ગયા સપ્તાહે ભારતીય સૈન્યે ટ્વિટર થકી જાહેર કર્યું કે તેની ‘એક પર્વતારોહક સૈન્ય ટુકડીને રહસ્યમય પ્રાણી યેતિનાં રહસ્યમય પદચિહ્નો (ફૂટપ્રિન્ટ્સ) મળ્યાં છે. ૩૨ ઈંચ લાંબા અને ૧૫ ઈંચ પહોળા આ પગનાં નિશાન મકાલુ બેઝ કેમ્પ પાસેનાં છે. અગાઉ પણ આ ભેદી હિમમાનવ મકાલુ-બરુન નેશનલ પાર્ક નજીક જ દેખાયો હતો.’ સૈન્યે ભારપૂર્વક કહ્યું કે આ બાબતને તેની પાસે તસવીરી અને વીડિયો પુરાવા છે, જે તે નિષ્ણાતોને આપશે.
વિજ્ઞાનમાં, અને ખરેખર તો સૈન્યમાં પણ, નકરા હોંશીલા દાવાથી નથી ચાલતું. સૈન્ય તરફ્થી ફ્ક્ત પગલાંની તસવીર મૂકીને તે કહેવાતા હિમમાનવની હોવા વિશે અટકળ કરાઈ હોત, તો તે કંઇક વાજબી ગણાત. એને બદલે સીધેસીધું જાહેર જ કરી દેવાયું કે આ પદચિહ્નો યેતિનાં છે. એટલું જ નહીં, તેના પણ પુરાવા છે.
રહસ્યમય અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓમાં હિમમાનવ મોસ્ટ વોન્ટેડ છે. પ્રચલિત માન્યતા પ્રમાણે યેતિ અર્ધમાનવ-અર્ધવાનર છે. વિશ્વભરના વિજ્ઞાનવાળા ને બીજા લોકોને તેની તલાશ છે અને તેના હોવા વિશે ગળા સુધીની શંકા છે. એવા સંજોગોમાં યેતિ ઉર્ફે હિમમાનવના અસ્તિત્વની છડી પોકારીને સૈન્યપ્રવક્તાએ જશ ખાટી લેવાની નેતાસહજ ઉતાવળનો પરચો આપ્યો છે. આખી વાતને હળવાશને બદલે કંઈક ગૌરવની છાંટ સાથે રજૂ કરવામાં નથી ઔચિત્ય કે નથી વિજ્ઞાન. એવો દાવો હાસ્યાસ્પદ ન બને તો જ નવાઈ.
યેતિ અને એ પ્રકારનાં બીજાં રહસ્યમય પ્રાણીઓનું અસ્તિત્વ અટકળો ને દાવાઓથી આગળ, હજુ સુધી કદી પુરવાર થયું નથી. માટે, તેમને પ્રાણીશાસ્ત્ર(ઝૂલોજી)માં સ્થાન મળતું નથી. ગઈ સદીમાં તેના માટે ચલણી બનેલો શબ્દ છેઃ cryptid (રહસ્યમય કે સંદેહાસ્પદ પ્રાણીઓ) પરથી cryptozoolgy. તેમાં બર્ફીલા પહાડી વિસ્તારોમાં વસતા મનાતા હિમમાનવોથી માંડીને રાક્ષસી કદનાં જળચરોનો સમાવેશ થઈ શકે. ઊડતી રકાબીની જેમ આવા જીવોનો પણ હજુ સુધી નિર્ણાયક કહેવાય એવો આમનોસામનો થયો નથી. કોઈ તેનાં પગલાં જોયાં, તો કોઈએ વાળ ને દાંત ને એવી ચીજો ભેગી કરી. આવી કથાઓમાંથી વાર્તારસ આવે એ જુદી વાત છે, પણ વાત ગંભીર, વિજ્ઞાનલક્ષી ચર્ચાની આવે ત્યારે માપદંડ અને ધારાધોરણ બદલાઈ જાય છે.
વિજ્ઞાનીઓ-સંશોધકો સાબિતી અને પુરાવા માગે છે, શોધે છે અને મળે નહીં ત્યાં સુધી આવા વરઘોડામાં જોડાઈ જતા નથી. (કેટલાક ઉત્સાહીઓ દરેક ક્ષેત્રમાં હોય છે, તે અપવાદ) યેતિ સંશોધકો માટે પણ પ્રિય વિષય રહ્યો છે. તેને શોધવા માટેની સાહસયાત્રાઓ થઈ છે, પ્રતિષ્ઠિત વિજ્ઞાનસામયિકોમાં તેના વિશે લેખ લખાયા છે, તેના વિશે મળેલા કહેવાતા પુરાવાની ચર્ચા અને તાવણી થઈ છે, તેના કહેવાતા અવશેષોની ચકાસણી માટે જિનેટિક્સની આધુનિક ટેક્નોલોજી ખપમાં લેવાઈ છે. પણ યેતિનું અસ્તિત્વ પુરવાર કરવાના મામલે, અત્યાર લગીની બધી કવાયતનું પરિણામ શૂન્ય આવ્યું છે.
તેમ છતાં હિમમાનવની કલ્પનાનો રોમાંચ ઓછો થયો નથી. બરફ્માં એક તોતિંગ પગલું અને તેનું કદ દર્શાવવા માટે તેની બાજુમાં મુકાયેલી પર્વતારોહણમાં વપરાતી કુહાડી–આવી એક તસવીર ૧૯૫૧માં લેવાઈ હતી, જે હજુ સુધી યેતિની કથા સાથે સંકળાયેલી સૌથી જાણીતી તસવીર છે. અગોચર સૃષ્ટિ વિશેનાં પુસ્તકોથી માંડીને, યેતિને નકાર્યા કે સ્વીકાર્યા વિના કેવળ માહિતી એકઠી કરતાં પુસ્તકો-લેખોમાં યેતિના ત્રણ મુખ્ય પ્રકારો પણ પાડવામાં આવ્યા છે. તેમાં એક વામન, એક મધ્યમ કદનો અને એક વિરાટ હોવાનું કહેવાય છે. વિરાટ યેતિ હિમાલયમાં નેપાળ અને ચીનની આસપાસના વિસ્તારોમાં વસતો હોવાની માન્યતા છે. એવી જ રીતે બીજા બર્ફીલા પહાડોમાં તેની વિવિધ આવૃત્તિઓ વસતી હોવાની અટકળ છે. પ્રદેશ પ્રમાણે તે સ્નોમેન, બિગ ફૂટ જેવાં વિવિધ નામે ઓળખાય છે.
ટિનટિનની કથાઓથી માંડીને નેપાળની લોકસંસ્કૃતિમાં યેતિ લોકપ્રિય છે. નેપાળમાં તો ‘યેતિની ખોપરી’નું ઘણું મહત્ત્વ છે. કેટલીક વિધિઓમાં અમુક પ્રાણીની ખોપરીને ‘યેતિની ખોપરી’ ગણીને તેનો ઉપયોગ થાય છે. કેટલાક પરદેશી સંશોધકો આ વાત સમજ્યા વિના, ખોપરીને લઈ જઈને તેનાં પરીક્ષણ કરાવે અને તે કોઈ પ્રાણીની નીકળે, એટલે ‘વૈજ્ઞાનિક આધાર સાથે’ યેતિની માન્યતા નકારે છે. નેપાળમાં યેતિ દંતકથા અને પરંપરાનો મામલો છે. તેનાથી યેતિની કથાનું મહત્ત્વ પુરવાર થાય છે, તેનું અસ્તિત્વ નહીં. તેમ છતાં એવરેસ્ટખ્યાત એડમંડ હિલેરીથી માંડીને બીજા ઘણા સાહસિકો યેતિની શોધમાં હિમાલયના પ્રવાસ ખેડી ચૂક્યા છે. ૧૯૬૦માં ખેડેલી આવી એક સાહસયાત્રામાં હિલેરીને એક બૌદ્ધ મઠમાંથી યેતિની ખોપરી મળી આવી હતી. તેની વૈજ્ઞાનિક તપાસ માટે ખાસ પરવાનગી મેળવીને હિલેરી તેને સાથે લઈ ગયા. પણ તે હિમાલયમાં વસતા એક પ્રકારના હરણની નીકળી.
યેતિની અત્યાર લગીની તપાસનું પરિણામ એ દંતકથાને પુરવાર કરવામાં ભલે શૂન્ય રહ્યું હોય, પણ પદ્ધતિસર થતી વૈજ્ઞાનિક તપાસ સાવ વ્યર્થ કદી જતી નથી. ‘સાયન્ટિફ્કિ અમેરિકન’ માસિકના અહેવાલ પ્રમાણે, દસ્તાવેજી ફ્લ્મિો બનાવતી એક કંપનીએ વર્ષ ૨૦૧૩માં ન્યૂયોર્કની યુનિવર્સિટી ઓફ બફેલોનાં જનીનશાસ્ત્રી શાર્લોટ લિન્ડક્વિસ્ટનો સંપર્ક કર્યો. યેતિની શોધમાં ગયેલી કંપની પાસે બરફ્માંથી મળેલા અને યેતિના હોઈ શકતા એવા કેટલાક નમૂના હતા. (વાળ, દાંત વગેરે). લિન્ડક્વિસ્ટે આધુનિક પદ્ધતિથી તેની તપાસ કરતાં માલુમ પડયું કે એ હિમાલયમાં થતાં વિવિધ પ્રકારનાં રીંછના અવશેષ હતા. તેમાંથી એકાદ પ્રકારનું રીંછ તો હવે લુપ્ત થવાના આરે હતું. પણ એકેયનું અસ્તિત્વ રહસ્યમય ન હતું. તેમના વિશે વિજ્ઞાનીઓ બધું જાણતા હતા.
યેતિના અસ્તિત્વ પર એ નમૂના પૂરતી ચોકડી મુકાઈ, પણ નમૂનાની ડી.એન.એ. તપાસ પરથી લિન્ડક્વિસ્ટને બીજી કેટલીક ઉપયોગી માહિતી મળી. સામાન્ય રીતે કોષના કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોમાંથી ડી.એન.એ.ની તપાસ થતી હોય છે. પણ લિન્ડક્વિસ્ટે કોષના પાવરહાઉસ જેવા કણાભસૂત્ર(માઇટોકોન્ડ્રિયા)માં રહેલા ડી.એન.એ.ની પણ તપાસ કરી. પ્રાણીની વિવિધ જાતિઓને એકબીજાથી જુદી તારવવામાં આ પ્રકારનાં ડી.એન.એ. ઉપયોગી હોય છે. બંને પ્રકારનાં ડી.એન.એ.ની તપાસ પરથી તેમણે તારવ્યું કે લગભગ સાડા છ લાખ વર્ષ પહેલાં હિમનદીઓની હલચલના પ્રતાપે એક જ પ્રકારનાં રીંછ બે ભાગમાં અને પછી બે પ્રકારમાં વહેંચાયાં. તેમાંથી ઉત્ક્રાંતિના પ્રતાપે જતે દિવસે હિમાલયન બ્રાઉન બેર અને તિબેટિયન બ્રાઉન બેર એમ બે જાત અસ્તિત્વમાં આવી. અગાઉ ૨૦૧૩માં આવી જ રીતે યેતિના નામે ગપગોળા ચગ્યા હતા, ત્યારે તેના ડી.એન.એ.નો અભ્યાસ કરતાં, પ્રાચીન કાળમાં ધ્રુવપ્રદેશમાં વસતા એક પ્રાણીનો પત્તો મળ્યો હતો.
તુક્કાને તીર તરીકે રજૂ કરતા ‘તીરંદાજો’ને બદલે તુક્કામાંથી તીર નીપજાવતા વિજ્ઞાનને અને વૈજ્ઞાનિક અભિગમને સલામ.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 મે 2019