ગિરીશ પટેલ :
(ગુજરાતી આલમમાં માનવ-અધિકારોના જાણીતા કર્મશીલ વકીલ)
દરુસાહેબની જન્મશતાબ્દી-સમિતિના અધ્યક્ષ તરીકે ટ્રસ્ટ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરતા આપ સૌ મહેમાનોનું હું સ્વાગત કરું છું. મને ખબર નથી કે શા માટે મને પ્રમુખ બનાવ્યો, પણ દરુસાહેબને ઓળખનારા ઉંમરલાયક લોકોમાંનો હું એક છું, તે કારણ હોઈ શકે. મંચસ્થ મહાનુભાવો અમારી સમિતિના આમંત્રણને માન આપી, કોઈ પણ જાતના ખચકાટ વગર, આવ્યા તે માટે તેમનો આભાર.
આ શતાબ્દીનું એક મહત્ત્વ છે. આજે દુનિયાભરમાંથી લોકશાહી મૂલ્યોનો લોપ થઈ રહ્યો છે, લોકશાહીના પાયા હચમચી રહ્યા છે, ત્યારે એ વિશે ચિંતા સેવનારા એવા આપણે, મળવું જરૂરી છે. આતંકવાદના નામે નાગરિક-આઝાદીના ગળે ટૂંપો લાગી રહ્યો છે. અનેક પ્રકારના ધાર્મિક ત્રાસવાદનો દુનિયાના દેશોમાં ફેલાવો થઈ રહ્યો છે. ઇતિહાસ અને સંસ્કૃિતને નામે ભારતમાં અરાજકતાનું વાતાવરણ સર્જવાની કોશિશ થઈ રહી છે. તેવે સમયે દરુને યાદ કરવા જરૂરી બની જાય છે.
દરુસાહેબ વિશે અનેક મુદ્દે – એકથી વધુ તબક્કામાં વાત થઈ શકે તેમ છે. હું એમાંના થોડા મુદ્દાને સ્પર્શીશ. ૧૯૫૮માં જ્યારે અમે બંને કાયદા વિષયના પ્રાધ્યાપક હતા, ત્યારે અમારી ઓળખાણ થઈ. ૧૯૬૪માં જ્યારે હું લૉ કૉલેજનો પ્રિન્સિપાલ બન્યો, ત્યારે પ્રોફેસરો અને મૅનેજમેન્ટ વચ્ચે ઘર્ષણ ચાલતાં હતાં. ઍકડેમિક ફ્રીડમ(શૈક્ષણિક સ્વાતંત્ર્ય)ના સવાલ સાથે મારા માટે જૉબ-સિક્યુરિટીનો પ્રશ્ન આવ્યો, ત્યારે મને વિચાર આવ્યો કે એક વૈકલ્પિક આવક પણ હોવી જોઈએ. હું દરુસાહેબ પાસે ગયો અને કહ્યું કે ‘મારે પ્રૅક્ટિસ શીખવી છે. ગમે ત્યારે આ ક્ષેત્રમાં આવવું પડે તો શીખેલું સારું.’ તેમણે મને આવકાર્યો. આમ, ૧૯૬૪થી તેમના મૃત્યુ પર્યંત અને એ પછી તેમનાં સંતાનો સાથે આજ સુધી મારો સંપર્ક રહ્યો છે.
૧૯૪૨માં દરુ એક નાના ગામડામાંથી શિક્ષક બનવા અમદાવાદ આવ્યા. શિક્ષક હોવા છતાં પણ તે વાંચતા હતા, સ્વતંત્રપણે વિચારી શકતા હતા અને સ્વતંત્રતાના આગ્રહી હતા. ત્યાંથી આગળ વધીને તે એમ.એન. રૉયની રેડિકલ હ્યુમેનિસ્ટ ચળવળમાં જોડાયા. તેમનાં પત્ની મને કહેતાં કે વહેલી સવારે ઘરેથી નીકળી જાય કે મોડી રાત્રે બાર વાગ્યે જ ઘરે પાછા ફરે. એમણે કદી ઘરનું ધ્યાન નથી રાખ્યું. થોડી લૉન લઈને ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેવાને નાનું મકાન બન્યું તે પણ પત્નીની જાત દેખરેખને કારણે. મકાન બનતું, ત્યારે દરુસાહેબ પત્નીને મજાકમાં રોજ સવારે પૂછતાં કે સાંજે મારે આ ઘરમાં આવવાનું છે કે પેલા નવા તૈયાર થતા મકાનમાં?
પછી તેઓ ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિઓમાં જોડાયા. ઔદ્યોગિક અદાલત દ્વારા મજૂરોના પ્રશ્નો લડ્યા. સફળતા મેળવી. મોટા મિલમાલિકોની ગાડીઓ વળોટીને રિક્સામાં કોર્ટ પહોંચતા દરુ સામે પડેલા સોએક કેસમાંથી એક ફાઇલ ઉઠાવે અને કેસ વાંચવો શરૂ કરે. વચ્ચે-વચ્ચે દલીલો આવતી જાય. કેસફાઇલમાંનાં વાક્યો જ નહીં તે આખું પાનું વાંચતા. ૧૯૫૦થી ’૬૦ દરમિયાન તે માત્ર છસો રૂપિયામાં ઘર ચલાવતા હતા. ચારસો રૂપિયા ટ્રેડયુનિયનના કેસો લડતા તેમાંથી મળતા અને બસો રૂપિયા કૉલેજમાંથી. એ જ દરમિયાન તેમણે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ત્યાં પણ પહેલવહેલો કેસ યુનિયનનો, ગુજરાત યુનિવર્સિટીના ટીચર્સનો લડ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીના જ અંગ્રેજી નાબૂદ કરવાના નિર્ણયને સૅન્ટ ઝેવિયર્સ કૉલેજના એક વિદ્યાર્થી દ્વારા વડી અદાલતમાં પડકારવામાં આવ્યો, ત્યારે બચાવપક્ષના વકીલ તરીકે દરુને જોઈને સાથી વકીલો હસતા હતા. તેમના મનમાં હતું કે મજૂર-અદાલતનો, બંધારણની દલીલો કરતો વકીલ આમાં કઈ રીતે ફાવશે – ચાલશે. પાંચ જજની બનેલી હાઈકોર્ટ બૅન્ચમાં તેમની દલીલો સાંભળીને ત્યારના એક સિનિયર વકીલ પોતાની ચૅમ્બર તરફ દોડ્યા. પોતાના સાથીઓને કહ્યું કે કૉન્સ્ટિટ્યૂશન ભણવું હોય તો ફર્સ્ટ કોર્ટમાં જાવ અને ઍડવૉકેટ દરુને સાંભળો. એ કેસમાં તેઓ જીત્યા. સર્વોચ્ચ અદાલતે પણ તેમની તરફેણમાં આવેલા ચુકાદાને બહાલ રાખ્યો.
સર્વિસ મેટર (સરકારી નોકરી સંબંધી) અને બંધારણીય બાબતોને લઈ કેસ લડતા દરુને દલીલો કરતા કોઈ પણ જુએ તો એક સામાન્ય માણસ જ લાગે. પણ આ સામાન્ય માણસના ભાગે અસામાન્ય કામ આવવાનું બાકી હતું. એ કામ એટલે દેશ પરની કટોકટીને બંધારણીય મર્યાદામાં રહીને કાયદાની કોર્ટમાં પડકારવાનું કામ. એ યુગપ્રવર્તક કામ તેમના હાથે થયું. એવા હાથ નીચે મારું ઘડતર થયું તેનો આનંદ.
સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા પી.એન. ભગવતીસાહેબે મને પૂછેલું કે, ‘આ દરુ પાસે આટલા ઓરિજિનલ સવાલો ક્યાંથી આવે છે? બહુ વાંચતાં લાગે છે?’ મેં તેમને જવાબ આપેલો કે દરુ વાંચતાં જ નથી. કેમ કે તેઓ માનતા કે માત્ર શીખવાથી – વાંચવાથી જ કાયદાનું જ્ઞાન ન આવે. વિશાળ વાંચન એ તેમની શક્તિ જરૂર હતી પણ ઓરિજિનલ પ્રશ્નો પ્રજામાંથી આવતા. જસ્ટિસ જે.એમ. શેલતે મને કહ્યું હતું કે તેઓ ઇન્ડસ્ટ્રિયલ લૉ દરુસાહેબ પાસેથી ભણ્યા છે.
કટોકટીના સમયમાં તેઓ દાણચોરોના કેસ પણ લડતા હતા. એ બાબતે હું પણ તેમનો વિરોધી હતો અને એ મતલબના લેખો પણ લખતો હતો. દલીલમાં તેઓ સામું કહેતા કે અસીલ સામે નહીં. ઇસ્યૂ સામે જુઓ. એક કેસમાં મળતી જીતને કારણે અનેક લોકોને જેલમુક્તિનો લાભ મળતો એવા કોફેપોસા કે દાણચોરોના કેસ પ્રત્યે તેઓ એક વ્યક્તિ-અસીલ પાસેથી જ ફી લેતા. આ તેમનો સિદ્ધાંત. તેઓ રૂપિયા માટે નહીં, પણ જાહેર નિસબતને સારુ કેસ લડતા હતા. દરુ જેવા બીજા એક વકીલ હતા તે હરુભાઈ મહેતા. ગુજરાત હાઈકોર્ટમાં તે સમયે આ બે જ વકીલો ઇન્ટેલૅક્યુઅલ હતા.
સદાય શાંત રહેતા, સૌમ્યપણે પેશ આવતા દરુસાહેબને મેં કટોકટી જાહેર થયાના બીજા દિવસે ૨૬ જૂન, ૧૯૭૫ની સવારે હાઈકોર્ટના વકીલોના રૂમમાં ગુસ્સે થતા જોયા હતા તેવા કદી નથી જોયા. ગુસ્સામાં આવીને તેઓ બાર એસોસિએશનના ટેબલ પર ચઢીને ભાષણ કરતા હતા. શેના માટે? બંધારણને બચાવવા. રૂલ ઑફ લૉને બચાવી લેવા. તેમના ભાષણે હાઈકોર્ટમાં હડતાળનું એક વાતાવરણ પણ સર્જ્યું હતું. ‘ભૂમિપુત્ર’ સામયિકનો જે કેસ લડ્યાને જીત મેળવી તે માત્ર ગુજરાતમાં જ શક્ય હતું. આ કાયદાકીય લડતને પગલે તેમને પાંચ-છ મહિનાની જે પહેલી જેલ પડી, તેમાં અંદર રહીને પણ કામ તો તેમણે લડતને આગળ ધપાવવાનું જ કર્યું. નવા સાથીદારોને તૈયાર કર્યા.
ઘરના દરવાજા કાયમ ખુલ્લા રાખતા દરુસાહેબને હું પૂછતો કે તમે આમ કેમ કરો છો? તેઓ કહેતા કે ગુજરાતમાં – અમદાવાદમાં એક દિવસમાં કેટલી ચોરીઓ થતી હશે? એમાં આપણા ઘરનો કયે દિવસે નંબર લાગવાનો હતો? આમ કહેતા દરુના ઘરના દરવાજા ગરીબ, તવંગર, મજૂર, મિલમાલિક, પીડિત, દલિત, મુસ્લિમ સૌ માટે ખુલ્લા રહેતા હતા.
(તારીખ 16-07-2016ના રોજ ચંદ્રકાન્ત દરુ સ્મૃિતગ્રંથ સમારોહમાં અપાયેલાં વક્તવ્યો પૈકી)
e.mail : binitmodi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 07 સપ્ટેમ્બર 2016; પૃ. 23