બેલ્જિયમ દેશમાં જન્મેલા જિન દ્રેજનું નામ આમ તો દેશમાં અર્થશાસ્ત્રી તરીકે જાણીતું છે. આ ઉપરાંત તેમની ઓળખ સોશિયલ સાયન્ટિસ્ટ અને એક્ટિવિસ્ટની પણ છે. તેઓએ આપણા દેશમાં ભૂખ, દુકાળ અને મહિલા-પુરુષ અસમાનતા અંગે ઊંડું સંશોધનકાર્ય કર્યું છે. બેલ્જિયમના અતિ શિક્ષિત પરિવારમાંથી આવતા જિન દ્રેજ ‘યુનિવર્સિટી ઓફ એસેક્સ’માં મેથેમેટિક્સ ઇકોનિમિક્સનો અભ્યાસ કર્યો અને પછી તેઓ પીએચ.ડી.ના અભ્યાસ અર્થે દિલ્હીમાં ‘ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટ’માં આવ્યા. બસ, પછી તે ભારતના જ બનીને રહ્યા. આજે તેઓ ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’ જેવી સંસ્થામાં અર્થશાસ્ત્ર ભણાવે છે. આ ઉપરાંત, પણ ‘દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’ અને દેશની અન્ય જાણીતી યુનિવર્સિટીમાં તેઓ વિઝિટિંગ પ્રોફેસર છે.
જિન આજે વિશ્વ ફલક પર ભારતની આર્થિક અને છેવાડાના માનવી અંગે બોલી-લખી શકે તેવું વિશ્વસનીય નામ બની ચૂક્યા છે. જિન આપણા દેશમાં એ હદે હળીમળી ગયા છે કે તેઓ એક સરેરાશ શિક્ષિત ભારતીય કરતા વધુ નજીકથી ભારતની ગ્રામિણ પૃષ્ઠભૂમિને જાણે છે. માત્ર ભારતને જાણવું અને તેનો અભ્યાસ કરીને શિક્ષણ આપવા સુધી તેઓ સીમિત નથી રહ્યા, બલકે છેવાડાના લોકો વિશે જ્યારે ખોંખારીને બોલવાનું આવ્યું છે ત્યારે તેઓએ અવાજ પણ ઊઠાવ્યો છે. ગત્ વર્ષે ‘રાઇટ ટૂ ફૂડ’ કેમ્પેઇન માટે જ્યારે તેઓએ ઝારખંડમાં એક પ્રદર્શન કર્યું ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સમૃદ્ધ જીવન ત્યજીને ભારતમાં નિવાસ કરવાનું સ્વીકારવું તે જિન માટે અકલ્પનીય અનુભવ છે અને તે અનુભવની શરૂઆતી અનેક ઘટનાઓ તેમણે ડાયરી સ્વરૂપે લખીને રાખી છે. આ ઘટનાઓ પરથી હાલમાં તેમના મિત્ર અને વિખ્યાત અર્થશાસ્ત્રી લુક લેરથ અને ખુદ જિને એક નવલકથા લખી છે. આ નવલકથાની વાર્તા જ્યાં જિને પહેલુંવહેલું ભારતનું ગ્રામિણ જીવન ગાળ્યું તેની પૃષ્ઠભૂમિ આધારિત છે. જિનનું જીવન અને તે આધારે તેમણે લખેલી આ નવલકથા ‘રમ્બલ ઇન અ વિલેજ’ના પૃષ્ઠોની આસપાસની રસપ્રદ વાત જાણીએ.
અર્થશાસ્ત્ર વિષયને આપણે ત્યાં જોઈએ એટલું મહત્ત્વ આપ્યું નથી અને એટલે જ એક ઉમદા અર્થશાસ્ત્રી આપણા વડા પ્રધાન બન્યા છતાં તેઓની મર્યાદાઓ જ જોવામાં આવી. તેમણે દેશને પાયાથી મજબૂત કરવાનું જે કાર્ય કર્યું તેની તો અવગણના જ થઈ છે. આવું કંઈ જિન દ્રેજના કિસ્સામાં પણ થયું. આજે જિન વિશ્વભરની ખ્યાતનામ યુનિવર્સિટીમાં શિક્ષણ આપે છે, પરંતુ દેશમાં તેઓની વિદ્વતાનો ઝાઝો ઉપયોગ થયો નથી. ‘યુ.પી.એ.’ના કાળમાં તેઓ ‘નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ’ના સભ્ય રહ્યા હતા ત્યારે કેટલીક નીતિગત બાબતો ઠરાવવામાં તેમના સૂચન લેવામાં આવ્યા હતા. ભારતમાં ગ્રાઉન્ડ લેવલ માઇલો સુધી ચાલનારા સંશોધક તરીકે જિનનું નામ પંકાયેલું છે અને સાથે-સાથે તેઓ આ સ્થિતિનું વિશ્લેષણ કરીને સરસ રીતે મૂકી આપવાની પણ ક્ષમતા ધરાવે છે. નોબેલ સન્માન મેળવનારા ભારતીય મૂળના અમર્ત્ય સેન કે બ્રિટિશ-અમેરિકન એન્ગુસ ડિટોન હોય તેમની સાથે જિન અનેક સંશોધન કાર્ય કરી ચૂક્યા છે. આમ, દેશના પાયામાંથી ઉપર ઊઠેલું નામ પોતાના જીવન પર નવલકથા લખે તો તે રસપ્રદ જ બનવાની.
આ નવલકથાની પૃષ્ઠભૂમિનો જ્યાંથી આરંભ થાય છે તે વિશે ખુદ જિને નવલકથાની પ્રસ્તાવનામાં લખ્યું છે. જિન લખે છે : “પ્રથમ નજરે પાલનપુરનું નામ સાંભળીને તે એક નીરસ જગ્યા લાગી શકે. પાલનપુર નામ હિમાલચ પ્રદેશનું હિલ સ્ટેશન પાલમપુર નથી, ન તો તે ગુજરાતના બનાસકાંઠાનું કેન્દ્ર પાલનપુર છે. બલકે આ તો પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આવેલું ગામ છે. જારગાવ નામના નાનકડા રેલવે સ્ટેશનથી ત્રણ કિલોમીટરના અંતરે માટી અને ઇંટના ઝૂંપડીઓથી બનેલું આ ગામ છે.”
“અહીંયાનું સરેરાશ જીવન શાંતિભર્યું છે. ખેડૂત મહદંશે ખેતર તરફ જતાં હોય, ઘરની સ્ત્રીઓ તેમના બાળકો અને પાલતું પ્રાણીઓનો ખ્યાલ રાખે, બાળકોમાં રમતમાં ગુંથાયેલા હોય ને કેટલાંક નજીક આવેલા ચંદ્રૌસી ટાઉનમાં કામ અર્થે જતાં દેખાય. કેટલાંક વળી રેલવે સ્ટેશન પર પત્તાં રમે અને ચાની કિટલીઓ પર ચૂસકીઓ મારતા હોય. અહીંયા કોઈ અખબાર આવતું નથી, ન તો કોઈ રમત છે, ન વળી કોઈ સાંસ્કૃતિ મેળાવડો થાય છે કે ન કોઈ પ્રેમ કહાની છે. અહીંનો રોમાંચ, સુંદરતા, સગવડ, આશા એ બધું જ નાનીનાની ખુશીઓમાં છે – જેમ કે સૂર્યોદય, વિશેષ ભાણું અને ગમ્મત.”
પ્રસ્તાવનાના આ પૃષ્ઠો વાંચવાથી જ જિને ગ્રામિણ જીવનનો કેટલો લુફ્ત ઊઠાવ્યો છે તેનો ખ્યાલ આવી શકે. મહદંશે ભારતનું ગ્રામિણ જીવન આવું રહ્યું છે. વિશેષ કરીને જિન જે સમયનો એટલે કે નેવુંના ગાળાનો અનુભવ ટાંકે છે ત્યારે તો ગ્રામિણ ચિત્ર આવું જ જોવા મળતું. આજે શહેરોની આસપાસના નહીં પણ કેટલાંક આંતરિયાળ ગામોનું જીવન નિરાંતભર્યું રહ્યું નથી. આગળ જિન લખે છે : “જો કે ઘણી વખતે કેટલાંક પ્રસંગે ગામમાં કશું વૈવિધ્ય જોવા મળતું. જેમ કે લગ્ન, ઉત્સવ, ચૂંટણી અને કોઈ પ્રવાસી આવે ત્યારે. પૂર્વે અને આજે પણ કબ્બડીની રમત કેટલાંક દિવસોમાં લોકોને આકર્ષે છે. કેટલીક વખત ગામની આ રૂટીન લાઈફને વાદ-વિવાદથી, લૂંટ, અફવાહ, અકસ્માત અને સાહસિક પ્રેમ લગ્ન ભંગાણ પડતી.” અહીંયા જિન આઝાદી પછી આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરીને ગામડાંઓમાં આવેલા બદલાવનો પણ ઉલ્લેખ કરે છે.
જિને જે ગ્રામ્ય જીવનનું ચિત્ર આલેખ્યું છે તેમાં સૌ કોઈ પોતપોતાના ગામનો હિસ્સો જોઈ શકશે. તેમનો આ ગ્રામિણ અનુભવ તેમનું પીએચ.ડી. પૂરું થતા જ શરૂ થયો હતો. રિસર્ચ પ્રોજેક્ટ અર્થે તેઓ પાલનપુર નામના આ ગામમાં એક વર્ષ સુધી રહ્યા હતા. અહીંના આસપાસના ચૌંદોસી, મોરાદાબાદના ગામોનો તેમને અભ્યાસ કરવાનો હતો. તેઓ ભારતીય મૂળના બે સાથીઓ – એન. કે. શર્મા અને એસ.એસ. ત્યાગી – સાથે આ કામ કર્યું હતું. જિન લખે છે કે પાલનપુરના આ જીવન સાથે હું ઓતપ્રોત થઈ ગયો હતો અને ત્યાં મે ખૂબ મિત્રો બનાવ્યા અને સાથે કેટલાંક દુશ્મન પણ બન્યા. આ ઉપરાંત, તેમને ખેતી કરવાનો તરંગી ખ્યાલ પણ પાલનપુરમાં જ આવ્યો હતો. આ માટે તેમણે નાનો પ્લોટ લીધો અને શરૂઆતમાં તેમને ખેતી સફળ થતી જણાઈ પણ વરસાદ આવતાં જ જિનની ખેતી ધોવાઈ ગઈ.
નવલકથાનો પ્લોટનો ઉલ્લેખ કરીને જિન દ્રેજ શ્રીલાલ શુકલની ‘રાગ દરબારી’ નવલકથાનો ઉલ્લેખ કરે છે. જે હળવાશથી ગામડાંની ગંભીર વાસ્તવિકતાને ઉજાગર કરે છે. જે કથાવસ્તુમાં ઇર્ષ્યા છે, કાવાદાવા છે, કૌભાંડ છે અને હિંસા છે. પાલનપુરની આ વાસ્તવિકતા હતી. વર્ગ, જાતિ અને પુરુષ-મહિલા ભેદભાવનું જાણે આ દલલદ હતું. જિન આગળ લખે છે કે પાલનપુરના નિવાસ કર્યો ત્યાં સુધી આંબેડકર મારા વાંચવામાં નહોતા આવ્યા. પણ જ્યારે પછીથી આંબેડકરને વાંચવાનું થયું ત્યારે તેમણે 1948ની 4 નવેમ્બરે બંધારણ સભામાં કહેલી વાત વારંવાર મારા સ્મૃતિપટલ પર દસ્તક દે છે. આંબેડકરનાં ગામડાં અંગેના વિચારો અહીં જિને મૂક્યા છે. બાબાસાહેબ આંબેડકરનું માનવું હતું કે, આધુનિક મૂલ્યોના પ્રચાર તથા પ્રસાર માટે ગ્રામિણ સંરચના બાધારૂપ છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, ગામડાંઓ જાતીય અસમાનતા અને શોષણના પાયા પર આધારિત છે, જ્યાં લોકતંત્ર સંભવ નથી.
જિને પ્રસ્તાવનામાં લખેલી આ વાતો પરથી તેમના નવલકથાના કન્ટેન્ટની કલ્પના કરી શકાય. પ્રસ્તાવનામાં તો તેમણે ગ્રામિણ વાસ્તવિકતાની વાત કરી છે અને તે કરતાં તેઓ લખે છે કે, પાલનપુરમાં કંઈ બધી જ બદીઓ નહોતી. બલકે ત્યાં પણ પ્રેમ, મિત્રતા અને લાગણી જોવા મળતી. પ્રેમને લઈને જિને જે ચિત્ર ગ્રામિણ હિસ્સામાં જોયું છે તેનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, તમે ભારતીય ફિલ્મોનાં ગીતો જોવો-સાંભળો ત્યારે તમને બધે જ રોમાન્સ પ્રસરેલો દેખાય. પણ ખરેખર તેવું નથી. જો કોઈ યુવાન કે યુવતી પોતાના મનગમતા પાત્રોના સપનાં જોતાં હોય પણ તેઓને તે પસંદ કરવામાં મસમોટું જોખમ રહેતું. અહીં સતત તમને કોઈ જોતું રહે છે અને તે કારણે સપનાંનો પ્રેમ સંભવ બનતો નથી. 370 રૂપિયાનું આ પુસ્તકને ભારતના ગ્રામિણ સામાજિક જીવનનો એક ચિતાર છે અને તેનું અગત્યનું પાસું એ છે કે આ ચિતાર બે વિદેશીઓના દૃષ્ટિએ છે.
e.mail : kirankapure@gmail.com