હિન્દુત્વવાદીઓ કહે છે કે દેશના ૮૫ ટકા હિંદુઓ સામે ૧૫ ટકા વિધર્મીઓ, મુખ્યત્વે મુસલમાનો તરફથી ખતરો છે. તેઓ સંગઠિત છે, દેશના દુ:શ્મનો છે, હિંદુઓને નફરત કરે છે, વગેરે વગેરે. તેઓ શું કહે છે એ તો તમે જાણો જ છો. તમારામાંથી કેટલાક ડરતા હશે, કેટલાક રડતા હશે અને કેટલાક મુસલમાનોને લલકારતા હશે. અલબત્ત, ટોળાંમાં અને આપણી સરકાર હોય ત્યારે જ. બીજી બાજુ ૮૫ ટકા બહુજન સમાજ(એમ ઉજળિયાત જ્ઞાતિઓને છોડીને બધી જ જ્ઞાતિઓ, દલિતો અને અને આદિવાસીઓનો સમાવેશ થાય છે)ના લોકો કહે છે કે અમને સવર્ણો તરફથી ખતરો છે, તેમનું દેશમાં વર્ચસ્વ છે, તેઓ દરેક વગદાર જગ્યાએ બેઠા છે, તેઓ અમને આગળ આવવા દેતા નથી, વગેરે વગેરે. તમારામાંથી કેટલાક લોકો આમ માનતા હશો અને તમારામાંથી કેટલાક લોકો એવા પણ હશે જે આ “અનામતિયાઓ” માટે નફરત ધરાવતા હશે. નફરત ધરાવનારાઓ કોણ છે અને શા માટે નફરત ધરાવે છે એ તમે જાણો છો.
પ્રશ્ન એ છે કે આ બેમાંથી સાચું કોણ? પંદર ટકાથી પણ ઓછા મુસલમાનો ૮૫ ટકા હિંદુઓ સામે ખતરો પેદા કરે અને હિંદુઓ ડરે એ જરાક બેહૂદું નથી લાગતું? છાતી પીટતા અને રુદન કરતાં શરમ આવે એવી આ વાત નથી? અને કોણ છે આ મુસલમાન? એમાંના ૮૦ ટકા મુસલમાનો તો ગરીબ અને અલ્પશિક્ષિત છે. બીજું વહીવટીતંત્રમાં, ન્યાયતંત્રમાં, પોલીસમાં, સંરક્ષણ દળોમાં, લશ્કરમાં, રાજકારણમાં, સત્તામાં, પત્રકારત્વમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં, કેટલા મુસલમાનો છે? કોઈ મહત્ત્વની જગ્યાએ મુસલમાન હોય એવું કેટલા પ્રમાણમાં જોવા મળે છે? આનું કારણ માત્ર એ નથી કે તેઓ લઘુમતીમાં છે, આનું મુખ્ય કારણ એ છે કે ભારતીય મુસલમાનો પણ જ્ઞાતિગ્રસ્ત છે. અશ્રફી (વગદાર કહો કે સવર્ણ મુસલમાન) મુસલમાન અજલફી (ગરીબ, પછાત, અવર્ણ) મુસલમાનને એટલો જ પ્રેમ કરે છે જેટલો બ્રાહ્મણ દલિતને કરે છે. કોઈ સામંજસ્ય નથી મુસલમાનો વચ્ચે અને છતાં ય ડરાવનારાઓ અને રડાવનારાઓ દેશની ૮૫ ટકા પ્રજાને કહે છે કે ૧૫ ટકા મુસલમાનો સંગઠિત છે અને હિંદુઓ સામે ખતરો છે. ભારતમાં મુસલમાનો હાંસિયામાં હતા અને છે.
પણ જ્યારે ૮૫ ટકા અવર્ણ હિંદુઓ અને દલિતો તેમ જ આદિવાસીઓ એમ કહે કે દેશમાં અમારી આટલી મોટી સંખ્યા હોવા છતાં ય અને આઝાદીના ૭૫ વરસ વીતવા છતાં ય અમે હજુ પણ પછાત છીએ, અમારી સાથે હજુ પણ સમાન વ્યવહાર કરવામાં આવતો નથી તો તેમની વાત ખોટી છે? હમણાં એક સર્વેમાં જાણવા મળ્યું કે કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયોમાં કામ કરતા ૯૦ આઇ.એ.એસ. સચિવો(સેક્રેટરી)માંથી માત્ર ચાર જ સચિવ અન્ય પછાત વર્ગના છે અને દલિત તેમ જ આદિવાસી સમાજમાંથી એક પણ નથી. તમે પોતે તમારી આજુબાજુમાં ખાતરી કરી લો. વહીવટીતંત્રમાં, ન્યાયતંત્રમાં, પોલીસમાં, સંરક્ષણ દળોમાં, લશ્કરમાં, પત્રકારત્વમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને બેઠા હોય એવા કેટલા પછાત વર્ગના હિંદુઓ છે? રાજકારણમાં અને સત્તામાં હોવા છતાં ય.
એક બાજુ છે કાલ્પનિક ભય અને કાલ્પનિક રુદન અને બીજી બાજુ છે વાસ્તવિક ઊહાપોહ. કાલ્પનિક ભય બતાવનારાઓને દેશમાં હિન્દુઓની સંખ્યા કેટલી છે અને અન્ય ધર્માનુયાયીઓની સંખ્યા કેટલી છે એ જાણવામાં અને જણાવવામાં રસ છે, પણ હિન્દુઓમાં પછાત જાતિઓની વસ્તીનું પ્રમાણ કેટલું છે એ જાણવામાં અને જાણવા કરતાં ય જણાવવામાં રસ નથી. કારણ બહુ સ્પષ્ટ છે. હિન્દુને હિન્દુ તરીકે ડરવાવામાં અને રડાવવામાં આવે તો એ હિન્દુ તરીકે વાડામાં પૂરાઈને રહે પણ જો એ પછાત હિન્દુ તરીકે સવર્ણ હિન્દુ સામે અન્યાયનો પુકાર કરે અને ન્યાયની માગણી કરે તો હિન્દુઓમાં વિભાજન થાય. પછાત હિન્દુનો મુસલમાન સામે ખપ છે, સવર્ણો સામે નથી. આનો અર્થ એ થયો કે વ્યાપક હિન્દુ હિત માટે પછાત પ્રજાએ સવર્ણોનું વર્ચસ્વ સ્વીકારી લેવાનું. અને જો એમ નહીં કરો તો? તો તો બાપરે, મુસલમાનો આપણને ફાડી ખાશે.
માટે હિન્દુત્વવાદીઓ વસ્તી ગણતરી વખતે હિન્દુઓની જ્ઞાતિકીય ગણતરી કરવામાં આવે તેનો વિરોધ કરે છે. વખતે કોઈ સવાલ કરી બેસે કે વિશ્વનાં સૌથી મોટા સંગઠન તરીકે ઓળખાતા અને હિન્દુ હિતના એક માત્ર ઠેકેદાર ગણાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઉચ્ચ સ્તરે પદાધિકારીઓમાં પછાત જાતિઓનાં પદાધિકારીઓની સંખ્યા કેટલી છે તો? અને શંકા અને સવાલનો સ્વભાવ છે કે તેમાંથી શંકાઓ અને સવાલોની વણઝાર પેદા થાય છે. બહુજન સમાજનાં મનમાં શંકા અને પ્રશ્નો પેદા થાય તો હિન્દુ એકતામાં તિરાડ પાડી શકે અને જો એમ બને તો મુસલમાનો સામે તેમનો ઉપયોગ ન કરી શકાય. માટે વડા પ્રધાને બિહાર સરકારે બિહારમાં કરાવેલી જ્ઞાતિકીય વસ્તી ગણતરીને પાપ, હા પાપ તરીકે ઓળખાવી છે.
પણ મૂળભુત સવાલ એ છે કે વસ્તી ગણતરી કરતી વખતે માત્ર માથાંની ગણતરી કરવી જોઈએ કે તેની સાથે ધર્મ, જાતિ, વંશ, લીંગ, ભાષા, પ્રદેશ, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં કરાવામાં આવેલ સ્થળાંતર, આર્થિક સ્તર વગેરેની પણ ગણતરી કરવી જોઈએ. જો એવી દરેક રીતે પ્રજાકીય ગણતરી કરવામાં આવે તો તેમાંથી ઓળખનું રાજકારણ પેદા થાય જે પ્રજાકીય એકતા સામે જોખમ પેદા કરે. એ તો હકીકત છે કે ઓળખ માત્ર વિભાજક હોય છે. પણ તેનો એક લાભ પણ છે. તેનો પ્રજાકેન્દ્રી અને વિકાસલક્ષી શાસન માટે ખપ પણ છે. બન્ને શબ્દપ્રયોગ ફરી વાર વાંચી જાવ. પ્રજાકેન્દ્રી અને વિકાસલક્ષી, સત્તાકેન્દ્રી અને સત્તાલક્ષી નહીં. એનાથી ખબર પડે કે વિકાસના માપદંડમાં કોણ ક્યાં છે. કોણ પાછળ છે, પછાતપણનાં શું કારણો છે અને એ અવરોધરૂપ કારણોને દૂર કેવી રીતે કરી શકાય. ટૂંકમાં એનો પ્રજાને આપસ આપસમાં લડાવવા માટે પણ ખપ છે અને વિકાસની નિસરણી પર નીચે હોય તેનો હાથ પકડીને તેને ઉપર ચડાવવા માટે પણ ખપ છે. કોણ અને કેવા શાસકો છે એના પર બધું નિર્ભર છે.
અને હજુ એક વાત. ઘણાં લોકો એવી પણ દલીલ કરે છે કે જે હકીકત છે એને છૂપાવવાની શું જરૂર છે. અસમાનતા અને અન્યાય પણ એક વાસ્તવિકતા છે અને એ પછી પણ સહઅસ્તિત્વ પણ એક વાસ્તવિકતા છે. જે છે એનો સ્વીકાર કરીને ઊહાપોહ કરવો જોઈએ, લડવું પડે તો લડી લેવું જોઈએ અને જે ન હોવું જોઈએ એને દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ. વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વિના આદર્શ સમાજની રચના શક્ય નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ઑક્ટોબર 2023