23/08/’23 – શ્રાવણ સુદ સાતમ ને બુધવાર. સમય સાંજે છને ચાર મિનિટનો. વિક્રમ લેન્ડરે વિશ્વવિક્રમ કર્યો. ના, આ કેવળ વિશ્વવિજય જ ન હતો, ચંદ્રવિજ્ય પણ હતો. આખું વિશ્વ એક શ્વાસે, વિક્રમ લેન્ડર, ચંદ્રભૂમિને સ્પર્શે તે ક્ષણને, કરોડો આંખે સ્તબ્ધતાથી જોઈ રહ્યું હતું. ભારતના ધબકાર વધારે એટલા માટે હતા કારણ, બે દિવસ પર જ, ભારતને પાછળ પાડી દેવા રશિયાએ લ્યુનાર-25 દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની કોશિશ કરી હતી અને તે તૂટી પડ્યું હતું, એટલે સ્વાભાવિક જ ચંદ્રયાન-3નાં સોફ્ટ લેન્ડિંગની છેલ્લી ક્ષણો ગળે આવી ગઈ હતી, પણ વિક્રમ લેન્ડર સ્પર્શ્યું ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવર ઉતારનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો. ઇસરોના વૈજ્ઞાનિકોની વર્ષોની સાધના રંગ લાવી હતી અને ચંદ્રની દક્ષિણ ધ્રુવની કુંવારી ભૂમિપર ભારત આરૂઢ થયું હતું. આવું અગાઉ થયું ન હતું. અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોથી એ શક્ય ન બન્યું ને ભારત તેમને પાછળ છોડીને આગળ નીકળ્યું હતું. ભારતે વિરલ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિદ્ધિથી ભારત જ નહીં, આખું વિશ્વ પ્રસન્ન હતું. ચંદ્રની દક્ષિણ ભૂમિ પણ વિક્રમ લેન્ડરને આવકારવા ઉત્સુક હોય તેમ આખું ય અભિયાન નિર્વિઘ્ને પાર પડ્યું, અગાઉ ચંદ્રયાન-2 ભારત મોકલી ચૂક્યું હતું, પણ તે ઓછું નસીબદાર પુરવાર થયું હતું અને ચંદ્રની સપાટી વણસ્પર્શી જ રહી જવા પામી હતી. આ વખતે ઇસરો(ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન)ની વૈજ્ઞાનિક ટીમે જે ક્ષતિ અગાઉનાં ચંદ્રયાનોમાં રહી જવા પામી હતી, તે સુધારી લીધી હતી. આમ તો ચંદ્રયાન-1, 380 કરોડને ખર્ચે ઉતારાયું ત્યારે તેનો હેતુ ચંદ્રની સપાટીને સ્પર્શવાનો ન હતો, પણ ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરીને કે તેની તસ્વીરો ઝડપીને તેનો અભ્યાસ કરવાનો હતો, એ પછી ચંદ્રયાન-2, 22 જુલાઇ, 2019ને રોજ લોન્ચ થયું, પણ તે 6 ડિસેમ્બર, 2019 ને રોજ નિષ્ફળ ગયું. તે સાવ નિષ્ફળ જ ગયું એવું ન હતું. તેનું ઓર્બિટર હજી સક્રિય છે અને તેની ઘણી મદદ ચંદ્રયાન-3ને મળી છે. આમ તો તેનો હેતુ ચંદ્ર પર ઉતરાણનો જ હતો, પણ 960 કરોડને ખર્ચે, 2019માં મોકલાયેલ ચંદ્રયાન-2 આંશિક રીતે જ સફળ રહ્યું. એમાં રહેલી ક્ષતિઓ નિવારાઈ. જેમ કે, લેન્ડરમાં એક એન્જિન ઓછું કરીને ચાર કરાયાં. લેન્ડરનાં પગ વધુ મજબૂત કરાયા, જેથી તે જમીનમાં ધસી ન પડે. સોફ્ટવેર અપડેટ કરાયાં ને ઈંધણની ટાંકી વધારાઈ જેથી કટોકટી ઇંધણ ખૂટવાને લીધે ન સર્જાય. લેન્ડિંગનું ક્ષેત્રફળ પણ વધારવામાં આવ્યું. છતાં, કૈં પણ થઈ શકે એવી ક્ષણોમાંથી યાન પાર પડ્યું એનો હરખ જ પ્રગટ કરવાનો રહે.
એ પછી ચંદ્રયાન-3, 14 જુલાઈએ લોન્ચ થયું ને 1 ઓગસ્ટે ટ્રાન્સલ્યુનર ભ્રમણ કક્ષામાં પહોંચ્યું. તે પછી 5 ઓગસ્ટે સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું અને 16 ઓગસ્ટ સુધી ચાર ઓર્બિટ-રિડક્શન મેન્યુવર્સની કામગીરી ચાલી. 17 ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યૂલમાંથી લેન્ડર મોડ્યુલ છૂટું પડ્યું. એ પછી મહત્ત્વની કામગીરી ઇસરોએ કરવાની હતી, તે યાનની ઝડપ ઘટાડવાની-‘ડિબૂસ્ટિંગ’ની ! 20 ઓગસ્ટ સુધી વધુ ઝડપ ઘટાડવામાં આવી ને 23 ઓગસ્ટે 41 દિવસની યાત્રા પછી સાંજે છને ચાર મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ‘સૂર્યોદય’ થયો. યાન બોલ્યું, ‘હું લક્ષ્ય પર પહોંચી ગયું છું.’ આ સિદ્ધિ મેળવનાર ભારત પહેલો દેશ છે ને તે અમેરિકા, ચીન, રશિયા પછી ચંદ્રકલબમાં દાખલ થનાર ચોથો દેશ બન્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો બ્રિક્સ સમિટમાં જોહાનિસબર્ગ હતા, ત્યાંથી વર્ચ્યુઅલી જોડાયા ને ઇસરોના વડા સોમનાથને અભિનંદન આપતાં તેમનાં નામમાં પણ ચંદ્ર છે એ વાતનો ઉલ્લેખ કરતા બહુ મર્મસ્પર્શી રીતે બોલ્યા કે ઇતિહાસ નજર સમક્ષ બનતો જોઇએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. ભારતને દેશી-વિદેશી નેતાઓનાં એટલાં અભિનંદનો મળ્યાં કે વિજયની એ ક્ષણ ચિરંતન બની ગઈ. આટલાં અભિનંદનો ઇસરોને પણ પહેલી વાર જ મળ્યાં હશે. એકતરફ વડા પ્રધાન જેવાની સંવેદના છે, તો બીજી તરફ રાજસ્થાનના એક મંત્રી માટે એવી વેદના પણ છે કે એમણે ચંદ્રયાનમાં ગયેલા યાત્રીઓને સલામ કરી. એમણે કયા કયા યાત્રીઓ ગયા તેનો ખુલાસો કર્યો નથી એટલું સારું છે. બાકી, એવું ય બની શકે.
અહીં NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી ESAના સહયોગની પણ નોંધ લેવી પડે. એનું સતત મોનિટરિંગ ઇસરોને ફળ્યું. NASAના DSN કોમ્પ્લેક્સની મદદ એ રીતે મળી કે તે ભારતની બીજી બાજુએ છે, એટલે ચંદ્ર ન દેખાય ત્યારની સ્થિતિ કેલિફોર્નિયાના DSNએ સંભાળી અને જરૂરી માહિતી ઇસરોને પૂરી પાડી. NASAના વડા બિલ નેલ્સને એમ કહીને ઇસરોને અભિનંદનો આપ્યાં કે આ અભિયાનમાં તમારા સહયોગી બનવાનો અમને ગર્વ છે. ઇસરોના ચેરમેન એસ. સોમનાથની ખાનદાની એ છે કે સફળતાનો યશ એ દેશને, તેનાં વડાઓને અને તેના પૂર્વ અને વર્તમાન વૈજ્ઞાનિકો ઉપરાંત હજારેક એન્જિનિયરોને આપે છે.
આપણે સૂરતીઓએ પણ એ વાતે ગૌરવ લેવા જેવું છે કે ચંદ્રયાન-3માં સુરતનો પણ ફાળો છે. તે એ રીતે કે ઇસરોના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સુરતના છે ને ચંદ્રયાન-3ની ડિઝાઇન તેમણે બનાવી છે. વિક્રમ લેન્ડરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઇ છે કે તે ચંદ્રની સપાટી પર ઊતરે તો ધૂળ ઊડે નહીં. ચંદ્રયાન-2 નિષ્ફળ જવાનું કારણ ત્યાંની ધૂળ પણ હતું. મિતુલ 2011થી ઇસરો અને 2013થી નાસા સાથે જોડાયેલા છે. સુરતની એક્સપેરિમેન્ટલના આ વિદ્યાર્થીએ પૂર્વ આચાર્ય અર્જુન પટેલ સાથે ફોન પર વાત કરી ચંદ્રયાન-3ની સિદ્ધિ બદલ આનંદની આપ-લે પણ કરી.
હવે ચંદ્રયાન-3નાં સફળ સોફ્ટ લેન્ડિંગ પછી રોવર પ્રજ્ઞાનની કામગીરી 14 દિવસ ચાલવાની છે ને આ દિવસો દરમિયાન તેનું મુખ્ય લક્ષ્ય પાણીની અને ઓક્સિજનની શોધનું હશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યનાં કિરણો પહોંચતાં નથી. એટલે કામગીરી થોડી વિકટ પણ હશે. – 200 ડિગ્રીએ પાણી ઠરેલું હોઈ શકે, પણ અહીં હવા નથી. આ એક કારણે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પગ મૂક્યો એ મિશનને ફેઇક ગણાવાયું હતું. વિરોધીઓની દલીલ એ હતી કે ચંદ્ર પર હવા નથી તો અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ફરફર્યો કઇ રીતે? પછી તો અમેરિકાના પ્રતિસ્પર્ધી રશિયાએ જ એને એન્ડોર્સ કર્યું ને શંકાશીલો આશ્વસ્ત થયા. આ જોતાં ત્યાં ઓક્સિજન મળવાની સંભાવનાઓ ઓછી છે, પણ પાણી મળે તો ઓક્સિજનની પણ ખાતરી મળે એમ છે, એટલે જો ભારત એ શોધી લાવે કે ચંદ્ર પર પાણી છે કે રોવર પ્રજ્ઞાન ખનીજ, ધાતુઓની શોધમાં સફળ થાય તો ભારતને મહાસત્તા બનતાં કોઈ રોકી ન શકે. લેઝર ઇનડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેકટ્રોસ્કોપ દ્વારા ચંદ્રની માટી કે પહાડોની સંરચનાનું પરીક્ષણ પણ થશે. ખૂબીની વાત એ છે કે લેન્ડર મોડ્યુલ સફળ થયું એમાં ચેન્નાઈથી 400 કિલોમીટર દૂર આવેલ નામક્કલ ગામની માટી ભાગ ભજવી ગઈ છે. એનું આશ્ચર્ય જ છે કે એ માટી ચંદ્રની ‘એનોર્થોસાઇટ’ માટી જેવી જ છે. 50 ટન માટીનો ઇસરોએ લેન્ડર મોડ્યુલની ક્ષમતા ચકાસવા ઉપયોગ કર્યો ને એનું પરિણામ એ આવ્યું કે વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટીને સ્પર્શવાનું શક્ય બન્યું. ધારો કે રોવર પ્રજ્ઞાન પાણી કે ખનીજ શોધવામાં સફળ થાય છે તો તે વળી એક વખત અન્ય દેશો માટે અભિનંદનોની વર્ષાનું અને માનવ વસાહતની શક્યતાઓ તપાસવાનું નિમિત્ત બનશે.
2025માં NASA પણ આર્ટેમિસ-3 મોકલવાનું વિચારે છે. તેનો હેતુ અવકાશયાત્રીઓને મોકલીને એ જોવાનો છે કે ચંદ્ર પર માનવ જીવન શક્ય છે કે કેમ? નાસાના જ સંશોધક પ્રબલ સક્સેનાનો દાવો છે કે ચંદ્ર પર સૂક્ષ્મ જીવો જીવી શકે, પણ મનુષ્યનું અસ્તિત્વ શક્ય નથી. ચંદ્ર પર કે અન્ય અવકાશી ગ્રહો પર માનવ જીવન શક્ય છે કે કેમ તેની તપાસ વિશ્વ કરી રહ્યું છે. વડા પ્રધાને તો સૂર્ય અને શુક્ર પર પણ અવકાશયાન મોકલવાની આગાહી કરી છે. એને આવકાર જ હોય અને ઈચ્છીએ કે બ્રહ્માંડનાં રહસ્યોની ઘણી પરત ભારત ખોલી આપે, પણ મનુષ્યનાં વસવાટની શક્યતાઓ તપાસનારા આપણે, આપણને જ પૂછીએ કે આટલી અદ્ભુત ને સુંદર પૃથ્વીને રહેવા જેવી રાખી છે? બીજે પાણી છે કે નહીં તે તપાસીએ છીએ, પણ અહીંનું પાણી, પાણીમાં જાય છે એની ચિંતા નથી. ચંદ્ર પર હવા નથી, હિલિયમ, આર્ગોન, જેવા વાયુઓનાં પાતળાં સ્તર છે, પણ તેને વાતાવરણ કહી શકાય નહીં. ટૂંકમાં, અહીં વાતાવરણ નથી. પૃથ્વી પર છે, પણ તે કેમ બગડે તેની કોશિશો થાય છે. કુદરતે જે વાતાવરણ અહીં ભરપટ્ટે આપ્યું છે તેનાં વિકલ્પે સંશોધનો કરીને બીજે વાતાવરણ શોધવાનાં આપણે ફાંફાં મારીએ છીએ. બ્રહ્માંડનાં રહસ્યો શોધવા, જાણવાનો તો વાંધો જ નથી, વાંધો અહીનાં સંસાધનોને અવગણીને બીજે વસવાટની શક્યતાઓ તપાસાય તેનો છે. અહીં જીવન ન રહે તેની કોશિશો છે ને બીજે નથી ત્યાં જીવનની શોધ ચાલે છે, પણ એક વાત સમજી લેવાની રહે કે પૃથ્વીનો વિકલ્પ બ્રહ્માંડમાં ક્યાં ય નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑગસ્ટ 2023