ટ ગણતા હોય, તેમને લોકશાહી સમાજવાદના માનવીય મૂલ્યો પણ કોઈ અપીલ કરી શકતા નથી. આવા લોકોની સ્પષ્ટ માન્યતા હોય છે કે જે અનિષ્ટ (આધુનિક સભ્યતા) છે તેમાંથી કશું સારું નીકળી શકવાનું નથી ……..
મનુષ્યની સ્વતંત્રતા એટલે શું?
સ્વાતંત્ર્ય એ કોઈ કલ્પનામાં રચવાનો હવાઈ કિલ્લો નથી. માનવવાદ, વ્યક્તિવાદ અને વિવેકબુદ્ધિવાદ(રેશનાલિઝમ)ના ત્રણ મજબૂત પાયા પર સ્વાતંત્ર્ય પ્રતિષ્ઠીત થયેલું છે …….. સુખ પ્રાપ્તિના સામેના તમામ અવરોધોનો અભાવ એટલે સ્વાતંત્ર્ય. તે આપણી ઇચ્છાઓની પરિતૃપ્તિમાં રહેલું છે. તેથી સારાંનરસાંનાં, સદ્દઅસદ્દ ના અપરિવર્તનશીલ ધોરણોની સ્થાપના કરતી જડ અથવા સ્થિતિચુસ્ત નીતિમત્તા એ સ્વાતંત્ર્યની મોટામાં મોટી શત્રુ ગણાય. સ્વાતંત્ર્યના આ અર્થની જો જરા પણ કદર આપણા રાષ્ટ્રવાદને હોય તો ગાંધી તેના પયગંબર હોઈ શકે નહીં ! ……
વૈજ્ઞાનિક જ્ઞાન થકી ગતિશીલ થયેલ આધુનિક ચિંતન મનુષ્યને વિશ્વના કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત કરે છે. મનુષ્ય એ કોઈ પડદા પાછળ રહેતા કાલ્પનિક ઈશ્વરના તરંગો અનુસાર નાચતી કથપૂતળી નથી. જીવન એ અન્ય કશા સાધ્યનું સાધન નથી. જીવન એ તો સ્વયમેવ ધ્યેય છે. જીવવું અને સારી રીતે જીવવું એ જ જીવનનું ધ્યેય છે. જીવનના નાના વિવિધ આનંદો માણવા એ જ જીવવું. કુદરત ઉપર પ્રભુત્વ સ્થાપવાની અને પોતાની બધી ઈચ્છાઓ સંતોષવી, જે મનુષ્યના અસ્તિત્વની ભાગરૂપ છે, તે બંને શક્તિઓ, જ્ઞાન, મનુષ્યને આપે છે. ઈચ્છાઓની પરિતૃપ્તિમાં જ જીવનનું સાફલ્ય, જીવનનો સાક્ષાત્કાર રહેલો છે. સ્વાતંત્ર્ય એ મનુષ્યનો સર્વોચ્ચ આદર્શ છે, કારણ્ કે માત્ર સ્વાતંત્ર્ય થકી જ મનુષ્ય જીવનનો પૂરેપૂરો આનંદ માણી શકે છે. આમ સ્વાતંત્ર્ય એ જીવનસાફલ્ય, જીવનના સાક્ષાત્કાર પૂર્વશરત છે…… આત્માના ખ્યાલ દ્વારા બાહ્ય સત્તા વ્યક્તિની ચેતનામાં સત્તાના સિંહાસને બીરાજે છે. તેનાથી વ્યક્તિનાં સ્વતંત્ર, આગવા વ્યક્તિત્વનો ઈન્કાર થાય છે. કોઈ પણ ચઢિયાતી સત્તાને કબજે ન થવું એ જ તો સ્વાતંત્ર્યનું સાર તત્ત્વ છે.
….આપખુદશાહી ને રૂઢિદાસ્યતા(ટ્રેડીશનલાઝીમ)નાં ગંધાતાં સ્થગિત પાણીમાં તરણું શોધતી નિ:સહાય વ્યક્તિઓ ફાસીવાદનો સહેલાઈથી ભોગ બને છે. આ અર્થમાં રાષ્ટ્રવાદી ભારત ફાસીવાદનું આધ્યાત્મિક પિયર ગણાય. યુરોપની રણભૂમિમાંથી પરાજિત થયેલ એ જંગલી પશુ (બીસ્ટ) ભવિષ્યમાં જે ભારે ઊથલપાથલો થવાની છે એવા અત્યારના શાંત અને સહીસલામત વિસ્તારમાં ધીરે ધીરે પગપેસારો કરે એવી પૂરી શક્યતા છે. એ વિકરાળ પશુનો તેની આધ્યાત્મિક બોડમાં જ નાશ કરવો જોઈએ, જો આપણે ભારત સહિત સમગ્ર મનુષ્ય જાતિના સ્વાતંત્ર્યની રક્ષા કરવા માંગતા હોઈએ તો.
રાષ્ટ્રધર્મ એટલે શું?
આપણા રાષ્ટૃવાદીઓ, રાષ્ટ્રહિત, રાષ્ટ્રગોરવ, રાષ્ટ્રપ્રેમ કે ભાવના વગેરને નામે બડી બડી વાતો કરે છે, પણ એ બધા ભારેખમ શબ્દસમૂહો પાછળ એક નાની લઘુમતીનાં સ્વાર્થી હિતો રહેલાં છે. રાષ્ટ્રવાદના નામે ઓળખાતા રાજકીય સંપ્રદાયના જબરજસ્ત ઘેન હેઠળ લોકોનો સમૂહ એક રાષ્ટ્ર બને છે. એ સમૂહ જે વ્યક્તિઓનો બનેલો છે, તે વ્યક્તિઓની આગવી અસ્મિતોનો જ નાશ કરે છે. લોકોના નામે ઉદ્દભવતું અને સત્તા પ્રાપ્ત કરતું આ રાષ્ટ્ર લોકોના જ સ્વાતંત્ર્યનો જ નાશ કરે છે. રાજ્ય આખરે તો સમાજનું રાજકીય સંગઠન છે. પણ રાજ્ય એ જ રાષ્ટ્ર એવું સમીકરણ મૂકવામાં આવે છે ત્યારે આવી એકરૂપતા ઐતિહાસિક રીતે બરાબર નથી. કારણ કે તેથી તો રાષ્ટ્ર લોકોના હિતો અને સ્વાતંત્ર્યનું વિરોધી બને છે. આવી બંનેની એકરૂપતાનો ખ્યાલ જ સર્વસત્તાવાદી છે. લોકોને સામાજિક રીતે સ્વાતંત્ર્ય પ્રદાન કરનાર કોઈ સિદ્ધાંત વગરનું રાષ્ટ્રવાદી રાજકારણ એ માત્ર સત્તાલક્ષી રાજકારણ જ બની રહે છે……….
સામાન્ય લોકોને રાષ્ટ્રવાદ ધર્મની જેમ અપીલ કરે છે. તો આપણો શિક્ષિત મધ્યમ વર્ગ વિશ્વમાં ભારતે જે ‘આધ્યાત્મિક વિશ્વ ગુરુની ભૂમિકા' ભજવવાની છે તેની જબરજસ્ત ભૂરકીથી અંજાઈ ગયો છે. આપણા સામાન્ય અભણ લોકોનાં વહેમ અને અંધશ્રદ્ધા તેમ જ ભણેલ, મધ્યમવર્ગની હતાશ રંગદર્શીતામાંથી( ફ્રસ્ટ્રેટેડ રોમાન્ટીસીઝમ) પેદા થતી લઘુતાગ્રંથિને અપીલ કરીને, ધનિક લઘુમતીને પોતાની ઈચ્છાને જ ‘રાષ્ટ્રની સંકલ્પશક્તિ’ તરીકે ખપાવવામાં સફળતા મળી છે. આપણા રાષ્ટ્રવાદી રાજકારણીઓ નવી દેવીના પૂજારી બની ગયા છે. અગાઉ ‘જૂના ઈશ્વરની ઈચ્છા’ શું છે તેનું અર્થઘટન બ્રાહ્મણ અને પુરોહિતો કરતા, તેમ આજે આ નવા પુરોહિતો ‘રાષ્ટ્રમાતાની ઈચ્છા શું છે' તેના અર્થઘટન કરવાનો ઈજારો ધરાવે છે. રાષ્ટ્રીય રાજ્ય એ નવી દેવીનું મંદિર બનશે: લોકોના ભોગે આ મંદિર ચણાશે અને ત્યાર બાદ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પામેલ રાષ્ટ્રદેવીનાં ચરણોમાં સામાન્ય લોકોના( રોહિત વેમુલા જેવા : તંત્રી, “માનવ વાદ”) બલિદાનો અપાશે. રાષ્ટ્રવાદના વિજયી સંપ્રદાયના બધા લાભ ખાટનારા તે આપણા રાજકીય પૂજારીઓ હશે, જે રાષ્ટ્રદેવીના મંદિરની દિવસ–રાત ચોકી કરશે ……..
આથી, રાષ્ટૃવાદી રાજકારણ, પછી ગમે તેટલી સારી વ્યક્તિઓ અથવા રાજકીય પક્ષો દ્રારા સંચાલિત થતું હોય એ આખરે તો સત્તાલક્ષી રાજકારણ બની રહે છે. તે એવું રાજકારણ છે, જેમાં લોકોની નાની લઘુમતી, લોકોના નામે છેતરપીંડી કરીને, સત્તા કબજે કરે છે. અને એ સત્તાનો ઉપયોગ લોકોના સ્વાતંત્ર્યના અને કલ્યાણના ભોગે પોતાના સ્વાર્થી હિતો સાધવા માટે કરે છે.
….. રાષ્ટ્ર રાજ્ય વચ્ચેના અભેદ પર આધારિત રાષ્ટ્રવાદ છેવટે તો અનિવાર્ય પણે ફાસીવાદમાં પરિણમે તે દેખીતું છે. ફાસીવાદમાં રાષ્ટ્રના આધ્યાત્મિક ખ્યાલને તેની અર્થહીન પરાકાષ્ટાએ લઈ જવામાં આવે છે. તો બીજી બાજુએ ફાસીવાદ રાષ્ટ્રના ખ્યાલના સર્વસત્તાવાદી ગુણધર્મોને ( સારતત્ત્વને) સાવ ખુલ્લા કરે છે. રાષ્ટ્રનો આવો ખ્યાલ, જેમના થકી તે બનેલ છે, તે વ્યક્તિઓના અસ્તિત્વના ભોગે તગડા થતા અને તેમનાથી સાવ અલગ એવા રાજયકર્તા સમૂહનો તે ખ્યાલ બની જાય છે ……
“જે કંઈ છે તે બધું રાષ્ટ્ર માટે છે, રાષ્ટ્રની બહાર કશું જ નથી, તેની વિરુદ્ધનું તો કશું જ હોઈ શકે નહી.” – બેનિટો મુસોલિની ઈટાલીનો ફાસીસ્ટ નેતા. રાષ્ટ્રની ઈચ્છા એ લોકોની ઈચ્છા કરતાં ચઢિયાતી ગણાય. એકલી લઘુમતી ટોળકીએ યેનકેન પ્રકારે મેળવેલી રાજ્યસત્તા જ રાષ્ટ્રની ઈચ્છાને વાચા આપી શકે. “આ દુનિયા પરની ઈશ્વરની ઈચ્છા” ( એટલે રાજ્યની ઈચ્છા) પાસે બધા લોકોએ પોતાના મસ્તક ઝુકાવવા કે નમાવવા જ પડે. સામાજિક આઝાદી કે સામાજિક રાજકારણનો ખ્યાલ તો મહામૂર્ખતા છે. તે સમયે જર્મનની ગિસેન યુનિવર્સિટી( Giessen Uni- Germany Established in 1607)ના પ્રો.અર્નેસ્ટ હોર્નફેરની જેની બે વિશ્વયુદ્ધ વચ્ચેના જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે સારી ઊઠબેસ હતી અને જેણે રાષ્ટ્રવાદની આંધળી ભક્તિ કરવા જે નિબંધ લખેલો હતો તેનું મથાળું હતું કે “સમાજવાદને જર્મનઉદ્યોગનો મૃત્યુસંઘર્ષ”. તેમાં જણાવવામાં આવ્યું છે કે ‘કામદારોની આર્થિક સ્થિતિ સુધારી શકાય તેમ હું માનતો નથી. અત્યારે તેમની જે આર્થિક હાલત છે, તેનાથી તેમણે કાયમ માટે સંતોષ માનીને ચાલવું પડશે. જીવન ટકાવી રાખવા અત્યંત જરૂરી છે, તાકીદનું છે, અનિવાર્ય છે, ટૂંકમાં તેમના ખોળિયામાં જીવ ટકે તેટલી રોજી તેમને મળે છે. તેનાથી તેમને સંતોષ માની લેવો પડશે. કામદારોના આર્થિક દરજ્જામાં કોઇ મૂળભૂત ફેરફાર, આર્થિક કલ્યાણના એક જુદા સ્તરે કામદારોનો ઉદય, એ કદાપિ થનાર જ નથી. જે કદાપિ ફળિભૂત થવાની નથી એવી આ ઈચ્છા છે.”
રાષ્ટ્રવાદના આથી ઓછાં ભયંકર પરિણામો ભારતમાં આવશે એમ માનવાને કોઈ કારણ નથી. લોકોને નામે સત્તા મેળવવા તાકતા રાષ્ટ્રવાદીઓ શા માટે, કયા હેતુ માટે સત્તા પ્રાપ્ત કરવા માંગે છે, તે જાહેર કરતા નથી. કારણ કે તેઓ પોતાના ગંજીફાનાં પાનાં ખુલ્લા રાખીને પોતાની બાજી રમી શકે તેમ નથી. અને છતાં પોતે લોકોનું પ્રતિનિધિત્વ ધરાવે છે તેવો દાવો કરતા રહે છે. આમ હોવાથી તેઓ માત્ર સત્તાનું રાજકારણ ખેલે છે એમ જ કહેવું પડે છે ……. આમ રાષ્ટ્રવાદી રાજકારણનો હેતુ સમાજવિરોધી છે. લોકોનાં સ્વાતંત્ર્ય અને કલ્યાણ વિરૂદ્ધનો છે. રાષ્ટ્રીય રાજ્યના મૂળભૂત કાયદાઓ સામાજિક દ્રષ્ટિએ મુક્તિદાતા હોવાના નહીં. તેમનો ઉદ્દેશ તો સામાજિક ‘જૈ સે થે’ સ્થિતિ ટકાવી રાખવાનો જ રહેવાનો છે. રાષ્ટ્રીય રાજ્ય તો આખરે તો, સામાન્ય લોકો પર એક જુલ્મ ગુજારનાર, તેમનું દમન કરનાર, તેમને આતંકીત કરનાર એક એન્જિન જ બની રહેશે. તે એક પ્રકારનો સાચેસાચ સર્વસત્તાધીશ સરમુખત્યાર જ બની રહેશે.
સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ એ એક મોટું હમબગ ( છેતરપીંડી) છે ––––––
સંસ્કૃિત એટલે શું? માનવી પોતાની તમામ સંભવિત શક્તિઓનો કે ક્ષમતાઓનો વિકાસ કરી શકે તે માટેનાં સ્વાતંત્ર્ય અને તક પૂરાં પાડે એવા સામાજિક વાયુમંડળોની( સોશિયલ એનવિરોનમેન્ટ) નીપજ તે સંસ્કૃિત. સંસ્કૃિતને રાષ્ટ્રવાદ સાથે સાંકળવી અને રાષ્ટ્રીય રાજ્યે લોકોની સાંસ્કૃિતક આગેકૂચમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે એમ માનવું એ, ઐતિહાસિક રીતે ખોટું છે. સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ એક મોટી છેતરપીંડી છે ……. સાચાં માનવ મૂલ્યો( જેવાં કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, સમાજિક ન્યાય, વિવેકબુદ્ધિ ને ધર્મનિરપેક્ષ નીતિ) તો સાર્વદેશીય અને સાર્વત્રિક હોય. તેના પર કોઇ ચોક્કસ વર્ગ કે રાષ્ટ્રની છાપ લાગેલી હોતી નથી. આમ તમામ સાંસ્કૃિતક યોગદાન એ સમગ્ર માનવજાતિનો સહિયારો વારસો છે …… ભૂતકાળમાં સામાજિક ઉત્ક્રાંતિના બધા લાભો પર શાસક લઘુમતીઓનો ઈજારાશાહી અંકુશ હતો …… રાષ્ટ્રનો સર્વસત્તાવાદી ખ્યાલ વ્યક્તિઓનો ઈન્કાર કરતો હોવાથી રાષ્ટ્રવાદ સાચી સંસ્કૃિતનું સંગોપન કરે એ શક્ય લાગતું નથી. સાંસ્કૃિતક મૂલ્યો સાર્વત્રિક–સર્વદેશીય હોય તેના પર કોઇ ચોક્કસ વર્ગ કે રાષ્ટ્રની છાપ લાગેલી હોતી નથી. તેથી તમામ સાંસ્કૃિતક યોગદાન એ સમગ્ર માનવજાતિનો સહિયારો વારસો છે …… રાષ્ટ્રીય બનવા માટે સંસ્કૃિતએ કોઈ ચોક્કસ બીબાંઢાળ ચોકઠામાં ઢળવું પડે. આપણા દેશમાં કહેવાતા આધ્યાત્મિક વ્યવહારો અને સમાજના શાસક લઘુમતીની ઈચ્છા તે બંનેનો આબાદ બરાબર મેળ બેસે છે. જેને આપણે રાષ્ટ્રીય સંસ્કૃિત એમ કહીએ છીએ. તેમાં કશું માનવીની વિવેકબુદ્ધિને આધારે નિર્ણય કરીને અનુસરવાનું હોતું નથી. તેમાં તો હા માં હા કહેવાની ઘેટાવૃત્તિ પ્રવર્તમાન હોય છે. આવી સાંસ્કૃિતક ગુલામી માનવીને સર્વપ્રકારે અધ:પતિત કરે છે. નૈતિક રીતે વિકૃત કરે છે અને તેની ઊર્મિલતાને ઠુંગરાવી દે છે. લશ્કરી શિસ્ત જેવી બીંબાઢાળશાહી, યાતનાઓ,વિકૃતિઓ: જ્ઞાન, વિવેકબુદ્ધિ અને ઊર્મિલતાની આવી કુત્સિકતા નામ તે રાષ્ટ્રીય સંસ્કૃિત …… જાતીય, વંશીય ને પરધર્મી ધિક્કાર એ ભારતીય રાષ્ટ્રવાદનું ચાલકબળ છે. ધિક્કાર કે ઇર્ષા જેવા હીન આવેગો કારણે સંસ્કૃિત સાથે જોડાયેલ એવી માનવવાદમાં અભિપ્રેત સાર્વત્રિકતાની ભાવનાનો તો તેમાં સાવ છેદ ઊડી જાય છે …… સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના આવા આત્યાંતિક અને રોમેન્ટીક પણ ઉપરછલ્લી રીતે નિર્દોષ દેખાતા દાવાઓએ જાતીય ધિક્કારના અગ્નિને પવન નાંખવાનું કામ કર્યું છે. બીજી જાતિઓ પ્રત્યે હાડોહાડ ધિક્કાર એ તો રાજકીય રાષ્ટ્રવાદની અમૂલ્ય મૂડી કે અસ્કયામત છે.
સૌજન્ય : “માનવ વાદ”; વર્ષ – 3; અંક – 22-23; માર્ચ-અૅપ્રિલ 2016; પૃ. 11- 13