ચતૂર-લુચ્ચા-પાક્કા-ખંધા ગણાતા ચીનાઓ કોઈને બદદુઆ આપવા માગતા હોય ત્યારે સીધું એવું ન કહે કે જા, તારું ધનોતપનોત નીકળી જાય … કે તું નરકમાં સબડે … ના, આવી બધી આકરી વાતો કહેવાને બદલે એ લોકો શ્રાપ આપવો હોય ત્યારે પ્રેમથી, ધીમેથી, નજાકતથી એવું કહે કે “જા, તું રસપ્રદ સમયમાં જીવીશ.”
રસપ્રદ સમય કેવો હોય? એ સપાટ-નીરસ-કંટાળાજનક ન હોય. એ ઘટનાપ્રચૂર હોય. આવો સમય મોટે ભાગે ઉથલપાથલવાળો અને અંધાધૂંધીભર્યો હોય છે. આવા સમયમાં સામાન્ય રીતે માણસની વાટ લાગતી હોય છે. એટલે, “તું રસપ્રદ સમયમાં જીવીશ” એમ કહીને અસલમાં ચીનાઓ કહેવા એવું માગતા હોય છે કે “જા, તારી વાટ લાગે … (જેથી હું રાજી થાઉં).”
અંતિમો રસપ્રદ હોય છે, પણ એ આકરા હોય છે. ક્યારેક અંતિમો પર જવું પડે તો ઠીક છે, જઈ આવવાનું, પણ પછી ત્યાં અડિંગો જમાવવો ઠીક નથી. ક્યારે મન થાય, હિંમત થાય, તાકાત હોય તો એવરેસ્ટ પર ચડી આવવાનું, પણ પછી એવરેસ્ટ પર થોડી વાર રોકાઈને (સેલ્ફી-બેલ્ફી પાડીને) ડાહ્યા થઈને નીચે ઊતરી જવાનું. ક્યારેક દીકરો અંતિમ કક્ષાનું કોઈ તોફન કરે ત્યારે એને સારા-નરસાનું ભાન કરાવવા આકરી સજા ચોક્કસ કરી શકાય, પણ પછી સતત તેની સાથે હિટલર-મોડમાં નહીં રહેવાનું. પાકિસ્તાન બહુ આડું ચાલે તો ક્યારેક તેને યાદ રહી જાય એવો જોરદાર પાઠ જરૂર ભણાવી શકાય, પણ પછી સતત એની સાથે ખીચપીચ નહીં કરવાની. ક્યારેક ચૂંટણી આવે ત્યારે આ કે તે પક્ષને મત આપી દેવાનો, પરંતુ મત આપી દીધા પછી પણ સતત ગમતા પક્ષની તરફેણમાં કે ન ગમતા પક્ષના વિરોધમાં રાડારાડી નહીં કરવાની.
મુદ્દો આ છે. કોઈને આ પક્ષ ગમે, કોઈને તે પક્ષ ગમે. કોઈને આ વિચારધારા ગમે, કોઈને તે વિચારધારા ગમે. કોઈને આ નેતા સારો લાગે, કોઈને તે નેતા સારો લાગે. બરાબર છે. વાસ્તવિકતા આવી જ હોવાની, પણ પક્ષ-વિચારધારા-નેતા પ્રત્યેના લગાવ કે દુર્ભાવની લાગણી જો એકદમ તીવ્ર રૂપમાં મગજમાં સતત સળવળતી રહે, માણસ મધ્યમમાર્ગ છોડીને અંતિમ છેડે અટવાતો રહે તે વ્યક્તિ માટે પણ ખરાબ છે અને દેશ માટે પણ હાનિકર્તા છે.
પહેલાં વ્યક્તિની વાત કરીએ. કોઈ એક છેડે અટકી રહેવું એ ટેન્શનનું કામ છે. લોલકને જ જુઓ. એ ડાબે છેડે જાય, પછી જમણે છેડે જાય, પણ એ છેડા પર અટકી ન રહે. છેડા પર એ હોય ત્યારે એ ટેન્શનમાં હોય, એને છેડા પર ટકાવી રાખવા માટે શક્તિ ખર્ચવી પડે. એ જો વચ્ચે ઊભું હોય તો એ શાંત, સ્વસ્થ, સ્થિર રહે.
એમ માણસે શાંત, સ્વસ્થ, સ્થિર રહેવું હોય તો એણે છેડે ટીંગાઈ રહેવાને બદલે વચ્ચે રહેવું જોઈએ, આત્યંતિકતાઓ ટાળવી જોઈએ. ગૌતમ બુદ્ધ એટલે જ તો મધ્યમ માર્ગને શ્રેષ્ઠ ગણતા. એ કહેતા, ખૂબ દેહદમન કરનારી તપસ્યા પણ ખોટી અને શરીરને ખૂબ લાડ લડાવવાનો અભિગમ પણ ખોટો, વચ્ચે રહો.
અને ગીતા … ગીતા શું કહે છે? એમાં જે સૌથી મહત્ત્વનો પાઠ શીખવાયો છે એ છે સ્થિતપ્રજ્ઞતાનો.
રાગ સહેલો છે, દ્વેષ સહેલો છે, પણ સ્થિતપ્રજ્ઞતા અઘરી છે. કોઈને ચાહવાનું સહેલું છે, કોઈને ધિક્કારવાનું સહેલું છે, પણ વચ્ચેની સમતા અઘરી છે.
એ અઘરી છે, પણ એ ગુણકારી છે (કડવા લીમડાની જેમ).
ટૂંકમાં, અતિ ઉત્તેજના, આત્યંતિકતા માણસને થકવી નાખે છે, નીચોવી નાખે છે, ટેન્શનમાં રાખે છે. માટે, જો તમારે જીવનમાં સ્વસ્થતા, સમતા, શાંતિ, સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા જોઈતાં હોય તો વચલો મારગ સારો પડે.
હવે વાત કરીએ દેશની. એ તો નાનું બચ્ચું પણ સમજી શકે તેમ છે કે દેશમાં પણ જો નાગરિકો સામસામે છેડે ખૂબ ખેંચાખેંચી કરે તો દેશ તૂટી શકે છે. આ બધું આપણે બહુ સ્પષ્ટપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. ભારત અને પાકિસ્તાન છૂટા પડયા તેનું કારણ માત્ર આ જ છેઃ મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચેની ખેંચતાણ.
નાગરિકો છેડા પર બેસવાનું પસંદ કરે ત્યારે આવું થવાનું જ. હિન્દુ-મુસ્લિમ વચ્ચેની તંગદિલીને પ્રોત્સાહન મળતું રહેશે તો લખી રાખો, દેશના હજુ વધારે ભાગલાઓ થશે. આવું ન થવા દેવું હોય, દેશ જો તમને ખરેખર પ્યારો હોય, જો તમે સાચા અર્થમાં રાષ્ટ્રવાદી હોવ, તો …
તો એક કામ કરજો, આ એક મધ્યમમાર્ગી ટ્રિક અપનાવી જોજો. મજા આવશે.
હવે ૧૭ દિવસ પછી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. એ માટે અત્યારથી નક્કી કરી રાખો કે પરિણામના દિવસે હું એક નાનકડી પાર્ટી આપીશ.
પાર્ટી શું કામ? આ બેમાંના કોઈ એક કારણસર …
પહેલું કારણઃ મેં જેને મત આપેલો એ પક્ષ, એ ઉમેદવાર, એ નેતા, એ વિચારધારાની જીત થઈ, માટે પાર્ટી…
અથવા, બીજું કારણઃ મેં જેને મત આપેલો એની હાર થઈ, પરંતુ બહુમતીને જે પ્રિય હતાં એ વિચાર-વ્યક્તિ-પક્ષને વધુ મત મળ્યા. બહુમતી ભલે મારાથી જુદું વિચારતી હોય, પણ છેવટે તો એ મારાં જ ભાઈ-બહેનો છે (યાદ કરો પેલું પ્રતિજ્ઞાપત્રઃ બધાં ભારતીયો મારાં ભાઈ-બહેન છે). અને બહુમતીની ઇચ્છાનું જ્યાં માન જળવાતું હોય એવી જે સિસ્ટમ છે એનું જ તો નામ છે, લોકશાહી. મતલબ કે પરિણામમાં મારા મતની ભલે જીત ન થઈ, પણ બહુમતીની જીતી થઈ, લોકશાહીની જીત થઈ … એટલે મારે પાર્ટી તો આપવી જ રહી.
આને કહેવાય, બે બાજુનું સુખ.
સરવાળે કહેવાનું ફ્ક્ત એટલું જ છે કે માનવસહજ ગમા-અણગમાના મામલે એકદમ છેડે જતાં રહેવાને બદલે વચ્ચે રહેવું, સ્વસ્થ રહેવું. પછી લોકો ભલે તમને વચ્ચેવાળા … ડબલ-ઢોલકી … તકવાદી … ઢીલા … નબળા … કાયર … વગેરે જે કોઈ વિશેષણોથી નવાજવા હોય તે વિશેષણથી નવાજે … ભલે વચ્ચેના મારગ પર બહુ ઓછા લોકો હોય … ભલે વચ્ચેના મારગ પર કાંટા હોય … પણ વચ્ચેનો મારગ, સમતાનો મારગ, સ્વસ્થતાનો મારગ છે શૂરાનો. એ છોડવા જેવો નથી. બાકી જેવી તમારી મરજી.
facebook .com / dipaksoliyan
સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 મે 2019