મધ્યયુગી યુરોપમાં જ્યારે સામંતવાદી સમાજ વ્યવસ્થા એની સરગર્મી ઉપર હતી ત્યારે એના વિદ્રોહમાં લોકશાહીનો જન્મ થયો હતો. લોકશાહીનો પાયાનો આદર્શ બરાબરી અને એકજાતનો છે. સ્કૂલોમાં જે યુનિફોર્મનો નિયમ છે તે આ લોકતાંત્રિક વ્યવસ્થાનું પ્રતીક છે. જ્યાં દરેક વિદ્યાર્થી, સામાજિક ઊંચાઇ કે નીચાઇ છતાં, સમાન નજર આવે છે.
અંગ્રેજો ભારતની સ્કૂલોમાં વર્દીની સમાનતા તો લઇ આવ્યા પરંતુ વાઇસરોય માટેનું ભવ્યાતિભવ્ય રાષ્ટ્રપતિ ભવન, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર માટે વિશાળ બંગલો તેમ જ બ્રિટિશ રાજકર્તાઓની આગળ-પાછળ વળાવિયા(કોન્વોય)ના પ્રતીકોમાં એ જ રાજા-મહારાજા અને ઠાકોરોના ‘વેરી ઇમ્પોર્ટેન્ટ પર્સન’(વી.આઇ.પી.)ની તહજીબ મૂકતા ગયા.
આ વી.આઇ.પી. સંસ્કૃિત આજે પણ એટલી જ સશક્ત છે એટલું જ નહીં, એ વધુ ઊંડી ગઇ છે. શિવસેનાના સાંસદ રવીન્દ્ર ગાયકવાડે એર ઇન્ડિયાના સ્ટાફ સાથે મારામારી અને ગાળાગાળી કરી, એ પેલી ઠાકોરશાહી પરંપરામાંથી આવે છે, જ્યાં ‘ખાસ’ આદમીને ‘આમ’ આદમીથી જુદા અને ઉપર હોવાનો અહેસાસ અજીબ ‘કિક’ આપે છે. ત્યારે તો પ્રધાનમંત્રીથી લઇને શિવસેના પ્રમુખ સુધીના બધા ય ચુપ હતા, એ દર્શાવે છે કે વી.આઇ.પી.ઓને પોતાના ‘વિશેષાધિકાર’ કેટલા વહાલા છે.
એટલા માટે જ મંત્રીઓ અને અફસરોનાં વાહનો ઉપરથી લાલબત્તી હટાવવાનો નિર્ણય આવકારદાયક હોવા છતાં, તે એક પ્રતીકાત્મક કદમ રહી ન જાય, અને લાલબત્તીથી આગળ જાય એ જરૂરી છે.
આવી ‘બત્તીઓ’ ઘણી છે. આ નેતાઓને 34 એર-ટિકિટ મફતમાં મળે છે. તેમના જીવનસાથીને દિલ્હી આવવા 8 ફ્રી એર-ટિકિટ મળે છે. સાંસદોને ફ્રી ફર્સ્ટ ક્લાસ ટિકિટ મળે છે. સરેરાશ 17 પોલીસમેન વી.આઇ.પી.ની સુરક્ષામાં તૈનાત હોય છે, એમને એરપોર્ટ ઉપર સિક્યુરિટી ચેક માટે રોકાવું પડતું નથી. ભારત સરકાર સાંસદોના ટ્રાવેલ ખર્ચ પાછળ વર્ષે 83 કરોડ ખર્ચે છે. આ સિવાય નાના-મોટા ‘અધિકાર’ અનેક છે.
વી.આઇ.પી. સંસ્કૃિત એ માનસિકતામાંથી આવે છે કે માણસો ‘હાઇરાર્કી’માં વહેંચાયેલા છે, અને નીચેના માણસે ઉપરના માણસની અાધીનતા અને અધિકાર સ્વીકારવાના હોય છે. જંગલના જીવનમાં ‘સબળા’ અને ‘નબળા’નો આવો ભેદ બહુ સ્પષ્ટ છે. માનવજીવનમાં આવી અસમાનતા સૌથી પહેલી ધર્મમાંથી આવી હતી. ગુજરાતીમાં ‘દેવના દીધેલ’ (જે ઝવેરચંદ મેઘાણીએ પ્રયોજ્યો હતો) પ્રયોગ છે. કેટલાક લોકો અથવા સમુદાય ભગવાનના ખાસ અથવા નજીક છે, અને એ બીજાથી ઉપર છે. બાવા- સાધુ- સંત-પુરોહિત એટલે જ વી.આઇ.પી. સન્માન મેળવે છે.
એનું બીજું ઉદાહરણ આપણાં ઘરો અને દફતરોમાં છે. જ્યાં નોકરો, પટાવાળા (જે કમરમાં પટ્ટો પહેરતા હતા) કે ઑફિસ બોય ‘સાહેબ’ની સેવામાં હોય છે. એમની રહેવાની (કે દફતરમાં બેસવાની) જગ્યા અલાયદી હોય છે. ઘરમાં તમારી કામવાળી તમારી સાથે સોફામાં બેસીને ટીવી જોઇ શકે? ન જોઇ શકે. લાલબત્તીનું વી.ઇ.આઈ.પી. કલ્ચર હવામાંથી નથી આવતું. એ આપણા દિમાગમાં છે. ઘરની ચાર દીવાલોમાં છે.
જો ચાન્સ મળે તો, જો કોઈ જોતું ન હોય તો તમારામાંથી કેટલા ટ્રાફિક નિયમ તોડીને જતા રહેવાની અભીપ્સા ઉપર કાબૂ રાખી શકે? મુંબઇના નેતા મુરલી દેવરા મરી ગયા ત્યારે શ્રદ્ધાંજલિ આપતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે, દેવરાની ઓળખાણ અને પહોંચને કારણે મારા વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓને ગમતી સ્કૂલમાં એડમિશન મળી જતાં હતાં. ઓળખાણથી સ્કૂલમાં એડમિશન મેળવવું અે એક પ્રકારની ‘લાલબત્તી’ જ છે, જેવી રીતે મોદીજીનો રૂા. 10 લાખનો સૂટ પણ ‘વિશેષ વ્યક્તિ’નું પ્રતીક છે.
ભારતની આઝાદી માટે લડાઇમાં જોડાયેલા નેતાઓની એક લડાઇ ગોરા સામંતો, હાકેમો અને ઘર આંગણાના જમીનદારો સામે પણ હતી. આ ‘રાજા-મહારાજાઓ’એ જ ભારતની પૂરી સંપદાને પોતાના ‘એકાધિકાર’માં રાખી હતી, એટલા માટે જ આઝાદ ભારતે પ્રારંભમાં મૂડીવાદ નહીં પણ સમાજવાદનો માર્ગ પકડ્યો હતો, જેથી દરેક વર્ગને સમાન જીવન મળે. આઝાદીના બે જ દસકમાં, સમૃદ્ધિ ઉપર સવાર ભારતે, વી.આઇ.પી.ઓનો એક નવો વર્ગ ઊભો કર્યો, જે પેલા સામંતો અને જમીનદારોની જ આગલી કડી હતી. આધુનિક શાસન વ્યવસ્થામાં વી.આઇ.પી. શબ્દ એક મહાન છોગું છે.
વી.આઇ.પી. વિસ્તાર, વી.આઇ.પી. ખુરસી, વી.આઇ.પી. પેવેલિયન, વી.આઇ.પી. સિક્યુરિટી, વી.આઇ.પી. શાદી અને વી.આઇ.પી. કતાર જેવાં તો અનેક છે. અલગ અને ઉપર હોવાની આ ‘વી.આઈ.પી. લાગણી’ ભાૈતિક સમૃદ્ધિમાંથી આવી છે, અને આત્મિક દેવાળિયાપણાની નિશાની છે. આઝાદીના નેતાઓ દિમાગથી સમૃદ્ધ હતા એટલે લંગોટી અને ટ્રેનના ત્રીજા ડબ્બામાં ફરતા હતા. આજે ગેંગસ્ટરો અને કૌભાંડીઓને પણ ‘વિશેષ’ સન્માન મળે છે. બીજાના ચરણ સ્પર્શ કરવાની આપણી માનસિકતા આના માટે જવાબદાર છે. કોઇના ય પગ (તમારા સહિત) વી.આઇ.પી. નથી હોતા.
વી.આઇ.પી. કલ્ચર દિમાગ જ નહીં, સમાજની ગરીબી માટે ય જવાબદાર છે. ભ્રષ્ટાચારની, અન્યાયની શરૂઆત જ ‘તને ખબર છે હું કોણ છું?’માંથી થાય છે. લોકશાહી માટે સૌથી મોટો ખતરો ગરીબી નથી, કારણ કે ગરીબીમાં તો એક પ્રકારની ઇજ્જત, આશા અને સંયમ હોય છે. વી.આઇ.પી. કલ્ચરમાં આ ત્રણેય ભાવોથી વિપરીત માનસિકતા છે, અને એ માનસિકતા ભારતની મહાનતાને નડે છે. ભારતમાં ગરીબી દૂર કરવાની નહીં, વી.આઇ.પી. કલ્ચર દૂર કરવાની જરૂર છે. ગરીબી આપોઆપ દૂર થઇ જશે.
એટલા માટે જ આપણે ‘લાલબત્તી’થી આગળ જવું પડશે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 મે 2017