કોરોના કાળમાં, દુનિયાના ૧૦ ધનવાન માણસોની સંપત્તિમાં ૪૫૦ બિલિયન ડોલરનો વધારો થયો છે. આ રકમ એટલી મોટી છે કે તેની મદદ મળે તો દુનિયાના ગરીબ લોકો કોરોનાના કારણે પાયમાલ થતાં બચી જાય અને વધારામાં તે સૌને વેક્સિન ઉપલબ્ધ કરાવી શકે. વૈશ્વિક સ્તરે ગરીબી નાબૂદી માટે કામ કરતી ૨૦ સખાવતી સંસ્થાઓનાં સંગઠન ઓક્સફામના અહેવાલ પ્રમાણે, મહામારીના આ સમયમાં ભારતના ધનિકોની સંપત્તિમાં પણ ૩૫ ટકાનો વધારો થયો છે. આ ધનવાનો ધારે તો ભારતના ૧૩ કરોડ ગરીબ લોકોને ૯૪ હજાર રૂપિયાનો ચેક આપી શકે.
અલબત્ત, આપણે ગરીબ હોઈએ એટલે ધનવાનોના પૈસાની ઈર્ષ્યા ન કરાય, પરંતુ એક વ્યાપક પ્રશ્ન જરૂર થાય કે દુનિયામાં ગરીબો વધુ ગરીબ અને ધનવાનો વધુ ધનિક કેમ થાય છે? કોરોના જેવી મહામારીનો સૌથી વધુ આર્થિક માર ગરીબોને પડ્યો છે, પણ ધનવાનોને તો તેનો ફાયદો થયો છે. શું આપણી સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થા ગરીબો વિરોધી અને ધનવાનો તરફી છે?
દુનિયામાં એક નાનકડા વર્ગ પાસે અમાપ સંપત્તિ હોય, તો તેઓ ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્યની સદીઓ જૂની સમસ્યાઓને ચપટીમાં ઉકેલી ન શકે? ગરીબો અને ધનવાનો વચ્ચેની ખાઈ માત્ર આર્થિક જ નથી, માનસિક અથવા ભાવનાત્મક પણ છે. સમાજનો જે ઉપલો વર્ગ છે, જેની પાસે પૈસા અને પાવર છે, તેની સહાનુભૂતિમાં ઘટાડો થાય છે અને તેને નીચલા, ગરીબ, પછાત વર્ગની પીડાનો સ્પર્શ થતો નથી. આ બહુ બારીક મનોવિજ્ઞાન છે અને તે વ્યક્તિગત સ્તરે અને સામૂહિક સ્તરે જોવા મળે છે.
સામાન્ય રીતે આપણે એવું માનવા પ્રેરાઈએ કે આપણે જેટલા વધુ તવંગર, તેટલા વધુ ઈમાનદાર અને ઉદાર. આફ્ટરઓલ, આપણી પાસે બધું જ હોય તો પછી આપણને આપણા કરતાં જે વંચિત છે તેની જ વધુ ફિકર હોય ને? ખોટું. રિસર્ચ કહે છે કે લોકો જેમ જેમ સામાજિક પ્રગતિની સીડી ઉપર ચઢતા જાય છે, તેમ તેમ એમનામાં બીજા લોકો પ્રત્યેની અનુકંપા નીચે ઊતરતી જાય છે. જે લોકો ધનવાન છે, પાવરફુલ છે અને મોભાદાર છે તે એટલા સ્વ-કેન્દ્રિત હોય છે કે, એમનામાં બીજી વ્યક્તિ પ્રત્યે હમદર્દી (એમ્પથી) ગાયબ હોય છે. બહુ બહુ તો એવા લોકોમાં તરસ કે દયા (સિમ્પથી) જેવો ભાવ હોય છે, જે હમદર્દીથી એક સીડી નીચેની લાગણી છે.
બર્કલે, કેલિફોર્નિયાના બે મનોવૈજ્ઞાનિકોએ સમૃદ્ધ, શિક્ષિત અને પ્રતિષ્ઠિત વર્ગના લોકો બીજા લોકોની લાગણીઓની કેટલી ફિકર કરે છે એનો અભ્યાસ કર્યો છે. તેમણે શહેરના ચાર રસ્તા ઉપર ઊભા રહીને જોયું તો ખબર પડી કે, મોંઘી મોટરોના ચાલકો એમનો વારો આવે તેની રાહ જોયા વગર આગળ ઊભી રહેલી મોટરને ઓવર-ટેક કરી લેતા હતા. તેમણે એ પણ જોયું કે, રાહદારીના જવા માટેના ઝેબ્રા ક્રોસિંગ પર એમની સ્પીડ વધી જતી હતી, અને આજુબાજુમાંથી આવતા લોકો સાથે નજર મિલાવ્યા વગર પૂરપાટ ઝેબ્રા ક્રોસ કરતા હતા.
ગામડાંના અને શહેરના લોકો પરની એમની છેલ્લી નવલકથા 'ગોદાન'માં મુન્શી પ્રેમચંદ લખે છે કે, "ધન અને કરુણા એકબીજાના વિરોધી છે." ધનિક માણસમાં કરુણા ઓછી થાય છે. વિજ્ઞાનના આધુનિક 'ચિંતકો'એ કહ્યું છે કે, પાવરફુલ લોકોના મગજમાં ગૌરવ અને ઘમંડ હકીકતમાં એક બીમારી તરીકે આકાર લે છે, જેને હ્યુબ્રીસ સિન્ડ્રોમ એવું નામ પણ આપવામાં આવ્યું છે. હ્યુબ્રીસ પૌરાણિક ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થયા છે માનવતાનો અભાવ અને વધુ પડતી આત્મશ્રદ્ધા.
બ્રિટનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ડેવિડ ઓવેને, જે ખુદ ન્યૂરોસાયન્ટિસ્ટ પણ છે, ૨૦૦૯માં બ્રિટિશ મેડીકલ જર્નલ 'બ્રેઈન'માં એક લેખ લખ્યો હતો. હ્યુબ્રીસ સિન્ડ્રોમ શબ્દ આ લેખમાં વપરાયો હતો. આ લેખમાં તેમણે ૧૯૦૮થી શરૂ કરીને ૨૦૦૯ સુધીના અમેરિકન અને બ્રિટિશ લીડરોના વ્યવહાર અને મેડીકલ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. એક સદીના ધાંયધાંય સફળતાવાળા આ લીડરોમાં એક ટેન્ડન્સી સરખી નીકળી હતી-તેમને ટીકાઓની સહેજે ય પડી ન હતી, અને સફળતામાં અંધવિશ્વાસ હતો.
ઈન્દ્રા નુઈ ૨૦૦૧માં પેપ્સીકોની પ્રેસિડેન્ટ બન્યાં ત્યારનો એક કિસ્સો છે. નુઈનાં માતા ત્યારે તેમની સાથે રહેવા આવ્યાં હતાં. નુઈ ઘરે આવ્યાં અને ઉત્સાહમાં બોલ્યાં, "એક મસ્ત સમાચાર છે." માતાએ શાંતિથી કહ્યું," એ વાત પછી. પહેલાં બહાર જા, અને દૂધ લઇ આવ." નુઈ કહે છે, "હું બહાર ગઈ અને દૂધ તો લઈ આવી, પણ હું ગુસ્સોમાં હતી – ‘હું પેપ્સીકોની પ્રેસિડેન્ટ નિમાઈ છું, અને તને એના બદલે દૂધમાં રસ છે?’ મારી માતાએ એવી જ શાંતિથી કહ્યું -‘સાંભળ. તું ભલે પેપ્સીકોની પ્રેસિડેન્ટ હોઉં. આ ઘરમાં તું પહેલાં પત્ની અને મા છું. એટલે, તારો એ મુગટ ગેરેજમાં મૂકીને આવવાનું."
ઈન્દ્રા નુઈ આ કિસ્સા બતાવે છે કે પાવરફુલ લોકોમાં પોતાનું એટલું મહત્ત્વ હોય છે કે એમને સામાન્ય માણસની જરૂરિયાત નજરમાં નથી આવતી. આધુનિક મનોવૈજ્ઞાન કહે છે કે માણસ પાસે રેલમછેલ હોય ત્યારે એનામાં 'મારે કોઈની જરૂર નથી' એવો ભાવ આવી જાય છે, જે એને બીજા લોકોથી દૂર કરે છે. બીજા પર આપણી નિર્ભરતા જેમ ઓછી, તેમ એના પ્રત્યે આપણી દરકાર ઓછી. આમાંથી આપણે વધુ ને વધુ સ્વ-કેન્દ્રી બની જઈએ છીએ.
૨૦૧૭ના સર્વે પ્રમાણે ભારતની કુલ સંપત્તિનો ૭૩ ટકા હિસ્સો ટોચના ૧ ટકો લોકોના હાથમાં છે. દેશમાં અમીરી-ગરીબીની આ અસમાનતા ઘટવાને બદલે વધી રહી છે, તેને જોતાં દોલત અને દયા વચ્ચેનો સંબંધ બહુ મહત્ત્વનો બની જાય છે. અત્યાર સુધી આ દેશમાં આર્થિક કે રાજકીય પાવરવાળા લોકો વંચિત પરિવેશમાંથી આવતા હતા, એટલે એમનામાં વંચિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ બરકરાર રહી છે. આ સ્થિતિ બદલાશે અને પેલા ૧ ટકા વર્ગમાંથી વધુને વધુ લોકો પાવર ભોગવતા થશે તો, એ લોકોના નિર્ણયો જરૂરતમંદો અને ગરીબોના કલ્યાણ માટે હશે કે પછી સમાજના વગદાર લોકોના કલ્યાણ માટે હશે?
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 04 જુલાઈ 2021