15 ઓગસ્ટ ગઈ, જેમ અંગ્રેજો ગયા, એમ જ ! હવે વાસી સ્વતંત્રતા દિવસ ઊજવું છું. આપણે તો વાસી તહેવારો પણ ઊજવીએ છીએ. વાસી ઉતરાણ, વાસી બળેવની જેમ જ વાસી સ્વતંત્રતા દિવસ ! આ દિવસ એટલે અટવાતા ધ્વજનો નિકાલ કરવાનો દિવસ ! નેતાઓના ભાષણો લૂંછવાનો દિવસ ! 15મીએ તો આખો દિવસ ફિલ્મો પણ દેશભક્તિની જ આવી. દેશપ્રેમનાં ગીતો પણ બહુ ગવાયાં. હવે એટલું છે કે મોબાઇલમાં ને ત્યાંથી માઇક પર ઓડિયો શેર થઈ શકે છે, એટલે બહુ ગાવું પડતું નથી. જનગણમન પણ વગાડી દેવાય કે પત્યું ! ગાવાની ઝંઝટ જ નહીં ! શું છે કે હવે બધું જ રેડીમેઇડ છે. રાષ્ટ્રધ્વજનો લીલો રંગ ઉપર આવે કે નીચે એ ય યાદ રાખવું પડતું નથી. ટી.વી. પર તો એ ફરક્યા જ કરતો હોય છે. વરસાદ પડતો હોય ને ટી.વી. અટકી પડ્યું હોય તો જ કોઈને પૂછવું પડે ને એ પણ એના નેતાને પૂછીને કન્ફર્મ કરી દે, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં ! જ્યારથી મોબાઈલ આવ્યા છે, આખો દિવસ દેશભક્તિ અપલોડ ને ફોરવર્ડ થતી રહે છે, બાકી, પહેલાં તો ધ્વજવંદન થાય કે 15મી લગભગ પૂરી જ થઈ જતી. જો કે, આ તકલીફ પણ 15મી પૂરતી જ ! પછી તો વરસ સુધી નિરાંત !
હવે એટલું સુખ થઈ ગયું છે કે બધું એકાદ દિવસ જ યાદ રાખવું પડે છે. મધર્સ ડે પર માને યાદ કરો કે મા પણ ખુશ ને સંતાનો ય રાજી ! એવું જ ફાધર્સ ડેનું ! એ તો સારું છે કે ફાધર્સ ડે આવે છે, બાકી, ફાધરને કોણ પૂછે? ને ફાધર-ફેધરમાં ગોટાળા થાય તે નફામાં ! ટીચર્સ ડે આવે છે તો ટીચર ફીચરમાં દા’ડો નીકળી જાય છે. સારું છે કે કોઈએ ‘નાઈટ ડે’ નથી કાઢ્યો, નહિતર ક્યારે મનાવવો એ સવાલ થઈ પડે. હવે તો દિવસો જ એટલા થઈ ગયા છે કે વરસ ઓછું પડે છે. બધા દિવસ ઉજવવા હોય તો તહેવારો ને વહેવારો અડધા કરવા પડે. સવારે 15મી ઓગસ્ટ ને સાંજે રક્ષાબંધન, સવારે ગણેશોત્સવ ને રાત્રે ઋષિપાંચમ એન્ડ સો ઓન …
આમ તો આપણે દુનિયાની ત્રીજી ઈકોનોમી બનવા જઇ રહ્યાં છીએ ને 5G ને AIના જમાનામાં લેટેસ્ટ ટેક્નોલોજીથી સમૃદ્ધ પણ છીએ, દુનિયા આપણી પ્રગતિને, આપણા રકાસને, સોરી, વિકાસને આશાભરી નજરે જોઈ રહી છે, ત્યારે કોને દેશ માટે ગૌરવ લેવાનું મન ન થાય ! જો કે, આ તો વડા પ્રધાને વિદેશ જઇ જઈને મહામહેનતે ઉપસાવેલી વૈશ્વિક પ્રતિભા છે, બાકી, આપણા આયનામાં ઉપસેલી આકૃતિ તો આપણે જ જાણીએને ! એ ખરું કે પ્રકૃતિ આપણા વિકાસને મોડોવહેલો માપનો કરીને જ જંપે છે. હિમાચલ, ઉત્તરાખંડ, સિમલામાં ભીનાશે જે વિનાશ નોતર્યો છે, તેની સામે આંખ આડા કાન કરીએ તો પણ, એ તો સામેથી આવીને દેખા દે જ છે.
ગુજરાતના દરેક ધારાસભ્યને રસ્તા પર થીંગડાં મારવા બે કરોડની ગ્રાન્ટ આપવાનું સરકારે ઠરાવ્યું છે, એ જુદી વાત છે કે નેતાઓનાં નામનાં બાંકડા લોકો અગાશીમાં કે દુકાનોમાં તાકા કે સાડીઓ મૂકવા રાખી લે છે. તાત્પર્ય એ કે આખું કોળું દાળમાં જતું નથી. કૈંક તો થાય છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ પાર પડે છે. મેટ્રો, બી.આર.ટી.એસ., વંદે ભારત, બુલેટ ટ્રેન, કચ્છ સુધી વહેતી નર્મદા, 370ની નાબૂદી, ત્રણ તલાક, સર્જિકલ સ્ટ્રાઈક, કાઁગ્રેસી સરકારોની ટીકા, ગાંધી કરતાં સરદારને આગળ કરવાની વૃત્તિ … વગેરે દ્વારા આઝાદી પછીનાં અને ખાસ તો મોદી સરકારનાં વખતમાં થયેલાં કાર્યોની નોંધ લેવી જ પડે.
કેન્દ્ર સરકારે લાખો ગરીબોનું કોરોના કાળથી માંડીને આજ સુધી પેટ પાળ્યું છે ને લાખો લોકોનાં ખાતાં ખોલાવી પૈસા જમા આપ્યા છે. આવું વિદેશમાં શક્ય નથી, ત્યાં કશું મફત મળતું નથી. એ આ જ દેશમાં શક્ય છે. એની આડ અસર એ થઈ કે લોકો આળસુ થયા અને મફતનું શોધતા થયા. મોદી સાહેબે તો કહેલું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી. ‘ખાતો નથી’ એ સાચું, પણ ખાનારા તો ખાય જ છે. એવું નથી કે કાઁગ્રેસી સરકારમાં અપ્રમાણિકતા, કામચોરી, ભ્રષ્ટાચાર ન હતાં, પણ તેનું પ્રમાણ અગાઉ ક્યારે ય ન હતું એટલું આજે છે. બળાત્કાર, છેડતીને લગતા બનાવોની સંખ્યા શરમજનક રીતે વધી રહી છે. દેશમાં 13.13 લાખ સ્ત્રીઓ ગુમ છે. આ બધું વિકાસની આડે આવે છે.
2020થી નવી શિક્ષણ નીતિ લાગુ છે, પણ તેનો અમલ કરનારા શિક્ષકોને કાયમી ધોરણે રાખવાને બદલે જ્ઞાનસહાયકોથી કામ લેવામાં રમત રમાઈ છે. આ જ્ઞાનસહાયકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ રખાય તો તે કાયમી થાય જ નહીં. કાયમી ન થાય એટલે તેને રિટાયરમેન્ટ વખતે પેન્શન વગેરે લાભો આપવાથી બચી શકાય. 5 વર્ષની ટર્મ પૂરી કરનાર કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ દરેક સેવાનું અલગ અલગ પેન્શન મેળવી શકે, પણ 30-35 વર્ષની સળંગ નોકરી કરનાર શિક્ષક પેન્શનને પાત્ર ન ગણાય એ કેવું? ગુજરાત સરકાર શિક્ષકોને મામલે આવી કંજૂસાઈ કરતી હોય તો શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો ય તેનો અર્થ રહેતો નથી. નવી બંધાતી સડક, નવા બંધાતા પુલ, નવાં બંધાતાં રહેઠાણોનાં બાળમરણ હવે સ્વયં સિદ્ધ હકીકતો છે. કોલેજ એડ્મિશનમાં વેડફાતી ટર્મ, સતત વધતી ફી, શિક્ષણનું કથળતું સ્તર, એ પછી પણ વધતી આવતી શિક્ષિત બેકારોની સંખ્યા – આ બધાંથી ત્રાસીને યુવાધન વિદેશ તરફ વળી ગયું છે.
સવાલોનો સવાલ એ છે કે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, તો અહીંનો યુવાન વિદેશ જવા કેમ પ્રેરાયો છે? દેશના અમીરો અહીં કમાઈને વિદેશ સ્થાયી થઈ રહ્યા છે. 2023માં 6,500 અમીરો ભારત છોડવાનું મન બનાવી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં હજાર ઓછો છે. આ બધાં તો માલેતુજારો છે, તે કેમ દેશ છોડે છે? એનાં કારણોમાં કાયદાની જટિલતા અને ટેક્સની ગૂંચ ગણાવાય છે. એ સાચું છે કે ભારતીય કર માળખું અનેક વિસંગતિઓથી ભરેલું છે, એકતરફ આ દેશ ઝડપી વિકાસ કરી રહ્યો હોય ને બીજીતરફ અમીરો કાયદા અને કરના ત્રાસને કારણે દેશ છોડતા હોય તો ફેરવિચારણા જરૂરી બને છે.
ભારતીય યુવાનો ને અમીરો કાયમી ધોરણે વિદેશ સ્થાયી થાય ને એ વિદેશમાં મંત્રી કે અન્ય પદો પર બિરાજે તો તેનાં ભારતીય મૂળથી આપણે પોરસાઈએ છીએ. ત્યારે, એ વિચાર નથી આવતો કે આવી શક્તિ ધરાવનારને આપણે જ તો વિદેશ જવાનાં કારણો પૂરાં પાડ્યાં છે. યુવાનો ભારતનું નાગરિકત્વ છોડીને વિદેશ જઇ રહ્યા હોય ત્યારે એમના વગર આ દેશ કેવી રીતે વિકાસ કરશે એ વિચારવાની જરૂર ખરી કે કેમ? 2022માં 2.25 લાખ ભારતીયોએ વિદેશી નાગરિકત્વ અપનાવ્યું છે. એનાં અન્ય કારણો હશે, પણ મુખ્ય કારણ આર્થિક કમાણીનું છે. યુવાનો આમ તો વિદેશ ભણવા જાય છે, પણ ત્યાંની સમૃદ્ધિ જોઈને પછી ત્યાં જ સ્થાયી થઈ જાય છે. એવા 90 ટકા યુવાનો પાછા આવવા નથી માંગતા. એમનો ય સ્વાર્થ હશે જ, પણ એમને રોકી રાખનારું કોઈ આકર્ષણ આ દેશમાં કેમ નથી એ મુદ્દે આત્મનિરીક્ષણની જરૂર વર્તાય છે. એવું નથી કે દેશ માટે જતું કરનારાં લોકો નથી. છે ને ઘણાં છે. એમનાં પુણ્યે જ તો કદાચ આ દેશ ટકેલો છે !
એવું નથી કે સરકાર કૈં કરતી નથી. ‘આયુષ્યમાન ભારત’ યોજના અંગે ભારતના કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)નો રિપોર્ટ છે કે 3,446 એવા દરદીઓ પાછળ 6.9 કરોડ રૂપિયા ખર્ચાયા જે ઓલરેડી ગુજરી ચૂકેલા હતા ને આવું કૈં પહેલીવાર નથી થયું. આ અગાઉ પણ CJIના રિપોર્ટમાં એવું આવ્યું હતું કે સાડા સાત લાખથી વધુ દરદીઓ એક જ મોબાઈલ પર રજિસ્ટર થયા હતા ને તે પણ એવા નંબર પર જે અમાન્ય હતો. આવી અપ્રમાણિકતા ને ભ્રષ્ટતાનું પરિણામ એ આવે છે કે જેને માટે આવી યોજનાઓ લાગુ થાય છે, એમના સુધી તો લાભ પહોંચતો જ નથી ને જેને જરૂર નથી એવા લોકો જ જરૂરતમંદને નામે પોતાની હોજરી ઠાંસતાં રહે છે. આ સ્થિતિમાં ‘મેરા ભારત મહાન’ કોઈ કહે કે આખો દિવસ પંદરમી ઓગસ્ટે દેશભક્તિનાં ગીતો વગાડે તો તેમાં ભરોસો પડે ખરો? આજે સૌથી વધુ ખૂટે છે તે વિશ્વસનીયતા. રાજકીય પક્ષોને તો સત્તા સિવાય બીજો કોઈ રસ જ નથી. શાસકો વિપક્ષને ભાંડીને, તેને તોડીને કેવી રીતે ટકી રહેવાય ને વિપક્ષો કેવી રીતે સત્તામાં અવાય તે સિવાય બીજી ચિંતા ભાગ્યે જ કરે છે. ટૂંકમાં, દેશ છે, પણ દેશદાઝ નથી. એ કમનસીબી છે કે ચારે બાજુએ સચ્ચાઈને ભોગે દેખાડો જ વર્ચસ્વ ભોગવે છે.
સારું છે કે દેશની ત્રણે સેનાઓમાં એવો દેખાડો નથી પ્રવેશ્યો. એ લોકો સેવા કરે છે, સેવાનો અભિનય નથી કરતાં. એ તો જીવ આપીને પણ દેશની રક્ષા જ કરે છે. જરા વિચારો કે આપણે આચરીએ છીએ એવી બેવફાઇ, ભ્રષ્ટતા આપણા સૈનિકો આચરે તો લાગે છે કે સમાવા માટે આપણને ધરતી પણ મળે? તો, વફાદારી, પ્રમાણિકતા, સચ્ચાઈ એ શું સૈનિકોએ જ બતાવવાની છે? એ વફાદારી એમણે એવાં લોકો માટે બતાવવાની છે, જે ઘણુંખરું ભ્રષ્ટ, દુષ્ટ ને નિકૃષ્ટ છે? કમાલ છે ને કે આપણા જેવાં માટે આપણે એમને શહીદી વહોરવા સરહદે ધકેલીએ છીએ ! આપણે એટલા નસીબદાર તો છીએ કે આપણા પર જ થૂંકી નથી શકતા, બાકી, લાયકાત તો …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑગસ્ટ 2023