તાજેતરમાં નીતિ આયોગે બહુપરિમાણીય ગરીબીની એક ઈન્ડેક્સ બહાર પાડી છે. એ ઈન્ડેક્સ શાસ્ત્રીય સ્વરૂપની છે. પણ તેમાંથી આપણે કેટલાંક મુદ્દા નોંધીશું.
૧૯૯૦થી ‘યુનો’ના આશ્રયે ચાલતા વિકાસ કાર્યક્રમના એક ભાગરૂપે એક વાર્ષિક અહેવાલ પ્રગટ કરવામાં આવે છે અને માનવવિકાસ કહેવામાં આવે છે. એના આશ્રયે ૨૦૧૦થી બહુપરિમાણીય ગરીબીના પાસાની ચર્ચા ચાલે છે. એના એક ભાગરૂપે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે. દેશમાં પ્રવર્તતી ગરીબી માપવાનો આ એક પ્રયાસ માત્ર નથી. ગરીબીનાં વિવિધ પાસાઓને નોખા પાડીને તેને રાજ્યની નીતિથી કેવી રીતે હલ કરી શકાય એ પ્રશ્ન એના પાયામાં છે. આપણે અહીં ગરીબીના બદલે વંચિતતા શબ્દપ્રયોગ કરીશું.
માનવવિકાસના અહેવલામાં માનવીના વિકાસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એમાં આરોગ્ય, શિક્ષણ અને આવક અથવા જીવનધોરણને એક સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એના અનુસંધાનમાં વંચિતતાના પાસા નક્કી કરવામાં આવ્યાં છે. જેમ કે, સારા આરોગ્ય માટે વ્યક્તિને પૂરતું પોષણ મળવું જોઈએ. માતાઓને ખાસ કરીને પૂરતું પોષણ મળવું જોઈએ. એની સાથે સંકળાયેલો મુદ્દો બાળમૃત્યુનો છે. આ બધા નિર્દેશકો તૈયાર કરીને એનો ઉપયોગ સૂચક-આંક માટે કરવામાં આવ્યો છે તે જ રીતે શિક્ષણમાં છ વર્ષના શિક્ષણને આવશ્યક ગણવામાં આવ્યું છે અને બાળકો શાળામાં જતાં હોય તેને આવશ્યક ગણવામાં આવ્યું છે.
જીવનધોરણમાં જુદો અભિગમ અપનાવવામાં આવ્યો છે. એમાં રસોઈનું બળતણ, પીવાનું પાણી, સ્વસ્થતા, વીજળી, પાકું મકાન, સંપત્તિ એટલે કે રેડિયો, ટેલિવિઝન, વાહન અને રેફ્રિજરેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં બેંક એકાઉન્ટને દાખલ કરીને સંપત્તિનું એક સ્વરૂપ ઉમેરવામાં આવ્યું છે. આના આધારે વંચિતતાઓ નક્કી કરવામાં આવી છે. ભારતમાં એકંદરે લગભગ ૨૫ ટકા જેટલા લોકો વંચિતતા ભોગવે છે રાજ્યવાર ચિત્ર જોઈએ તો બિહારમાં ૫૧.૯૧% લોકો એક યા બીજી વંચિતતા ભોગવે છે. એ રીતે બિહારમા સૌથી ગરીબ રાજ્ય તરીકે ઉપસી આવે છે. એની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ૩૭.૭૯% લોકો એક યા બીજી વંચિતતા ભોગવે છે. આ ક્રમમાં ગુજરાત ૧૩મા ક્રમે છે જ્યાં ૧૮.૬૦% લોકો કોઈક વંચિતતા ભોગવી રહ્યાં છે આ બાબતમાં ગુજરાતથી આગળ રાજ્યમાં પંજાબ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યો છે. સૌથી ઓછું પ્રમાણ કેરળમાં છે. જે ૦.૭૧% છે. એ પછી ગોવામાં ૩.૭૬%, સિક્કિમમાં ૩.૮૨% અને તામિલનાડુમાં ૪.૮૯% લોકો કોઈક વંચિતતા ભોગવે છે એ નોંધપાત્ર છે કે જમ્મુ અને કાશ્મીરમાં વંચિતતા ભોગવવાવાળા લોકોનું પ્રમાણ ૧૨.૫૮% છે જે ગુજરાત કરતાં આછું છે. આમ, ગુજરાતનું ચિત્ર આમાં ઉજળું દેખાતું નથી.
બીજી રીતે જોઈએ તો પોષણથી વંચિત લોકોનું પ્રમાણ બિહારમાં ૫૧.૦૯% ગુજરાતમાં ૪૧.૪% અને કેરળમાં ૧૫.૩% છે. રસોઈનાં બળતણની બાબતમાં બિહારનો ૮૨.૯% અને ગુજરાતમાં ૪૮.૮% અને કેરળમાં ૪૩.૦૦% કુટુંબો હજીયે ગેસ વાપરતાં નથી. મકાનની બાબતમાં બિહારમાં ૭૩.૭% ગુજરાતમાં ૨૪.૨% અને કેરળમાં ૧૦.૮% કુટુંબો પાસે પાકું મકાન નથી. સંપત્તિનાં વિવિધ સ્વરૂપોથી વંચિત લોકોનું પ્રમાણ બિહારમાં ૨૪.૩% ગુજરાતમાં ૧૩.૬% અને કેરળમાં ૨.૯% છે.
આ સૂચક આંકની વિગતો જિલ્લા કક્ષાએ પણ આવી છે. એમાંથી જે જિલ્લાઓમાં વંચિતતા વધારે પડતી હોય એ જિલ્લાઓમાં સરકાર ખાસ ધ્યાન આપી શકે. જિલ્લાની વિગતો જોવાથી રાજ્યોમાં પણ કેટલી અસમાનતા પ્રવર્તે છે એ જોઈ શકાય છે. ગુજરાતમાં એકંદર વંચિતતા ૧૮% જ છે. પણ ડાંગ જિલ્લામાં તે ૫૭.૩૩% છે. બીજીબાજુ અમદાવાદ જિલ્લામાં એ પ્રમાણ ૫.૭% છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 04