અમદાવાદ જેવા મહાનગરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે કામ કરતાં- કરતાં ડૉ. નાનકભાઈ ભટ્ટને મળવાનું થયું અને તેમની સાથે મુલાકાત દરમિયાન શ્રમિક વિકાસ સંસ્થાન-વડોદરા દ્વારા ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં વંચિતોની વેદનાને વાચા આપી અને સામાજિક ન્યાય સાથે ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા વિશે જાણી હું પણ આ પ્રકારની કામગીરી કરવા માટે પ્રેરાયો, ત્યારે ડૉ. નાનક ભટ્ટ સંસ્થાના નિયામક તરીકે સેવા આપતા હતા. સૌપ્રથમ વડોદરા સંસ્થાના મુખ્ય કાર્યાલયમાં તેઓના માધ્યમથી ૧૯૯૪માં મુ. સનત મહેતાસાહેબને રૂબરૂ મળવાનું થયું અને ત્યાર બાદ ત્રણેક માસ સુધી મુખ્ય કાર્યાલયમાં કામગીરી કરવાનો અને સંસ્થાની પ્રવૃત્તિઓ જાણવાનો અવસર મુ. સનત મહેતાના સાંનિધ્યમાં પ્રાપ્ત થયો. જેને હું મારા જીવનનો અમૂલ્ય સમય અને મોકો ગણું છું. તેઓની પાસેથી સમયબદ્ધતા, કામનો ત્વરિત નિકાલ, લોકોના પ્રશ્નોને સાંભળી યોગ્ય ન્યાય મળે તેવું આયોજન કરવું, વ્યક્તિની ભૂલ હોય તો તરત જ જણાવવું. સતત વાંચન, લેખન અને નવું વિચારવું, જે શીખવા મળે તે જોવા મળ્યું છે. હા, ચોક્કસ કહીશ કે મહેતાસાહેબ ગુસ્સો બહુ કરે પરંતુ થોડા સમય પછી ફરીથી આપણને બોલાવી સાચી સમજ આપે, ઉપરાંત અન્ય નવી વ્યક્તિઓ સાથે પરિચય કરાવે અને આપણું મિત્રવર્તુળ મોટું બનાવડાવે. આમ ત્રણ માસના ટૂંકા ગાળાના સમયમાં ઑફિસના તેઓના સાંનિધ્યમાં કામ કરવામાં ઘણું જાણવા અને શીખવા મળ્યું જે મારા માટે અસ્મરણીય રહેશે.
ત્યાર બાદ આ સંસ્થાના મોટી ધરાઈ, તા. વલભીપુર, જિ. ભાવનગર સેન્ટરમાં ફિલ્ડ કાર્યકર તરીકે ભાલ વિસ્તારનાં ગામોમાં સોનાજીભાઈ પંચાસરાની સાથે રહીને સામાજિક પ્રવૃત્તિ એક વર્ષ કરવાની તક મળી અને પછી તો ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવા વાગરા તાલુકામાં ૧૯૯૫થી ૨૦૧૧ સુધી ૧૫ વર્ષ કરતાં પણ વધુ સમય મહેતાસાહેબના સતત માર્ગદર્શન હેઠળ આશ્રમશાળા આઈ.ટી.આઈ., લીગલ સેન્ટર, સંસ્કારકેન્દ્ર, સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ જળસ્રાવ વિસ્તાર વિકાસ-કાર્યક્રમ, આંખોના નેત્રનિદાન કૅમ્પ, ખેડૂત સંમેલન અને લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મશતાબ્દી-વર્ષ નિમિત્તે વાગરા શૈક્ષણિક સંકુલને પ્રખર ગાંધીવાદી ચુનીકાકા વૈદ્યના અધ્યક્ષપદે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીના મુખ્ય મહેમાનપદે ‘લોકનાયક જયપ્રકાશ નારાયણ સંકુલ’ નામાભિધાન કરવામાં આવ્યું, ત્યારે મુ. સનત મહેતાએ જણાવેલ કે વાગરા મતવિસ્તારની વિધાનસભાની બેઠક પર સૌ પ્રથમ વખત સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં હું પરાજિત થયો છતાં પણ આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ અને ૧૯૮૮/૮૯થી ગંધાર તેલક્ષેત્રે વિસ્તાર વિકાસ-કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિઓ શરૂ કરી, જેના પાયાના કાર્યકર રમણભાઈ કે. ચૌહાણે તેઓની મહેનત-અથાગ પરિશ્રમ અને લોકો સાથેના બેઠક-પરિચય દ્વારા આઈ.ટી.આઈ., બક્ષી પંચ આશ્રમશાળા તેમ જ યુવકો, બાળકો, મહિલાઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ સરકારશ્રીની યોજનાઓના અમલીકરણ ચલાવવાની શરૂ કરી. ૧૦૦ કરતાં પણ વધારે કાર્યકરોને સામેલ કરી રોજગારી અને ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડાયા જેમાં મારું યોગદાન પણ મહદ્દઅંશે રહ્યું, પરંતુ દરેક કાર્યક્રમમાં મહેતાસાહેબનું માર્ગદર્શન સતત મળતું રહ્યું અને તેના કારણે પાંચ એકર જમીનમાં સંસ્થાનું સ્વતંત્ર ઇન્ફાસ્ટ્રક્ચર સાથેનું સંકુલ ઊભું કરી શક્યા. હા, આ બધી પ્રવૃત્તિઓ કરવામાં અનેક આર્થિક, સામાજિક, રાજકીય મુશ્કેલીઓ આવી પરંતુ જેના લીડર (સેનાપ્રમુખ) બાહોશ અને અનુભવી હોય, તેને કોઈ આંચ આવતી નથી. આમ, અમો જાતે પણ અને કાર્યકરો પણ તૈયાર થયા. મહેતાસાહેબ કહેતા, આપણું કામ નર્સરી જેવું છે. રોપો તૈયાર કરવાનો, વટવૃક્ષ જાતે બની જશે અને આવા અનેક દાખલા છે કે સંસ્થાના કાર્યકરો આચાર્ય, ઇજનેર રાજકીય કાર્યકર વર્ગ-૧ના અધિકારી સુધી પહોંચ્યા છે અને સાહેબને યાદ કરશે તેમાં મારો પણ સમાવેશ થાય છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, તે ઉક્તિ અનુસાર તા. ૨૦-૮-૧૫ના સાહેબના અવસાનના સમાચાર જાણ્યા ત્યારે ખરેખર અમે એક વડીલની છત્રછાયા ગુમાવી છે, તેવું દુઃખ થયું, પરંતુ દુનિયામાં ખરેખર જરૂર છે, તેવી વ્યક્તિને આકસ્મિક આપણાં વચ્ચેથી આપણને છોડીને જવાના સમાચાર મળે છે ત્યારે ખૂબ જ આંચકો લાગે છે, પરંતુ તેઓનાં અધૂરાં કામો સાથે મળી પૂરાં કરીશું તે મહેતાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે.
‘જલ કી શોભા બૂંદ સે, ઉપવન કી શોભા ફૂલ,
હમારી શોભા આપસે, ઉસે ન જાયે હમ ભૂલ.’
એ-૯, પાવનપુરી વિભાગ-૧, જી.પી. કૉલેજરોડ, ભોલાવ, મુ. ભરૂચ – ૩૯૩ ૦૦૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 16