કોરોનાનો વાઇરસ જ્યારથી વિશ્વના દેશોની પ્રજાઓને વળગ્યો છે, ત્યારથી જેમનું ધ્યાન ન હતું, તેવા લોકોનું ધ્યાન પણ જાહેર વહીવટની ગેરવ્યવસ્થા તરફ જવા લાગ્યું છે. બધાંને ખબર પડી છે કે આપણે વહીવટમાં નબળા છીએ. આપણે કામચોર અને અનિર્ણયાત્મક છીએ. નિયમોનું પાલન કરવાનું કે શિસ્તમાં રહેવાનું કદાચ આપણાં લોહીમાં નથી. ધીરજ અને સહિષ્ણુતા બન્ને આપણે બહુ ઝડપથી ખોઈ બેસીએ છીએ. આ અને બીજાં અનેક કારણોસર આપણે ત્યાં કાયદાનું શાસન એટલે કે ધોરણસરની વ્યવસ્થા સ્થાપવામાં આપણે કાચા પડીએ છીએ.
આપણી લોકશાહીની વ્યવસ્થા કંઈક એવી છે જેમાં સૌથી ટોચ પર ચુંટાયેલી સરકાર છે. તેનામાં કોઠાસૂઝ અને પ્રસ્થાપિત નિયમો અને પરંપરા પ્રત્યે જે પ્રકારનાં આદર અને સન્માન હોવાં જોઈએ, તે વરતાતાં નથી. ઘણી બધી વખત તો પોલીસ ઇન્સ્પેક્ટરની અદાથી આખું વહીવટી તંત્ર ચલાવાય છે. રાજકીય દખલગીરી ઘટવી જોઈએ. તેના બદલે અતિશય પ્રમાણમાં તે વધતી ચાલી છે. વાત તો સારા વહીવટની અને ઓછા વહીવટની થતી હતી, પણ એ તો પોથીમાંનાં રીંગણાં સમાન બની રહેલ છે. આપણે ત્યાં રાજકીય દખલ ઘટે એ અપેક્ષિત છે, પરંતુ આખો માહોલ વિપરીત દિશાનો છે.
ગુજરાત વાવાઝોડાંમાંથી પ્રમાણમાં ઓછા નુકસાનથી બહાર આવી ગયું, પરંતુ ‘યસ’ નામના વાવાઝોડાએ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ઘણું નુકસાન વેર્યું છે. આપણા વડા પ્રધાન કોઈ પણ ચૂંટણી વખતે બેફામ વાણી-વિલાસમાં વિહરતા હોય છે. પછી બધું સમથળ થવા દેવાને બદલે રાજકીય કિન્નાખોરી, દ્વેષ અને વેરભાવના પ્રગટાવતાં રહે છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય સચિવ સાથેની જે કંઈ ઘટના બની તે અત્યારનું અતિ મહત્ત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. આ બધા ઘોંઘાટમાં ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કેન્દ્ર સરકાર કોવિડમાં વ્યસ્ત હોવાને કારણે તેની પાસે કોઈ મોટા રાહત પૅકેજની માંગણી ન કરી એ ‘પૉઝિટિવ’ સમાચાર ભાગ્યે જ અખબારોમાં હેડલાઈન બનીને ચમક્યા ! સંજોગો અને પરિસ્થિતિ મુજબનું આદર્શ વર્તન કેવું હોઈ શકે તેનું ઉદાહરણ આ મુખ્ય મંત્રીએ પૂરું પાડ્યું.
આપણું રાજ્ય સમવાયતંત્રી છે. એટલે કે સત્તા વિકેન્દ્રિત રીતે રાજ્યોમાં વહેંચાયેલી છે, રાજ્યો કેન્દ્ર સાથે જોડાયેલાં છે. કેન્દ્ર અને રાજ્ય બન્ને પરસ્પર અનેક રીતે જોડાયેલાં છે. બંધારણે અનેક રીતે આ સંબંધની શક્તિ અને મર્યાદા કેટલીક જોગવાઈઓ દ્વારા સ્પષ્ટ કરી આપી છે. કેન્દ્રનો હાથ ઉપર રહે એ સ્વાભાવિક છે પરંતુ રાજ્યો એવા તાબેદાર નથી એ રીતે કેન્દ્રે વર્તવાનું છે. રાજ્યપાલની નિમણૂક વખતે કે મુખ્ય સચિવની નિમણૂક વખતે તેણે આદર્શ પરામર્શકની ભૂમિકા અદા કરવાની છે. આદર્શો વ્યવહારમાં ક્યાં ય જણાતા નથી એ જ મોટી મુશ્કેલી છે.
ટોચનો વહીવટી સંવર્ગ પણ પોતાની ભૂમિકા બરાબર સમજતો નથી અને અદા કરતો નથી. રાજકીય સરકારો વફાદારીની અપેક્ષા રાખે છે અને આ સર્વોચ્ચ અધિકારીઓ સ્થૂળ લાભો મેળવવા માટે સ્પર્ધામાં ઉતરે છે. છાણના દેવને કપાસિયાની આંખો જેવો ઘાટ ચાલ્યા કરે છે. તેઓ અંતે વહીવટી પ્યાદાં બનીને અટકી જાય છે.
અદાલતોએ આ સમયમાં ઘણું જોર બતાવવા માંડ્યું છે. તેથી પ્રશ્ન એ ઊભો થાય છે કે રાજવહીવટ સરકાર ચલાવશે કે અદાલતો ? પારદર્શકતા અને આંકડાઓની પારદર્શકતા એનો તો ઘડોલાડવો થઈ ગયો છે. કોઈ પણ બાબતના અધિકૃત આંકડા, વિશ્વસનીય આંકડા આપણી પાસે ઉપલબ્ધ ન હોય, તો કરવામાં આવતું આયોજન ધૂળ પરનું લીંપણ બની રહે તે સાવ સ્વાભાવિક છે. સરકારોએ પોતાના સ્વાર્થી રાજકારણથી વહીવટની કમર તોડી નાખી છે. સંનિષ્ઠ, પ્રામાણિક, હિંમતવાળા, કાયદાની શિસ્ત પ્રમાણે ચાલનારા અધિકારીઓ આજના સમયમાં ખૂણો પાળવો પડે એવી દશામાં મુકાઈ ગયા છે. મુખ્ય સચિવને વહીવટી રીતે નાથવામાં નિષ્ફળ જતું તંત્ર હવે વેરભાવનાથી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળ તેને સજા કરવા પર આવી ગયું છે!
પ્રત્યેક વરિષ્ઠ સનદી અધિકારીનું સ્વપ્ન કારકિર્દી દરમિયાન મુખ્ય સચિવપદે પહોંચવાનું હોય છે. પછી મુખ્ય સચિવપદની ગરિમા તંત્રના એક ઑમ્બુડ્ઝમેનની રીતે અદા કરવાની હોય છે. આવી વ્યાપક ફરજ અને નિષ્ઠા તેમનામાં રોપાયેલી છે, એવી સમજ તેમનામાં પણ ઊતરતી નથી. પૂર્વસરકારોને દોષ દેવાથી પોતે ઊજળા દેખાઈ શકતા નથી ત્યારે ઘાંઘા થયા સિવાય કે અંધારામાં આથડવા સિવાય બીજી કોઈ નિયતિ તેમની પાસે બચતી નથી. જે જોઈ શકે છે, તેને આ બધું અતિ સ્પષ્ટ રીતે દેખાય છે, પરંતુ કેટલાક આંખ આડા કાન કરવામાં અને કોઈકના ખોળે બેસી જવામાં વફાદારીની સલામતી શોધે છે.
પત્રકાર રમેશ ઓઝા ગાઈ-વગાડીને વારંવાર કહે છે તે મુજબ જમણેરી વિચારધારાનાં તંત્રો ધોરણસરનું શાસન કરવામાં માનતાં નથી હોતાં અને ધોરણસરનો વહીવટ આપી નથી શકતા. પોતાના અસ્તિત્વને અને પોતાની પ્રભાવી સત્તાને ટકાવી રાખવા માટે આવી અવ્યવસ્થા સર્જવી અને ચાલવા દેવી એ એમની કદાચ વ્યૂહરચના હોય છે. આવા નિરાશાજનક માહોલમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની હાલની ભૂમિકા કંઈક આશા જગવે છે, જેના અણસાર સી.બી.આઈ.ના વડાની પસંદગીના પ્રક્રિયામાં અને રાજદ્રોહનો કેસો અને તેની કાયદાકીય જોગવાઈ બાબતે જે પુનઃવિચારણા તેઓ હાથ ધરી રહ્યા છે, તેમાં વર્તાય છે. એમાંથી પ્રેરણા લઈને પ્રત્યેક જાગ્રત અને સંવેદનશીલ નાગરિકે પોતે જ્યાં હોય ત્યાંથી પોતાને ફાળે આવતી જવાબદારી વ્યાપક દેશહિતમાં અદા કરવાની રહે છે.
સરહદ ઉપર સલામતી જોખમાય તેવાં છમકલાં થાય છે ત્યારે આપણી જે રીતે ઊંઘ ઊડી જાય છે તેવું દેશના આંતરિક માહોલમાં સર્જાય છે ત્યારે મોટે ભાગે આપણને ખબર સુધ્ધાં પડતી નથી. આપણે સબસલામતની આલબેલ પોકારીને લાંબી સોડ તાણતા રહીએ છીએ. લોકશાહી આપણી પાસે સતત જાગૃતિ અને સતત સાવધાનીની અપેક્ષા રાખે છે.
e.mail : dankesh.oza20@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 10