વિરોધ પક્ષો વચ્ચે એકતા સધાશે અને સધાશે તો એ ટકશે? બીજું, વિરોધ પક્ષો એક થઈને નરેન્દ્ર મોદીને અને બી.જે.પી.ને હરાવી શકશે? અને ત્રીજું, ચૂંટણી પંચ તટસ્થતા જાળવીને ચૂંટણી યોજશે? ઈ.વી.એમ.માં કોઈ ગડબડ તો નહીં કરવામાં આવે? લોકસભાની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતના લગભગ દરેક નાગરિકના મોઢે આ પ્રશ્નો રમી રહ્યા છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ એક આશા પેદા કરી હતી. તેઓ કહેતા હતા કે કૃતનિશ્ચય અને વિઝન હોય તો વિકાસ કેમ ન થાય. ભેદભાવ વિના બધાનો વિકાસ થાય અને મેં ગુજરાતમાં સાબિત કરી આપ્યું છે. ૨૦૦૨ના ગુજરાતનાં કોમી હુલ્લડો વખતે અને એ પછીનાં તરતના વરસોનું તેમનું રાજકારણ તેમ જ શાસન જોઇને કેટલાક લોકોને શંકા જતી હતી કે આ માણસ તાનાશાહી ફાસિસ્ટ માનસ ધરાવે છે એટલે તેમનાથી સાવધાન રહેવું જોઈએ.
આના ઉત્તરરૂપે ૨૦૧૪માં જે દલીલ કરવામાં આવતી હતી એ નિર્ણાયક હતી અને તેને કારણે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી મળી હતી. એક દલીલ એવી કરવામાં આવતી હતી કે પ્લીઝ ૨૦૦૨ને હવે પાછળ રાખો અને માણસ જો કોઈ સારું કામ કરવા માંગતો હોય તો તેના પર ભરોસો મૂકીને તેને તક આપો. ૨૦૦૨માં તેમના હાથે ભૂલ થઈ હશે કે કરી હશે, પણ પછી રોજેરોજ એકની એક વાતનો ચીપિયો પછાડતા રહીને કોઈને બદનામ કરવો એ યોગ્ય નથી. તેઓ વિઝન, કૃતનિશ્ચય અને ગુજરાતના મોડેલની વાત કરે છે તો તેમને તક આપવી જોઈએ. સામે પક્ષે આત્મવિશ્વાસપૂર્વક દેશના વિકાસની વાત કોઈ કરતું પણ નથી અને નરેન્દ્ર મોદી તો વિકાસ સિવાય કોઈ બીજી વાત જ કરતા નથી.
આ દલીલથી દોરવાઈને નરેન્દ્ર મોદીને એવા મતદાતાઓના મત મળ્યા હતા જેઓ બી.જે.પી.ના પરંપરાગત સમર્થકો નહોતા. તેઓ બી.જે.પી.ને કોમવાદી પક્ષ તરીકે જોતા હતા અને બી.જે.પી.ને ક્યારે ય મત નહોતા આપતા. ૨૦૧૪માં તેમને પણ લાગ્યું હતું કે માણસ ખોંખારો ખાઈને ભેદભાવરહિત વિકાસની વાત કરે છે છે તો એક તક આપવી જોઈએ. ૨૦૧૪માં બી.જે.પી.ને જે ૩૧ ટકા મત અને લોકસભાની ૨૮૨ બેઠકો મળી એનું મુખ્ય કારણ ચાન્સ આપનારા કે ચાન્સ લેનારા મતદાતાઓના મત હતા. એ પછી પણ ૬૯ ટકા મત તો બી.જે.પી.ને નહોતા જ મળ્યા. જો એન.ડી.એ.ના સાથી પક્ષોના મતને ગણતરીમાં લેવામાં આવે તો ૬૨ ટકા ભારતીયોએ ૨૦૧૪માં ધરાર ચાન્સ આપવાની કે લેવાની ના પાડી દીધી હતી. જ્યારે આશા અને અરમાનો આસમાને હતા અને નરેન્દ્ર મોદીનો ખરડાયેલો ઇતિહાસ ભૂલી જઇને, પ્લીઝ, દેશના ભલા ખાતર એક તક નરેન્દ્ર મોદીને આપો એવી અરુણ શૌરી જેવાઓ મતદાતાઓને અપીલ કરતા હતા ત્યારે ૬૨ ટકા મતદાતાઓએ ધરાર બી.જે.પી.ને મત નહોતા આપ્યા.
બી.જે.પી. સામે બે સવાલ છે. એક તો ૨૦૧૪માં જેમણે બી.જે.પી.ને મત આપ્યા હતા એ ૩૧ ટકા મતદાતાઓને કઈ રીતે ટકાવી રાખવા? સાથી પક્ષોના મતદાતાઓ તો સાથી પક્ષો સાથે રહેશે અને સાથી પક્ષો ૨૦૧૯માં સાથ આપશે કે નહીં એ દરેકની બાબતમાં કહેવું મુશ્કેલ છે. આપણા પોતાના ૩૧ ટકા મતદાતાઓ ૨૦૧૯માં સાથ આપશે ખરા? એને કઈ રીતે ટકાવી રાખવા? બી.જે.પી.ના નેતાઓને જાણ છે કે એ ૩૧ ટકામાંથી ઓછામાં ઓછા દસ ટકા મતદાતાઓ ચાન્સ લેનારા કે આપનારા આગંતુક મતદાતાઓ હતા, પક્ષના પ્રતિબદ્ધ સમર્થકો નહોતા. તેમણે દેશના વિકાસ ખાતર મત આપ્યા હતા અને વિકાસ ક્યાં ય નજરે પડતો નથી. એની જગ્યાએ હિંદુ કોમવાદી રાજકારણ અને હિંસા સર્વત્ર નજરે પડી રહ્યાં છે.
બી.જે.પી.ના નેતાઓ સામે બીજો સવાલ એ છે કે જો એ ૩૧ ટકા મતદાતાઓમાંથી કેટલાક મોઢું ફેરવી લે અને એવું અવશ્ય બનવાનું છે તો એ ગાબડું પૂરવું કઈ રીતે? બાકી રહેલા ૬૯ ટકા મતદાતાઓમાંથી ગાબડું પૂરવું પડે, પરંતુ જેઓ ૨૦૧૪ની આશાની ક્રાંતિ વખતે પ્રભાવિત નહોતા થયા, અને બી.જે.પી.ને મત નહોતા આપ્યા એ આ વખતે પલળે એ તો નેવાંનાં પાણી મોભે ચડાવવા જેવું અઘરું કામ છે. બીજું ૨૦૧૪માં બી.જે.પી.ને જે ૨૮૨ બેઠકો અને ૩૧ ટકા મત મળ્યા હતા એમાંથી ૭૦ ટકા મત અને બેઠકો ગણતરીનાં રાજ્યોમાં જથ્થાબંધ મળ્યા હતા. એ રાજ્યો હતાં : ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણા. આમાંથી દિલ્હી છોડીને બધાં જ રાજ્યો બી.જે.પી. શાસિત છે અને ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સામે પ્રજાની અંદર તીવ્ર નારાજગી છે. ગુજરાતની વિધાનસભાની તેમ જ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા ચૂંટણીનાં પરિણામોએ આ બતાવી આપ્યું છે.
ચૂંટણીશાસ્ત્ર મુજબ ચૂંટણી વખતે જો દેશભરમાં કે પછી કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સઘનપણે મતદાતાઓનો મૂડ બદલાય (પોઝિટિવ કે નેગેટિવ સ્વિંગ) તો બેઠકોમાં ઘણો મોટો ફરક પડતો હોય છે. આનું કારણ છે સઘનતા એટલે કે ડેન્સિટી. આવી સ્થિતિમાં જથ્થાબંધ બેઠકો મળે અથવા જથ્થાબંધ બેઠકો જાય. ૨૦૧૪માં ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૧ બેઠકો, ગુજરાતમાં ૨૬માંથી ૨૬ એમ ઉપર ગણાવ્યાં એ રાજ્યોમાં જથ્થાબંધ બેઠકો મળી હતી એનું કારણ સઘનતા અર્થાત્ ડેન્સિટી હતું. બી.જે.પી.ને ૨૦૧૪માં જે ૩૧ ટકા મત (રાષ્ટ્રીય સરેરાશ) મળ્યા એમાંથી ૨૦ ટકા જેટલા મત આ રાજ્યોમાં મળ્યા હતા અને પરિણામે બી.જે.પી.ને ૨૦૧૪માં મળેલી કુલ ૨૮૨માંથી ૨૩૦ બેઠકો આ રાજ્યોની હતી.
જે રાજ્યોમાં મતદાતાઓની સઘનતા હતી એ રાજ્યોમાં મતદાતાઓના સમર્થનમાં જો પાંચ ટકાનું ગાબડું પડે તો એ બેઠકોની સંખ્યામાં ઘણો મોટો ફરક પાડી દે. બીજી બાજુ ૨૦૧૪માં બી.જે.પી.ને મત નહીં આપનારા ૬૧ ટકા મતદાતાઓને રીઝવવામાં આવે તો પણ એ મતદાતાઓ ઉપર ગણાવ્યાં એ રાજ્યો સિવાયનાં રાજ્યોમાં છૂટાછવાયા હશે એટલે એ બેઠકોમાં બહુ ઓછા પરિવર્તિત થાય. બી.જે.પી.ના નેતાઓને તેમ જ વિરોધ પક્ષોના નેતાઓને બન્નેને આ વાતની જાણ છે.
કૉન્ગ્રેસે પાંચ દાયકા સુધી દેશમાં એકચક્રી શાસન કર્યું એનું કારણ દેશભરમાં સમર્થનની એક સરખી સઘનતા હતી. જરાક ઉપર-નીચે હોય, પણ એકંદરે સઘનતા એક સરખી હતી. કૉન્ગ્રેસને દેશભરમાં ૪૫ ટકા મત મળ્યા હોય તો એમાંથી એક રાજ્યમાં કે ક્ષેત્રમાં ૫૦ ટકા અને બીજાં રાજ્યોમાં પાંચ ટકા એવું નહોતું બનતું. ૧૯૭૭માં પણ એવું નહોતું બન્યું જ્યારે ઉત્તર ભારતમાં કૉન્ગ્રેસેને મતદાતાઓએ જાકારો આપ્યો હતો અને દક્ષિણ ભારતમાં મતદાતાઓએ કૉન્ગ્રેસને વિજય અપાવ્યો હતો. સઘનતા પોતે અને સઘનતાની અસમાનતા સંસદીય લોકતંત્રની ખૂબી અને ખામી બન્ને છે.
તો આ ભારતીય રાજકારણની અત્યારની વાસ્તવિકતા છે અને એની વચ્ચે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના શરદ પવારે વિપક્ષી એકતાનું બીડું ઝડપ્યું છે. તેમની શું ગણતરી અને રણનીતિ હશે એની ચર્ચા આવતી કાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 29 અૉગસ્ટ 2018