બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે રાજસ્થાન વિધાનસભાની આગામી ચૂંટણી મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના નેતૃત્વમાં લડવામાં આવશે. આ નિવેદન મભમ છે. આના બન્ને અર્થ નીકળી શકે. આનો અર્થ એવો નથી કે વિધાનસભાની ચૂંટણીમાં જો બી.જે.પી.નો ફરીવાર વિજય થશે તો વસુંધરા રાજેને પાછા મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે જ. આ રીતે રાજસ્થાનમાંના રાજે વિરોધી અને હવે પછી મુખ્ય પ્રધાન બનવા માંગતા બી.જે.પી.ના મહત્ત્વાકાંક્ષી નેતાઓને સુવાણ થશે. અપેક્ષા એવી છે કે તેઓ રાજે તરફી પક્ષના ઉમેદવારોને પરાજિત કરવાની પ્રવૃત્તિ નહીં કરે. આ નિવેદનનો અર્થ એવો પણ થાય છે કે જ્યારે વસુંધરા રાજેના નેતૃત્વમાં ચૂંટણી લડાવાની છે, ત્યારે બી.જે.પી.નો વિજય થશે તો મુખ્ય પ્રધાન પણ તેઓ જ બનશે. વસુંધરા રાજે અને તેમના સમર્થકોને પણ ભ્રમમાં રાખવાની જરૂર છે.
હકીકતમાં રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં ઘણું મોડું થઈ ગયું છે. મુખ્ય પ્રધાન વસુંધરા રાજે અતડાં અને તોછડાં છે. તેમને રાજસ્થનમાં કોઈ નેતા સાથે નથી ભડતું. બધાને સાથે લઈને ચાલવાના ગુણ ધરાવનારા ભૈરો સિંહ શેખાવત સાથે પણ વસુંધરા રાજેને નહોતું ભળતું. ઓછામાં પૂરું તેમનામાં શાસન કરવાની આવડત નથી, એ એકથી વધુ વખત સાબિત થઈ ગયું છે. આમ જો વહેલાસર રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હોત, તો બી.જે.પી.ની ડૂબતી નૌકાને ઉગારી શકાઈ હોત, પણ નરેન્દ્ર મોદી-અમિત શાહ એ કરી શક્યા નહોતા. ના. વસુંધરા રાજે નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે એવું નથી. વસુંધરા રાજેએ મોદીની પ્રશસ્તિ કરતું નિવેદન ભાગ્યે જ કર્યું હશે. તેઓ દરબારમાં હાજરી આપવા દિલ્હી જતાં નથી કે વાહ વાહ કરતાં નથી. વસુંધરા રાજે એટલાં અતડાં છે કે તેમને આ બધું ફાવતું જ નથી.
આમ છતાં દિલ્હીના નેતાઓ રાજેને હોદ્દા પરથી હટાવી નહોતા શક્યા, કારણ કે રાજસ્થનમાં છેલ્લાં ઘણાં વર્ષોથી એક પક્ષ બે મુદત ભોગવતો નથી, એટલે ૨૦૧૯માં બી.જે.પી.એ લોકસભાની ચૂંટણી જીતવી હોય, તો રાજસ્થાનમાં વસુંધરા રાજેને નારાજ કર્યે પાલવે એમ નહોતું. રહી વાત વસુંધરા રાજેનાં નબળા શાસનની, તો એ તો નરેન્દ્ર મોદીની વિરાટ છબી હેઠળ ઢંકાઈ જશે. નરેન્દ્ર મોદી મત લાવી શકે એમ છે એટલે રળવાની ચિંતા નથી, વસુંધરા રાજે મત બગાડી શકે છે એટલે તેમને નારાજ કરીને મત ગુમાવવા ન જોઈએ.
આવી ગણતરીએ રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું નહીં અને હવે તો ઘણું મોડું થઈ ગયું છે. હવે નરેન્દ્ર મોદી ધાર્યા મત રળી શકે એમ નથી અને વસુંધરા રાજે ધારવા કરતાં વધુ મત ગુમાવી શકે એમ છે. નરાજ થઈને નહીં, ફૂહડ શાસન દ્વારા. રાજસ્થાનમાં યોજાયેલી પેટા-ચૂંટણીઓનાં પરિણામોએ અને રાજ્યભરમાં રસ્તા પર થઈ રહેલાં આંદોલનોએ આ બતાવી આપ્યું છે. બેસાડી રાખો તો પણ નુકસાન અને ખસેડો તો પણ નુકસાન. એટલે અમિત શાહે કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી વસુંધરા રાજેના નેતૃત્વમાં લડાશે, તેમણે એમ નથી કહ્યું કે રાજે જ ફરીવાર મુખ્ય પ્રધાન બનશે.
રાજસ્થાનમાં અનેક સમસ્યાઓ છે એમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા વિકટ છે. રાજસ્થાન હિન્દુત્વવાદી ગૌરક્ષકોની અભયભૂમિ છે. અલવર તેમનો અડ્ડો છે. અલવરથી હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ નજીક છે એટલે મનફાવે ત્યારે તેઓ કાયદો હાથમાં લઈને, શંકાના આધારે કોઈને રહેંસી નાખીને ફરી પાછા સુરક્ષિત સ્થળે આવી જાય છે. આવું આજથી નથી બનતું કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી બની રહ્યું છે. એક જમાનામાં કાઠિયાવાડમાં બાપુઓની રિયાસતો હતી ત્યારે એક રાજ્યનું કોઈ ગામ ભાંગીને માત્ર ટેકરી ઓળંગીને બીજા રાજ્યમાં લપાઈ જતા એમ.
ગુનાશાસ્ત્ર એમ કહે છે કે કોઈ એક પોકેટમાં પહેલીવાર જ્યારે કોઈ ગુનાની ઘટના બને, ત્યારે તેને શુદ્ધ ગુનાની ઘટના તરીકે લેખાવી શકાય. એ જ પોકેટમાં એ જ રીતની ઘટના બીજીવાર બને, ત્યારે હજુ તેને શંકાનો લાભ આપીને અકસ્માત તરીકે ખપાવી શકાય, પરંતુ એ જ પોકેટમાં એ જ રીતની ઘટના જો ત્રીજીવાર બને તો જરૂર એની પાછળ કોઈનો હાથ છે અને કોઈનો સ્વાર્થ છે એ દેખીતું છે. આઇ.પી.એસ.ની પરીક્ષા આપનારા અને પોલીસમાં ભરતી થનારા દરેક અધિકારીને આ પાઠ પહેલા દિવસે જ ભણાવવામાં આવે છે.
રાજસ્થાનના કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે રાજસ્થાનમાં ગૌરક્ષાનાં નામે મુસલમાનોની જે હત્યાઓ થઈ રહી છે એનું કારણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થતો જાય છે એમ ગોરક્ષાના નામે ટોળે મળીને હત્યાઓ (લિંચિંગ) કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમણે ૨૦૧૫ના એવોર્ડવાપસી સાથે લિંચિંગની ઘટનાઓની તુલના કરી હતી. ત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક હતી એટલે સાહિત્યકારો -કલાકારો એવોર્ડ પાછા કરવા માંડ્યા હતા, તો અત્યારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણી નજીક છે, ત્યારે ગૌરક્ષાનાં નામે હત્યાઓ થઈ રહી છે. ઈરાદો બી.જે.પી.ને નુકસાન પહોંચાડવાનો છે. તેઓ ટૂંકમાં એમ કહેવા માંગે છે કે ગૌરક્ષાનાં નામે થઈ રહેલા ગુનાઓમાં બી.જે.પી. વિરોધીઓનો હાથ છે.
અર્જુન રામ મેઘવાલ જે કહે છે એમાં તથ્ય હોઈ શકે છે. ન હોય તો પણ શાસકનો ધર્મ છે કે તે એક જ પોકેટમાં એક પછી એક બનતી એક સરખી ઘટનાઓ પાછળ કોઈનું કાવતરું તો નથી એવી શંકા કરે. ગુનાશસ્ત્રમાં આ જ તો ભણાવવામાં આવે છે. ગુનાની કોઈ ઘટનાને હળવે હાથે ન લેવી જોઈએ. આમ અર્જુન મેઘવાલ રાજસ્થાનમાં બની રહેલી લિંચિંગની ઘટનાઓને વડા પ્રધાનની વધતી જતી લોકપ્રિયતા સાથે જોડતા હોય, અને તેમાં કોઈ કાવતરું જોતા હોય તો તે તેમનો શાસક તરીકેનો ધર્મ છે.
આ શાસક તરીકેના પહેલા ધર્મની વાત થઈ. શાસક તરીકેનો બીજો ધર્મ પણ છે અને એ છે કાવતરાં હોય તો તેને ઉઘાડાં પાડવાનો, ગુનેગારોને પકડવાનો, તેમને સજા કરવાનો, નિર્દોષ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનો અને લોકોની કાયદો અને વ્યવસ્થામાં શ્રદ્ધા જળવાઈ રહે એ રીતનું વાતાવરણ નિર્માણ કરવાનો. ગુનાશાસ્ત્રમાં પોલીસોને જેમ એક સરખી ઘટના જોઈને જેમ શંકા કરતા શીખવાડવામાં આવે છે, એમ શાસકોને રાજ્યશાસ્ત્રમાં પહેલો પાઠ શાસનમાં પ્રજાની શ્રદ્ધા જળવાઈ રહે એ રીતે શાસન કરવું જોઈએ એવો શીખવાડવામાં આવે છે. પશ્ચિમમાં વિકસિત આધુનિક રાજ્યશાસ્ત્ર સામે તેમને અણગમો હોય તો શુદ્ધ હિન્દુ અને એ પણ પાછું પ્રાચીન કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પર એક નજર કરવામાં આવે. એમાં પણ શાસકનો પહેલો ધર્મ આ જ બતાવ્યો છે.
તો અર્જુન મેઘવાળ કહે છે એમ કાવતરાં દુષ્મનો કરે છે તો તેને ઉઘાડાં પાડવાનું, ગુનેગારોને પકડવાનું, તેમને સજા કરાવવાનું, નિર્દોષ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનું કામ કોનું છે? એ પણ કાવતરાખોરો (કોંગ્રેસ વાંચો) કરી આપે એમ તેઓ કહેવા માંગે છે? તેઓ શુ એમ કહેવા માંગે છે કે કોંગ્રેસે રહેમ દાખવીને નિર્દોષ લોકોને રંજાડવા નહીં જોઈએ અને શાસકોને મુંઝવણમાં નહીં મૂકવા જોઈએ? અથવા તેઓ એમ કહેવા માંગે છે કે કોંગ્રેસે કાવતરા કરીને બી.જે.પી.ના શાસકોની અણઆવડત ઉઘાડી ન પાડવી જોઈએ? કેન્દ્રમાં બી.જે.પી.ની સરકાર છે, રાજસ્થાનમાં તેમની સરકાર છે, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તેમની સરકારો છે, દેશદ્રોહીઓ પર નજર રાખનારી સંઘની મોટી કેડર છે જે સમાંતરે પોલીસનું કામ કરે છે અને છતાં ય દુશ્મનોએ સમાજમાં છૂટા મૂકેલા ગુનેગાર કાવતરાખોરો પકડાતા કેમ નથી?
કાં તો આવડતનો અભાવ છે અને કાં ઇરાદાનો અભાવ છે. ગુનાશાસ્ત્રમાં બતાવેલા પોલીસના ધર્મની અને રાજ્યશાસ્ત્રમાં બતાવવામાં આવેલા શાસકના ધર્મની વાત કર્યા પછી અહીં સ્વરાજ્યશાસ્ત્રમાં બતાવેલા નાગરિક ધર્મની વાત આવે છે. જ્યારે એક જ પોકેટમાં એક સરખી ગુનાની ઘટનાઓ વારંવાર બનતી હોય અને પોલીસ તેમ જ શાસકો તેના મૂળ સુધી ન પહોંચતા હોય ત્યારે નાગરિકે સમજી લેવું જોઈએ કે શાસકો ગુનેગારોનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે એ પોલીસોનો પોતાના રાજકીય હિત માટે ઉપયોગ કરે છે. અર્થાત્ નેતાઓ, ગુનેગારો અને પોલીસની ધરી રચાયેલી છે. આ ધ્યાનમાં આવતાંની સાથે જ નાગરિકે સાબદા થઈ જવું જોઈએ એમ નાગરિક ધર્મ કહે છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2018