દેશે હવે કોરોના વાઈરસ સાથે જીવવાનું શીખવું પડશે એવા એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર અજાણતાં કે પછી જાણીબૂઝીને સરકારના એક અધિકૃત પ્રવક્તા-અધિકારી દ્વારા આપવામાં આવ્યા, તે ભારે નવાઈની વાત છે. આ જાણકારીમાં અત્યાર સુધી દેખાડવામાં આવતાં હતાં તેવાં કોઈ આશાનાં કિરણ દેખાતાં નથી. એ અંગે કોઈ આશ્વાસન કે જાહેરાત પણ નથી કરવામાં આવી કે કોરોનાસંકટ ક્યાં સુધી કાબૂમાં આવી જવાની ઉમેદ છે, દવા કે વૅક્સિનની શોધનું કામ ક્યાં પહોંચ્યું છે, આવનારા કેટલા દિવસોમાં જીવન રાબેતા મુજબ થઈ શકશે, નાગરિકોએ સરકાર પાસેથી ક્યા પ્રકારની મદદની અપેક્ષા રાખવી જોઈએ વગેરે … આવા કોઈ સવાલ ન પત્રકારોએ પૂછ્યા કે ન તો પ્રવક્તાએ આ બાબતે કંઈ કહ્યું. આટલા મોટા સમાચાર શાકભાજી સાથે મફત અપાતાં આદુમરચાંની જેમ આપવામાં આવ્યા અને જેમણે આ બાબતે માહિતગાર થવાનું હતું તે તો તરતોતરત ભૂલી પણ ગયા.
મહામારી સાથે જીવવાનું નાગરિકો જરૂર શીખી જશે. આવી પરિસ્થિતિમાં તેમની પાસે તે અપેક્ષિત પણ છે. પરંતુ શું જેની સાથે તેમની આસ્થા અને વિશ્વાસ જોડાયેલાં છે, તે લોકતાંત્રિક સંસ્થાઓ સાથે જીવવાનું પણ તેમણે અચોક્કસ મુદ્દત સુધી ભૂલી જવું પડશે?
થોડા સમય પહેલાં એક લેખમાં દેશના પ્રતિષ્ઠિત ન્યાયવિદે જણાવ્યું હતું કે મહામારી સાથે કામ પાડવા માટે દુનિયાભરની સરકારોએ અસામાન્ય સત્તાઓ ધારણ કરી લીધી છે. ફ્રાન્સમાં તો ચૂંટણીઓ ટાળી દેવાઈ છે, એમ જણાવીને તેમણે સૂચન કર્યું છે કે હાલના અસામાન્ય સંજોગોમાં જ્યારે બધા લોકો સરકારનો સહયોગ કરી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્રના નિર્ણયો લેવાનાં કામમાં અદાલતોએ કોઈ પણ પ્રકારના અવરોધ ઊભા ન કરવા જોઈએ.
મહામારી સાથે જીવવાની આદતોનો સંબંધ શિસ્તપૂર્વક સોશિયલ કે ફિઝિકલ ડિસ્ટન્સિગનાં પાલન સાથે હોય, તો પછી નાગરિકોએ લૉક ડાઉન પ્રતિબંધોની સાથે એ માની લેવાનું રહે કે હવે લાંબા સમય સુધી સંસદ કે વિધાનસભાની બેઠકો પણ મળી શકશે નહીં. શું વડાપ્રધાન, સંરક્ષણપ્રધાન અને ગૃહપ્રધાન સંસદમાં પાસે પાસે બેસી શકશે? સંસદની સીમિત જગ્યામાં આટલા બધા સાંસદો અપેક્ષિત શારીરિક અંતર રાખીને કઈ રીતે બેસી શકશે? જો ટુકડે ટુકડે પણ આ મહામારી બે-ત્રણ વરસ સુધી રહેવાની હોય તો ચૂંટણીઓ યોજાવાની સંભાવના વિશે જનતાએ ક્યા પ્રકારની માનસિક તૈયારી રાખવાની થશે? આ વરસના અંતે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીનું શું થશે? બિહાર પરત આવનારા સ્થળાંતરિત કામદારોની સંખ્યા જ લાખોની છે. અત્યારની રીતે ચાલતું રહ્યું તો તેમની વતનવાપસીની ટ્રેનો ચૂંટણીની તારીખો સુધી ચાલતી રહેશે? લૉક ડાઉન દરમિયાન સંસદ સહિતની બધી લોકતાંત્રિક સંસ્થાઓના ભવિષ્યની ચિંતા અંગે કૉન્ગ્રેસ અને વિપક્ષ સાવધ નથી, એમ તો માની લેવાય નહીં. તો પછી ક્યાંક એવું તો નથી ને કે કૉન્ગ્રેસમાં આ મુદ્દે વાત કરવાનું સાહસ નથી?
જે પ્રતિષ્ઠિત ન્યાયવિદના લેખનો ઉપર ઉલ્લેખ કર્યો છે તેમણે કટોકટી દરમિયાન ૧૯મી જૂન ૧૯૭૫થી ૨૧ મી માર્ચ ૧૯૭૭ સુધી લોકશાહીને એક તરફ ધકેલી દેવાઈ હોવાનું જણાવ્યું છે. તેમણે એમ પણ લખ્યું છે કે કટોકટીના ગાળામાં જો લોકશાહીને કશું નુકસાન નથી પહોંચી શક્યું તો લૉક ડાઉન વખતના પ્રતિબંધોથી પણ લોકશાહીને ચોક્કસપણે કોઈ નુકસાન થવાનું નથી. હવે એ સવાલનો જવાબ કોની પાસે માગવો કે મહામારીના સંકટનો સામનો કરવા માટેના સરકારી પ્રયાસો માટે આભાર વ્યકત કરતો પ્રસ્તાવ મૂકવા અને સ્થળાંતરિત મજદૂરો સહિત દેશના નાગરિકોએ ભોગવેલી હાડમારીની જવાબદારી નક્કી કરવા માટે વર્ષ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં, દેશ પાસે કોઈ સંસદ કે વિધાનગૃહ ઉપલબ્ધ હશે કે નહીં.
અનુવાદઃ ચંદુ મહેરિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020