ફૂલને કેવી રીતે ખબર પડે છે કે સૂર્યોદય થાય તે પહેલાં ખીલી જવાનું છે? આપણને તો સૂર્ય માથે આવી જાય તો ય ખબર પડતી નથી. ફૂલો ખીલે નહીં તો રંગોનો વૈભવ ઝૂલતી ડાળીઓ પર લહેરાય નહીં. ફૂલો, એ રંગો હવામાં લહેરાવે છે જે ધરતીમાં નથી. કળીઓનાં ખીલવાની પ્રક્રિયા દેખાતી નથી. આપણને તો પરિણામ જ દેખાય છે, તે પણ બહાર ડોકિયું કરીએ તો !
બાકી, ફૂલ કહેતું નથી કે મને જુઓ. એ તો ખીલે છે ને કોઈ જુએ કે ન જુએ, ખરે છે.
મનુષ્યનું જરા જુદું છે. પ્રેમિકા હસે છે તે આંખો સામે. એને પ્રેમી ન જુએ તો ખીલી શક્તી નથી ને આંસુ, એ કોઈ ન જુએ એમ ખૂણે ખેરવે છે. વિરહનાં પણ ફૂલો હોય છે. એ ખીલતાં નથી, પણ ખરેલાં દેખાય છે, જેમ રાત્રે તારાઓ દેખાય છે. એને રડનાર દેખાતું નથી. પણ એ છે એની ખાતરી વેરાયેલા તારાઓ આપે છે …
એ જોઈ લો, નહીં તો સવાર પહેલાં તો આખું આકાશ કોઈ વાળીઝૂડીને બધું ચોખ્ખુંચણાક કરી દેશે.
0
e.mail : ravindra21111946@gmail.com