સોશ્યલ મીડિયામાં કેટલાક નાગરિક સમૂહો દ્વારા કોરોના મહામારીથી થઈ રહેલા મૃત્યુઓની વચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાજીનામુ માંગવામાં આવી રહ્યું છે. માંગણી કરનારા માને છે કે મોદીના રાજીનામાથી હાલના સંકટનું સમાધાન થઈ શકે છે. આ માટે જનયાચિકાઓ પર હસ્તાક્ષરો લેવાઈ રહ્યા છે. કોરોનાનો મુકાબલો કરવામાં વિભિન્ન સ્તરે સરકારે જે નિષ્ફળતાઓ મેળવી છે તે આ અરજીઓમાં દર્શાવાઈ રહી છે. આવી અરજો થવી તે હાલના કઠિન સમયમાં નવાઈ પમાડતી બાબત નથી. સામાજિક ક્ષેત્રે સક્રિય લોકોની આ પ્રકારની પહેલ આવા હરેક સંકટમાં નાગરિકોના મન અને તેમના સત્તા સામેના પ્રતિરોધના સાહસને ઢંઢોળે છે.
ખરેખર તો આપણે આ સમયે વડા પ્રધાનના રાજીનામાની માંગણી બિલકુલ જ ન કરવી જોઈએ. મોદીને સાત વરસોમાં પહેલીવાર દેશને આટલા નજીકથી જોવાનો અને તેને માટે કામ કરવાનો મોકો મળ્યો છે. આવું જ નાગરિકોનું પણ છે. એમને પણ પહેલીવાર પોતાના નેતાના નેતૃત્વની અસલિયતને યોગ્ય રીતે પરખવાનો અવસર મળ્યો છે. વડા પ્રધાન પદના સાત વરસોમાં પહેલીવાર જનતાના ગ્રહોનો કોઈ એવો યોગ થયો છે કે મોદીને આટલો લાંબો સમય દેશમાં રહેવું પડ્યું છે. આ માર્ચ મહિનાની તેમની બે દિવસની બાંગ્લાદેશ યાત્રાને બાદ કરીએ તો, નવેમ્બર ૨૦૧૯ની તેમની બ્રાઝિલની યાત્રા સાથેની કુલ ૫૯ વિદેશયાત્રાઓ પછી, પહેલીવાર મોદી આટલું સળંગ દેશમાં જ રહ્યા છે.
યુદ્ધ જ્યારે બીજા ચરણમાં હોય અને ત્રીજા ચરણની તીવ્રતાનો અનુભવ કરવાનો બાકી હોય ત્યારે ચાલુ યુદ્ધે જ સેનાપતિ બદલવાની કે હઠાવવાની માંગ ન માત્ર અનૈતિક છે, વ્યાપક દેશહિતમાં વ્યવહારિક પણ નહીં માની શકાય. હાલની મોદી સરકાર એક જીતાઈ ચૂકેલા યુદ્ધને હારની કગાર પર લાવી મુકવાની અપરાધી છે તે હકીકત છે, તેમ છતાં વડા પ્રધાનને તેમની વર્તમાન જવાબદારીઓ સંભાળવા દેવી જરૂરી છે.
કાં તો કોરોનાના પહેલા ચરણ પર જીતનો દાવો, ચૂંટણીમાં હારની અંતિમ ક્ષણોમાં મતોની ગણતરીમાં ઘાલમેલ જેવો હતો કે પછી એ જીત પણ વિકાસના કોઈ બનાવટી રોલ મોડેલની જેમ ગોદી મીડિયાના ‘પેઈડ’ : મેનેજરોની મદદથી દુનિયાભરમાં પ્રચારિત-પ્રસારિત કરવામાં આવ્યો હતો ક્યારે ય એ વાતનું આશ્ચર્ય વ્યક્ત ન કરવામાં આવ્યું કે મહામારીના પહેલા ચરણમાં અમેરિકા અને યુરોપમાં લોકો ટપોટપ મરતા હતા ત્યારે આપણે ત્યાં આટલી નિશ્ચિંતતા સાથે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અને કુંભ મેળાની તૈયારીઓ કઈ જાદૂઈ છડીની મદદથી નફિકરાઈથી કરાઈ રહી હતી ?
એટલે વડા પ્રધાન જાતે પણ જો એમના રાજીનામાની દરખાસ્ત કરે તો એમને બે હાથ જોડીને તેમ કરતા રોકવા જોઈએ. જો એ રાજીનામુ આપી દેશે તો એ ‘હીરો’ થઈ જશે. રાષ્ટ્રધર્મ નિભાવ્યાના તેમના ત્યાગનું મહિમા મંડન કરવામાં આવશે. અને … અને .. આગામી બીજી કોઈ આથી ય વધુ ભીષણ ત્રાસદીના ઠીક પહેલાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા ફરી પાછા હાજર થઈ જશે.
સવાલ તો એ પણ છે કે સંકટના આ કુરુક્ષેત્રમાં લડાઈ જ્યારે મહામારી અને ‘આત્મનિર્ભર નાગરિકો’ની વચ્ચે ચાલી રહી હોય, બધા જ હતોત્સાહિત ‘પાંડવ’ પહેલેથી જ હથિયાર હેઠા મૂકી દઈને પોતપોતાના વાતાનુકૂલિત શિબિરોમાં ‘સેલ્ફ ક્વોરન્ટીન’ થઈને ખુદના જીવ બચાવવામાં લાગેલા હોય, એ વાતની ચર્ચા કરવી બેઈમાની હશે કે મૃત્યુ સરકારી હથિયારોની આપૂર્તિના અભાવે થઈ રહ્યાં છે કે પછી લોકોના કમજોર શ્વાસ લથડવાના કારણે થઈ રહ્યાં છે.
હાલના કઠિન સમયમાં વડા પ્રધાનના રાજીનામાની માંગ કરવાને બદલે દેશનું નેતૃત્વ કરવા માટે તેમને એટલે પણ બાધ્ય કરવા જોઈએ. કે આપાતકાલીન પરિસ્થિતિઓમાં પણ ન માત્ર વિરોધપક્ષમાં, ખુદ પોતાના પક્ષમાં પણ પોતાના સ્થાન માટેના કોઈ બીજા વિકલ્પ માટેના બારીદરવાજા તેમણે આયોજનબદ્ધ રીતે બંધ કરી દેવડાવ્યાં હતાં. એ વાતની જરા ય નવાઈ ન લાગવી જોઈએ કે તેમની પાર્ટી પણ વડા પ્રધાન સામે એક નબળા વિપક્ષ જેવી જ લાગે છે.
બીજી વાત એ પણ છે કે નાગરિકો આ સમયે નરેન્દ્ર મોદીનો વિકલ્પ વિચારવાને બદલે હોસ્પિટલ્સમાં બેડ્સ, ઓક્સિજનના સિલિન્ડર, રેમડિસિવરના ઈન્જેકશન જ શોધવામાં પોતાની સઘળી તાકાત લગાવી રહ્યા છે. આ સમયે તો મોદી જ મોદીનો વિકલ્પ છે. એમને સત્તામાં નભાવવા તે આપણી રાષ્ટ્રીય જરૂરિયાત છે. ચાલુ લડાઈએ જો મોદીનું રાજીનામુ માંગવામાં આવે તો એ વાતનો ખતરો છે કે તેઓ બીમાર નાગરિકોથી ખીચોખીચ ભરેલી ટ્રેઈનને જંગલ વચ્ચે ઊભી રાખીને કોઈ ગુફામાં ધ્યાન ધરવા ચાલ્યા જશે.
વડા પ્રધાન અને તેમના આભામંડળમાં સુશોભિત થઈ રહેલા ભક્તોનો સમૂહ ચોક્કસ જ એમ માનીને ચાલી રહ્યો છે કે હાલનું સંકટ સમાપ્ત થઈ ગયા પછી બધું જ ફરીથી ૨૦૧૪ના જેવું થઈ જશે. દેશનાં ફેફસાં પૂર્ણરૂપે ખરાબ થઈ ગયા છતાં વડા પ્રધાન તેના વિકાસની દોડને ડબલ ડિજિટ અને અર્થવ્યવસ્થાને ફાઈવ ટ્રિલિયન ડોલર બનાવી દેશે. વાસ્તવિકતા તો એ છે કે હાલનું સંકટ કઈ રીતે અને ક્યારે સમાપ્ત થશે તેની જ કોઈને ખબર નથી.
આપણે એક વાત એ પણ સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ દેશનો વડો એક વ્યક્તિ કે હાડમાંસનું પૂતળું જ નથી હોતો. પણ તે એક સંપૂર્ણ વ્યવસ્થા હોય છે. નાગરિકોથી ઈતર પણ તેની એક સમાનાંતર સત્તા અને સામ્રાજ્ય હોય છે. આ સત્તા અને સામ્રાજ્ય દેશની ભીતર છૂપાયેલો એક દેશ કે ઘણા દેશ હોય છે. આપણને હજુ પણ એ ખબર નથી કે હાલનું ભારત પણ વિભિન્ન રાજ્યોનું બનેલું ગણતંત્ર જ છે કે પછી ઘણાં દેશો અને સત્તાઓનો સમૂહ છે. તેની જાણકારી માત્રને માત્ર વડા પ્રધાનને જ હોઈ શકે છે.
બનવાજોગ છે કે સમ્રાટ અશોકનું કલિંગ યુદ્ધ પછી જેમ હ્રદય પરિવર્તન થયું હતું તેમ વડા પ્રધાનના મનમાં કોઈક ક્ષણે કોરોનાની પીડાથી શોક અને વૈરાગ્ય છવાઈ જાય અને તે કોઈ ગૌતમ બુદ્ધની ખોજમાં નિકળી જવા માંગે. એ વખતે પોતાના ગૃહસ્થ અને સાંસારિક સુખોને ત્યાગીને ધાર્મિક સમાગમોમાં ભીડ અને ચૂંટણીમાં વોટ ખેંચી લાવવાનું સામર્થ્ય ધરાવતા મઠાધીશોનો સમૂહ ઈશ્વરીય આદેશનો હવાલો આપીને તેમને એમ કરવા દેશે નહીં. આ મઠાધીશોમાં એ મીડિયા મઠાધીશો પણ સામેલ હશે જે લોકોને શબઘરોમાં ફેલાયેલી લાશોના ચહેરા દેખાડતા નથી. અને માત્ર એ જ કોરોના વિજેતાઓના ચહેરા દેખાડે છે, જે સાજા થયા બાદ લથડતા લથડતા હોસ્પિટલોની સીડીઓ ઊતરી રહ્યા હોય છે.
આ મઠાધીશો વડા પ્રધાનને ગંગા ઘાટની આરતીના દ્રશ્યો તો બતાવી રહ્યા છે પણ મણિકર્ણિકા પર અંતિમ સંસ્કારની રાહમાં ખડકાયેલાં મડદાં બતાવતા નથી. વડા પ્રધાન આ સમયે જે લોકોથી ઘેરાયેલા છે તે જ તેમના આંખ-કાન શ્વાસ છે. મોદી વીડિયો સંવાદ દ્વારા એ જ આભાસી જગતમાં વિચરણ કરી રહ્યા છે, જે તેમણે ‘ડિજિટલ ઈન્ડિયા’ના નામે દેશ માટે તૈયાર કર્યું હતું. અને વિકાસના નામે વેચ્યું હતું. વડા પ્રધાનને એ જોવા માટે પણ તેમના પદ પર નભાવી લેવા જોઈએ કે તે વર્તમાન યુદ્ધને નાગરિકો હારી જાય તે પહેલાં કઈ રીતે જીતી બતાવે છે. ટૂટતા શ્વાસોના હિતમાં વડા પ્રધાનના રાજીનામાની માંગણી તત્કાલ બંધ કરવી જોઈએ.
ભાવાનુવાદ :- ચંદુ મહેરિયા